ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ. રચનાઓ
વિષય :.” શિવ મહિમા..શ્રાવણ સોમવાર મહત્વ વિષયક રચનાઓ.(૧૯-૮-૨૦૨૧) દિવસ – ૩
( બીજો દીવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
******************************
NOG SS No : 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક-‘મહાદેવનું મન મોહે શ્રાવણ’
‘શ્રાવણ તમને કેમ વ્હાલો શિવજી,
કેમ મન તમારું મોહે??
કેમ તમારું શિવલિંગ બીલીપત્ર અને ભસ્મથી શ્રાવણમાં ખાસ સોહે?
મહાદેવના વ્હાલા પુરુષોત્તમે જન્મ શ્રાવણમાં ધરિયો,
શ્રાવણ ને સર્વોત્તમ માસ,
મહાદેવે ઘોષિત કરિયો.
શ્રવણ નક્ષત્રની પૂર્ણિમા,
શ્રાવણમાં ગગનને સોળ કળાએ સોહાવે,
મારા મહાદેવજીના મનને
શ્રાવણ માસ મોહાવે.
ઓમ નમઃશિવાયના નાદ,
ગગનનેય ગુંજાવે,
મારા મહાદેવજીના મનને શ્રાવણ બહુ મોહાવે.
રુદ્રાભિષેક અને શિવ સ્તોત્રો થી
શિવ મંદિરને ભક્તો ગજાવે,
મારા મહાદેવજીના મનને શ્રાવણ બહુ મોહાવે.
વ્રત,તહેવારને મેળાઓથી ભકતજનો હરખાયે,
મારા મહાદેવજીના મનને શ્રાવણ બહુ મોહાવે.
જપ-તપ, પૂજા-પાઠ કરીને ભોલેના નામનો અલખ જગાવે,
મારા મહાદેવજીના મનને શ્રાવણ બહુ મોહાવે.
શિવ-પાર્વતીની બેલડી સમ સૌભાગ્યનું સુખ સહુને અપાવે,
મારા મહાદેવજીના મનને શ્રાવણ બહુ મોહાવે.
એકવાર આવે વર્ષે,
ભક્તો ફરી આવવાની પ્રતિક્ષા જગાવે,
મારા મહાદેવજીના મનને શ્રાવણ બહુ મોહાવે.
શ્રવણ(કથાનું),
વાંચન(ધર્મગ્રંથોનું) અને નમન(પ્રભુને)નું મહત્વ એ સહુને સમજાવે,
મારા મહાદેવજીના મનને શ્રાવણ બહુ મોહાવે.
અલકા મહેતા
ગાંધીનગર
૧૨/૦૮/૨૧.
********************************
NOG SS No.0081
પ્રકાર : ગદ્ય
વિષય : શ્રાવણ માસ/શિવપૂજન
શીર્ષક : શ્રદ્ધા શિવજી પર
ભારત જેવાં ખેતીપ્રધાન દેશમાં દરેક ઉત્સવ કે ઉજવણી
ખેડૂતનાં જીવન સાથે જોડાયેલી હોય છે.શ્રાવણ માસ એટલે વાવણી બાદ પોરો ખાવાનો સમય.તેથી સાથે ભક્તિ,મેળા જેવી બાબતો જોડી તેઓ પ્રકૃતિ સાથે જોડાયેલાં રહે.શિવ પૂજનનું અનેરૂં મહત્વ,જે બિલીપત્ર દ્વારા કુદરતનાં સામીપ્યમાં રાખે.એક ઓછી જાણીતી કથા જે શિવપૂજનનું માહાત્મ્ય દર્શાવે છે.
રાજા ચિત્રવર્મા શિવનો પરમ ઉપાસક હતોત્યાં એક દીકરીનો જન્મ થયો. તેનું નામ હતું સીમંતિ. એક દિવસ એની જન્મકુંડળી બનાવી જ્યોતિષે રાજાને કહ્યું : ‘ રાજન ! આપની દીકરી સીમંતિ યુવાન વયે જ વિધવા થશે.’રાજમહેલમાં સૌ ચિંતામગ્ન બની ગયાં પરંતુ સીમંતિ પર તેની કોઈ અસર થઈ નહિ. તે યાજ્ઞાવલ્કય મુનિની પત્ની મૈત્રેયી પાસે ગઈ.
તેણે નમ્રભાવે કહ્યું : ‘ માતાજી, મારા સૌભાગ્યની અભિવૃધ્ધિ થાય એવો મને સદુપદેશ કરો.’ મૈત્રેયીએ તેને કહ્યું : “બેટા ! તું શિવપાર્વતીના શરણે જા, તેમનું પૂજન કર, તું નિર્ભય બનીશ.”
ઉપદેશાનુસાર સીમંતિએ પ્રત્યેક સોમવારે શ્રદ્ધાપૂર્વક શિવપાર્વતીનું પૂજનવ્રત શરૂ કર્યું. નિષધ દેશના રાજા નળના પૌત્ર રાજકુમાર ચંદ્રાગદ સાથે સીમંતિનો ધામધૂમથી વિવાહ સંપન્ન થયો. એ સમયે રાજકુમાર ચંદ્રાગદ પોતાના સસરાને ત્યાં જ હતો. બીજે દિવસે રાજકુમાર યમુના નદીમાં સ્નાન કરવા ગયો અને યમુના નદીમાં ડૂબી ગયો. સર્વત્ર શોકનું વાતાવરણ છવાઈ ગયું. સીમંતિ તો મૂર્છિત થઈ ગઈ. વૈધવ્યવનાં દિવસોમાં પણ તેણે સોમવારનું વ્રત ચાલ્યું રાખ્યું અને ત્રણ વરસ સુધી શ્રદ્ધા અને ભક્તિભાવથી શિવપૂજન કરતી રહી.
યમુનામાં ડૂબેલો રાજકુમાર ચંદ્રાગદ પાતાળલોક પહોંચી ગયો જ્યાં નાગરાજ તક્ષકને પોતાની ઓળખાણ આપી પોતે શિવભક્ત છે એમ જણાવ્યું. નાગરાજે કહ્યું : ‘ કુમાર ! તમારું કલ્યાણ થાઓ.રાજકુમારે આજીજી કરી,,” નાગરાજ ! થોડા સમય પહેલાં જ મારો વિવાહ થયો છે. મારી પત્ની સીમંતિ પણ શિવપૂજનનું વ્રત કરી રહી છે. મારાં માતાપિતા એકનાં એક પુત્રનાં મૃત્યુ શોકમાં ડૂબી ગયાં હશે. તો કૃપા કરી મને મનુષ્યલોકમાં પહોંચાડી દો.” તક્ષકની કૃપાથી રાજકુમાર ચંદ્રાગદ યમુના તટ પર આવી ગયો. યમુનાસ્નાન માટે આવેલી સીમંતિએ રાજકુમાર ચંદ્રાગદને જોયો. તેના આનંદથી ઉછળી ઊઠી. રાજકુમાર જીવિત છે એ સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. સીમંતિને રાજકુમાર પોતાની રાજધાનીમાં લઈ ગયો. આમ શિવભક્તિથી, શ્રદ્ધા થી સીમંતિને સૌભાગ્ય પ્રાપ્ત થયું.
# માયા દેસાઈ
મુંબઈ ભારત.
******************************
NOG SS No /0044
વિષય:-શિવ મહિમા,શ્રાવણનો મહિમા,શ્રાવણી સોમવારનું મહત્વ.
પ્રકાર:-ગદ્ય
શબ્દો:-૩૪૭
શીર્ષક:- શિવાલયોની માહિતી.
શ્રાવણ માસ એટલે ભક્તિનું ઘોડાપૂર.વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો.
આ માસમાં મહાદેવના દર્શન કરી બીલીપત્ર સહિત અન્ય સામગ્રી શંભુ ભોળા નાથને અર્પણ કરવાનો મહિમા.
આપણે કેટલાંક શિવાલયો વિશે જાણીએ.
સમસ્ત ભારતમાં અસંખ્ય શિવાલયો છે એમાં કેટલાંક સ્વયંભૂ છે.બાર જ્યોતિર્લિંગની તેમજ અમરનાથ અને માનસરોવર કૈલાશનાથની યાત્રાનું અદકેરું મહત્વ.
દ.ગુ.માં આવેલાં કેટલાંક પ્રખ્યાત શિવાલયોની જાણકારી આપવાનો મારો પ્રયાસ છે.
બિલીમોરાનું સોમનાથ મંદિર.એ મહાદેવ સ્વયંભૂ.અમારાં સગાંને મહાદેવે સપનામાં આવી ઝાડીમાંથી બહાર કાઢવાનું કહ્યું.એ સગાંએ મારા દાદા સસરાને વાત કરતાં તપાસ કરાવી તો ઝાડીમાંથી શિવલિંગ મળ્યું.મારા દાદા સસરાએ તપોધનને પૂજા કરવા અને જે કોઈ પૈસા ચઢાવે તે એણે લેવા એવું નક્કી કર્યું.ધીમે ધીમે ભક્તો વધતાં ચઢાવો પણ વધ્યો એટલે બીજા તપોધનોએ મારાં દાદા સસરાને કહ્યું,” એકલાં એણે જ શું કામ પૂજા કરવાની? અમને પણ પૂજા કરવા દ્યો” એટલે મારાં દાદા સસરાએ દેસરાનાં સમસ્ત તપોધનો વચ્ચે પૂજા
કરવાના વારા બાંધી આપ્યાં જે આજે પણ ચાલુ છે.
વલસાડમાં તડકેશ્વર સ્વયંભૂ મહાદેવ.આ મહાદેવની ઉપર છાપરાં નથી અને સુતેલી
સ્થિતિમાં છે.તડકામાં જ રહેતાં હોવાથી તડકેશ્વર. વલસાડમાં શાકમાર્કેટમાં ભીડભંજન સ્વયંભૂ મહાદેવ.
ધરમપુરમાં બરુમાળ,વાઘલધરામાં પારદેશ્વર, ચીખલીમાં સ્વયંભૂ મલ્લિકાર્જુન.ગણદેવી તાલુકામાં અમલસાડમાં અંધેશ્વર,કછોલીમાં ગંગેશ્વર,ગડતમાં કામેશ્વર મહાદેવ આ બધા મહાદેવ સ્વયંભૂ.
સુરતમાં કતારગામમાં સ્વયંભૂ કંતારેશ્વર અને ઓલપાડમાં સ્વયંભૂ સિધ્ધનાથ મહાદેવ.એક મુસ્લિમ રાજાએ તોડફોડ કરવા પ્રવેશ કર્યો ત્યારે આ શિવાલયમાંથી અસંખ્ય ભમરાઓ નીકળીને રાજાને પાછો કાઢેલો. શિવલિંગમાંથી ભમરા નીકળેલાં તે કાણાં હાલ મોજૂદ છે.
કામરેજમાં સ્વયંભૂ ગલતેશ્વર મહાદેવ.આ મહાદેવનું મહત્વ નાસિકનાં ત્રંબકેશ્વર જેટલું જ છે.નારદીગંગા, ગુપ્તગંગા,અને તાપી માતાનાં ત્રિવેણી સંગમે આ મંદિર છે.૬૨’ઉંચી શિવજીની પ્રતિમા છે, એની ગુફામાં ૧૨ જ્યોતિર્લિંગ સાથે અમરનાથનું શિવલિંગ પણ છે. ગલતેશ્વર મહાદેવ પરિસરમાં વહેતી તાપી નદીમાં સ્નાન કરવાથી કુષ્ઠ રોગ મુક્ત થવાય એવી માન્યતા છે.
પલસાણા તાલુકામાં કણવ ગામે તળાવ પર સ્વયંભૂ કણેશ્વર મહાદેવ.બારડોલીમાં કેદારેશ્વર.
ભરૂચમાં રેવાને તીરે નીલકંઠ મહાદેવ તો કાવીમાં સ્તંભેશ્વર.આ મહાદેવનાં શિવલિંગ પર ભરતી આવે ત્યારે આપોઆપ અભિષેક થાય અને શિવલિંગ જાણે આપોઆપ ગાયબ થઈ જાય.
શુકલતીર્થમાં શિવાલયમાં એક સાથે ત્રણ અલગ-અલગ શિવલિંગ છે.
ભરૂચમાં નીલકંઠ મહાદેવ, જૂનાં ભરૂચમાં કામનાથ આને હંસેશ્વર મહાદેવ, અંગારેશ્વરમાં સ્વયંભૂ મંગળનાથ મહાદેવ છે.
ડેડીયાપાડા તાલુકામાં કોકમ ગામે ૫૦૦૦ વર્ષ જુનું સ્વયંભૂ શિવલિંગ.
ઘણાં શિવાલયો છે.શ્રધ્ધાથી ભક્તિ કરીએ તો ઘરનાં મંદિરનાં શિવજી પણ પ્રસન્ન થાય.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા. બિલીમોરા
*******************************
NOG SS NO .0001
વિષય :– શિવ મહિમા, શ્રાવણ નો મહિમા.
શીર્ષક :– “ શિવને જળાભિષેક “
પ્રકાર :– ગદ્ય
દેવપોઢી એકાદશી પછી શરૂ થતાં ચાતુર્માસનો પ્રથમ મહિનો એટલે શ્રાવણ માસ .શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં ઘણું વધારે હોય છે. ભક્તો શિવભક્તિમાં લીન થઈને શિવમય બની જાય છે .આ માસમાં જ એક પછી એક તહેવારો ની પણ વણઝાર શરૂ થાય છે .એટલે ભક્તિમય વાતાવરણની સાથે સાથે તહેવારોનાં આનંદની પણ ઉજવણી ઉત્સાહ પૂર્વક કરાય છે .
આ માસમાં શિવજીને જળાભિષેક કરવામાં આવે છે. આ માસમાં ભાગવતનું કે શિવપુરાણનાં વાંચનનું કે શ્રવણનું પણ ખૂબજ મહત્વ છે .ઘણાં લોકો આ માસ દરમ્યાન શિવપુજા ની સાથે સાથે આખો મહિનો વ્રત ઉપવાસ કરે છે .તીર્થસ્થાનો ના દર્શન કરીને મહાદેવનાં આશીર્વાદ પણ મેળવે છે .
આ સમયમાં નદીઓમાં નવા નીર આવે છે એટલે લોકો આ માસમાં ખાસ તીર્થસ્થાનો એ જઈને નદી સ્નાન કરીને પવિત્ર થાય છે. ગંગાસાગર જેવા પવિત્ર સ્થળે તો હરિદ્વાર , ઋષિકેશ ,ગંગોત્રી, કાશી જેવા પવિત્ર સ્થળેથી પવિત્ર નદીઓનું જળ લાવીને શિવજીનો રુદ્રાભિષક કરવામાં આવે છે.એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્રમંથન પણ આ જ માસમાં થયું હતું .
સમુદ્રમંથન વખતે 14 રત્નો નીકળ્યા હતા એમાં વિષ પણ હતું ,અને એ વિષ મહાદેવે ગ્રહણ કરીને પોતાનાં કંઠમાં ધારણ કર્યું હતું. ત્યાર પછી સતયુગમાં મહાદેવને ઠંડક આપવા દેવી દેવતાઓએ મહાદેવ ઉપર જળનો અભિષેક કર્યો હતો, અને હાલ કળિયુગમાં પણ વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે મહાદેવ ઉપર જળાભિષેક કરવામાં આવે છે.
શિવપુરાણ મુજબ જળ એ સમસ્ત પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે , તેથી જ આ જળ એ સ્વયં મહાદેવનું જ સ્વરૂપ છે.
પ્રદીપ રાવલ “ સંચાલક “
********************************
NOG. SS.NO: 0099
પ્રકાર : પદ્ય( બાળ જોડકણાં)
શબ્દ: શિવ મહિમા
બોલો ઓમ નમઃશિવાય,
મોટું ના કોઈ શિવ સિવાય,
જેના વિના નહિ જીવાય,
સ્મરણ પછી જળ પીવાય.
આખો દિવસ કામકામ,
ભૂલીએ પ્રભુનું ધામધામ,
ટૂંકું ટચૂકડું શિવનું નામ,
ભજીને કરીએ આરામ.
શિવજી છે જટાળા,
કહેવાય કૈલાસવાળા,
ગળામાં છે સર્પમાળા,
દેવોમાં સૌથી નિરાળા.
શિવજી વહેલા આવજો,
ઉમિયાને સંગાથે લાવજો,
મારાં સઘળા કષ્ટો કાપજો,
સૌને સુખ-સમૃદ્ધિ આપજો.
🖊️ ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’ વલસાડ.