NOG SS NO:004
વિષય: રામાયણ
શીર્ષક: રામાયણનું સ્ત્રી પાત્ર*મંથરા*
રામાયણની રચના મહાન ગ્રંથ કાવ્ય રૂપે થઈ. સ્ત્રીઓની સૌમ્યતાઓનાં દર્શન થયાં. રામની માતા કૌશલ્યાની સૌમ્યતાને પિતાની રાજકુશલતા અને રઘુવંશની રીતિ નીતિ અપનાવી ચારે ભાઈઓ જેવાકે
રામ લક્ષ્મણ ને ભરત શત્રુઘ્ન મોટા થયાં. માતા કૈકેયી સાથે પિયરથી આવેલી *મંથરા* તેના પ્રેમનાં બંધનોથી
કૈકેયીને સત્ય સમજાવી ન શકી.
કૈકેયીને નાનપણથી મોટી કરી હતી. રાજરાણી રૂપે
જોવા માંગતી હતી, પણ જીવનની હર પળ હર ઘડી જો મનની જ પરાકાષ્ઠા પૂર્ણ થતી જ હોત તો પરણીને સીતા
વનવાસ ન ભોગવ્યો હોત?પાર્વતીએ હર જન્મમાં મહાદેવ
ન ગુમાવ્યા હોત! તપ દરેક દેવીએ ન કરવા પડ્યાં હોત!
મંથરા સ્ત્રી હતી તે ભરતને રાજગાદી પર જોવા માંગતી હતી.. પણ ભરત રામનાં સંસ્કાર હતા. તેઓને
એ મંજુર થાત જ નહિ એ દાસીનાં સંસ્કાર નહોતા! મંથરા
દાસી હતી તેથી તે વિચારો ધરાવતી હતી. દ્રષ્ટિકોણનો અભિગમ જ જુદો હતો..!
જોવાની દ્રષ્ટિએ કૈકેયીને ભ્રમિત કરી, સ્ત્રી સહજ રૂપે
મંથરા પ્રગટ થઈ ! દશરથને કર્મની ગતિ મળી ને કૈકેયીને
પુત્રના સંસ્કારની ગતિ મળી. એક કુકર્મી વિચારે આખા રાજ તખ્તાની બાજી જ ઉથલાવી કાઢી. પુત્ર રાજગાદી પર ન બેઠો ને પાદુકા દ્વારા રાજપાટ ચાલ્યું. મંથરાની અવળી ગતિએ અધોગતિ થઈ. રામાયણમાંનું એક કઢંગી, મનો દશા વાળું સ્ત્રી પાત્ર મળ્યું.
વર્ષોનાં વહાણાં વાયા ને પૃથ્વી પર મંથરા નું પાત્ર આજે પણ દરેક સ્ત્રીમાં શોધવામાં આવે છે. મંથરાની આ
કર્મની ગતિ, તેને દોષિત કરી ગઈ, નહિતો મનથી તો તેણે
ભરત અને કૈકેયી પ્રત્યેની મમતા જ દર્શાવી હતી.. વાંચક
મિત્રો.. શું કહો છો?
રામાયણનાં અનેક પાત્રો ઉલેચાયા, વાંચ્યા પણ એક વાત જરૂર જ જાણીશું કે રામાયણએ *સૌમ્ય ગ્રંથ*
છે. જે વાંચવાથી જરૂર જીવનનાં સાચા માર્ગને અપનાવી
શકીશું.મિત્રો સંસારની ચક્રમાળ ગતિ ચક્રમાન રૂપે વિશ્વાસ રૂપી આહ્વાન એટલે જ *રામાયણ*
અસ્તુ
જયશ્રી પટેલ
૨/૫/૨૧
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય,પદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : વટ.વચન.વેર વિષયક રચનાઓ – .દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No – 0080
વિષય – ગદ્ય
શીર્ષક – વચન (લઘુકથા )
સનરાઇઝ સ્કૂલ, શહેરની નામાંકિત સ્કૂલ!જેમાં તગડી ફી ભરીને વર્ગમાં વિધાર્થીઓ ભણતાં. શાળાની પાછળનાં ભાગમાં ઘેટાં બકરાંનો વાડો હતો.એમાં ઠાંસીઠાંસીને ઘેટાં બકરાં ભરેલાં હોય! ક્યારેક એનો અવાજ પણ અભ્યાસમાં ખલેલ પહોંચાડતો.
. પાનખર આવે ને ઝાડવાં પાંદડાં ખંખેરી નાંખે, વાલી ફીનાં કોથળા ખંખેરીને ચાલ્યા જતાં.
રવિ, ગામડાંનો સામાન્ય ઘરનો છોકરો. હોસ્ટેલમાં રહી સાયન્સમાં અહીં ભણતો. ભણવામાં મધ્યમ, બાપા ખેતરમાં મજૂરી કરતાં. કહેતાં કે હું તો અંગૂઠા છાપ છું, પણ મારાં રવિને દાક્તર બનાવવો છે.
અજયસર પોતે સ્કૂલમાં મનુસર જેટલાં જ હિસ્સેદાર હતાં. સામાન્ય સ્થિતિનાં વાલીની દશા જોઈ એનું અંતર ઘણીવાર ડંખતું.
રવિને ઘણાંય દિવસથી ચેન પડતું ન હતું. જો પરિણામ નબળું આવશે તો?
પરિણામની માર્કશીટ લેવા બધાં વાલીઓ સાથે આવવા લાગ્યાં.ગામડેથી બે વાહન બદલીને રવિના બાપા પણ નિશાળે પહોચ્યાં.
ત્યાં એમ્બ્યુલન્સ આવી .અને પાછળ પોલીસની જીપ પણ.., છાનો ખળભળાટ મચી ગયો !
શાળાની પાછળ આવેલા ઘેટાં બકરાંનાં વાડામાં એક છોકરાએ લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસ કર્મીએ લટકતું ડેડબોડી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી કરી.
મનુસરે ઓફિસમાંથી સટીક નજરે રવિના
બાપાને જોયા. ઓફિસમાં બોલાવી તેને હળવેક થી વાત કરી. એનું આકરું રુદન.. કલ્પાંતથી ઓફિસની દીવાલો પણ ધ્રુજી ઊઠી !
મનુસરે તગડી રકમ મીડિયા પાછળ ખર્ચી નાંખી. પણ અજયસરનો અંતરાત્મા ખળભળી ગયો. એણે ઝટકા સાથે જ ટંકશાળને ઠોકર મારી દીધી. પોતે પોતાની જાતને વચન આપીને…
નવાં વરસે ફરી પાછાં નવાં એડમિશનની લોભામણી જાહેરાત.. આ વખતે એમાં અજયસરનું નામ ન હતું.
વર્ષા જાની
ભાવનગર.
*******†*********************************
*NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:વટ*
*શીર્ષક: વટનો કટકો*
બેનબા અમારાં વટનો કટકો,
બધાંયથી ભારે એમનો લટકો,
સમજાય તો
અહીંયા ટકો,
બાકી ના સમજાય તો
અહીંથી છટકો..!
કામમાં ઢેકો એમનો નમે નહીં,
ને તોય ઘરમાં એમને કોઈ દે નહીં સટકો…!
ફુલફટાંક થઈ ફરી ખાવું,
ખાટલેથી પાટલે ને
પાટલેથી ખાટલે એવો
એમનો ફૈડકો…!
બેનબાને કોઈ ટોકે તો
મગજ એમનું ઝેલતું ના ઠપકો,
સટાક દઈને મોઢું તોડે
એવો એમનો ભપકો…!
ઉંમર થઈ બેનબાની
ઘણાંએ કીધું હવે તો અટકો,
પણ સાંભળે એ બીજાં
કહે જાવ આઘા
તમે મને કણાંની
જેમ ખટકો…!
એક દિ’ કીડીએ
ભર્યો બેનબાને ગાલે ચટકો,
જાતે ગાલે તમાચો ઝીંકી
દઈ આપ્યો બધાંને ઝટકો…!
વટ તો એમનાં અસ્તિત્વનો
આધારીત ટેકો,
એમાંને એમાં વીતી ગયો
દશકો…!
એમનાં વટની વાતો આગળ
ગમે તેટલાં માથા પટકો,
બેનબા ટસનાં મસ ના થાય
ભલે કામે લાગે ગમે તેટલાં
ઘટકો…!
આ વાત જો તમને સમજાય
તો અહીંથી છટકો,
બાકી આવાં બેનબા જેવા
તો ઘેર ઘેર છે નાટકો…!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
*****************************************
NOG.SS NO : 0022
વિષય : વટ, વચન અને વેર
વિભાગ : ગદ્ય
પ્રકાર : લેખ
શીર્ષક : પ્રતિજ્ઞા
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
“મેઘલ, આપણી હાર્ય દગો થયો છે. અહીં તો મને મોત આપવા માટે બોલાવ્યો હતો.” ઊંડા શ્વાસ ભરતાં હરિસિંહે કહ્યું. તેના પેટમાં વાગેલા ઘામાંથી રક્ત વહી રહ્યું હતું.
“આમાં બાપજીનો વિશ્વાસુ ખીમજી અને તારા ભાઈ જાદવસંગનો હાથ છે. ખીમજી કટાર મારીને ભાગી ગયો પણ જાદવ તો જ્યમ મારા પ્રાણ લેવા હોય તેમ પાછળ દોડતો રહ્યો.”
“આવું ક્યારેય ન બને! મારો ભાઈ તો ભગતડો, એના હાથમાં કટાર નહીં, કરતાલ હોય છે.”
“મરતો માણહ જુઠ્ઠું ન બોલે.મારા દીકરા પાસે વેર લેવરાવજે.” એટલું કહીને હરિસિંહે પોતાનો દેહ મૂકી દીધો. સામાન્ય સંજોગોમાં આ થયું હોત તો મેઘલ સતી થઈ હોત, પણ તે તો વચનથી બંધાઈ ચૂકી હતી. દરવાજે તેનો ભાઈ જાદવ ઉભો હતો. મેઘલે થોડું વિચારીને લાંબો ઘૂમટો તાણીને દરવાજો ઉઘાડ્યો.
જાદવ હબક ખાઈ ગયો, પોતાની સગી બેન આ રીતે ઘૂમટો તાણે એ મરણ કરતાં પણ ભયંકર હતું. તેણે બહુ નિર્મળતાથી પૂછ્યું, “બેનબા, આજે કેમ આવું? હું તો તારો માજણ્યો છું, મારાથી આડશ કેમ?”
“મારું સોહાગ ઉજડનારને ભાઈ ક્યમ કહેવો! મેં મારા મરતાં ધણીને વચન આપ્યું છે, આ જે ઘોડિયામાં સૂઈ રહ્યો છે, તે તારું મસ્તક ઉતારશે તે દી જ આ ઘૂંઘટ આઘો ખસશે.”
બહેનની આવી પ્રતિજ્ઞા સાંભળીને જાદવનું મન ભરાઈ આવ્યું, તેણે ગળગળા સાદે કહ્યું, “બેનબા, હવે હું ખરાઈ નહીં કરાવું, પણ તેં ખોટી પ્રતિજ્ઞા લીધી, તું તો અબઘડી આ તલવાર લે અને મારું મસ્તક ઉતારી લે. મારો આ માસુમ ભાણો કયે દહાડે મોટો થશે અને મારું મસ્તક ઉતારશે! એટલા દિવસ હું આ ઝેરના ઘૂંટડા કેમ પીશ?”
“બસ વીરા, હજી થોડો સમય અહીં રહીશ તો મેં આપેલું વચન ફોક થશે. તું અહીંથી વયો જા.”
આંખમાં આંસુ સાથે જાદવ પાછો પડ્યો અને ઘર તરફ વળી ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરીશ. તે જાણતો હતો કે તેના પિતાના વિશ્વાસુ ખીમજીએ હરિસિંહને કટાર મારી છે એટલે તેના પિતાએ જ આ આદેશ આપ્યો હશે પણ પિતાના વિરોધમાં કેમ ઊભું રહેવું?
વરસો વીતવા લાગ્યાં અને જાદવસંગનો સમય ઘરમાં જ બાંધેલા કાળિયા ઠાકરના મંદિરમાં સેવા કરવામાં વીતવા લાગ્યો હતો. તેનો રસ સંસારમાંથી ઊઠી ગયો. રાજનું પ્રત્યેક જણ તેને જોગીડો કહીને બોલાવતું. જ્યારે તેના પિતા મરણપથારીએ પડ્યાં ત્યારે તેમણે જાદવને બોલાવ્યો અને કહ્યું, “દીકરા, હવે સમય આવી ગયો છે કે તું રાજકાજ સંભાળી લે. તારી વહુ તો કાળિયા ઠાકર પાસે જતી રહી છે અને વંશ અધૂરો છે. તું બીજાં લગન કરીને વંશ આગળ વધાર એવી મારી છેલ્લી ઈચ્છા છે. તું હરિસિંહના મોતનો ભાર પોતાના માથે ન રાખીશ. જો ખીમજીએ એ દિવસે ન માર્યો હોત તો એણે તને અને મને મારવાનું નક્કી કર્યું હતું. તે આપણું રાજ પચાવી પાડવા માંગતો હતો.” એટલું કહીને તેમણે દેહ ત્યાગી દીધો અને જાદવ સાંત્વના ભર્યા બે શબ્દો પણ ન કહી શક્યો.
હવે તે ધર્મસંકટમાં પડી ગયો હતો. તેના પિતાની ઈચ્છા વંશ આગળ વધારવાની હતી અને પોતે ફક્ત બહેનની પ્રતિજ્ઞા પાર પડે તે માટે જીવી રહ્યો હતો. મૃત્યુ પામેલા બાપની ઈચ્છાનું માન રાખીને તેણે લગ્ન કર્યાં પણ તેનું મન બહેનના વચનમાં ભેરવાયેલું હતું. તે સમય સમય પર ભાણાની ખબર લેતો રહેતો. તેના ભાણા રામસિંહની બહાદુરીની ચર્ચા આખા પંથકમાં થતી હતી અને તે સાંભળીને તે પોરસાતો.
અંતે એ દિવસ પણ આવ્યો જયારે જાદવને સમાચાર મળ્યા કે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા બહેન અને ભાણો પોતાના ગામથી નીકળીને અહીં આવી રહ્યા હતા. રામસિંહે આવીને જાદવને પડકાર ફેંક્યો અને ફકત પડકાર છે તે માટે જાદવે હાથમાં તલવાર લીધી અને થોડી જ ક્ષણોમાં જાદવનું મસ્તક જમીન ઉપર પડ્યું હતું.
મેઘલે પોતાનો ઘૂંઘટ ખસેડ્યો અને પોતાના ભાઈના મસ્તક તરફ જોયું જે મર્યા પછી પણ હસી રહ્યું હતું. જાદવની બીજી પરણેતર આવી અને તેનું મસ્તક પોતાના ખોળામાં લઈને બોલી, “ધન છે જોગીડા, બેનના વચન ખાતર આટલાં વરસ જીવ્યો, બાકી તો તું બેને ઘૂંઘટ તાણ્યો એ દિવસે જ મરી પરવાર્યો હતો.”
મેઘલના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતાં. જાદવની પરણેતર જાદવના વાળમાં હાથ ફેરવતી ઘણુબધું કહી રહી હતી અને તેના એક એક શબ્દ સાથે મેઘલના ચહેરાના ભાવ બદલાઈ રહ્યાં હતાં. અંતે એક સમય આવ્યો જ્યારે મેઘલ જમીન ઉપર ફસડાઈ પડી.
તે દિવસે બે ચિતાઓ સળગી. એકમાં જાદવ અને સતીદેવી અને બાજુમાં બીજી ચિતા મેઘલની સળગી રહી હતી.
*†***********************************
.NOG: N O G SS No: 0079
પ્રવિણા કડકિઆ
શીર્ષક: ત્રિભેટો
વિષય: વટ વચન અને વેર
પદ્ય
—————
એક અવગુણ ભારી આ જીવનમાં
વટ વચન અને વેર ભેળાં થાય
પરિણામની કલ્પના નવ થાય
નિરાંતે કરને તું વિચાર
–
વટ અભિમાનની પૂરે ગવાહી
જીવન ખુવાર તેની તૈયારી
રાવણની કર યાદ કહાની
નિરાંતે કરને તું વિચાર
–
મીઠાં વચન જીતે આ જંગ તું
કડવા વેણ વેરી બનાવે તું
મીઠાં બોલા લોક કડવા બોલી મા
નિરાંતે કરને તું વિચાર
–
વેરઝેર મન ઘડિત તુક્કા
બોલાવે આ જીવનનાં ભુકકા
બુદ્ધિના અવનવાં જો નુસખા
નિરાંતે કરને તું વિચાર
–
વટ વચન વેરનો ત્રિવેણી સંગમ
પ્રયાગરાજનું સદા કર ચિંતન
જીવન સફળ કરવાનું કવન
નિરાંતે કરને તું વિચાર
***********************************
[NOG:.SS. NO – 0026
વિભાગ પદ્ય
શબ્દ – વટ, વચન ને વેર.
ગઝલ. લગાગા ૪.
વચન આપીને જો નિભાવી શકો તો!
કથા સૌ વચનની જો વાંચી શકો તો!
ત્યજે પ્રાણ કોઈ કદી વટને ખાતર,
તમે પણ સદા વટ એ રાખી શકો તો?
કહે છે કે જન્મો જનમ વેર પહોંચે,
તમે વેર પ્રેમે, જો વાળી શકો તો!
વચન પર રચાઈ કથા રામની છે,
કથા એક એવી રચાવી શકો તો?
વચન, વેર, વટની છે વાતો અમર જે,
જમાનાને વાતો સુણાવી શકો તો?
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા