[7/29, 2:20 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *મૌલિક લેખ*
*વિષય* : *દેશ – વિદેશમાં ગુજરાતીઓનો દબદબો,બદલાતી સામાજિક આધુનિક શૈલી*
*શબ્દો* : *૩૪૭*
*શીર્ષક* : *’જય જય ગરવી ગુજરાત’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
ગુજરાતીઓ દેશ અને વિદેશમાં ખૂણે ખૂણે વસવાટ કરે છે અને પોતાની હોશિયારી, બુદ્ધિચાતુર્ય અને વ્યાપાર કુશળતાથી પોતાનું, ગુજરાતનું અને દેશનું નામ ઝળહળતું કરે છે. એક ગજબની કુનેહ અને આત્મવિશ્વાસ ગુજરાતીઓની રગેરગમાં અને લોહીમાં વસેલ છે અને તેને દુનિયા માની ચુકી છે.
વૈશ્વિક ફલક ઉપર ચાહે વિજ્ઞાન, ઇજનેરી, આર્થિક, વ્યાપારિક કે પછી આધ્યાત્મિક ક્ષેત્ર હોય, આ દરેક ક્ષેત્રમાં વિશ્વમાં આજે ગુજરાતીઓનો દબદબો છે. અરે છેલ્લાં થોડાંક વર્ષોમાં તો વિશ્વને જટીલ વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવામાં સર્વસ્વીકૃત સન્માનજનક નેતૃત્વ પૂરું પાડવા બાબતે પણ એક મજબૂત મનોબળ ધરાવતાં ગુજરાતીએ ડંકો વગાડ્યો છે. કંઈ કેટલીયે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપનીઓના સંચાલનમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ આજે ગુજરાતીઓ શોભાવી રહ્યા છે. વિશ્વનો કોઈપણ ખૂણો એવો નહીં હોય જ્યાં ગુજરાતીઓ જઈને વસ્યા ન હોય અને ત્યાં વ્યાપાર કરી પ્રતિષ્ઠા હાંસલ કરી ન હોય.
અસંખ્ય ગુજરાતીઓ દેશ અને વિદેશમાં પોતપોતાની કારકિર્દી બનાવવા માટે સ્થાયી થવા પ્રયાણ કરે છે. એક તરફ તેઓ જે તે દેશની જીવનશૈલી અને સંસ્કૃતિને માનપૂર્વક અપનાવીને રહે છે, સાથે જ તેઓ વિદેશમાં આપણી મૂળ સંસ્કૃતિ અને સંસ્કારોનું એટલા જ પ્રેમથી જતન પણ કરે છે. વિદેશમાં ગયા પછી ત્યાંની ધરતી ઉપર પણ આપણા ધાર્મિક સંસ્કારો, ગુજરાતની ભાતીગળ કળા, સંગીત અને સંસ્કૃતિ ભૂલતા નથી અને તેની સાથે જોડાયેલા રહેવા ઘનિષ્ઠ પ્રયત્નો કરે છે. આ સાચે જ સહુ ગુજરાતીઓએ ગર્વ લેવા જેવો વિષય છે. આ બધી જ પ્રવૃત્તિઓમાં ગુજરાતની અગ્રગણ્ય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ અગ્રેસર થઈ કામ કરી રહી છે તે પણ ખૂબ જ આનંદનો વિષય છે. બદલાતા સમયમાં આધુનિક જીવનશૈલી બાબતે આ એક મોટા સંતોષની વાત છે.
ગુજરાતની જે પેઢી વિદેશમાં સ્થળાંતર કરી રહી છે તે તો આપણી સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલી જ છે અને ત્યાં ગયા પછી પણ જોડાયેલી રહેવા જરૂર કોશિશ કરશે,પરંતુ જે તે દેશની આધુનિક સંસ્કૃતિ સાથે જોડાતાં તેમની પછીની પેઢી પોતાના ગુજરાતી સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલી રહે અને તેને પૂરતું સન્માન આપી પોતે પણ સન્માનને પાત્ર બને તે જોવાનું કર્તવ્ય આજની પેઢીનું છે. જો તેમાં ચૂક થશે તો આવનાર દિવસોમાં આપણી આવનાર પેઢી ગુજરાતની કળા, સંસ્કાર અને સંસ્કૃતિથી અળગી થઈ જશે. આમ ન બને તે માટે વિદેશમાં વસતી આજની ગુજરાતી પેઢીએ ખૂબ સભાનતાપૂર્વક નવી પેઢીનો ઉછેર કરવો જોઈએ જેથી તે ગર્વ પૂર્વક ગુજરાતી સંસ્કૃતિની ધરોહર સાથે વિદેશમાં પણ જોડાયેલી રહે.
જય જય ગરવી ગુજરાત…
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૯ જુલાઈ ૨૦૨૨
[7/29, 5:31 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO. 0081
પ્રકાર : પદ્ય
વિષય : બદલાતી આધુનિક સામાજિક શૈલી
શીર્ષક: માણસને માણસ ગમતાં નથી
શબ્દો: ૧૦૩
આધુનિકતા હદ વટાવી રહી છે,
સંતાનો સાથે મા પણ મજા લઇ રહી છે.
જૂનાં રિવાજ એનેય ગમતાં નથી,
રોટલી શાક એને ય રાંધવા નથી.
પડોશીઓનું ડોકાવું કોઈને ગમતું નથી,
એમની સાથે સરખામણી કોઇ ચૂકતું નથી.
દુઃખ તો ઘણું છે સૌને, કોઈને કહેવું નથી,
તમાચાથી ગાલ લાલ રાખી, કોઈ સાથે ભળવું નથી.
જન્મ કે મરણનાં નોતરાં આવતાં નથી,
માણસને માણસ જ જાણે ફાવતાં નથી.
લોહીનાં સંબંધો તો જળવાતાં નથી,
માનેલા ભાઈ, બહેનનાં ગુણો સમાતાં નથી.
રીત રિવાજ પરંપરા કોઈને ગમતાં નથી,
માણસને જાણે માણસ જ ગમતાં નથી.
આ બદલાતી જીવનધારા ક્યાં લઈ જશે ખબર નથી,
માણસ વિના માણસ કેમ જીવશે એ જ સમજ નથી!
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત