ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય, રચના
વિષય : ” મોક્ષ – માયા,, પ્રાણ – પ્રકૃતિ ” વિષયક રચનાઓ. દિવસ – ૨
www.janfariyadnews.com
email: prdpraval42@gmail.com
what’s up calling no : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
nog.ss.no . 0001
વિષય :– મોક્ષ — માયા
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ મોક્ષ એટલે શું ?”
કોઇ આપણને પુછે કે તમને સુખ ગમે કે દુઃખ ? તો કહીશું સુખ બરોબરને ? જીવનમાં સુખનો અનુભવ થયા પછી જો દુઃખનો અનુભવ થાય તો ગમતું નથી .આપણે હંમેશાં કાયમી સુખ શોધીએ છીએ .એ સુખ એટલે સનાતન સુખ કે જેમાં આપણને સંસારનું કોઈ જ દુઃખ સ્પર્શી ના શકે અને ત્યારે જ આત્માની મુક્તિ થઇ જાય એને જ મોક્ષ કહેવાય .
આપણે જીવતા જ સંપૂર્ણ મોક્ષ મેળવવો હોય તો આત્માના અજ્ઞાનથી મુક્ત થવું પડે .જ્યારે મુક્ત થઇએ ત્યારે જીવનમાં બધું સીધુ અને સરળ લાગશે , શાંતિનો અનુભવ થશે અને કર્મોથી મુક્તિ મળશે . મોક્ષ એટલે , “ સંપૂર્ણ પણે મુક્તિ પામેલા આત્માઓનું કાયમનું નિવાસસ્થાન .”
મોક્ષ શાસ્ત્રો કે વેદ પુરાણથી નથી મળતો .અનુભવ જ્ઞાન થી મળે છે .આ જ્ઞાન અનુભવી પાસેથી જ મળે . “ કાગળ પર દોરેલો દીવો પ્રકાશ નથી આપતો .” એક જ્ઞાની જ બીજાનાં જીવનમાં પ્રકાશ લાવી શકે છે . શાસ્ત્રો ભૂલો નહીં બતાવે પણ પ્રત્યક્ષ જ્ઞાની જ આપણી ભૂલો બતાવી શકે .એટલે જ મોક્ષ જોઈતો હોય તો છેવટે જ્ઞાની પાસે જવું જ પડશે .
આપણાં જીવનમાં આપણે કોઈપણ ધર્મનું આચરણ કરતાં હોઈએ છીએ . નોકરી ધંધો કરીએ , લગ્ન કરીએ , બાળકો થાય , ઘરનું ઘર થાય આ બધું કરવા પાછળનો એક જ આશય હોય છે કે શાંતિ મળશે ! પણ ના , આમાં તો દુઃખ પણ સાથે જ આવે છે . જેટલાં કર્મો એટલાં દુખ પણ ખરા જ ! માટે જ આવા અજ્ઞાનથી મુક્ત થવા માટે આત્મજ્ઞાન જરૂરી છે .
મૃત્યુ પછીની મુક્તિ શું કામની ? શું ત્યારે મોક્ષ મળશે જ એવી ખાતરી ખરી ? ના ! તો પછી આપણે જીવતાં જ મોક્ષ માટેનાં કર્મો કરવા જોઇએ . આપણે આપણી જ ભૂલોને જોઈ શકીએ , સ્વીકારી શકીએ એ જ મોક્ષનું પહેલું પગથિયું છે .એની માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ખૂબજ જરૂરી છે .આત્માને કોઈપણ રાગદ્વેષ વિના શુદ્ધ કરીને એટલું સ્વીકારીએ કે આ સ્થૂળ દેહ છે .તેનો નાશ નક્કી છે . આત્માજ પરમાત્મા સાથે લીન બને છે તેનું મૃત્યુ થતું નથી . તે અવિનાશી છે .આટલી સમજણ. સાથેની જો સિદ્ધિ પ્રાપ્ત થાય તો જ જીવતાં મોક્ષની અનુભૂતિ થઈ શકે છે .
અનંતકાળથી આપણે પોતે દેહ. સ્વરૂપે જ રહ્યા છીએ , પણ આ એક નશ્વર દેહ જ છે .એ મારો નથી પણ એમાં રહેલો આત્મા એ મારો છે જે મને પરમાત્મા સુધી લઈ જશે . આવી સમજ એટલે જીવતાં જ મોક્ષ !
પ્રદીપ રાવલ..સંચાલક
**************************†*****
nog ss no : 0077
*વિભાગ:ગદ્ય/લેખ*
*શબ્દસંખ્યા:350*
*શીર્ષક: પ્રાણ-પ્રકૃતિ. એક સિક્કાની બે બાજુ*
પ્રાણ અને પ્રકૃતિ એકબીજાનાં પર્યાય છે. એકમાં ખલેલ પહોંચશે તો તરત જ બીજો રીએક્ટ કરશે.ખાસ તો પ્રકૃતિનું ખલેલ પ્રાણને વધું હાનીકારક છે.
પ્રાણ અને પ્રકૃતિ પંચમહાભૂતથી બનેલ છે.એ છે,
૧)અગ્નિ
૨)જળ
૩)વાયુ
૪)આકાશ
૫)પૃથ્વી
-જન્મ પૃથ્વી પર ધારણ કર્યો અને મૃત્યુ પછી એમાં જ સમાવિષ્ટ થઈશું.
-આકાશ આપણા સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે ,એ સર્વ અંગોને અવકાશ પુરો પાડે છે.
-જળ તત્વ દ્વારા શરીરમાં લોહી પ્રવાહીરૂપે ફરે છે.
-અગ્નિએ શરીરના ખોરાકનું પાચન કરે છે,ભૂખ લગાડે છે,જઠરાગ્નિ પ્રદિપ્ત કરે છે.
-વાયુ તત્વએ શ્વાસ સ્વરૂપે પ્રાણવાયુ આપી જીવાડે છે.અને ઉચ્છશ્વાસરૂપે નીકળતો ઝેરી વાયુ, જેને વૃક્ષો શોષણ કરી પોતાનું જીવન ટકાવી રાખે છે.
આમ કહેવાનુ તાત્પર્ય એટલુંજ છે જેનાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું એ જ પ્રકૃતિ મનુષ્યનાં શરીરમાં પણ સ્થિત છે.
આની વધતે ઓછે અંશે શરીરમાં વ્યાપકતા વ્યક્તિની પ્રકૃતિનું નિર્માણ કરે છે.
-પૃથ્વી તત્વ વધુ હોય તો એ વ્યક્તિ ઠરેલ અને ઠાવકી હોય છે.
-આકાશ તત્વની અધિકતા વ્યક્તિને નિખાલસતા, બહોળા પરિવેશમાં વિચારવાની ક્ષમતા,વિશાળ હ્દય આપે છે.
-અગ્નિ તત્વથી ગુસ્સાવાળો સ્વભાવ ,આક્રમકતા અને ઝડપી ક્રીયાશીલતા રહે છે.
-જળ તત્વની પ્રધાનતા વ્યક્તિને અત્યંત મીલનસાર,હસમુખો અને હળીમળીને રહેનાર આકર્ષક વ્યકિત બનાવે છે
-વાયુ તત્વની પ્રધાનતાને કારણે વ્યક્તિ ઝડપથી પ્રગતિ કરે છે, નિર્ણયોમાં વારંવાર ફેરબદલી થયા કરે છે.કોઈનાં પણ પ્રભાવમાં ઝડપથી આવે છે.આવાં લોકો સરળતાથી મેસ્મરાઈઝ કરી શકાય છે.
તો મિત્રો ,કહેવાનું તાત્પર્ય એ જ છે કે જે પાંચ મહાભૂત જેને આપણે પ્રાણથી ઓળખીએ છીએ ,એનાંથીજ પ્રકૃતિનુંનિર્માણ શક્ય બન્યું છે.
બાકી તો પંચતત્વોનું અસંતુલન એ શરીરનું હોય કે પછી બ્રહ્માંડનું, એનાં લેખાજોખા કુદરત સતત કરતી જ હોય છે. એની મેળેજ તાળો મેળવી સઘળુંય સંતુલીત પણ કરીજ દેતી હોય છે.
શરીર માટે પ્રાણનું અસંતુલનએ નવા રોગો, બેક્ટેરીયા, વાયરસ કે ન સાંભળેલ બિમારીઓનો ભોગ બનાવે છે.
કેન્સર,એઈડ્સ,ડિપ્રેશન અલ્ઝાઈમેર, ટી.બી,ચામડીનાં રોગો અને હવે કાળમુખો કોરોના એ વ્યક્તિની પ્રાણ ઉર્જાને ખલેલ પહોંચાડી ચૂક્યાં છે.
સુનામી,ધરતીકંપ,વાવાઝોડા,જ્વાળામુખી,દાવાનળ,ભુસ્ખલન કરી ,પ્રકૃતિ માનવજાત જોડેના હિસાબકિતાબ સમજી લે છે.
આમ તો કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે અને સાથે જાય પણ હું યોગની થોડી ઘણી જાણકારીનાં આધારે એટલું ચોક્કસ કહી શકું કે ખુદની અંદર રહેલ પ્રાણને જો સમજી લઈએ તો ખુદની પ્રકૃતિમાં ફેરફાર કરી આ કહેવત સો ટકા ખોટી પૂરવાર કરી શકાય અને અનુભવ સિધ્ધ બાબત છે.
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
********************************
nog ss no . 0095
વિષય :– પ્રકૃતિ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ કુદરત અને સ્વભાવ “
પ્રકૃતિનો એક અર્થ એટલે કુદરત અને બીજો અર્થ એટલે સ્વભાવ .
કહેવાય છે કે “ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય .” ઘણીવાર આંખે દેખાતું સત્ય ના પણ હોય તોય આપણને સ્વભાવગત માનવા માટે મન મજબૂર કરે અને ઘણીવાર સત્ય આપણાં મન ઉપર હાવી થાય અને અમુક પ્રકારનું વર્તન કરવા મજબૂર કરે .બંનેમાં વિરોધાભાસ છે , પણ સ્વીકારવું જ રહ્યું. ઘણીવાર લોકો આપણાં વર્તન , વાણી કે સ્વભાવની ઈર્ષ્યા કરીને આપણાં વિશે ખોટી વાતો ફેલાવે આપણે બધું જોઈએ , સમજીએ છતાંય આપણી પ્રકૃતિ મુજબ જ વર્તીશુ .પ્રકૃતિ આખરે માણસના વાણી , વર્તન કે વિચારોથી જ ઉદ્ભવે છે .કોઇ આપણા માટે ગમે તેટલું ઘસાઈ ચૂક્યું હોય એનો ગુણ જોવાને બદલે એના અવગુણ શોધવામાં જ સમય બગાડીએ છીએ .આવી છે આપણી પ્રકૃતિ .
પ્રકૃતિ એટલે કુદરત .પ્રકૃતિ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે . ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરતી આ પ્રકૃતિમાં ઈશ્વરનાં તમામ ગુણોના દર્શન થાય છે .જરૂર છે તો માત્ર એની અનુભૂતિ કરવા માટેની દ્રષ્ટિની . આપણે પ્રકૃતિને જાણી , માણી પણ શકીએ છીએ કારણકે એ ચેતનવંતી છે . સાંભળવા માટે કાન અને નીરખવા માટેની આંખો જોઈએ .પ્રકૃતિ તો પરમાત્મા સુધી પહોંચવા માટેની સીડી છે .
આજે એક નાનો એવો પ્રસંગ કહેવાનું મન થાય છે .એક સ્ત્રીએ એક સંતની ખૂબજ ભક્તિ આરાધના કરી. એકવાર એ સ્ત્રીએ સંત પાસે જઈને કહ્યું , “ હું આપની પૂજા ભગવાનની જેમ કરું છું . મેં આપની છબી પર એક લાખ બીલીપત્ર ચડાવવાની માનતા રાખી છે , પણ હું જ્યાં રહું છું ત્યાં બીલીપત્ર મળતાં નથી . ઉનાળો આવી ગયો છે એટલે હવે બીલીનાં પાન પણ ખરી ગયા છે . પચાસ હજાર તો ચડાવી દીધાં છે પણ હવે શું કરું ?
સંતે કહ્યું હું ભગવાન નથી કે પર્ણો ઊગાડી શકું ! એક કામ કર બાકીનાં પચાસ હજાર ચીમટાં તારા શરીર પર ભર તારી માનતા પૂરી થશે . સ્ત્રી બોલી એ તો બહુજ પીડાદાયક બને ! બરોબર છે .” વૃક્ષ પણ એવી જ પીડા અનુભવતું હશે ને ?” માટે હંમેશાં એનાં પ્રતિ એટલાં ક્રુર ના બનો પણ એનું જતન કરો .
માટે જ મહાપુરુષો પોતાની દિવ્યશક્તિ અને દ્રષ્ટિ થી પ્રકૃતિ સાથે વાતો કરી શકતા હોય છે. પ્રકૃતિનું જતન કરવામાં જ પરમાર્થ રહેલો છે .
દીપિકા ચાવડા “ તાપસી “
********************************
nos ss no : 0055
વિષય : મોક્ષ માયા
પ્રકાર : ગદ્ય
શીર્ષક : “શિવોહમ્ ”
**********************
શર્વરી પોતે કોઈ હિન્દુસ્તાની સાધુનું સંતાન હતી એવું તેની મા કહેતી હતી. માને મર્યા વર્ષો થયા પણ પોતે આજે જ્યારે ભૌતિકતાથી કંટાળી અને મનની શાંતિ માટે ભારત પાછી ફરી રહી હતી .. અતિશય વિલાસિતતા તેને એઇડ્સની પેશન્ટ બનાવી ચૂકી હતી..બસ, તેને જોઈતી હતી શાંતિ… મૃત્યુ પહેલાની શાંતિ….
દિલ્હી એરપોર્ટથી તે ટ્રેન દ્વારા હરિદ્વાર જઈ રહી હતી…તેના અંતિમ ગંતવ્ય તરફ… સાથે ઉપરની બર્થમાં રહેલા બાબા .. જાણે કોઈ દેવદૂત બની આવ્યા હતા. તેઓ પણ હરિદ્વાર જઈ રહ્યાં હતાં જેણે શર્વરીને હરિદ્વાર સુધી સાથ આપ્યો એટલું જ નહિ પણ પુત્રીવત પ્રેમ આપી આશ્રમમાં રહેવા વ્યવસ્થા પણ કરી…
ધીરે ધીરે જ્ઞાનના પડળ ખુલવા લાગ્યા અને આયુષ્યના પડળ બંધ થવા લાગ્યા અંતે એક દિવસે તે મા ગંગાની ગોદમાં સદા સુઈ ગઈ અને ઋષિ પિતાના હાથે અગ્નિ સંસ્કાર પામી એ મોક્ષ, શાંતિ પામી કે જેને માટે તે હજારો કિલોમીટરથી આવી હતી…..
શ્રદ્ધા ભટ્ટ…વાપી
********************************
nog ss no : 104
પ્રકાર – ગદ્ય
શિર્ષક : મોક્ષ કે માયા ??(ચિત્ર પરથી લખાણ)
*************
મુંબઇથી દિલ્હી રાજધાની ટ્રેનમાં મારા કંપાર્ટમેન્ટમાં બોરીવલીથી ત્રણ ચાર શિષ્યો સાથે મહારાજ ચઢ્યા.
હું આજુબાજુ જોતી હતી. સામેની બર્થ પર એક મધ્યમ ઉંમરનું કપલ અને એમની ટીનેજર દીકરી હતી. અને સાઈડની બર્થ પર નીચે અત્યંત આકર્ષક, સુંદર ફિગર ધરાવતી, મઘમઘતી , લગભગ પારદર્શક અને શોર્ટ કપડાઓમાં એક વિદેશી યુવતી અર્ધખુલા પગ સાથે નીચેની બર્થ પર બેઠી હતી. સામે એની એક પાછળ ભેરવવાની નાનકડી હિપ્પીઓ જેવી બેગ પડી હતી.
એ યુવતી મોબાઈલ અને વાયરલેસ હેડફોનથી કોઈ વિદેશી સંગીત પર ઝૂમી રહી હતી.
મહારાજના શિષ્યોએ આવીને મહારાજની 4 બેગો અમારી સીટો નીચે ગોઠવી. શિષ્યોએ મહારાજને ઉપરની બર્થ પર ચઢાવવામાં મદદ કરી અને નમસ્કારની મુદ્રામાં ઉભાં રહ્યાં અને મહારાજની આજ્ઞાની રાહ જોતાં ઉભાં રહ્યાં. મહારાજે એક પણ શબ્દ બોલાવ્યા વગર માત્ર હાથ હલાવીને એમને પોતાના બર્થ પર જવા આદેશ આપ્યો.
ટ્રેન ચાલતી હતી. હું મારૂ મનગમતું પુસ્તક વાંચવા માંડી. સામેની ટીનેજર છોકરી પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી અને એનાં મમ્મી પાપા એમની સાંસારિક વાતોમાં મસ્ત હતાં. મહારાજે પોતાની બેગમાંથી માળા લઈને આંખો બંધ કરીને ફેરવવા માંડી.
મહારાજની પ્રતિભા અને વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ અંજાઈ જાય. શુદ્ધ સફેદ વસ્ત્રો, તેજસ્વી મુખ. મને પણ એમનાં વિશે જાણવાની ઉત્કંઠા.
વારંવાર શિષ્યો ગુરુજીને નમ્ર ભાવે આવી આવીને સગવડ પૂછી જતાં હતાં . મારાથી ના રહેવાતા મેં સહજભાવે પૂછી લીધું.
” પ.પૂ.ધ.ધુ. શ્રી શ્રી ઓમકારેશ્વરજી, અત્યારે જ ધર્મ પરિષદમાં મુખ્ય સ્થાન શોભાવીને, લોકોને જ્ઞાનનું આશીર્વચન આપીને આવ્યાં છે. મુખ્ય આશ્રમ મથુરામાં છે. અને હરિદ્વાર, મુંબઇ ,ગોવા, કોલકાતા, કંચિપુરમ, ત્રિવેન્દ્રમ, ઇન્દોરમાં એમનો આશ્રમ છે. અને દેશના કેટલાયે મોટાં મોટાં મહાનુભવો એમનાં આશીર્વાદ માટે રાહ જુએ છે. આજે તમે ભાગ્યશાળી છો એમનાં દર્શનનો આજે તમને લાભ મળ્યો છે. ” શિષ્યની વાતો સાંભળી હું અને મારી સામેનું કપલ અભિભૂત થઈ ગયું.
સામેનાં કપલમાંથી પુરુષે ઉભાં થઈને મહારાજના ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. શિષ્યએ વિનમ્ર ભાવે એમને અટકાવીને દૂરથી જ વંદન કરવા કહ્યું.
મેં પણ દૂરથી જ હાથ જોડીને મહારાજને વંદન કર્યા.
મહારાજે અમને બધાંને આશીર્વાદ આપ્યાં.
હું મારી જાતને ધન્ય સમજતી હતી. એવી જ હાલત કંપાર્ટમેન્ટમાં હતી. એક અલ્લડ વિદેશી યુવતી અને મારી સામે બેઠેલી ટીનેજર યુવતીને કોઈ ફેર ન પડ્યો.
” મૈથેલી મહારાજને વંદન કર ” એની મમ્મી એ રીતસર ટોકી. એટલે એ ટીનેજર છોકરીએ મહારાજ ને ઉભાં થઈને વંદન કર્યા.
ટ્રેન ચાલતી રહી. મહારાજ પોતાની ધ્યાન પૂજામાં વ્યસ્ત હતાં. પેલી વિદેશી યુવતી પોતાના સુંદર, કમનીય, અર્ધનગ્ન શરીર સાથે આખા ડબ્બામાં આંટા મારતી હતી અને અનેક પુરુષોને લલચાવતી હતી. મને જરાયે ન ગમ્યું.
“સાવ સંસ્કાર વગરની હોય છે આ વિદેશી યુવતીઓ, કપડાં પહેરવાની પણ સભ્યતા નથી. ” હું મનમાં બોલી.
” સંસારનો દરેક વ્યક્તિ મોહમાયાથી ઘેરાયેલો છે. ધન, વૈભવ , સોનું, જમીન, સ્ત્રીઓ પાછળ બધાં જ પાગલની જેમ દોડી રહ્યાં છે. કશું જ સાથે નથી આવવાનું. મૃત્યુ પછી તો માત્ર પ્રભુની ભક્તિ કરી હશે એ જ કામમાં આવશે. એટલે જ જાગ્રત થઈને મોહમાયા ત્યાગીને પ્રભુ ભક્તિમાં ધ્યાન ધરો તો આ જન્મે મોક્ષ મળશે. અન્યથા કદીયે જન્મ જન્માનતરના ફેરામાંથી બહાર નહીં આવી શકો. ધર્મ ધ્યાન કરો અને આ જીવનમાં પ્રભુને પામવાનો પ્રયત્ન કરો.
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રભુ પૂજા અને આખાં દિવસમાં 5 સારાં મુહૂર્તમાં પ્રભુનું ધ્યાન ધરો, વિકૃત આહાર ત્યાગો, સાદું જીવન જીવો, પુરુષો બ્રહ્મચર્ય પાળે તો પુણ્ય મળશે અને એ જ પુણ્ય આવતાં જન્મે કામ આવશે. ”
” પ્રભાવશાળી વાણીમાં મહારાજે વંદન કરવા ડબ્બામાં ભેગી થયેલી ભીડને આશીર્વચન આપ્યાં.
હું મનોમન મહારાજને વંદન કરી રહી. મહારાજ પાસે જ્ઞાનનો ભંડાર હતો.
“એમણે લગ્ન ના કરીને આજીવન બ્રહ્મચર્યનું વ્રત પાલન કર્યું છે, એમનાં શિષ્ય થવાનું ભાગ્ય બહુ ઓછાને મળે છે. મહારાજ પોતાની સાથે બેગમાં સાધના માટેનું આસનથી લઈને , પુસ્તકો, કપડાંઓ, પૂજાનો સામાન, નાનકડી મૂર્તિ, ગંગાજળ લઈને જ નીકળે છે. દરરોજ બધું ગંગાજળથી પવિત્ર કરીએ છીએ. મહારાજની એક એક વસ્તુ અમૂલ્ય અને પવિત્ર છે.” એક શિષ્યએ કહ્યું.
મહારાજે શિષ્યને ઈશારો કર્યો. અને શિષ્યએ બેગમાંથી પ્રભુની સુંદર મૂર્તિ કાઢીને એક નાનકડી તાંબાની થાળીમાં મૂકીને પૂજા સામગ્રી, દૂધ ,પાણી સાથે આપી અને મહારાજે ધીમે ધીમે ભાવપૂર્વક પ્રભુની પૂજા શરૂ કરી. એમનું આ રોજની પ્રભુ સેવા હશે એવું લાગ્યું. એમની પૂજા લાંબી ચાલશે એવું લાગ્યું.
અચાનક સામે બેઠેલી મૈથેલી બેચેન થઈ ઉઠી. એ અને એની મમ્મી ઝડપથી બેગમાંથી કઈંક શોધવા લાગ્યાં.
પણ ન મળતાં એની મમ્મી લગભગ ગુસ્સેથી મોટા અવાજે બોલી ” કેટલી વાર કહ્યું હતું કે સેનેટરી પેડ બેગમાં રાખજે, ક્યારે સમજણ આવશે તને, હવે શું કરીશું ” ડબ્બામાં વાતાવરણ અચાનક ગંભીર થઈ ગયું. હું એ ઈમરજન્સી સમજી ગઈ પણ મારી પાસે પણ પેડ ન હતું.
એની મમ્મીએ રીતસર મૈથેલીને ખેંચી અને ડ્રેસ ચેન્જ કરવા રેલ્વેનાં ટોયલેટ તરફ હાથ પકડીને લઈ જવા મંડી. વચ્ચેની ચાલવાની જગ્યામાં ફેરિયો અને મહારાજના શિષ્ય હતાં એટલે ઉઠીને જતાં મૈથેલી જરા ઉપરની બર્થને સામે ટેકો લઈને ઉભાં રહેવાનો પ્રયત્ન કર્યો. એમાં ભૂલથી એનો હાથ મહારાજના પગને સ્પર્શી ગયો.
મહારાજની પૂજા ભંગ થઈ અને એમનાં ચેહરાના ભાવ બદલાઈ ગયા. શિષ્ય વિહ્વળ થઈ ગયાં.
” કુલટા , અસંસ્કારી , ભાન નથી પડતી, કેવા સંસ્કાર આપ્યાં છે માતા પિતાએ? મારે હવે નહાઈને શુદ્ધ થઈને આખાં દિવસની પૂજા ફરીથી કરવી પડશે, અભડાવી દીધો મને ” મહારાજે સાતમાં આસમાનના ગુસ્સા સાથે કહ્યું.
ગભરાઈને મૈથેલી, અને એનાં મમ્મી પાપા “માફ કરો, ભૂલ થઈ ગઈ ” કરતાં હાથ જોડવા લાગ્યાં. પણ શિષ્ય અને ગુરુજીનો ગુસ્સો ફાટી પડ્યો. અનેક શ્રાપ અને કાળવાણી એમનાં મુખમાંથી ધાણીની માફક ફૂટતી હતી.
” મૈથેલી એ મોટું પાપ કરી નાખ્યું ” એની મમ્મી બોલી.
અત્યાર સુધી પોતાની દુનિયામાં મસ્ત એવી અર્ધનગ્ન યુવતી ઉભી થઈ, પોતાની બેગ ખોલીને એમાંથી એક સેનેટરી પેડ કાઢીને એણે મૈથેલીને આપ્યું. એણે મોબાઈલ સાઈડ પર મુક્યો. એમાંથી ઇસ્કોનના મધુર ભજનોની સુરવાલી રેલાઈ રહી હતી.
” મહારાજ, જે બાબત તમને અભડાવનારી લાગે છે , એ વ્યવસ્થા પ્રકૃતિએ કરી છે. અને તમારી ‘મા’ પણ આ જ પરિસ્થિતિમાંથી કેટલીએ વાર પસાર થઈ હશે ત્યારે તમે આજે આ જ્ઞાન વાણી બોલી શકો છો. પ્રકૃતિએ કદી ભેદ નથી કર્યો તો તમે કેમ કરી શકો?
સ્ત્રીને શક્તિ સ્વરુપે સ્વીકારો અને માન આપો, એની સાથેની આ કુદરતી વ્યવસ્થાને સહજ ભાવે સ્વીકારો. પૂજા અને ધ્યાનને બદલે કોઈનું સારું કર્મ કરો એ જ સાચું સુખ, સ્વર્ગ અને એ જ મોક્ષનો રસ્તો છે.
જ્યાં સુધી સ્ત્રી , પ્રકૃતિ, શક્તિનું સન્માન ન કરો ત્યાં સુધી કદાચ તમારે અનેક જન્મો મોક્ષ મેળવવા લેવા પડશે મહારાજ . ”
શુદ્ધ હિન્દી અને સંસ્કૃતમાં એક વિદેશી યુવતી વર્ષોથી સમય મળ્યે ભારતીય હિન્દૂ સંસ્કૃતિનાં સન્માન માટે, સેવા માટે, માત્ર એક નાનકડો થેલો લઈને આવતી અમેરિકાની એન્જલિનાને બોલતી જોઈને હું લગભગ આભી થઈ ગઈ.
મહારાજ અને શિષ્યોની બોલતી બંધ થઈ ગઈ. મૈથેલીને લઈને એની મમ્મી ટોયલેટ તરફ ગઈ. વંદન કરીને એન્જલિના ફરીથી કૃષ્ણ ભજન સાંભળવામાં મગ્ન થઈ ગઈ.
મારી તમામ ધારણાઓ ભગ્ન થઈ ગઈ. મોક્ષનો સાચો રસ્તો મળી ગયો. એક બેગ વાળી એન્જેલીના આજે ધર્મ ધુરંધર મહારાજને અને મને મોક્ષનો રસ્તો બતાવી ગઈ.
~દિપાલી લીમકર “દીપ”
અબુધાબી