ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ. રચનાઓ
વિષય :.” શિવ મહિમા..શ્રાવણ સોમવાર મહત્વ વિષયક રચનાઓ.(૨૦-૮-૨૦૨૧) દિવસ – ૪
( ચોથો દીવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG SS NO .0095
વિષય :– શિવ મહિમા , શ્રાવણનો મહિમા,
પ્રકાર :–ગદ્ય
શીર્ષક :– “ શિવજીના નંદીનું મહત્વ “
આપણે જાણીએ છીએ કે ભગવાન શિવની સામે બેસાડેલો પોઠિયો એટલે એમનું વાહન નંદી .શિવનાં પરિવારમાં નંદીની પણ ગણના થાય છે .એવું કહેવાય છે કે નંદીના કાનમાં ધીરેથી પોતાની ઈચ્છાઓ જણાવે છે.એમ કરવાથી પોતાની ઈચ્છા સીધી શિવ સુધી પહોંચે છે એવું માનવામાં આવે છે.
શ્રીલાદ મુનિએ બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરીને જ જીવન વ્યતિત કરવાનો નિર્ણય લીધો હતો. પુત્રનાં આ નિર્ણયથી પિતા બહુજ ચિંતિત થયા. તેઓ ઈચ્છતા હતા કે એમનો વંશવેલો આગળ વધે .તેમણે પુત્રને ગૃહસ્થજીવન માટે ઘણું સમજાવ્યું .પણ આજીવન તપમાં જ લીન રહેવા ઈચ્છતાં શ્રીલાદ તેમ કરવા તૈયાર ન હતા. તેથી સંતાન પ્રાપ્તિ માટે તેમણે પોતાના તપથી ભોળાનાથને પ્રસન્ન કરીને તેમની પાસેથી જન્મ અને મૃત્યુનાં બંધનથી મુક્ત હોત એવા પુત્રનું વરદાન માંગ્યું .શિવ એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થયાં અને પુત્ર રૂપે પ્રગટ થશે એવા આશીર્વાદ આપ્યા .થોડાં સમય પછી ભૂમિ ખેડતી વખતે એક બાળક મળ્યું .જેનું નામ તેમણે નંદી રાખ્યું .આગળ જતાં નંદી મોટો થતાં બે ઋષિમુનિઓએ એને જોઈને કહ્યું કે આ નંદી અલ્પાયુ થશે .
નંદીને જ્યારે પોતાના આયુષ્ય વિશે જાણ થઈ ત્યારે નંદી મહાદેવની આરાધના કરવા માટે વનમાં જતાં રહ્યાં. કઠોર તપથી શિવજી પ્રસન્ન થયા અને નંદીને મૃત્યુના ભયથી મુક્ત કરીને અજર અમર રહેવાનું વરદાન આપ્યું. મહાદેવે પાર્વતીની સંમતિથી તમામ ગણો , ગણેશ , અને વેદોની સમક્ષ ગણોના અધિપતિના રૂપમાં નંદીનો અભિષેક કરાવ્યો અને પછી તે નંદી માંથી નંદેશ્વર બન્યા . મરુતોની પુત્રી સુયશા સાથે તેમનાં વિવાહ થયા .
.શિવજીએ નંદીને વરદાન આપ્યું હતું કે જ્યાં તેમનો નિવાસ હશે ત્યાં હંમેશાં નંદી પણ બિરાજમાન હશે .તેથી જ દરેક શિવ મંદિરોમાં શંકર ભગવાનની સામે જ નંદીને પોઠિયા તરીકે સ્થાપિત કરવામાં આવે છે.
માટે જ એવું કહેવાય છે કે નંદીના કાનમાં જે વાત કહેવામાં આવે છે તે સીધી જ પરમાત્મા શિવ સુધી અચૂક પહોંચે છે ને મનોકામનાની પૂર્તિ પણ થાય છે .
દીપિકા ચાવડા “ તાપસી.
********************************
NOG SS No : 0048
વિષય – શ્રાવણનો મહિમા
વિભાગ – ગદ્ય
*શીર્ષક – ભેદભાવ*
શ્રાવણ મહિનો શરૂ થતાં મહાદેવના મંદિરે ભક્તોનો મેળાવડો ઉમટ્યો, શિવલિંગ પર દૂધની ધારાઓનો અભિષેક થયો. દર્શન કરીને બહાર ઉભેલાં ભક્તો ઉપવાસ અને ફરાળની વાતો કરતાં હતાં. ત્યાં બેઠેલાં ભિખારીઓની હરોળમાં એક પાંચ-છ વર્ષની છોકરીએ તેની માને પૂછ્યું, “આ ઉપવાસ એટલે શું?” માએ સમજાવ્યું, “શ્રાવણ માસમાં ઘણાં લોકો દિવસમાં એક જ વાર જમે અથવા ફક્ત દૂધ અને ફળાહાર કરે. એને એકટાણાં કે ઉપવાસ કહેવાય. એનાથી ભગવાન રીઝે અને ભક્તોને સુખી કરે.” આટલું સાંભળતાં જ છોકરી બોલી ઊઠી, “મા આપણે તો કેટલાં બધાં દિવસ ઉપવાસ કે એકટાણાં કરીએ છે, તો ભગવાન આપણાં પર કેમ ખુશ નથી થતાં? ભગવાન આવો ભેદભાવ કરે?”
આ સાંભળી માની આંખોમાંથી લાચારીનાં આંસુઓ વહેવાં લાગ્યાં અને દીકરીને સોડમાં લઈ પસવારી.
*પ્રકૃતિ ‘પ્રીત’*
********************************
NOG SS No. : 0034
વિભાગ : પદ્ય
શીર્ષક : હેં ને શિવજી!
ભોળીયાના નામે દુનિયા ઠગે, હેં ને શિવજી,
ચાલે ભક્તિમાં કૌભાંડ આ જગે, હેં ને શિવજી!
ચડાવે છપ્પનભોગ રીઝવવા મહાદેવને સૌ,
ત્રિપુરારી રીઝે બિલ્વપત્ર ને સલિલે, હેં ને શિવજી!
ત્રિનેત્રધારી,પશુપતિનાથ શંભુ છે કૈલાસવાસી,
એ ભક્તજનોનાં હૃદયમાં વસે, હેં ને શિવજી.
ભભૂત ચોળી, ભૂતોની ટોળી, વાધ્રચર્મધારી,
એ તો કિનખાબી વાઘા ન પહેરે, હેં ને શિવજી.
નટરાજ રાજ, ઉમિયાપતિ, હે! શશાંક ધારી,
સૃષ્ટિ કાજે હળાહળ વિષ ધર્યું કંઠે, હેં ને શિવજી.
ન ચાહું હીરા, માણેક કે સુવર્ણાલંકાર ગંગધારી,
ભકિત તમારી કરું ભવોભવે, હેં ને શિવજી.
હો અંત સમયે તારું જ નામ સ્મરણ ઉમિયાપતિ,
ભક્ત ભોળા કર જોડી કરગરે, હેં ને શિવજી.
— ડૉ. રેખા શાહ
******************************
N.O.G.S.S.No.0102.
શીર્ષક:- શ્રાવણ માસનો મહિમા.
પ્રકાર :-. ગદ્ય.
વિષય:- શ્રાવણ માસનો મહિમા.
હિન્દુ કેલેન્ડરના બાર મહિનાઓમાં શ્રાવણ માસનું અનેરૂ મહત્વ છે. અષાઢ માસ પૂર્ણ થતા દિવાસાના દિવસથી જ તહેવારોની હારમાળા શરૂ થાય છે .તેમાં પણ શ્રાવણ મહિનો બેસતા અનેક તહેવારો આ માસમાં આવે છે.
શ્રાવણ માસમાં મુખ્ય મહિમા તો ભગવાન શ્રી શિવજીની આરાધનાનો છે .શિવપુરાણ ,ભગવાન શ્રી શંકરાચાર્ય દ્વારા રચિત ભગવાન શિવની અનેક સ્તુતિઓ ,શ્રી પુષ્પદંત દ્વારા રચવામાં આવેલ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર , રુદ્રી ,વગેરેમાં ભગવાન શંકરનું અને માતા પાર્વતીનું અનેક રીતે વર્ણન કરવામાં આવેલું છે.
શ્રાવણ માસમાં અનેક તહેવારો આપણે ઉજવીએ છીએ તેમાં સંકષ્ટી ચતુર્થી , બોરચોથ ,નાગ પંચમી ,રાંધણ છઠ ,શીતળા સાતમ, જન્માષ્ટમી જેવા અનેક તહેવારો આ મહિનામાં આવે છે, સાથે સાથે દર સોમવારે ભગવાન શિવજીની અનેક પ્રકારની પૂજા આરાધના થતી હોય છે.અનેક લોકો ભગવાન શિવજીના બાર જ્યોતિર્લિંગના દર્શનને જાય છે .આ મહિનામાં લોકો અનેક રીતે ભગવાન શિવજીની પૂજા કરે છે. કોઈ ઉપવાસ, રાખે કોઈ ફળાહાર કરે ,કોઈ એક ટાઇમ જમે, અને વિવિધ વસ્તુઓથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે, પૂજામાં વપરાયેલી જુદી-જુદી સામગ્રીની પણ વિશેષ મહત્તા છે, અને એ સામગ્રી દ્વારા ભગવાન જુદા જુદા પ્રકારના ફળ આપે છે ,તેવી પણ માન્યતા હોય છે, ભગવાન શિવજીનો અનેક રીતે અભિષેક કરવામાં આવે છે. આ ઉપરાંત આ મહિનામાં લોકો શિવજીની ખાસ આરાધના કરતા હૉયયછે.રોજ શિવમહિમાનો પાઠકરે,મહામૃત્યુંજય મંત્ર બોલે ,ઓમ નમઃ શિવાય મંત્ર બોલે. આ બધા જ ચમત્કારી મંત્રો છે. જે ભાવના દ્વારા આ મંત્રની સાધના કરવામાં આવે તેને તેનું ફળ પ્રાપ્ત થાય છે ,અને આ હકીકત આ કળયુગમાં પણ સત્ય છે. શિવજીના અનેક ચમત્કારો લોકોએ જોયા છે. શિવજી ભોળા દેવછે.થોડી ભક્તિ કરતા તે રીઝી જાય છે, અને ભક્તો ની ઉપર અપાર કૃપા ની દૃષ્ટિ કરે છે.
શ્રાવણ મહિનામાં આકાશમાંથી ઝરમર ,ઝરમર વરસાદ વરસે છે .ખેતરો લીલાછમ બની લહેરાય છે. ખેડૂતો આનંદમાં છે. વેપાર ધંધા વિકસેલા છે. લોકોના મન પણ આનંદમાં હોય છે ,અને તેથી આ મહિનાના જેટલા તહેવારો હોય તેટલા લોકો ખૂબ ભાવ પૂર્ણ રીતે ઉજવે છે.
ચાલો આપણે પણ ભગવાન શિવજી, માતા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશની હૃદય પૂર્વક પૂજા આરાધના કરીએ, અને આપણી મનોકામના તેની સામે વ્યક્ત કરીને તેના શુભ આશિષ મેળવીએ. મહામૃત્યુંજય મંત્ર દ્વારા છેક મોક્ષની પ્રાપ્તિ સુધી ની જે વાતો દર્શાવી છે .તેનો આપણે હૃદયપૂર્વક થી પાઠ કરીએ અને ભગવાન શિવની કૃપા મેળવીએ.
રતીલાલ વાયડા.
દ્વારકા.
૧૬/૮/૨૦૨૧. સોમવાર.
********************************
NOG SS NO.0031
વિષય: શ્રાવણ માસનો મહિમા
વિભાગ: ગદ્ય
પ્રકાર: ટૂંકી વાર્તા
શીર્ષક: શ્રાવણનો આનંદ
શ્રાવણ મહિનો એટલે ભક્તિનો મહિનો, સહુ કોઇ
પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરે. શહેરના શિવાલયો તો ભક્તોની ભીડથી ઉભરાતા હોય. ભગવાન શંકરને દૂધનો અભિષેક કરવા મંદિરની બહાર સુધી ભક્તોની કતાર હોય, આવી જ કતાર શહેરનાં રામેશ્વર મંદિરમાં દર શ્રાવણ માસમાં જોવાં મળતી.
રામેશ્વર મંદિરથી થોડે જ દૂર એક ઝૂંપડપટ્ટી આવેલ હતી. ત્યાંનાં રહેવાસીઓને મંદિરની ભીડ જોઇને ખ્યાલ આવતો કે શ્રાવણ મહિનો શરૂ થયો તે. ખાસ કરી તેમનાં બાળકો આ શ્રાવણ મહિનો આવતાં બહુ જ ખુશ થઇ જતાં. તેઓની ખુશીનું કારણ શ્રાવણ મહિનામાં આવતાં વાર તહેવાર નહોતાં. કારણકે એ લોકોને લૂખો સૂકો રોટલો પણ માંડ નસીબ થતો, તો તેમને વાર તહેવારનું શું મહત્વ હોય?
શ્રાવણ માસમાં આ બાળકોની ખુશીનું કારણ અલગ જ હોતું. રામેશ્વર મંદિરમાં રહેલા શિવલિંગ પર જે અભિષેક થાય અને એ જે નાલીમાં થઇ બહાર નીકળે તે નાલી મંદિરની પાછળ બારોબાર નીકળતી હતી. શિવલિંગ પર જે દૂધ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતું તે નાલીમાંથી નીકળી જમીનમાં ઉતરી જતું. શ્રાવણ માસમાં તો આ નાલીમાંથી અવિરત દૂધ આવતું હોવાથી વસ્તીનાં બાળકોહાથમાં જે આવે તે વાસણ લઇ તે નાલી પાસે ઉભા રહેતાં, અને વારાફરતી તેમાંથી નીકળતું દૂધ પોતાના વાસણમાં લઇ પી જતાં અને પેટ ભરીને દૂધ પીવાનો આનંદ માણતાં. આખા વર્ષમાં આ એક જ મહિનો તે દૂધનો સ્વાદ માણતાં બાકી અગિયાર મહિના તો તેઓને દૂધનું ટીપું પણ જોવાં ન મળતું.
આમ કોઇ માટે શ્રાવણ મહિનો વ્રત કરી ભૂખ્યા રહેવાનો મહિમા હોય તો ઝૂંપડપટ્ટીનાં બાળકોને શ્રાવણ માસમાં તેઓને ભરપેટ દૂધ પીવા મળતું તે માટે તેમને શ્રાવણનો મહિમા આમ
દરેકની માટે અલગ અલગ રીતે શ્રાવણ માસનો મહિમા છે
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ