[9/27, 7:44 AM] Ramila Makvaana.MeM.: . NOG -120
શબ્દ : નવલી નવરાત
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શિર્ષક : નવરાત્રી
શબ્દો : ૮૧
*નવરાત્રી*
આધ્યશક્તિ મા તારા નવલા દિવસો નવરાત્રી,
વંદન કરું હું મા તુજને નવલા દિવસો નવરાત્રી.
નવલી રાતોમાં રાસ-ગરબે ઘૂમતા ચાચર ચોકમાં,
તમારા કર્યા મા બેસણા નવલા દિવસો નવરાત્રી.
હવન-તવન ગાઈને આનંદ લૂંટતા તારા બાલુડા,
ખમ્માને હેમક્ષેમ રાખજો નવલા દિવસો નવરાત્રી.
અવનવા શણગાર સજીને દર્શન આપજે માવડી,
તારા દર્શનની આશ મા નવલા દિવસો નવરાત્રી.
લીલુડા માંડવડા રોપાય માવડી તારા મઢડે,
તારા ગુણલા નિત ગવાય નવલા દિવસો નવરાત્રી.
તારા મઢડા બધા ઝાકમઝોળ મા આદ્યશક્તિ,
*રમા* નાં દેવી પાટડી-ધામે નવલા દિવસો નવરાત્રી.
(જય મા આદ્યશક્તિ)
રમીલા ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
*****************************
[9/27, 9:52 AM] Mina Mangroliya.MeM.NOG: NOG. S.S. NO:0032
વિષય: નવલી નવરાત
શીર્ષક:- *મા દુર્ગા*
મા દુર્ગા પ્રથમ સ્વરુપ મા શૈલપુત્રી,
વૃષભ પર આરૂઢ,
ત્રિશૂળ જમણે હાથ,કમળ પુષ્પ ડાબે હાથ.
પ્રથમ દિવસે પૂજન મા શૈલપુત્રી.
મા દુર્ગા દ્વિતીય સ્વરુપ મા બ્રહ્મચારિણી,
તેનું આચરણ કરવાવાળી મા બ્રહ્મચારિણી
જેની માળા જમણે હાથ,કમંડળ ડાબે હાથ.
દ્વિતીય દિવસે પૂજન મા બ્રહ્મચારિણી
મા દુર્ગા તૃતિય સ્વરુપ મા ચંદ્રઘટા,
કપાળે અર્ધ ચંદ્રાકાર ઘંટ,
દસે હાથ ખડ્ગ, બાણ, તલવાર, ધનુષ,
તૃતિય દિવસે પૂજન મા ચંદ્રઘંટા.
મા દુર્ગા ચતુર્થ સ્વરુપ
મા કૂષ્માંડા,
મા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી
અષ્ટભુજામાં સર્વ સિધ્ધીદાયક જપમાળા
ચતુર્થ દિવસે પૂજન કૂષ્માંડા
.
મા દુર્ગા પંચમે સ્વરુપ મા સ્કંદમાતા,
કમળ પુષ્પ બંને ભૂજામાં
બાળસ્વરૂપ ભગવાન એક ભૂજામાં,
વરમુદ્રા ચોથી મહાભૂજામાં.
મા દુર્ગા છઠ્ઠે સ્વરુપ મા કાત્યાયની,
સિંહવાહિની આરૂઢ,
એક હાથમાં તલવાર, બીજે કમળ પુષ્પ ,
તૃતિય હાથ અભયમુદ્રા, ચોથે વરમુદ્રા.
છઠ્ઠે દિવસે પૂજન મા કાત્યાયની.
મા દુર્ગા સાતમે સ્વરુપ મા કાલરાત્રિ,
ગદર્ભ કાલરાત્રિનું વાહન,સદૈવ શુભ ફળદાયિની.
સાતમે દિવસે પૂજન મા કાલરાત્રિ.
મા દુર્ગા આઠમે સ્વરુપ મહાગૌરી,
વૃષભ આરૂઢ,શ્વેત વસ્ત્ર ધારણ.
આઠમે દિવસે પૂજન મહાગૌરી.
મા દુર્ગા નામે સ્વરુપ સિધ્ધીદાત્રી,
અર્ધનારેશ્વર સ્વરુપ, એક હાથમાં ચક્ર,
બીજે શંખ ત્રીજે ગદા,ચોથે કમળપુષ્પ.
નવમે દિવસે પૂજન સિધ્ધીદાત્રી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
******†********************
26/9/2022
[9/27, 11:28 AM] Sweta Talati.MeM.NoG: NG 0078
વિષય – હાસ્ય કાવ્ય
પ્રકાર – પદ્ય (દ્વિખંડી છંદમાં
૬ હુશ્ન મત્લા સાથે હઝલ)
શીર્ષક – શેરબજારના મંદી- ઉછાળ જેવો..
અલી, શેરના બજારે નિત મંદી ને ઉછાળો;
એ અરર સ્વભાવ એવો ઈવડાઈનોય હાળો.
ઈ રિસાળ પણ ખરો ને, કદી બડબડે છે ગાળો;
વધુ આવી જાય ગુસ્સો તો તો કાઢે બહુ વરાળો.
રહે ખંજવાળ એને, કરે વાંદરાનો ચાળો;
કોઈ તો મને બતાવો શું છે છૂટવાનો તાળો?
ઋતુ પણ કમોસમી થઈ, જો ગુલાબી હો શિયાળો;
રહી બેખબર અનાડી કરી એને દે ઉનાળો.
એ ઘણોય ધૂની મૂડી ને વિચિત્ર પણ છે હાળો;
દિલમાં છતાં એ મારાં કઈ રીતથી બુડાળો!
એ ચિબાવલો વણી દે છે સબંધમાંય જાળો;
છે જ ભાઈબંધ ખાસ્સા, ન ગમે જરાય સાળો.
છે અસમતુલા મગજમાં કદી કોઈ એને ખાળો;
યદિ ગાંડપણનો આવે કદી એકદમ ઉલાળો.
થયું એવું છે કજોડું કહું વાત ખાનગીમાં;
હું રુપાળી ખૂબ નમણી, છે એ કૂબડો ને કાળો.
વધુ કંઈ બબાલ કરશો નહીં પણ જરાક કહેજો;
છે અમારી સહેલી ‘શ્વેતા’ જો ‘એ’ વાયડાને ભાળો.
– શ્વેતા તલાટી
***********************************
[9/28, 3:53 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S. S No.0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- નવલી નવરાત.
પ્રકાર:-. ગદ્ય લેખ.
શીર્ષક:-. નવરાત્રીનો આનંદ ઉલ્લાસ.
તારીખ:- ૨૮/૯/૨૦૨૨. બુધવાર.
રચના:-.
લાંબા કોરોના કાળબાદ તારીખ ૨૬/૯/૨૦૨૨ રોજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતમાં નવરાત્રી નો મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે ,તેમાં પણ ગુજરાત રાજ્યમાં તેમજ મહારાષ્ટ્રમાં તેનું અનેરૂ મહત્વ છે.
આ વખતે નવરાત્રિનો અનેરો મહોત્સવ છે કારણ કે બે વર્ષ સુધી લોકો આ ઉત્સવ ઉજવી શકતા ન હત
આજે હું આપને દ્વારકામાં ઉજવાતા ગુગળી બ્રાહ્મણ ની નવરાત્રી ની માહિતી આપું છું.
દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ ૫૦૫ ની ગરબી ની સ્થાપના ઈસવીસન ૧૮૭૪ ના ઓક્ટોબરની ૯મી તારીખે દ્વારકાના હોળી ચોકમાંશરૂઆતથઇ.ગરબીની વિશેષ રચના તે કાસ્ટ માંથી કચ્છના કલાકારોએ એ બનાવી છે .જે આજે પણ મોજૂદ છે .તેઓ એ ત્રણ ગરબી બનાવેલી એક આજે દ્વારકામાં છે બીજી બેટ દ્વારકામાં અને ત્રીજી જામનગર ગૂગળી બ્રાહ્મણો પાસે છે .સમય સમયે તેની જાળવણી કરી મરામત કરી અને આજે પણ સાચવી રાખવામાં આવી છે.ગરબીમાં માતાજીના નવ સ્વરૂપ ની કાસ્ટ ની મૂર્તિ છે,.
અને તેનું પૂજન કરવામાં આવે છે.તેના ઉપર દોઢ કિલો નો ચાંદી નો ગરબો રાખવામાં આવે છે અને તે ગોળ ગોળ ફરે છે.
આ ગરબીની વિશેષતા એ છે કે આમાં ફક્ત પુરુષો જ પીતાંબર, ધોતિયું ,બંડી ,પછેડી,પહેરીને જ ગરબી લઈ શકે છે તેના સિવાય કોઈને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી.
આ ગરબીમાં માતાજીના જુના છંદો ગાવામાં આવે છે અને ગરબી લેવામાં આવે છે .પ્રથમ આરતી અને ત્યાર પછી જુદા જુદા છંદો ની શરૂઆત થાય છે દરેક દિવસના છંદ અલગ અલગ હોય .નોબત વાગેછે તેના તાલે લોકો ગરબી લે છે. દરેક છંદમાં ઈશ્વરના વર્ણન પ્રમાણે જુદા જુદા લોકો જુદા-જુદા વેશભૂષા ધારણ કરે છે શંકર અને પાર્વતી નો વેશ ભગવાન ના જુદા જુદા સ્વરૂપો માતાજી ના જુદા જુદા સ્વરૂપો વગેરેના વેશ લેવામાં આવે છે સ્ત્રીના વેશ પુરુષો જ લેછે અને તમે ઓળખી પણ ન શકો કે આ પુરુષ છે . અદભુત વેશ ધારણ કરી અને લોકો ગરબી ઉત્સવ મનાવે છે.
બહેનો માટે પણ અલગ મહિલા મંડળ ની ગરબી ગુગળી ની બ્રહ્નપુરી માં દર વર્ષે ઉજવાય છે .તેમાં . આ મંડળમાં કોઈપણ પુરુષને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી.
ગૂગળી બ્રાહ્મણો ના કુલ ૧૪ પ્રકારના કુટુંબો છે, અને દરેકના અલગ અલગ માતાજી છે. દરેક માતાજીને રોજ નવા સ્વરૂપો અને વસ્ત્રો અલંકારોથી શણગારવામાં આવે છે,અને તે માતાજી માં દરેક કુટુંબના લોકો સાથે મળીને નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીના ગુણગાન ગાય છે હવન હોમ કરે છે પ્રસાદની વહેંચણી કરે છે અને બધા જ કુટુંબીજનો આનંદથી નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહપૂર્વક રંગબેરંગી વસ્ત્રોમાં ભાગ લે અને આનંદ કરે છે
આમ નવલી નવરાત્રી ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
.
રતીલાલ વાયડા.
૨૮/૯/૨૦૨૨. બુધવાર.
નવી મુંબઈ.
*******************************
[9/28, 5:45 PM] Hemlatta Divecha.MeM: NOG SS – NO – 0037
વિષય – નવરાત્રી.
વિભાગ – પદ્ય. ( ગરબો )
શીર્ષક -આરાધના.
રચના…..
આસો માસે આરાધના આદ્યશક્તિની થાય,
આરાસુર વાળા અંબેમા ગરબે રમવા આવો.
આજે આરતી અંબા ભવાની ની થાય,
અખંડ જ્યોત નવદુર્ગાની ઝગમગ થાય.
અમ આસ્થાનો દીપ, હેમનો ગરબો પ્રગટે,
અબીલ, ગુલાલ, કંકુનાં છાંટણા થાય.
રમવા ચોસઠ જોગણીઓ પધારે,
સ્વાગત કરીશું હેતથી, હ્રદયના દ્વારે.
આસમાની ચૂંદડી ઓઢી અંબા માતે,
આરાસુરી અંબાજીના ગરબા ગવાય.
અલૌકિક માતાનું સ્વરૂપ દિશે,
આંખે અમૃત વરસાવી જાય.
આસ્થા અમારી અખંડ રાખજો,
આરાધના કરું હું વારંવાર ભવાનીમાં.
અવિચળ ભક્તિ પ્રદાન કરજો,
અંબા ભવાની શિશુને ખોળે લેજો,
અપરાધ અમારા ક્ષમાં કરજો.
આદ્યશક્તિ આરાધના “હેમ ” ની સાંભળજો.
હેમલતા દિવેચા ” હેમ
***********************************
[9/28, 5:51 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG : સાહિત્ય સરિતા
નંબર : ૧૧૯
શબ્દ : નવલી નવરાત
પ્રકાર : ગદ્ય
શિર્ષક : શક્તિ નો સંયોગ
શબ્દો : ૩૨૨
*શક્તિ નો સંયોગ*
*મોઢે બોલુ મા રાંગરી,તે દિન તું દર્શન આપતી;*
*અઢળક પરચા તારા, વસ્તીને પરમાણ પામતી.*
*તારા કંદોરિયાની તું કરજે સહાય મા રાંગરી, તારા પારે આવેલાને ઉગારજે;*
*બોલ્યું ચાલ્યું માફ કરજે માતા જોગણી,* *વાડીવસ્તીમાં લીલા લહેર કરાવજે.*
હાલના ટેક્નોલોજીના સમયમાં દુનિયા નજીક થતી જોવા મળે છે જ્યારે પરિવાર ટૂંકો થતો જોવા મળે છે. પણ અહીંયા અમારે ગામ વીસાવડીમાં રાંગરી(જોગણી) માતાના ઉત્સવમાં ખભેખભો મિલાવી એકતાનાં દર્શન કરાવ્યા છે. જે અહીં વિસ્તૃત રજૂ કરું છું.
*તારો વેણ કદી નહીં ઉથાપે કોઈ,વાડી વસ્તીમાં રખાવજે મા તું સારો સંપ;*
*સૌને કહોળક્ષેમ રાખજે મા તું,તું જ અમારો આશરોને તું જ અમારો સ્તંભ.*
અમારા ગામમાં રાંગરી(જોગણી) માતાજીનું નવું મંદિર બનાવ્યું છે. જેની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરમાં મૂર્તિની સ્થાપના-કળશ,ધ્વજારોહણ,યજ્ઞ અને માતાજીનો માંડવો નાખી સમગ્ર વાસના બસોથી વધુ પરિવારો જોડાઈને એકતાનાં દર્શન કરાવ્યા છે. જેમાં પાંચ અલગ-અલગ કુટુંબની કુલ મળીને ૨૮૯ જેટલા દિકરી-જમાઈને તેડાવી તેમનું સન્માન કર્યું છે. સમગ્ર પરિવારો અને મહેમાનો સાથે પંદરસો થી વધારે લોકોનો સમુહ ભોજન સમારંભ યોજીને અનેકતામાં એકતા બતાવી છે. એટલા બધા પરિવારોમાં *મા રાંગરી (જોગણી)* નાં પૂણ્ય પ્રતાપથી કોઈ પણ જાતના વાદ વિવાદ સિવાય રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે, એટલુંજ નહીં પરંતુ તેમાં માતા રાંગરી(જોગણી) ની કૃપાથી એકમાળાના મણકામાં પરોવાઈ શક્તિનો સંયોગ નાં દર્શન થયા છે.
*ખમ્મા કહીને કરતી મા ટહુકો,એ અણસારે પરચા પુરતી;*
*મા તારા અગણિત ઉપકારો, તું વહાર કરતી સૌની દુરથી.*
આ ઉપરાંત
*મા રાંગરી તું પંચની વહાલી દેવ,તારી કરિયત તને લાગે પાય,*
*બોલ્યું ચાલ્યું માફ કરજો, ભીડ પડે ઊભા રહી કરે તું સહાય.* રાંગરી(જોગણી) માતાના ચોકમાં દરવર્ષે દેશી ઢોલના તાલે બહેનો માથે હેલ સાથે ગામઠી ગરબા અને ભાઈઓ દરરોજ અવનવા ટ્રેડીશનલ ડ્રેસમાં દાંડિયારાસની રમઝટ જમાવીને નવરાત્રી ઉજવાય છે.
માતાજીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે ઉદઘોષકની જવાબદારી વખતે *મા રાંગરી(જોગણી)* માતાજીની કૃપાથી મારા મનોભાવ માં સ્ફૂરેલ શબ્દો રૂપક તરીકે અહીં લેખમાં જુદી-જુદી જગ્યાએ રજૂ કર્યા છે.
*જાગતી જ્યોત ગણાય તું માવડી,પરચાનો નહીં પાર મા રાંગરી;*
*સ્મરણ કરતાં પુગી આવતી, તારી સામે ન કરી શકે કોઈ આંગરી.*
*સદબુદ્ધિ આપી સારો રસ્તો બતાવજો,સારા સંસ્કારોનું સિંચન કરજે મારી માવડી;*
*વ્યસનોને તિલાંજલી અપાવીને, સૌને સુખ સંપત્તિ આપી હંકારજો અમારી નાવડી.*
જય મા રાંગરી (જોગણી)
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી વરણોસરી શંખેશ્વર વાહેદપુરા.
**********************************
[9/28, 10:38 PM] Devyani.Bombay.MeM: NOG-123
શબ્દ-નવલી નવરાત,હાસ્ય કાવ્ય
પ્રકાર- પદ્ય(અછાંદસ)
શીર્ષક- નવલી નવરાત(હાસ્ય કાવ્ય)
શબ્દ-૧૦૦
તારીખ-૨૮/૯/૨૦૨૨
રચના-
ગયા કોરોના ના દિ’આવી,નવલી નવરાત.
આવ્યા ગરબે રમવાના દિ’આવી નવલી નવરાત.
હું તો ઘેલી ઘેલી થઈ આવી નવલી નવરાત.
પડોશમાંથી માંગ્યા ચણિયાચોળી,આવી નવલી નવરાત.
કામમાં ના લાગે દિલ,આવી નવલી નવરાત.
કપડા ધોઈ વાસણ ઘસ્યા,આવી નવલી નવરાત.
ઝટપટ રસોઈ બનાવી,આવી નવલી નવરાત.
વેલણને ડાંડિયા સમજી,આવી નવલી નવરાત.
કોઈ ના જુએ તેમ વેલણે રમી,આવી નવલી નવરાત.
ગરબીમાં જવાની હોંશ,આવી નવલી નવરાત.
ઝટપટ બધાં કામ પતાવ્યા,આવી નવલી નવરાત.
સાંજે પતિદેવ ઘરે આવ્યા,આવી નવલી નવરાત.
જમતાં જમતાં મોઢું બગાડ્યું,આવી નવલી નવરાત.
મેં પુછયું શું થયું,આવી નવલી નવરાત.
બોલ્યા રસોઇમાં નથી વેતા,આવી નવલી નવરાત.
ઘરમાં ગરબા થયા ચાલુ,આવી નવલી નવરાત.
‘દિવ્ય’મન ભરીને ઝૂમ્યા,આવી નવલી નવરાત.
દિવ્યા દેઢિયા ‘દિવ્ય’
વડાલા(મુંબઇ)
*******************************
[9/29, 8:06 PM] Hardik Raval.Mem: Nog 121
વિષય: નવરાત્રી
પ્રકાર: ગરબો
શીર્ષક: આજ નવરંગી માંડવે પધારો રે..
– ગરબો
આજ અંતરમાં ઉમટ્યા, ઘણા ઓરતા રે લોલ…
હૈયે ઊભર્યો છે ઉલ્લાસ, માના નોરતા રે લોલ…
દેજો દેજો રે! અરે દેજો મીઠો હોંકા…રો રે.
મારી અંબાને, જગત અંબાને પોકા…રો રે.
આજ નવરંગી માંડવે પધારો રે..
રૂડા મોતીએ મઢયા છે, બાજોઠ સાગના રે લોલ…
મેં તો ફૂલડાં ચૂંટયા છે, મોહક બાગના રે લોલ…
એવી નજરૂએ, મીઠી નજરૂએ હેતથી વધા…વો રે.
મખમલના, હા રે! રેશમના આસન બિછા..વો રે.
આજ નવરંગી માંડવે પધારો રે…
સૈયર ગરબા કોરાવ્યા , નોખી ભાતમાં રે લોલ…
ચમકે છે દીવડાં ઘીના, ઘેરી નવરાતમાં રે લોલ…
આવો ને, બહુચર આવો ને સૈયર સંગ ઘુમ…વા રે.
અંબા આવો ને, ધરી સોળે શણગાર ઝૂમ…વા રે.
આજ નવરંગી માંડવે પધારો રે…
અસુરોનાં કાળ બન્યા, લઈ ત્રિશૂળ હાથમાં રે લોલ…
દેવોએ ગુણલા ગાયા, લઈ હરિ-હર સાથમાં રે લોલ…
ખમ્મા ખમ્મા રે! માડી ખમ્મા રે! વેદે વખાણી…યા રે.
ઋષિઓએ, હા રે મુનિઓએ, ચરણ પખાળી…યા રે.
આજ નવરંગી માંડવે પધારો રે…
જગે અંશ પ્રગટયો, ભાળ્યો હરેક નારમાં રે લોલ…
ઉરે ભાવ સળગ્યો, એને માડી વ્હાર માં રે લોલ…
સમરો હો, અંબા સમરો હો, ‘હાર્દ’ લ્હાવો કમા..વો રે.
એવા હેતે હો, ભીના હેતે હો, મૈયા બાળ સમા..વો રે.
આજ નવરંગી માંડવે પધારો રે…
🖋️તા-28/9/2022
હાર્દિક રાવલ. ‘હાર્દ’ મહેસાણા
********************₹₹₹₹*₹
[9/29, 10:25 PM] Pravina Kadakiya.MeM NOG Houston: S S N O G 0089
નવરાત્રી
શીર્ષક ઘેરદાર ઘાઘરો
પદ્ય
——-
ઘાઘરો , કાપડું અને ઓઢણા વીના
નવરાત્રી કેવી ?
—
છેલ છબીલા વાલમ મારા સાંભળો
મારે હાટુ કચ્છનો ઘેરદાર ઘાઘરો લાવજો
તેમાં રંગબેરંગી આભલા ટંકાવજો
કચ્છનો ઘેરદાર ઘાઘરો લાવજો
——-
સાથે કાપડું ને ઓઢણું પણ લાવજો
તેમાં રણઝણતી ઘુઘરીઓ ટંકાવજો
મારે હાટુ કચ્છનો ઘેરદાર ઘાઘરો લાવજો
——-
નવ વારનો ઘેઘુર ઘેર સિવડાવજો
તેમાં ભાતભાતના ચાકડા ચોંટાડજો
મારે હાટુ કચ્છનો ઘેરદાર ઘાઘરો લાવજો
———
પેલા રેશમને સાટીનનો ઘાઘરો લાવજો
તેમાં નાડાછડીથી ભાત પડાવજો
મારે હાટુ કચ્છનો ઘેરદાર ઘાઘરો લાવજો
—-
અંબા રાંદેલ ને કાલકા માવડી પધરાવજો
ગરબે ઘુમાતી સાહેલડી તેડાવજો
મારે હાટુ કચ્છનો ઘેરદાર ઘાઘરો લાવજો
************************
[9/30, 9:15 AM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- નવલી નવરાચ
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- લાખેણાં આશિષ.
શબ્દો:-૮૫
મિત્રો ગરબે ઘૂમવા થઈ જાવ તૈયાર .
આવી નોરતાંની રાત મારી માડીને વ્હાલપનાં તેડાં.
જગદંબા માડી તમે આવજો હો ….લાખેણાં આશિષ દેવા.
અક્ષત કંકુ થી તમને વધાવું,
હીરાનાં બાજઠીયે તમને બેસાડું.
ગરબે રમવાને આવજો હો ….લાખેણાં આશિષ દેવા. આંગણીયે રુડાં ગરબા ગવાય,
રુમઝૂમ પગલે માડી પધારો .
પ્રથમ તારી આરતી ઉતારું
આશિષ અમને દેજો રે…
તારા ચરણોમાં દંડવત્ પ્રણામ ,
કરવા છે મારે મસ્તક નમાવી.
ફૂલડે વધાવું ને મોતીડે વધાવું .
માડી તને મોંઘેરાં આવકાર આપું.
માડી તમે આવોને લાખેણાં આશિષ દેવાં.
©વિભૂતિ દેસાઈ , ઘાસવાલા બિલીમોરા .
********************************
[9/30, 11:01 AM] Varshaben Desai.MEM.Baroda: NOG. SS. NO. 0097
વિષયઃ હાસ્ય, નવરાત્રી
પ્રકારઃ ગદ્ય
શીર્ષકઃ હાસ્ય થેરાપી
આપણા જીવનના દરેક પડાવ પર અનેક નાની મોટી માંદગી આવતી હોય છે. કેટલીક સાધારણ હોય છે તો કેટલીક અસાધારણ.તો વળી કેટલીક મનગમતા મહેમાન જેવી થોડીક વધારે રોકાયને જતી રહે. લાંબું નથી રોકાતી. આપણે દરેક માંદગી મુજબ એના ઇલાજ કરતા હોઈએ છીએ. પહેલાં આયુર્વેદ જ ઉપાય હતો. તયાર બાદ એલોપથી સારવાર અસ્તિત્વમાં આવી.હવે તો ખુબ શોધખોળ થઇ અને નિતનવી થેરાપી અસ્તિત્વ માં આવી.હાસ્ય થેરાપી તેમાંની એક છે.અત્યાર સુધી હાસ્યને ફક્ત ટીખળ થી ઉત્પન્ન થતું મજાકિયુ આનંદી વાતાવરણ. તરીકે માનવતામાં આવતું હતું. ખાસ કરીને લગ્ન જેવા શુભ પ્રસંગે કે પારિવારીક મેળાવડા સમયે હાસ્યની છોળો ઉઠતી જેવા મળતી. સરખી સાહેલી કે મિત્રવૃંદમાં ઠઠ્ઠા મશ્કરી અને હાસ્યના ફુવારા ઉડે. છેલ્લાં કેલાંક વરસોથી આપણે જોઈશું તો, મોટા શહેરોમાં હાસયકલાકારોને ખાસ આમંત્રીને હાસ્ય દરબારના આયોજનો થાય છે. હવે તો ગામડે ગામડે આવા આયોજનો થાય છે.હાસ્ય કલાકારોએ પોતાની આ કળાને આજીવિકાનું સાધન બનાવ્યું છે.મહિલાઓ પણ નાટક,સિનેમા,સિરિયલો વગેરેમાં પણ હાસયકલાકાર તરીકે ઊભરી રહી છે.એ એક પ્રશંસનીય બાબત છે. આ તો થઈ મનોરંજનની વાત. પરંતુ સંશોધકોએ સાબિત કર્યું છે કે,હાસ્ય દ્વારા જટિલ રોગોની સારવાર પણ થઈ શકે છે. દવાની સાથે સાથે હાસ્ય ના પ્રયોગોની પણ દર્દી ને સારવાર આપવામાં આવે છે. અને એના નોંધનીય ફાયદા પણ જેવા મળે છે.મોટા શહેરોમાં મોરનિંગવોક ગૃપના સભ્યો સવારમાં સમૂહમાં મોટોમોટેથી હસવાની કસરત કરતા જોવા મળશે. આ ચોક્કસ પ્રકારની હસવાની કસરત કરવાથી શરીરના દ્રશ્ય અદ્રશ્ય બધા અંગો ચેતનવંતા બંને છે.એટલો સમય માટે તમે બધું ભુલી ને એક અલગ જ દુનિયામાં પહોંચી જાવ છો. મારા મતે હાસ્ય એ પણ એક પ્રકારનો યોગ જ છે. જે તમને તંદુરસ્ત રાખે છે. જેમ આપણે દવા સાથે દુવાનું મહત્વ સ્વીકારીએ છીએ એજ રીતે હાસ્યનું મહત્વ સ્વીકારીને આપણા જીવનમાં હાસ્યને સ્થાન આપવું જોઈએ.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
**********************************
[9/30, 4:10 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર.
NOG NO.: S.S.0059.
વિષય: ‘નવલી નવરાત ‘.
પ્રકાર : પધ્ય.હાઈકુ .
શબ્દૉ: હાઈકુ નવ.શબ્દો ૧૫૩.
જયકાન્ત ઘેલાણી – —પ્યારે”.
બધી મા ખૂશ !
કરો શક્તિ પૂજા
છે નવ રાત !
મળે ચેતના
ભાવે કરો અર્ચના
રીઝે અંબામા !
છે નવરાત્રી
વાગે ઢોલ નગારા
સાથે પિપૂડી !
જામી ૯ રાત
ગૂંજે ઢોલ નગારા
સાથે પિપૂડી !
આધ્ય શકિત !
આવે તમ આંગણે
સમરો ભાવે !
બાલ-ગોપાલ
નાચે દિવસ રાત
છે નવરાત્રી !.
દુર્ગા* અંબાજી*
મહેશ્ર્વરી* કાલિકા*
સાથ કરૂણા*
રોદ્ર કાલિકા
ને મહાકાલી પણ,
સાથે કરૂણા ! *
શૂભ આશિષ
મા* વર્ષે પૃથ્વી પટે
પ્યારે’ માગું એ !
જયકાન્ત ઘેલાણી -પ્યારે”.
*********************************
[10/1, 4:19 AM] Nayana.MeM.NOG Patel: Nog ss 73
વિષય. નવલી નવરાત્રિ.
પ્રકાર..પદ્ય..
શીર્ષક..ગરબે રમવા આવો.
આવી આવી નોરતાની નવલી રાત માં ગરબે રમવા આવો.
અંબા આવો મહાકાલી આવો સાથે ચામુંડાને લાવો માં ગરબે રમવા આવો.
હરસિધ્ધિ ભવાની તુલજા ભવાની માં
રાદલને તેડાવો માં ગરબે રમવા આવો.
મેલડી આવો જગદંબે આવો માં
આશાપુરી પુરી કરો આશ માં ગરબે
રમવા આવો..
આવો સહુ સહિયારો ગરબે ઘુમવાને કાજ માં ગરબે રમવા આવો.
આવી આવી નોરતાની નવલી રાત માં ગરબે ઘુમવા આવો…
નયના પટેલ..નૈન.
*****************************
[10/1, 5:08 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: nog 0013
વિષય: નવરાત્રી
પ્રકાર : પદ્ય
શીર્ષક : વાલમ
મોબાઈલમાં સાંભળું રે
બોલ વાલમના
ફેસબુકમાં પણ જોઉ રે
ફોટા વાલમના .
વાલમની જ્યાં રીંગ વાગે
હોઠે મારે સ્પંદન જાગે
મહેકે રે બોલ વાલમના
મોબાઈલમાં સાંભળું રે
બોલ વાલમના.
પછી મળી વૃંદાવનમાં
ઝુમશું લોલમ લોલ
કમખો પેરી કાના સાથે
ફરશું લોલમ લોલ.
ઝૂમતાં ઝોકો લાગશે મને
ફરતા ડાંડિયો લાગશે મને
મોબાઈલમાં સાંભળું રે
બોલ વાલમના.
મોબાઈલમાં સાંભળું રે
બોલ વાલમના
ફેસબુકમાં પણ જોઉ રે
ફોટા વાલમના.
ઘનશ્યામ વ્યાસ
“શ્યામ”
*********************
[10/1, 2:30 PM] Bhavana R.MeM: NOG SS NO – 111
વિષય: હાસ્ય
વિભાગ: ગદ્ય/નિબંધ
શબ્દો:૩૦૦
શીર્ષક: હાસ્ય – જીવનનાં સુખનો ઓરડો ખોલવાની ચાવી
ચાલો,કરીએ હાસ્યનો ગુલાલ અને રંગી નાંખીએ આપણી સાથે બધાંને.આમ કરવામાં આપણને એક પૈસાનો પણ ખર્ચ થવાનો નથી.તો શામાટે બધાં એ કરી શકતા નથી? ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક વ્યક્તિ હંમેશા એવા ભાવ સાથે ફરતી દેખાય કે જાણે દુનિયાનો બધો જ ભાર તેમણે ઉઠાવવાનો છે.જયારે ઘણાં લોકો એવા મસ્તમૌલા હોય કે હંમેશા આનંદમાં જ રહે.તેમને મળવાથી લાગે કે તેમને જાણે કોઈ ફિકર જ નથી.
તમે વિચાર કરો કે, તમને કેવા માણસને મળવું ગમે? ભારેખમ ચહેરાવાળા કે મસ્તમૌલાને? ચોક્કસ મસ્તમૌલા જેવા લોકોને,જે ફિકરની ફાકી કરી ગળી જાય છે.તેમને પણ જીવનમાં સમસ્યાઓ તો હોય જ છે પણ તેનાથી તેમનાં જીવન જીવવાના આનંદમાં કોઈ કમી રહેતી નથી.જીવન આપણને ભગવાને જેટલું આપ્યું હોય તેટલું જીવવાનું જ હોયછે, તો શામાટે આ અણમોલ ભેટને વેડફી દેવી!
હસતાં ચહેરાવાળા લોકો બધાંને ગમે છે.આમ પણ જીવનમાં ઘણી જવાબદારી છે, તેમાં હાસ્ય એક એવી લહેરખી છે કે જે ઘડી જેને સ્પર્શે તેને અદ્ભુત આનંદ આપી જાય છે.તેવા લોકોને મળવાની પણ મજા આવે છે.હાસ્યના ફૂવારા ઉડાડતી મહેફિલો એટલેજ બધાંને ગમે છે.માણસો હંમેશા ‘હાસ્ય કવિ સંમેલન’કે પછી ‘લાફટર ચેલેન્જ’ જેવાં કાર્યક્રમો જોવાં ઉત્સુક હોય છે.તેનાથી બે ઘડી મજા માણી પોતાનો થાક ઉતારી તાજગી મેળવી શકે છે.
હાસ્યને ચેપી કહ્યું છે.જેમ ચેપી રોગ પ્રસરે તેમ હાસ્ય પણ પોતાનો ચેપ જ્યાં જાય ત્યાં છોડી જાય છે.આજકાલ તો લોકો બગીચામાં કે એવાં કોઈ સ્થળે ભેગા મળીને મોટે મોટેથી હસે છે તેને ‘લાફટર થેરેપી’ કહેવાય છે.તેનાથી ઘણાં રોગો મટે છે.
આજની સ્પર્ધાત્મક કાર્યશૈલી, દોડધામભરી જિંદગીથી જીવનમાં તણાવ વધી ગયો છે.લાગેછે જાણે લોકો હસવાનું જ ભૂલી ગયાં છે.જેની સીધી અસર શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પર થાય છે.હાસ્ય તણાવ દૂર કરવાનો રામબાણ ઈલાજ છે.તેનાથી હળવાફૂલ થઈ જવાય છે.
જો હાસ્યનાં વગર ખર્ચે આટલાં બધાં ફાયદા હોય તો શામાટે આપણે પણ તે ન અપનાવીએ અને તેના ફાયદાઓ મેળવીએ!આ દુનિયા તેથી જરૂર જીવવા જેવી બનશે તે ચોક્કસ જ! ચાલો, સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી લઇએ.
✍🏼 ભાવના આચાર્ય દેસાઈ
‘ ભાવુ’
૦૧/૧૦/૨૦૨૨
****************************
[10/1, 5:28 PM] Kajal.MeM: NOG SS No :
પ્રકાર:- સ્તુતિ ‘કાંશી’સ્વરૂપ
વિષય:- ગરબો
શીર્ષક:- પાવાગઢની માડી
નવલી નવરાતે,
પધારો મુલાકાતે,
કરાવું શણગાર,
તાર તાર માઁ! તાર.
નોરતે નવદુર્ગા!
ભાવે ભજું માઁ દુર્ગા!
પ્રેમે ધરું માઁ!થાળ,
તાર તાર માઁ! તાર.
મૂરત તું ત્યાગની,
શક્તિ તું છે કામિની,
અમૃતનો સાગર,
તાર તાર માઁ! તાર.
રઢિયાળી રાતે હો,
ગરબે ઘૂમે ભકતો
ઉમંગ પારાવાર,
તાર તાર માઁ!તાર,
સિંહ પર આસન,
ત્રિલોકમાં શાસન,
છે મહિમા અપાર,
તાર તાર માઁ! તાર.
પાવાગઢની માડી,
તું મુજમાં સમાણી,
મને તારો ઓથાર,
તાર તાર માઁ! તાર.
તારા પગલાં પડે,
મારું આંગણ દીપે,
તું છે જગ આધાર,
તાર તાર માઁ! તાર.
અલખમાં ગવાણી,
હે માઁ!અંબા ભવાની,
તે દીપાવ્યો સંસાર,
તાર તાર માઁ! તાર.
🌷કાજલ🌷
નામ : કાજલ શાહ
સ્થળ :મુંબઈ.
***********************************
[10/1, 5:33 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય -નવરાત્રી ગરબો
પ્રકાર – પદ્ય મૌલિક
શીષૅક – અંબે મા રમવા આવો
તા – ૧/૧૦/૨૦૨૨
………………………………..
સાખી..!
હે…હે….!
આરાસુરની અંબે મા આશાપુરવા આવો તમે..!
સાથે ચોસઠ જોગણીઓને પણ લાવો રે…!
હે… હે…હે…!
તારાં આંગણે આવે દુઃખીયાને..!
તેનાં દુઃખ દૂર કરો સૌનાં..!
રડતાં રડતાં આવે ને..! હસતાં હસતાં જાય રે..! આરાસુરની અંબે મા આશાપુરવા આવો તમે..!
ગરબે રમવા આવો રે..!
………………………………..
હે….. કંકુડા વેરાવો ને ચોખલીયા ચડાવો રે.!
અરે ચોખલીયા આરાસુરના ગામે મોકલાવો રે…!
પેલી આરાસુરની અંબે મા તમે વહેલાં રે આવો..!
આવોને આવોને…!
ગરબે રમવા આવોને..!
ઈરે ચોખલીયા દળવા ગામે મોકલાવો રે..!
દળવા ગામથી રાંદલ માને મોકલાવો રે…!
બોલાવો રે બોલાવો રે..! આવોને આવોને..!
રાંદલ મા તમે આવોને..! આવોને આવોને..!
ગરબે રમવા આવોને…!
ઈરે ચોખલીયા તમે મઢ રે મોકલાવો રે …!
પેલી આશાપુરા માત ને બોલાવો રે…!
તમે વહેલાં રે આવો રે..! આવો ને આવો રે …!
તમે ગરબે રમવા આવો રે..!
ઈરે ચોખલીયા મુંબઈ ગામમાં મોકલાવો રે..!
મુંબઈ ગામની મુમ્બાદેવી વેલા વેલાં આવો રે..!
તમે આવો રે આવો રે…!
ગરબે રમવા આવો રે …!
આરાસુરની અંબે મા
ગરબે રમવા આવો રે…!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ કાંદિવલી.
******************************₹₹₹₹₹
[10/1, 5:36 PM] Leena Sharma.MeM: NOG. SS.No. 0098
વિષય:- નવલી નવરાત્રી
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- વૈજ્ઞાનિક મહત્વ
નવરાત્રી અેટલે નવ રાત ના સમૂહ
નવરાત્રી શબ્દ થી જ નવ અહોરાત્રો(વિશેષ રાત્રિઓ) ના બોધ થાય છે આ વખતે શક્તિ ના નવ રુપો ની ઉપાસના કરાય છે.નવ દ્વાર વાળા દુર્ગ ના ભીતર રહેવા વાળી જીવની શક્તિ રૂપી દુર્ગા ના નવ રુપ છે.નવ દેવીઓ ના નવ દિવસ. પ્રત્યેક દિવસ ની એક દેવી. શૈલપુત્રી, બ્રહ્મચારીની, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધીદાત્રી.
નવરાત્રી શું છે
પ્રથવી દ્વારા સૂર્ય ની પરિક્રમા ના કાળમાં એક વર્ષ માં ચાર સંધિઓ છે, એમાં માચૅ વ સિતંબર માહ માં પડવા વાળી ગોળ સંધિઓ માં વર્ષ માં બે મુખ્ય નવરાત્ર આવે છે.આ વખતે રોગાળુ આક્રમણ ની સર્વાધિક સંભાવના વધી જાય છે.ઋતુઓ સંધિઓ માં અધિકતર શારિરીક બિમારીઓ વધે છે અતઃ તે સમયે સ્વસ્થ રહેવા માટે, શરીરને શુદ્ધ રાખવા માટે અને તન મન ને નિર્મળ અને પૂર્ણતા
સ્વસ્થ રાખવા માટે , આધ્યાત્મિક અને માનસિક શક્તિ સંચય કરવા માટે, અનેક પ્રકારના વ્રત સંયમ,નિયમ,યજ્ઞ , ભજન,પૂજન યોગ સાધના,બીજ મંત્રો ના જાપ ની જે પ્રક્રિયા થાય છે, તે નવરાત્રિ છે.
વૈજ્ઞાનિક સિદ્ધાંત
વૈજ્ઞાનિક સિદ્ધાંત આ છે કે સૂર્ય ની કિરણો દિવસમાં રેડિયો તરંગો ને રોકે છે . આવી જ રીતે મંત્ર જાપ ની વિચાર તરંગો માં પણ અવરોધ ઉત્પન્ન થાય છે.
માટે મનીષીઓ એ રાત્રિ ના મહત્વ ને અત્યંત સુક્ષ્મ તાની સાથે વૈજ્ઞાનિક પરિપેક્ષમાં સમજવાનું અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દિવસ કરતા રાત્રિ ને મહત્વ વધારે આપ્યો છે.
મંદિરોમાં ઘંટો અને શંખ ની અવાજ ના કંપન થી દૂર -દૂર સુધી વાતાવરણ કિટાણુઓ રહિત થઈ જાય છે. અને જ્યારે આપણે ગરબા ઘૂમીએ ત્યારે તાળી અને ચપટી વગાડી તો શરીરમાં એક્યૂપૃરેશર ની ક્રિયા શરૂ થાય છે જેનાથી પિત્ત નો પ્રમાણ ઘટે છે.આ રાત્રિ ના વૈજ્ઞાનિક રહસ્યો છે.જે કોઈ આ વૈજ્ઞાનિક તથ્યોને ધ્યાન માં રાખી ને રાત્રિઓ માં સંકલ્પ અને ઉચ્ચ અવધારણાની ની સાથે પોતાની શક્તિ શાળી વિચાર તરંગો ને વાયુમંડળમાં મોકલે છે તેમની કાર્યસિદધી અર્થાત મનોકામના સિદ્ધિ, તેમના શુભ સંકલ્પ ના અનુસાર યોગ્ય સમયે અને વિધિ વિધાન અનુસાર કરવા થી અવશ્ય પૂર્ણ થાય છે. અને મિત્રો સ્વચ્છ મનમંદિર માં જ તો ઇશ્વરની શક્તિ નો નિવાસ સ્થાઈ થાય છે.
શરીર તંત્ર ને આખા વર્ષ માટે સુચારુ રૂપે ક્રિયાશીલ રાખવા માટે નવ દ્વારો ની શુદ્ધિ નો નવ દિવસ નો પર્વ ….એ જ નવલી નવરાત્રી……
જય માતાજી 🙏
✍️
લીના શર્મા..
હાલોલ
***********************************
[10/1, 5:53 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* હાસ્ય કવિતા / નવરાત્રી
*પ્રકાર-* પદ્ય
*શીર્ષક-* નવોઢાની અર્વાચીન માંગ
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
અરે ઓ.. ઘેલા જી રે..
મારે હાટું ફોરેનથી મોબાઈલ મોંઘા લાવજો..
એમાં રૂડાં રે એપ્સ નખાવજો,
ફોરેનથી મોબાઈલ મોંઘા લાવજો.. ઘેલાજી રે.. મારે હાટું..
એપલ, સેમસંગ કંપનીને જોઈ,
ભાવ ભલા ઉતરાવાજો રે..
ફોરનથી મોબાઈલ મોંઘા લાવજો.. ધેલાજી રે.. મારે હાટું… ફોરેનથી..
ઓલ્યા.. અમેરિકાની રે, મારે થાવું વિદેશી નાર..
હાથમાં ફોન પકડી રે, મારે કહેવું હાય.. બાય..
જાઝેરું એમાં મહિના બારનું રિચાર્જ કરાવજો રે..
ફોરનથી મોબાઈલ મોંઘા લાવજો.. ઘેલાજી રે.. મારે હાટું… ફોરેનથી..
ઓલી ગીતાના ફોનની રે, મને રિંગટોન ગમતી રે..
એને વાગતાં મનમાં રે, તલપાપડ થાતી રે..
ઇયરફોન,હેડફોન સાથે મોંઘાં કવર ચઢાવજો રે..
ફોરનથી મોબાઈલ મોંઘા લાવજો.. ઘેલાજી રે.. મારે હાટું ફોરેનથી…
✍️ ડૉ. મનીષા વ્યાસ ✍️
અમદાવાદ
***********************************
[10/1, 7:13 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ હાસ્ય સભર કવિતા*
* રાજુ શ્રીવાત્સવને અંજલિ*
*પ્રકારઃ હાસ્ય રસ પદ્ય*
*શબ્દોઃ૯૦*
* શીર્ષકઃ અમૃત પ્રેમ*
*અમૃત પ્રેમ*
ડોસાજીના દાંત ગયા,
ડોશીજીનાં દાંત ગયાં!
બન્ને બોલે કાલુ કાલુ,
પ્રેમથી ઝઘડો કરતાં
થૂંક ઉડે ને હસવું આવે.
મોઢું લાગે પ્યારું પ્યારું.
મન આગળ બોખું શું..?
પ્રેમના પટારામાં તો,
હજુ પણ ઈલુ ઈલુ…!
ડોશી શરમાઈને ઝૂકાવે;
નયન ને ડોક…!
ડોશાની નજર ત્યાંતો !
ફરીવળે ચારે બાજુ!
ફાંકડી ને સુંદર લાગતી,
ઓલી સોના ને મોના પર..!
ડોશી બિચારી તોયે ઘેલી
બોલે જાઓને ,”ભૈસાબ”
આવું સિદને જોતા હશો ?
અંતે તો ડોશાને ન ચાલે,
ડોશી વગર જે હજુય ,
*શરમાય*ડોશાના બોખા
હાસ્ય પર…!
ડોશાજી ને વહાલ ઉભરાય
ડોશીનાં*અમૃત પ્રેમ* પર💕
*જયશ્રી.પટેલ*
*૨/૧૦/૨૨*
*************************#**###
[10/2, 7:01 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *હાસ્ય લેખ*
*વિષય* : *હાસ્ય*
*શબ્દો* : *૩૪૭*
*શીર્ષક* :*’મારું પ્રિય લેમ્બ્રેટા’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
આ વાત છે સાઈઠ-સિત્તેરના દશકાની જ્યારે પોતાની પાસે કોઈ સ્વચાલિત દ્વિચક્રી વાહન હોવું એ એક ગર્વનો વિષય હતો. મારા લગ્ન થયાં ત્યારે મારી પાસે બે દ્વિચક્ર વાહન હતા. એક તો હરક્યુલીસ સાયકલ અને બીજું મારું પ્રિય એવું જુનું લેમ્બ્રેટા સ્કૂટર. મનમાં લેમ્બ્રેટા સ્કૂટર હોવાનો વૈભવ માતો નહોતો.
લગ્ન બાદ જ્યારે જ્યારે પત્નીની સાથે બહાર જવાનું થતું, ત્યારે ત્યારે હું અને મારું જુનું લેમ્બ્રેટા બંને ગર્વ અનુભવતા. એકાદ વાર મારી પત્ની મને પૂછી બેઠી કે, તમને વેસ્પા ગમતું નથી? વેસ્પાથી વટ પડે. મારા પ્રિય લેમ્બ્રેટા માટે આવી ઉતરતી ટિપ્પણીથી મને ખેદ થયો. ગમે તે હોય પરંતુ જ્યારે જ્યારે હું મારી પત્ની સાથે મારા લેમ્બ્રેટા ઉપર સવારી કરી બહાર નીકળતો ત્યારે બીજાઓ માટે ઈર્ષ્યાનું કારણ બનતો એનો આનંદ પણ હતો.
પરંતુ ક્યારેક ક્યારેક મારું આ પ્રિય જૂનું લેમ્બ્રેટા કોઈ કારણસર રિસાઈ પણ જતું. એક દિવસ કંઈક એવું જ થયું. પત્ની સાથે તેની ગમતી ફિલ્મ જોવા જવાનું નક્કી થયું હતું. બરાબર તૈયાર થઈને બહાર નીકળ્યા અને લેમ્બ્રેટાની સીટ થપકારીને કીક મારવાનું શરૂ કર્યું અને મારું જુનું લેમ્બ્રેટા આજે હઠ ઉપર ચડ્યું. અસંખ્ય કીકો માર્યા પછી પણ લેમ્બ્રેટાએ મને મચક ન જ આપી. વારંવાર હું પત્નીના ચહેરા સામે અને પત્ની મારા ચહેરા સામે પ્રશ્નાર્થ વદને જોયા કરતા હતાં. પરસેવાથી લથપથ હું પત્નીને ફિક્કું હાસ્ય આપી મનાવવા કોશિશ કરી રહ્યો હતો. પાછો વળી હું એન્જિનિયર તેથી સ્પેરમાં રાખેલા સ્પાર્ક પ્લગ પણ બદલીને જોઈ લીધા. એવામાં પત્નીએ મને એક પ્રાણ પ્રશ્ન પૂછ્યો “તમે તો એન્જિનિયર કે નહીં? તો પણ તમારાથી એક સ્કૂટર ચાલુ નથી થતું?” અચાનક થયેલા આ પ્રશ્નના હુમલાથી બે ઘડી ડઘાઈ ગયો અને હેબતાઈ ગયો. પત્નીને કેમ સમજાવવું કે એક એન્જિનિયર અને મિકેનિકમાં ફર્ક હોય.
વળી મારા દાઝ્યા ઉપર ડામ દેતા હોય તેમ સ્ત્રીદાક્ષણ્યની પ્રબળ ભાવના ધરાવતા મારા પડોશી મિત્રો તક જોઈ આવી ગયા અને સ્કૂટર ચાલુ કરવા તેમની બુદ્ધિ અનુસાર ચિત્રવિચિત્ર તર્ક મને આપવા લાગ્યા જે કશું મને કામ ન લાગ્યું. છેવટે મારી પત્નીની વિલાયેલી મુખમુદ્રા જોઈને ઓટોરિક્ષા કરીને અમે બંને ફિલ્મ જોવા ગયા. મને મનમાં મારા પ્રિય લેમ્બ્રેટાએ દગો આપ્યાની ઉગ્ર લાગણી ઉત્પન્ન થઈ. બીજા દિવસે મિકેનિકને બોલાવી તપાસ કરાવતા માલુમ પડ્યું કે આ ઘટનામાં લેમ્બ્રેટાનો વાંક નહોતો કારણ તેમાં પેટ્રોલ જ નહોતું. આ વાત મેં પત્નીથી છુપાવી દીધી.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨ ઓક્ટોબર ૨૦૨૨
***********************************
[10/2, 5:17 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS ગૃપ
NOGNo. : 0034
વિભાગ : પદ્ય
શીર્ષક: ગરબે ઘૂમવા ગ્યાં’તાં
[રાગ : હે..દૂધે તે ભરી તળાવડીને..]
હે..રૂમઝૂમ નોરતાં આવ્યાં ને,
રાસની રમઝટ થાય રે..
કે… એન.ઓ.જી.પરિવારમાં ગ્યાં’તાં,
કે… ગરબે ઘૂમવા ગ્યાં’તાં….
હે…ઝળહળ ઝળહળ દીવડાં સજાવ્યાંને,
ઢોલ નગારાં સંગ આરતી થાય રે..
કે… એન.ઓ.જી. પરિવારમાં ગ્યાં’તાં
કે… ગરબે ઘૂમવા ગ્યાં’તાં…
હે…સ્તુતિ, સ્તવન કરી માને સૌ મનાવે ને,
આનંદ અનેરો છવાય રે,
ઘેલું હૈયું રાજી-રાજી થાય રે..
કે… એન.ઓ.જી. પરિવારમાં ગ્યાં’તાં,
કે… ગરબે ઘૂમવા ગ્યાં’તાં….
હે..અસુરોએ મચાવ્યો હાહાકાર ને,
માડી તું જ અમને ઉગાર રે,
ધરી આજ નવો અવતાર રે..
કે… એન.ઓ.જી.પરિવારમાં ગ્યાં’તાં,
કે… ગરબે ઘૂમવા ગ્યાં’તાં…..
–ડૉ. રેખા શાહ
********************************
[10/2, 5:35 PM] Maya Desai.Bombay.MeM.NOG: *NOG SS NO. 0081*
*પ્રકાર : ગદ્ય*
*વિષય : નવરાત્રિ*
*શબ્દો: ૨૫૬*
*શીર્ષક: નવરાત્રિમાં જ્વારા*
નવરાત્રિ એટલે વર્ષાન્તે આવતો હર્ષોલ્લાસનો તહેવાર. જે પાછળ આવતાં દીપોત્સવ માટે એંધાણી આપે. જુદાં જુદાં પ્રદેશમાં ઉજવણી ભલે ભિન્ન હોય પણ મૂળ તત્વ
શક્તિની આરાધના કરવાનું. જીવંત શક્તિ રૂપે નાની બાલિકાઓને પૂજી ,ભેટ આપી એમની ખુશી દ્વારા શક્તિનાં આશિષ મેળવાય છે. ઘટસ્થાપન કે ગરબો પણ શક્તિની સ્થાપના અને પૂજન માટે કરાય છે.
આ ઘટસ્થાપન ઉપરાંત જ્વારા વાવવાની પ્રથા છે.પ્રથમ નોરતે માતાને આહ્વાન કરતાં જ્વારા રોપી દેવાય છે. નવ દિવસમાં આ લીલાંછમ જ્વારા એક અનોખી તાજગી બક્ષે છે.આની પાછળ માન્યતા એટલે જેમ રોપેલાં બીજ માટીનાં પડ ઉખેડી અંકુર દાખવે છે એ જ રીતે આ માનવની અજ્ઞાનતાનાં પડ કાપી ભક્તિ ઉદય પામે. આત્મા જ્વારાનાં છોડની જેમ ઉર્ધ્વ ગતિ પામે.
લીલાંછમ જ્વારા શીતળતા, હરિયાળી અને સમૃદ્ધિનાં પ્રતીક છે. એમનું ઊગવું આપણને પ્રકૃતિ સાથે જોડાયેલાં રાખે છે જે કહે છે જળ અને વાયુનું મહત્વ સમજાવે અને જગતનાં તાતની શ્રમભરી જિંદગીનો અહેસાસ કરાવે. ” જેટલાં જ્વારા મોટાં એટલી આપણને સમૃદ્ધિ આપશે મા શક્તિ ” એવી ખુશાલી આપણને નવ દિવસનાં અંતે થાય તો ખેડૂતને કારમી મહેનત અને સંભાળ બાદ કેટલો હર્ષ થતો હશે એ કલ્પના કરી શકીએ તો આપણી સંવેદના જાગૃત છે એમ કહી શકાય.
કોઈ કારણસર જ્વારા ઓછી લંબાઈ કે પીળાશ પડતાં ઊગે ત્યારે અનિષ્ટની આગાહી કરવી એ અંધશ્રદ્ધા કહેવાય.અન્ન એ બ્રહ્મા છે ,જે કદી અનિષ્ટ ન કરી શકે. આવાં જ્વારા કુંવારિકાઓ મોળાકત કે અલૂણા વ્રત પહેલાં વાવે છે અને પૂજે છે.
જ્વારાનો રસ તો ઉત્તમ સ્વાસ્થ્ય ભણી લઈ જાય છે એ સિદ્ધ થયું છે. કેન્સર જેવાં અનેક અસાધ્ય રોગમાં આ રસ સકારાત્મક અસર ઉપજાવે છે. આમ પરાપૂર્વથી ચાલી આવતી આ જ્વારા ઉગાડવાની પ્રથા વિશે જરૂર આપણાં પૂર્વજોએ વિચાર્યું હશે .જય મા આદ્યશક્તિ!
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
************************
[10/2, 6:03 PM] meghna.MeM: NOG SS NO : 0117
વિષય: નવલી નવરાત્રી
‘ નવદુર્ગાનો અવતાર ‘
આજે પાંચમનું નોરતું હતું. શ્રદ્ધા પોતાના મિત્રો સાથે પાર્ટી પ્લોટમાં ગરબા કરવા માટે થનગની રહી હતી. બ્લેક અને રેડ કલરના ચણિયાચોળીમાં સુસજ્જ શ્રદ્ધા એકદમ સુંદર દેખાઈ રહી હતી. આગળના ચાર દિવસ ગરબા કરવા ન જવાનું થયું હોવાથી આજે તે અધીરી થઈ રહી હતી. થોડી જ વારમાં ગરબા ચાલુ થયા. શ્રદ્ધા અને તેની બહેનપણીઓ ગરબે ઘૂમવાના ચાલુ થયા. લગભગ સતત દોઢ કલાક રમ્યા; થોડીવાર બધા થાક ખાવા બેઠાને પછી ફરી ગરબા શરૂ કર્યા.એમના ગ્રુપમાં એક છોકરાઓનું ગ્રુપ પણ જોડાયું. થોડી વાર બાદ શ્રદ્ધાને કંઇક અજુગતું લાગ્યું પણ તે કંઈ બોલી નહિ.એની દસ મિનિટ બાદ શ્રદ્ધાને પીઠ પર કોઈકે હાથ ફેરવ્યો હોઇ એવું લાગ્યું પણ તે કંઈ બોલી નહિ કે,કદાચ ભૂલથી કોઈનો હાથ અડી ગયો હશે.ફરી એક વાર આવું જ થયું.શ્રદ્ધાને હવે ખબર પડી ગઈ હતી કે,તેની પાછળ જે છોકરો ગરબા રમવા આવ્યો હતો,તે જાણી જોઈને આવી હરકત કરતો હતો.તે એકદમ ગુસ્સામાં પાછળ ફરી અને એકદમ જોરથી બધાની વચ્ચે એ છોકરાને તમાચો મારી દિધો.બધા શ્રદ્ધાની સામે જોવા લાગ્યા.
“તું આમ બધાની વચ્ચે મને કેમ મારી શકે ? ”
“તું જો બધાની વચ્ચે મન પડે એવી હરકત કરેતો હું પણ તને મારી જ શકું. તને આવી હરકત કરતા જરાય શરમ ન આવી ?ને મને પૂછે છે,કે હું કેમ મારી શકું?”
“મે કંઈ કર્યું જ નથી. રમતા રમતા હાથ લાગી ગયો હશે.તું અજાણ્યા આમ બધાની વચ્ચે મને ન મારી શકે.”
“રમતા રમતા હાથ વાગ્યો એમ ?તો ધ્યાન રાખજે આજે એકવખત નહિ તે ત્રણ ત્રણ વખત મારી સાથે આવી હરકત કરી છે.પહેલી બે વખત તો મે પણ તને જવા જ દીધો હતો પણ,હવે નહિ.અમે આમ ચૂપ રહીશું તો તમારા જેવા નફ્ફટ લોકો આવી હરકતમાંથી ઊંચા જ નહિ આવે.અહીંયા ગરબા કરવા આવેલા દરેક વ્યક્તિએ તને જોઈ લીધો છે.હું હમણાં બધાને કહી દઉં છું,તારો ફોટો અને તુ મારી સામે બેશરમીથી વાતો કરે છે ને,એ તારો વીડિયો વાયરલ કરી દે.અહીંયાની નવરાત્રિ તો શું ?આ શહેરની એકપણ નવરાત્રિમાં તુ નહિ જઇ શકે.”
ત્યાં ઉભેલા બધાએ શ્રદ્ધાને સાથ આપ્યો; અને તાલી વગાડીને તેને માન આપ્યું.
(શ્રદ્ધાનું એ દિવસનું રૂપ એવું હતું જાણે નવદુર્ગા નો જ એક અવતાર.કાશ શ્રદ્ધા જેવી હિંમત દરેક સ્ત્રીઓમાં હોત જે અન્યાયને સહન કરવાની બદલે તેની સામે બળવો પોકારે.)
– મેઘના કામદાર
*************************
[10/2, 6:28 PM] Pradip Raval: NOG SS No: 0001
પ્રકાર : ગદ્ય
વિષય : નવલી નવરાત
શિર્ષક : નવરાત્રી
૨૦૧૯ થી શરૂ થયેલ માનવ ભક્ષી કોરોના રૂપી ઉપાધિ અંતે ત્રણ વર્ષ સુધી આવેલી યમરાજ ની આંધી માથી જે રક્ષણ એમ લાવી શક્યા તે આપણૅ છીએ..કોરોના એક બહાનું હશે કેમકે પૃથ્વી ઉપર જ્યારે જ્યારે કોઈપણ પ્રકાર ના પાપો નું ભારણ કુદરતી નક્કી કાતિલ જન્મ મરણ ના સમય થી અતિરેક હશે ત્યારે ધર્મ માં કહ્યા પ્રમાણે આવી ઘટનાઓ બનતી રહેશે અને તે મોટાભાગે કર્મ ના સિદ્ધાંત નો પારિવારિક હિસાબ કિતાબ છે.સામાજિક શું કર્મો માટે ધર્મ શાસ્ત્ર ને આધાર સ્તંભ તરીકે બાર જ્યોતિર્લિંગ અને ૫૧ શક્તિ પીઠ,ચોસઠ જોગણી અને બીજા અનેક ધર્મ ગુરુઓ ના શાસ્ત્રો જીવન જીવવાની શૈલી રૂપે એક અભ્યાસક્રમ મુજબ છે..આપને શું ગ્રહણ કરી ને તેને અનુસરીએ છીએ કે તેના વિરુદ્ધ જીવન જીવીએ છીએ તે આજની આધુનિક આપની ભાવી પેઢી ની જીવન જીવવાની રીત સમાન છે..જ્ઞાતિ ના સંસ્કારો પ્રમાણે નું જીવન શું છે અને આપડે જીવી શું રહ્યા છીએ..આવી જ એક ધર્મ સંસ્કૃતિ પરંપરા એટલે નવરાત્રી.. ગુજરાત ની ચાર મુખ્ય શક્તિ પીઠ આસ્થા નું કેન્દ્ર .અંબાજી.બહુચરાજી,પાવાગઢ,ખોડીયાર, હરસિદ્ધિ માતા અને બીજી ઘણી માતાઓ ના સ્થાન..જ્યા જઈ પારિવારિક સુખ દુઃખ શુખ શાધન સંપન્ન શાંતિ ની વાતો મનોમન કરી શકાય અને પરિણામ પણ દેખાય.દેશના પ્રધાનમંત્રી નવ દિવસ નકોડા પાણી ઉપર ના ઉપવાસ કરી જો દેશ સેવા ધર્મ અપનાવતા હોય તો આપણે તો આપના પારિવારિક સ્વાર્થ માટે માતાજી ની આરાધના કરી હિન્દુ ધર્મ કર્તવ્ય નિભાવવાનું છે..આવો સૌ નવરાત્રી ખૂબ ભાવ થી માતાજી ની આરાધના કરીને શક્તિ ભક્તિ મુજબ માણીયે..ગ્રુપ ના સૌ પરિવારજનો ને નવરાત્રી ની અનંત શુભકામના સાથે સુખ.શાંતિ.સમૃદ્ધિના આશીર્વાદ રૂપ માતાજી આગળ પ્રાર્થના..
સંચાલક : પ્રદીપ રાવલ
******************************
[10/3, 12:03 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
સાહિત્ય સરિતા
વિષય : માળો
પ્રકાર : પદ્ય
શીર્ષક : શ્યામનો માળો
બનાવું જો હું માળો
શ્યામ
એમાં તારો કેટલો ફાળો?
સામે પીપળો અને ફળિયામાં તુલસીનો
ક્યારો મળશે.
પીપળે આવી મોર,
ફળિયે ફરતી કોયલ
કલશોર કરશે.
મોરના પીંછા ફરકશે
રાધાનું દિલ ધડકશે
માધવનું કહેણ આવશે
ગોવાળો રાસે રમશે.
મોરલીના સૂરમાં
તારો શ્યામ ફરકશે.
મોરપીંછ કેશમાં
મોહક બની મરકશે.
આપીશ હું આ ફાળો
બનાવજે તું અદભુત શ્યામનો માળો.
ઘનશ્યામ વ્યાસ
“શ્યામ”
***************************
[10/4, 8:56 AM] Mina Mangroliya.MeM.NOG: NOG.SS NO.0032
*સાહિત્ય સરિતા*
વિષય.: પંખીનો માળો
શીર્ષક:- *ચકાએ બાંધ્યું ઘર*
ચકી કરે ચીં ચીં, ચકો કરે ચક ચક,
ચકાએ બાંધ્યુ ચકી માટે એક નાનું ઘર,
વળગણ કેમ કરીને છૂટે તારું ચકી રાણી.
એમાં સ્નેહના સાંઠીકડાં ગોઠવ્યાં,
અને લાગણીનાં લીરાં ગોઠવ્યાં,
વળગણ કેમ કરીને છૂટે તારું ચકીરાણી.
એક નાની પાણીની પરબ ગોઠવી,
આવો ચકીરાણી તમને પ્રેમથી બોલાવું,
વળગણ કેમ કરીને છૂટે તારું ચકીરાણી.
નથી ઘરમાં દાણાં અને નથી પીવાં પાણી,
ચકીરાણી લાવી દાણાં અને લાવી પાણી,
વળગણ કેમ કરીને છૂટે તારું ચકીરાણી.
ચકીની ચક ચક અને ચકાની બક બકથી,
ચહેંકી ઉઠયો માળો,ચકો થયો રાજીરાજી.
વળગણ કેમ કરીને છૂટે તારું ચકીરાણી.
ચકીચકાની આ એક દર્દ ભરી કહાની.
ચકી પડી માંદી અને ખાલી થઈ ગયો માળો.
વળગણ કેમ કરીને છૂટે તારું ચકીરાણી.
ચકો રડી રડી થઈ ગયો અડધો અડધો,
નહીં બાંધુ હવે ચકી તારા માટે સ્નેહનો માળો,
વળગણ કેમ કરીને છૂટે તારું ચકીરાણી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
**********************************
[10/4, 10:10 AM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય (ગીત)
વિષય – માળો
શીર્ષક – મનગમતો માળો
એકેક તણખલા હું હરખે લાવી, ને એનો ગૂંથેલો મનગમતો માળો,
કલરવની રોજરોજ માણેલી મોજ, હવે સૂનકારે માર્યો ઉછાળો..
ગૂંથેલો મનગમતો માળો.
નાનકઙા મનડામાં સપના મેં દોર્યા ને પૂરેલા સોનેરી રંગો;
મહેનતથી ધીરજથી છેલ્લે તો પૂરા થ્યા સઘળાએ સુંદર ઉમંગો;
હરખ્યું મન જોઈને દલડાની લાગણીયું બાગણીયુંનો સરવાળો.
એકેક તણખલા હું હરખે લાવી, ને એનો ગૂંથેલો મનગમતો માળો.
આંધી,વંટોળ અને ડમરી ને વર્ષામાં બચ્ચાંને કીધું કે ઊડો;
વીંઝાતા વાયરાને આ પાંખ્યું ખોલીને હામ ધરી બાથ જરી ભીડો;
ઊંચે ઊડી ગ્યાં તો ઝાડવાંની આંખ્યુંમાં આંસુનો આવ્યો ઉલાળો.
એકેક તણખલા હું હરખે લાવી, ને એનો ગૂંથેલો મનગમતો માળો.
પૂતળી બા જેમ લઉં વચનું પહેલાં પછી તને મોકલું પરદેશ;
માના મનમાં ઠરીઠામ થૈ રહે છે માળાની કોઈ ચિંતા-અંદેશ.
પરભુએ કેવીય ઘડીએ બનાવ્યો સૌ માયુંનો સ્વભાવ હાળો.
એકેક તણખલા હું હરખે લાવી, ને એનો ગૂંથેલો મનગમતો માળો,
કલરવની રોજરોજ માણેલી મોજ, હવે સૂનકારે માર્યો ઉછાળો..
ગૂંથેલો મનગમતો માળો.
– શ્વેતા તલાટી
***********************************
[10/4, 10:58 PM] Ramila Makvaana.MeM.: NOG SS
Number :120
શબ્દ : માળો
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શિર્ષક : ઘર
શબ્દો : ૯૧
*ઘર*
સુકા તણખલાનુ અમારું ઘર ગણાય,
ચાંચમાં લાવી બનાવતાં એ ઘર ગણાય.
એક-એક કરીને માળો અમે ગોઠવતાં,
ટાઢ-તડકો-વરસાદનું રક્ષણ ઘર ગણાય.
બધા પંખીરાજો પોતાનાં ઘર સજાવતા,
કારીગરી વાળુ સુગરીબાઈનું ઘર ગણાય.
ઉંડા કૂવે-ઝાડવે સૌ માળા શણગારતા,
ઠંડા વાતાવરણમાં અમારા ઘર ગણાય.
માનવજાત સમજુ છતાં વિંખીનાખતા,
સમજદારો કહે માળો એમનું ઘર ગણાય.
પક્ષી-પ્રેમી પૂંઠા-માટીના માળા ટીંગાડતા,
તમારા ઘરોમાં રહેવા મળે એ ઘર ગણાય.
સમજુલોક પાણીના કૂંડા ભરીને રાખતા,
અમે સલામત એ જ અમારુ ઘર ગણાય.
ધર્મપ્રેમી ચણ નાખવા ચબૂતરો બનાવતા,
*રમા* કહે પક્ષીનો કલરવ એમનું ઘર ગણાય.
રમીલા ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
***********************************
[10/6, 12:12 AM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG SSN 00&9
વિષય માળો
પદ્ય
પ્રવિણા
શીર્ષક “તું “
——
તું ભિન્ન તું અનેરો
તું હૈયું ઠારનારો
તું આનંદે ઉભરાતો
તું સહુને સાચવતો
તું શાંતિ આપનારો
તું હુંફ નો દેનારો
તું પ્રેમે કલ્લોલતો
તું સદા આવકારતો
તું આતિથ્ય નિભાવતો
તું સોણલાં સજાવતો
તું ઉત્સાહ વધારતો
તું ઉમંગ લહેરાવતો
તને પ્રેમે સજાવયો
તને લાગણીએ સિંચયો
તોરો મનહર નજારો
તું મંદીર સમકક્ષ
તને હતું હું “માળો”
જેમાં “સજોડે” ફાળો
—————————————
[10/6, 1:24 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS. NO. 0026.
વિષય – માળો
વિભાગ – પદ્ય ( મૌલિક રચના)
શીર્ષક – એ ભાવ ક્યાં?
લાવે છે એકેક તણખલું ચાંચમાં ન પૂછશો,
કે પંખીને હો આટલો માળા પર લગાવ આ?
ટહુકો ભર્યો હોય કંઠમાં ને ગીત ગાય સૌ,
એ રાગને સૂરથી સજે સાચો સ્વભાવ આ!
કોયલને જો કદી તમે સાંભળો કૂકતાં?
છૂપ્યો જ પ્રેમનો પામશો પાક્કો પ્રભાવ આ!
માનવ અહીં સદા તોડે માળો અવર તણો ,
પક્ષી ભલા સદા એને ન માળાનો અભાવ આ?
તારો વિસામો તોડતાં મારો રચું સદા,
એવો તો નથી પંખીના દિલમાં જગાવે આ!
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
( હાલ અમેરિકા)
***********************************
[10/6, 4:08 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર.
NOG NO. S.S.0059.
વિષય:”માળો”.
પ્રકાર: ગદ્ય- લેખ.
શિર્ષક: “માનવતા નો માળો”.
શબ્દો:૩૮૩.
©️જયકાન્ત ઘેલાણી- ‘ પ્યારે ‘.
ગરવી ગૂજરાતી ભાષાનો ફકત બે જ અક્ષરનો શબ્દ ‘માળો’,
ગુજરાતી શબ્દ વાતશલ્ય અને પ્રેમ ભર્યા “મા” શબ્દની નજીક આપણને લઈ જઈ શકે તેવી
પ્રબળ અને અતૂટ શકિત ધરાવેછે.
માળો એટલે ?
જે આજનાં ખોખરા ‘ફ્લેટ’ કલ્ચરના યૂવાન- યૂવતી શૂ જાણે ?તેમની સમજ શકિત બહારનો આ વિષયછે.
માળો એટલે રહેવાનુ ફકત સ્થાન નહિ, પણ માનવ માનવ વચ્ચે નિર્દોષ વાતસલ્યભાવ સાથે લાગણી હોય,અરસ-પરસને મદદરૂપ બનવાની આગવી ઈચ્છા શકિત હોય.સૂખ-દૂ:ખના પ્રસંગો પર સાથે રહેવાની સમજ શકિત હોય તેજ માળો*નો રહેવાસી !
માળો ની વ્યાખ્યા એટલે એક
આઠ- દસ માળનુ મકાનને તેમાં રહેતા ભાડૂતો જેટલીજ નહીં,
પણ જે મકાન દિવસ રાત બોલતુ હોય,ચાલીમા ચોવીસ કલાક આવન જાવન,ક્રિયા સતત ચાલુ હોય અને દરેક રહેનારાના મન માં સેવાભાવના સંચરતીજ રહેતી હોય તેવા બડભાગી ભાડૂતોની સદૈવ હસતી,અને મસ્તીથી ભરેલી વસ્તી !.
આજના વડિલો, જેમણે ‘માળો’
શબ્દનો અસલી અર્થ જાણ્યોછે તેણેજ જીવનનો સાચો પ્રેમ, માણ્યો છે, જે હકીકત છે અને સનાતન સત્ય પણછે.
જીવન સૃષ્ટીદાતાએ જેમ કીડીને કણ અને હાથીને મણ મળે તેવી સુંદર વ્યવસ્થા જીવન ટકાવવા બનાવીછે, તેવીજ રીતે નાની મોટી જીવ સૃષ્ટીને પોતાનુ સલામત અલાઈદુ રહેઠાણ બનાવવાની આગવી અજોડ કળા આપી પોતાની સર્વોપરિતા સ્થાપિત કરીછે.
ગોડ* હમેશા ફાધરજ રહેશે.
માળો* નો બીજો ગૂજરાતી અર્થ એટલે અબોલ અને સતત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પક્ષીઓ, પોતાની મહેનત અને આવડત મૂજબ પોતાની અને બચ્ચાની સલામતી સાથે રહેવાનું બનાવેલૂ આશ્ર્ય સ્થાન !.
હાં, માળો બનાવવાની દરેક ની અલગ અલગ આગવી રીત સાથે અલગ અલગ પોતાની પસંદગી મૂજબનુ મટીરીયલ વાપરવાની આગવી સૂઝ !.
કરોળિયો પોતાની લાળથી પોતાનુ જાળું યાને માળો બનાવેછે,
જે વરસાદ સાથે તોફાની હવામાન સામે પણ ટકી શકેછે .
પક્ષીઓમા ચતુર ગણાતો કાગડો
કદી માળો બાંધતો નથી પણ
કોયલ- કાબર ના માળામાં કાગડી ઈંડા મૂકી આવેછે અને કોયલ તેને પોતાના ઈંડા સાથે સેવેછે ,જ્યારે ઈંડુ શેવાઈ જતાં,ઈંડુ ફાટેછે અને તેમાથી કાગડીનુ બચ્ચું
માળો છોડી ઊડી જાયછે,
આછે લુચ્ચા કાગડાની ચતુરાઈ ?
લકક્ડખોડ ઝાડના થડમા પોતાની લાંબી ચાંચ વડે બખોલ ટાઈપ માળો બનાવેછે.
શૂગરીનો માળો તો આજના આર્કીટેક માટે પણ એક પ્રશ્ર્નાર્થ
ઉભો કરે ,તેવો કલાકૃતિ સાથેનો ગૂંથણી ભર્યો માળો બનાવેછે.
માળો* નો પર્યાય કોઈ ન થઈ શકે.
માળો* પક્ષી નો હોયકે માણસનો? પરંતુ તેમા સલામતી સાથે સંયુક્ત પરિવારની ઊચ્ચ ભાવના જ સમાયેલીછે .
માળા* ની ભાવના* આજના યૂવાન-યુવતી ની સમજ બહારની છે ,કારણ ભણતર સાથે જીવનમાં જરૂરીછે તેવુ ગણતર શીખ્યા નથી, અને તેથીજ આપણી ભવ્ય ભાતીગળ સંયુક્ત પરિવારની ઊચ્ચ ભાવનાને લૂણો
લાગી ગયોછે.
જે ઘણી મોટી દુર્ઘટના જ ગણાય.
ખાખરાની ખિસકોલી, પ્યારે’
સાકર ના સ્વાદ ને શૂ જાણે ?.
©️ જયકાન્ત ઘેલાણી “પ્યારે”.
********************************†*
[10/6, 4:50 PM] Nayana.MeM.NOG Patel: Nog..Ss.73
વિષય. માળો
પ્રકાર.. ગદ્ય લેખ.
શીર્ષક..હોલીનો માળો.
મારા ઘરે એક વર્ષ અગાઉ મધુ માલતીની વેલ હતી તેની ડાળી ઉપર
રોજ એક હોલો અને એક હોલી આવે
બંને આ વેલની કઈ ડાળી ઉપર માળો બનાવવવો તે જોવે એક એક તણખલું ભેગું કરી એક દિવસ એમણે મારી વેલના દીવાલ ઓથેના ભાગે એક
જગ્યા નક્કી કરી ને માળો બનાવી દીધો એના લાગભગ વીસ દિવસ સુધી બંને આવતા અને એક દિવસ એમણે એ માળામાં બે બચ્ચાને જન્મ આપ્યો
એ જોઈ મારા બે બચ્ચાં ખુશ થઈ ગયા રોજ એમને મોટા થતા જોવે સ્કૂલે થઈ આવે એટલે એમનું પહેલું કામ માળામાં બચ્ચાંને જોવાના એ કેવી રીતે ખાય છે એ જોતાં એમણે એમની માં બચ્ચાંને ચાંચમાં કાઈ લાવી ખવડાવે એ જોયું ધીરે ધીરે બચ્ચાં મોટા થયા પાંખો ખુલી કલર બદલાયો
અને એક દિવસ ધીરે ધીરે પાંખો ફેલાવી એક દિવસ માળા માંથી જતા રહ્યા મારા બચ્ચાં રોજ એ ખાલી માળો જોતા મેં સમજાવ્યું કે સમય જતાં દરેક વ્યક્તિએ પોતાની ઉડાન પોતાની રીતે ભરવાની હોય છે પછી ભલે એ ઉડાન કેરિયર માટે હોય કે કંઈક મેળવવા માટેની હોય પણ દરેક વ્યક્તિએ ઊડવુંજ પડે છે,અને સાચે આજે મારા બચ્ચાં પણ ઉડી ગયા પોતાના ઉજળા ભવિષ્ય માટે .આજે મારા ઘરે એ વેલ નથી રહી કાઢી નાખી પણ હોલો હોલી હજુય આવે કદાચ એ જોવા, કે અહીંથી મારા બચ્ચાં ઉડ્યા હું પણ મારા ઘરને જોવ છું કે મારા બચ્ચા પણ હીથીજ ઉડ્યા છે.
આજે મને પણ એ આકાશ બતાવ્યું જે આકાશ માં એ ઉડ્યા હતા એનો આનંદ સંતોષ કહેવાની નહીં અનુભવવાથીજ ખબર પડે.
નયના પટેલ..
***********************************
[10/6, 5:55 PM] Mohanbhai Parmar.Baroda: NOG No 126.
મોહનભાઈ પરમાર “આનંદ ”
પ્રકાર : ગદ્ય
વિષય: ચિંતન લેખ.
શિર્ષક: સંસારનો માળો
================================
એક ઈશ્વરીય સત્તા છે, એમની મોજ ઈચ્છા શક્તિ જ આ સંસારરૂપી માળાનું સર્જન કરે છે . કાળપુરુષની અંતર્ગત
ત્રિગુણાત્મક માયામાં પંચતત્વો અને ત્રણ ગુણોના આધિપત્યમાં ચૌદલોકના બ્રહ્માંડનું સર્જન કર્યું છે,એ ઈશ્વરની ઈક્ષણવૃતિ એટલે માયામાં જગતને રચી લીલા કરવાનો સહજ સ્વભાવ છે.
द्वा सुपर्णा सयुजा सखाया,समानं वृक्षं परिषसवजाते।
तयोरन्य पिप्पलं स्वाद्वत्त्य-नश्वन्नन्यो अभिचाकशीति ।६।
श्वेताश्वतर उपनिषद् अ.४/ श्लोक ६
સદા સાથે રહેવા વાળા તથા પરસ્પર સખ્ય ભાવ રાખવાવાળા પક્ષી ( જીવ અને શિવ) એક જ વૃક્ષ
( શરીરમાં)નો આશ્રય લઈ રહે છે. એ બેઉંમાં એક તો એ વૃક્ષના ફ્ળ ( કર્મફળ) સ્વાદ લઈ ખાય છે. પરંતુ બીજું પક્ષી (શિવ) કેવળ જોયા કરે છે. ફ્ળનો ઉપભોગ કરતું નથી.
ગીતામાં પણ અશ્વસ્થ વૃક્ષ ( પીપળાના વૃક્ષની વાત દ્વારા
પરમાત્મા એ સૃષ્ટિ સર્જનની સમજણ આપી છે.ઐતરિય ઉપનિષદમાં પણ સૃષ્ટિ સ્વરૂપના ઈશ્વરીય માયિક માળાનું વર્ણન કર્યું છે.પરમાત્માની ઈચ્છાશક્તિ ઈક્ષણવૃતિ જ આ સંસારરૂપી માળાનું મૂળ રહસ્ય છે.
વાસ્તવમાં આ શરીર રૂપી વૃક્ષમાં હ્દયની ગુફા એટલે કે
માળામાં ઈશ્વર રહેલો છે. सर्वस्व चाहं हदयं सन्निविष्टो
હું જ સર્વના હ્દયમાં રહેલો છું. ઇન્દ્રિયોમાં મન પણ એજ
પરમાત્મા છે.
મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ છે. એ જીવ માટે સાધન માત્ર છે,એ જીવન રૂપી માળાને સજાવવા માટે ના અંતરંગ સાધનો છે. શરીર અને ઈન્દ્રિયો બહિર્મુખી છે
તે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ તન્માત્રાનું ભોક્તા ભાવે
ગ્રહણ કરી બંધન પ્રાપ્ત કરે છે.
જ્યારે ઈશ્વર નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિમાં શરીરમાં રહી કર્મનો દ્રષ્ટા ( સાક્ષી ભાવે) તટસ્થ રહેછે.
પરિણામે ભોકતૃત્વથી મુક્ત રહી આનંદમાં રહે છે. જ્યારે
જીવ સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે.
હવે સંસારમાં જન્મ લઈ ઋણાનુબંધથી, કર્મો દ્વારા સંપાદિત સંબંધમાં જીવ પોતાની ઈચ્છા તૃષ્ણાની પૂર્તિ માટે
જાત જાતના માળા બનાવીને સુખરૂપ સંસારિક જીવનવ્યવહાર ચલાવવા પ્રયાસ કરી , સફળતા મેળવી
ને મનોરથો માં જીવનરુપી માળા ને શણગારી રહ્યો છે.
ઈશ્વરની માયા પ્રબળ છે,અને ઈશ્વરની કૃપા વગર એમાંથી
કોઈ બચી શકે નહીં. નારદજી અને ઘણા ઋષિઓની દંતકથા થી આપણે પરિચિત છીએ.એટલે ભક્તિ અને શરણાગતિ વગર માયા રુપી આવરણ (માળો) ભંગ થતો નથી. આ ગહન સત્ય છે. જે સૌ જાણે છે.
સામાન્ય રીતે સામાજિક, આર્થિક, રાજનૈતિક, વૈશ્વિક કે
આધ્યાત્મિક જીવનશૈલી એ બધા અલગ માળા છે. ઈશ્વર જ એ સુંદર માળામાં રહી લીલા કરી રહ્યા છે. આપણે
એનાથી અજાણ છીએ.આપણને દિવ્યસૃષ્ટિનાં સર્જન ને
માણી તો રહ્યા છે, પરંતુ પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે ઈન્દ્રિયો ની અનુભૂતિમાં જ, એની વાસ્તવિકતા કે અપરોક્ષ અનુભૂતિ નથી. એ અનિર્વચનીય છે.
આમ, આ ગહનતમ ગુઢાર્થ લીલા છે,એ અનંત યુગોથી ચાલી રહી છે. સૃષ્ટિ મંડાણ અને લોકલોકાન્તર એક માળા થી વિશેષ કશું નથી. ઈશ્વર અનંત છે,એના એક પાદમાં
બ્રહ્માંડરૂપી માળો છે. તેથી મન બુધ્ધિની પેલે પાર તો સાધકો કે તત્વચિંતન કરનાર જ પહોંચી શકે.આપણે તો
જીવરૂપી પક્ષી, પુરૂષાર્થની પાંખ ફફડાવી આનંદમય થવું જોઈએ.
મોહનભાઈ પરમાર” આનંદ”
સાહિત્ય સરિતા ગ્રૂપ
***********************************
આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચારો તેમજ વીડિયોને યોગ્ય જગ્યાએ અમારા અખબાર તેમજ ન્યુઝ ચેનલ ન્યુઝ પોર્ટલ અને એફબીના ન્યૂઝ પેજમાં સમાવવા માટે 9824653073 whatsapp અથવા ઈમેલથી મોકલી શકો છો તેમ જ દિવાળી અંકની જાહેર ખબર હોને 25 ઓક્ટોબર પહેલા મોકલી શકો છો જેનો ભાવ પત્ર ઉપર મુજબ છે.
તંત્રી : પ્રદીપ રાવલ