[3/2, 8:07 AM] Pradip: NOG SS No.0081
વિષય : શિવરાત્રિ
પ્રકાર : પદ્ય
શીર્ષક :શિવ છે તો જીવ છે!
શિવજીની આપ સૌ પર બની રહે માયા,
એમની રહેમ પલટી દે કિસ્મતની કાયા.
શિવ- શક્તિની કૃપા સદૈવ રહે વરસતી,
મનચક્ષુને એનાં આશિષ આપે દૃષ્ટિ.
શિવ તો ભોળા, ભક્તિ બસ ચાહે,
જીવન એમનું જપ,તપ પણ જગ કાજે.
અમૃત તો સૌ ચાહે, વખનું શું ?
ન હોત શિવજી તો ધરા રહેત જીવંત ?
નીલકંઠ બનીએ જો શિવજીની જેમ,
કોઈનું નહીં તો નિજનું કરીએ ક્ષેમ.
શિવ છે સત્ય,શિવ જ સુંદર,
શિવ છે તો જીવ છે,યાદ રહે નિરંતર.
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.
[3/2, 8:07 AM] Pradip: NOGSS/0044
વિષય:-જાહેર જીવન સમાજસેવામાં,સાહિત્ય સેવામાં કડવા મીઠા ઘૂંટની આપવીતી.
પ્રકાર:- ગદ્ય
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
શબ્દો:-૩૩૦
શીર્ષક:- અનુભવ.
રેલ્વે તંત્ર અને ટપાલ ખાતું , સરકારી તંત્રમાં બદનામ.આમ તો સરકારી તંત્ર આખું જ બદનામ પરંતુ રણમાં મીઠી વીરડી સમાન દરેક તંત્રમાં કોઈક તો એવું હોય જ જે, પ્રજાને માણસાઈનો અનુભવ કરાવે. કોઈ સાચું જ ન માને પણ મને માણસાઈનો અનુભવ આ બંને ખાતામાં થયેલો.તમે પણ વાંચીને આશ્ર્ચર્યચકિત થયા ને! હા.આજે હું તમને આ તંત્રનાં મને થયેલાં માણસાઈનાં અનુભવની વાત કરું.
” વાત છે ઈ.સ.૧૯૬૯ની, હું એફ.વાય.બી.એસસી.માં ભણું. મારી પ્રાયોગિક પરીક્ષા હોવાથી સવારે ૮ વાગ્યે વલસાડ કોલેજ પંહોચવાનું.એ માટે ડુંગરીથી લોકલ ગાડીમાં બિલીમોરા જઈ ત્યાંથી ફ્લાઈંગ રાણીમાં વલસાડ જવાનું.એ દિવસે લોકલ ગાડી સમય કરતાં મોડી એટલે બિલીમોરાથી ફ્લાઈંગ ન જ મળે.એ સિવાય વલસાડ જવા કોઈ વ્યવસ્થા નહીં, એટલે અમે વાર્ષિક પરીક્ષા ન આપી શકીએ.સમય ગુમાવ્યા વિના તરત જ મેં સ્ટેશન માસ્તરને મારી સાથે બીજા દસ છોકરાઓની પરિસ્થિતિ જણાવી અને કોઈપણ સંજોગોમાં ફ્લાઈંગ મળે એવું કરવાં જણાવતાં જ એમણે તરત જ બિલીમોરા સ્ટેશન માસ્તરને પરિસ્થિતિનો ચિતાર આપી વિનંતી કરી.બિલીમોરા સ્ટેશન માસ્તરે પણ માણસાઈ બતાવી,અમારી લોકલ ગાડી બિલીમોરા પંહોચી અમે ફ્લાઈંગમાં બેઠાં પછી જ ફ્લાઈંગ વલસાડ જવા રવાના થઈ.અમારે માટે એ દિવસે ફ્લાઈંગ પાંચ મિનિટ મોડી ઉપડી અને અમે પરીક્ષા આપી શકેલાં.આ બંને સ્ટેશન માસ્તરની માણસાઈ હું ક્યારેય નહીં ભૂલું.
બીજો અનુભવ સાંઈઠ વર્ષ પહેલાંનો.
હું પાંચમા ધોરણમાં ભણું શાળામાં પત્ર લેખન શીખવ્યું.મેં એક પત્ર મારી સખીને લખ્યો અને બીજો પત્ર મારાં નાનાને લખવાની શરૂઆત જ કરી અને સરનામું લખી દીધું.સખીને લખેલો પત્ર પોસ્ટ કરવાને બદલે નાનાનો પત્ર પોસ્ટ કરી દીધો.હવે!આવો અધૂરો પત્ર નાનાનાં હાથમાં જાય એટલે ખલાસ! આવી જ બને.
,, મેં પોસ્ટ માસ્તર સાહેબને પોસ્ટ કરવાનો પત્ર બતાવી પહેલાં પોસ્ટ કરેલો અધૂરો પત્ર ટપાલ પેટીમાંથી કાઢી આપવા વિનંતી કરી. પોસ્ટ માસ્તર સાહેબે માણસાઈ બતાવી અધૂરો પત્ર ટપાલ પેટીમાંથી કાઢી આપ્યો.
પત્ર પૂરો કરી પોસ્ટ કર્યો.મારાં નાના મારો પ્રથમ પત્ર વાંચીને એકદમ ખુશ થઈ મને તરત જ સરસ પત્ર લખવા માટે અભિનંદન અને આશીર્વાદ આપતો પત્ર લખ્યો.
આમ સ્ટેશન માસ્તર અને પોસ્ટ માસ્તરની માણસાઈનો યાદગાર અનુભવ થયો. સ્ટેશન માસ્તરની માણસાઈથી અમારું વર્ષ બગડતું અટક્યું અને પોસ્ટ માસ્તરની માણસાઈથી નાનાનાં અઢળક આશીર્વાદ મળ્યાં.”
આ જ મારી કલમના સાચાં સારથિ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[3/2, 8:07 AM] Pradip: NOG SS 0092
પ્રકાર :- પદ્ય
શીર્ષક:-શિવ, શિવા ને શિવરાત્રિ
છે પરમ પુનિત આ દિન- રાત,
જયાં ગૌરી સંગ પૂજાય ત્રિપુરાજીત.
જળ-સ્થળ ને પર્વત પર ત્રિલોચનનો વાસ,
ધૂપ, દીપ, નૈવેદ્યની ચારેકોર સુવાસ.
પુરે ભક્તોની એ આશ,
જેનો મા પાર્વતી છે શ્વાસ.
ભૂત ગણોથી એ સોહાય,
ડમરું, ત્રિશૂળ લઇ હરખાય.
ભાંગ, ધતૂરો છે પ્રિય ખાસ,
રાખે પુરા પરિવારને પાસ.
નૃત્ય, સંગીતથી મન મોહે નટરાજ,
ભોળા ભક્તોના દિલ પર કરતા રાજ.
ઓમ નમઃ શિવાયથી પ્રસન્ન થાય,
ના બહુ વિધી-વિધાનની જરૂર જણાય.
એક લોટા જળથી જે રિઝાય,
એના ભક્તોની આશા કદીય ના મૂરઝાય.
જો ખીજે તો કરતા વિનાશ,
ના કરી શકે કોઈ દેવ એમના કરેલા અંધકારમાં પ્રકાશ.
ખુદ બ્રહ્મા-વિષ્ણુ અનુભવે નિઃસહાય,
જ્યારે આશુતોષની વિનાશ લીલા રચાય.
આજ ચારેય પ્રહર શિવપૂજા થાય,
ભજન-કિર્તનથી ભક્તિ રેલાય.
વ્રત-ઉપવાસથી મહિમા ગવાય,
‘ ચંદ્રમૌલી’ જેવા દેવ નહીં ત્રિલોકમાં ક્યાંય.
મારા મનમાં ‘મહાદેવ’ નો નિવાસ,
એનું નામ હૈયે વસે સાથે શ્વાસોશ્વાસ.
મારો પૂર્ણપણે એમાં વિશ્વાસ,
બસ એ જ મારા જીવનની એક જ આશ.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૦૧/૦૩/૨૨.
[3/2, 8:07 AM] Pradip: *NOG SS No : 0110*
*પ્રકાર : ગદ્ય*
*વિષય : મહાશિવરાત્રી*
*શબ્દો : ૨૮૩
*શીર્ષક: ‘મહાશિવરાત્રી એક ભક્તિ-આરાધનાનું પર્વ’*
*લેખકનું નામ : નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મ પ્રમાણે દેવોના દેવ મહાદેવ શિવશંકરની ઉપાસના માટે ખૂબ મહત્વનો દિવસ ગણાય છે. મહાશિવરાત્રીનું પવિત્ર પર્વ ફાગણ શરૂ થતાં પહેલાં મહા મહિનામાં કૃષ્ણ પક્ષમાં અમાસ પહેલાની ચતુર્દશીના દિવસે ઉજવાય છે.
ભારતીય શાસ્ત્રો અને પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન શિવ અને શક્તિ દેવી પાર્વતીના લગ્ન થયા. શિવ અને શક્તિ બંને આ સૃષ્ટિની મૂળભૂત ઉર્જાનાં બે સ્વરૂપો છે અને તે બંને સાથે મળીને જ સંપૂર્ણ અથવા શક્તિસ્વરૂપ માનવામાં આવે છે. આ દર્શાવે છે કે લગ્ન એ દરેક સંબંધિત પુરુષ અને સ્ત્રી વચ્ચેનો દૈવી શક્તિ પ્રેરીત સંબંધ હોય છે અને જીવનના દરેક તબક્કે મજબૂત રીતે ઉભરી આવે છે. જો એક નબળું પડે તો બીજાએ તેના પૂરક બની જીવનમાં ઊભરી આવવું જોઈએ.
આ દિવસે શિવજીની ઉપાસના અલગ અલગ રીતે થાય છે. કેટલાક શિવની વૈદિક અથવા તાંત્રિક પૂજા સાથે આખો દિવસ ઉપવાસ કરે છે. ભક્તો શિવ મંદિરોમાં, “ઓમ નમઃ શિવાય” પવિત્ર મંત્રનો દિવસભર જાપ કરે છે અને શિવ ચાલીસાના પાઠ દ્વારા શિવની સ્તુતિ કરે છે.ઘણી જગ્યાએ મહાશિવરાત્રીની ઉજવણીમાં “જાગરણ”નો પણ સમાવેશ થાય છે, જેમાં આખી રાત શિવની પ્રાર્થના કે જાપ કરવો એ શિવ દ્વારા વ્યક્તિના જીવનમાં અને વિશ્વમાં અંધકાર અને અજ્ઞાનને દૂર કરવાની યાચના સમાન મનાય છે.
ક્રોધની પરાકાષ્ઠાએ તાંડવ કરનાર મહાદેવ જ છે અને સમુદ્ર મંથન સમયે નિલકંઠ બની હળાહળ વિષનું પાન કરી સૃષ્ટિને સુરક્ષિત કરનાર પણ મહાદેવ જ છે.ગંગાને પોતાની જટામાં ધારણ કરી જનકલ્યાણ હેતુ અવતરણ કરાવનાર પણ મહાદેવ જ છે. ભક્તોની ભક્તિએ ઝડપથી પ્રસન્ન થનારા ભોળા દેવ પણ ભોળેનાથ મહાદેવ જ છે.આવા દેવોના દેવ મહાદેવ ની આરાધના કરી આપણે આપણું અને સમસ્ત માનવજાતનું કલ્યાણ પ્રાર્થિએ. મહાશિવરાત્રીની સહુને શિવમય બની હાર્દિક શુભેચ્છાઓ…
*નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૦૧ માર્ચ ૨૦૨૨.*
[3/2, 8:07 AM] Pradip: NOG.SS.No 0098
વિષય:- સમાજ સેવા
પ્રકાર:- ગદ્ધ
શીર્ષક :- પરમ સંતોષ
બા ,તમારો રાહુલ નો મનીઓર્ડર છે. (ટપાલી ) રમેશ સાયકલથી નીચે ઊતર્યો. બાની આંખોમાં ચમક આવી ગઈ.
“બેટા”મને જરીક વાત પણ કરાવી દેજે આમ કહી રમેશ ને જોવા લાગી. રમેશ એ કીધું ,”બા” દર વખતે મને આટલો સમય નથી હોતો કે હું વાત કરાવું.”બેટા” બસ જરીક વાર વાત કરીશ. “બા “દર વખત જીદ નહીં કરવાની આમ કહી બાના હાથમાં પૈસા મૂકી ફોન પર નંબર ડાયલ કરવા લાગ્યો .લો બા વાત કરી લો પણ વધારે વાત ના કરતા પૈસા કપાય છે . આમ કહીને ફોન બાના હાથમાં આપ્યો. બે ઘડી વાત કરીને બા સંતુષ્ટ થઇ ગઈ. રમેશ બાથી ફોન લઈને સાયકલ ઉપર સવાર થઈ ગયો અને કહેવા લાગ્યો, બા પૈસા ગણી લેજો બરાબર ,હજાર રૂપિયા છે. બાએ બૂમ પાડી બેટા અહીં આવ. હવે શું થયું ? રમેશ બા પાસે ગયો .બા એમને સૌ રૂપિયા આપ્યા અને કીધું તું દર મહિને આવે છે અને મને ફોન પર વાત કરાવે છે. રમેશ એ ના પાડી પૈસા લેવાની એ તોય બાએ જબરજસ્તી કરીને એમને સૌ રૂપિયા આપ્યા અને આશીર્વાદ આપ્યા.
ફળિયાના અરવિંદ કાકા પોતાની દુકાન બંધ કરીને આવતા હતા ,એમને રમેશ ને બૂમ પાડી રમેશ મને તારાથી કંઈ પૂછવું છે.રમેશ એ કીધું શું થયું ? શું પૂછવું છે? પૂછો કાકા. રમેશ દર મહિને બા પાસે આવે છે મની ઓર્ડર આપે છે અને ફોન પર વાત પણ કરાવે છે કેમ? કાકાને પ્રશ્નોથી રમેશ હેરાન થઈ ગયો વિચારવા લાગ્યો આજે તો મારી ચોરી પકડી ગઈ એમને કાંઈ કીધું કાકા બાના રાહુલનો મિત્ર નો એક દિવસ મની મની ઓર્ડર ની જગ્યા ચિઠ્ઠી હતી કે કોરોના માં રાહુલની મૃત્યુ થઈ છે. બાનો રાહુલ બહાર કમાવા ગયો હતો તે દર મહિને બાને મનીઓર્ડર કરતો હતો.
દર મહિને ચંદ રૂપિયાનો ઇન્તજાર અને કુશળતાની ઉમેદ ભરી આંખો ને મારે કહેવાની હિમ્મત નહી પડી ,અને હું જ બાનો રાહુલ બની ગયો .
કાકા આ મારી સમાજ સેવા છે. અને હું પરમ સંતોષ અનુભવું છું.
✍️
લીના શર્મા
હાલોલ.
[3/2, 8:07 AM] Pradip: NOGSS
Nog.. Number…19
વિષય…શિવરાત્રી
પ્રકાર..ગદ્ય લેખ
*શીર્ષક:* કૃપા ભોળાનાથની
આપણું શરીર એક પવિત્ર મંદિર સમાન છે. એમાં અનેક કેન્દ્ર આવેલાં છે. મહાશિવરાત્રી એ આ સ્થાનોને પવિત્ર કરનારી મહાન રાત્રિ છે. મુક્તિ પ્રદાન કરતી એ રાત્રિએ ભોળાનાથની કૃપા અવશ્ય વરસે છે. આપણે એની પૂર્વ કથાથી પરિચિત છીએ. એક શિકારી અજાણતાં જ ચારેય પ્રહર શિવલિંગ પર બિલ્વપત્ર અને જળ ચઢાવતો રહ્યો, ને અજાણતાં જ મહાપૂજા થઈ ગઈ. અને ભોળાનાથની કૃપા એ શિકારી પર ઉતરી.
ભારતમાં અનેક જગ્યાએ મહાદેવ જુદાજુદા સ્વરૂપે બિરાજમાન છે. શિવજીને ભસ્મ,ભૂત,અને ભાંગ સાથે સંબંધ છે. આ દેવ ભક્તોને જલ્દી પ્રસન્ન થાય છે. મન,વચન,કર્મથી એમની આરાધના કરવી જરૂરી છે.
” ઓમ નમો શંભવાય ચ મનોભવાય,
નમો શંકરાય ચ મયસ્કરાય ચ,ઓમ નમ:શિવાય શિવાવતારાય ચ.”
શિવરાત્રિનાં દિવસે એમની અખંડ પૂજા થાય છે. જે ખૂબ કલ્યાણકારી છે. ભસ્મ એ શિવભક્તની ઉન્નતિનું પ્રતિક છે. જ્યારે સમુદ્ર મંથનનું વિષ મહાદેવે કંઠમાં ધારણ કર્યું, બાદ મહાદેવ ઘણાં દિવસો સુધી બેભાન અવસ્થામાં રહેલાં. મા પાર્વતી અને દેવોએ ખૂબ મહેનત કરી ,રાત્રિ જાગરણ કરી મહાદેવની સ્તુતિ કરી હતી.જે દિવસે ભોળાનાથ જાગૃત થયાં અને યથાવત થયાં, એ રાત્રિ એટલે જ આ પવિત્ર શિવરાત્રિ.
ત્યારે શિવજીએ કહ્યું હતું કે જે ભક્તો આ રીતે મને ભજે છે, એનો હું મોક્ષ કરું છું. મસ્તિષ્ક ના તાપથી બચવા ધતૂરો,બિલ્વપત્ર, અને ભાંગ શ્રેષ્ઠ છે. એ શિવજીને પ્રિય છે.
શિવરાત્રિની અનેક કથાઓ છે. પણ એ મંગલકારી છે. મોક્ષદાયિની છે.
જય મહાદેવ.
કલ્પનાબેન ત્રિવેદી સુરેન્દ્રનગર
[3/2, 8:07 AM] Pradip: NOG SS No. 111
વિષય: શિવરાત્રી
વિભાગ: ગદ્ય
શીર્ષક: જીવ તે જ શિવ
રચના:
‘શિવ’ એટલે કલ્યાણકારી અને મંગલકારી. શિવ એટલે સાદગી,ભોળપણ. ભોળાનાથ શિવ જળ અભિષેક,બિલીપત્ર થી જ ખુશ થઈ જાય છે. તેમની પૂજા કરવાની રીત ખૂબજ સાદગીભરી છે. ત્રણ પાન વાળું બિલીપત્ર ત્રણ ગુણો અને ત્રિનેત્ર નું પ્રતીક છે.
શિવ અજન્મા એટલે અનાદિ અને અનંત છે. તેઓ દેવોનાં પણ દેવ એવા મહાદેવ છે. પ્રથમ ગુરુ છે.યોગી છે.તેઓ નિરાકાર પણ છે અને સાકાર પણ છે.તેઓ નિર્વિકાર છે તેથી જ ભસ્મને શરીરે ધારણ કરેછે.તેઓ કલ્યાણકારી છે તેથી જ હળાહળ વિષ પી જઈને કંઠે ધારણ કરી બધાનું કલ્યાણ ઈચ્છે છે.તેઓ ઐશ્વર્ય, જ્ઞાન, વૈરાગ્ય, શાંતિ પ્રદાન કરવાવાળા છે.
શિવ પૃથ્વીના આરંભમાં પણ હતાં.પાલનકર્તા પણ છે. સંહાર સમયે તાંડવનૃત્ય પણ કરેછે. તેમનાં તાંડવનૃત્યથી સૃષ્ટિ પણ થંભી જાય છે. આવા આ વૈરાગ્યના દેવ શિવને ભજીને આપણે એટલે કે જીવાત્મા એ પોતે જ શિવરુપ થવાનું છે કારણકે દરેક જીવાત્મા શિવનો જ અંશ છે.જે સ્વયં જ્ઞાની અને પ્રકાશમય છે. જરૂર છે તેને ઓળખી અને ‘શિવોહમ’ બનવા તરફની ગતિ કરવાની છે.
શિવનું સ્વરૂપ આપણને સૂચિત કરેછે કે તેમના મસ્તક ઉપર ધારણ કરેલી ગંગા – જે અજ્ઞાનતા નો અંત, જ્ઞાન અને શાંતિનાં ઉદયનુ પ્રતીક છે.તેમની બાંધેલી જટા- મન, શરીર અને ચેતનાનું ઐક્ય દર્શાવે છે.ગળા ઉપરનો સર્પ -અહંકાર ને કાબુમાં રાખવાનું ,નીલકંઠ -ગુસ્સા પરના કાબૂ નું, હાથમાં ધારણ કરેલું કમંડળ- શરીરમાં રહેલાં દુષ્ટ તત્વોનું નાશ કરવાનું , ત્રિશૂળ – મન, બુદ્ધિ અને અહંકારને વશમાં રાખવાનું પ્રતીક છે. શરીર પર ચોળેલી ભસ્મ દર્શાવે છે કે જગતની દરેક ચીજ, માનવશરીર પણ નાશવંત છે.શિવનુ ત્રીજું નેત્ર -જે દ્રશ્યમાન છે તેનાથી ઉપર જઈને મનરૂપી આંખથી જોવાનું સૂચવે છે. હસ્તસ્થિત ડમરુ -શરીરની દરેક ઈચ્છાશક્તિ નાં ત્યાગનું અને ધ્યાનસ્થ મુદ્રા શાંતિ-સ્વસ્થતા નું પ્રતીક છે.
શિવ માનસ પૂજા સ્તોત્ર અનુસાર શંભુ જ આત્મા છે. બુદ્ધિ પાર્વતી છે.પ્રાણ શિવગણ છે.શરીર મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના શિવપૂજા છે. નિદ્રા સમાધિ છે. ચાલવું- ફરવું એ જ પરિક્રમા છે. સંપૂર્ણ શબ્દ શિવસ્તોત્ર છે. આ પ્રકારે માનવી જે જે કાર્ય કરે છે તે સર્વ શિવ આરાધના જ છે.
જે જીવાત્મા અનાદિ , અનંત અને અમર એવાં શિવનાં શરણમાં જવાનો પ્રયત્ન કરશે તો ભોળાનાથ જરૂર પોતાનાં રક્ષણ નીચે દરેક જીવાત્માને લેવાની કૃપા કરશે.
‘જય શિવ શંભો’ ‘હર હર મહાદેવ’.
✍️ ભાવના દેસાઈ ‘ભાવુ’
૦૧/૦૩/૨૦૨૨
[3/2, 8:07 AM] Pradip: NOG SS 0092
પ્રકાર:-ગદ્ય
શીર્ષક:- સમાજસેવા દ્વારા સક્ષમતા
આજથી ૩૦ વર્ષ પહેલા નેધરલેન્ડ સરકારની નાણાંકીય સહાયથી બનાસકાંઠાના અંતરિયાળ ગામોમાં પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાની યોજના હતી.જેમાં ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ, બે સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્થાનિક ગ્રામ પંચાયતો સાથે મળીને યોજનાનું અમલીકરણ કરતી હતી.હું એક સંસ્થાની પ્રોજેકટ કો-ઓર્ડિનેટર તરીકે મઢુત્રામાં પાણી પંચાયત સમિતિની સાથે મિટિંગ કરી રહી હતી.મિટિંગ સુપેરે ચાલી. મિટિંગ પુરી થતા જ હું મારી ગાડી તરફ જવા નીકળી. ત્યાં પાણી પંચાયત સમિતિના એક વડીલ સભ્ય બહેન અને ગામની બીજી બહેનો એકદમ ઉગ્ર થઈને ગામમાં બે દિવસથી પાણી નહોતું આવ્યું તે અંગે બોલવા લાગ્યા. મારા ડ્રાયવર ભાઈને લાગ્યું કે આજે તો બહેનને મારશે જ. એમણે ગાડી શરૂ કરીને બૂમ પાડી કે બહેન ચાલો જલ્દી નહીંતો આ બહેનો તમને મારશે. મેં એમને ગાડી બંધ કરવા કહ્યું અને હું એ બહેનો પાસે ગઈ અને સમજાવ્યું કે તમારા ગામમાં પાણી નથી આવતું એની રાધનપુર પાણીપુરવઠા ઓફિસમાં રજુઆત કરવાની જવાબદારી તમારી છે. હું તમને અરજી લખી આપી શકું અને ઓફીસે લઇ જઇ શકું બાકી પ્રશ્ન તમારો છે અને રજુઆત તમે જ કરશો. મારા અવાજની દ્રઢતા, નિર્ભયતા અને તેમને સક્ષમ કરવાના સંકલ્પને લીધે ત્રણ બહેનો તૈયાર થઈ. મેં તેમને રાધનપુર પાણી પુરવઠાની ઓફિસે ઉતારી. તેમણે પાણીના પ્રશ્ન અંગે જાતે રજુઆત કરી. હું ચૂપચાપ પાછળ ઉભી રહીને સાંભળતી રહી. બે દિવસમાં એમના ગામમાં પાણી ચાલુ થયું.
જ્યારે બીજી વાર એ ગામમાં ગઈ તો પાણી પંચાયતના તમામ સભ્યો મારો આભાર માનવા લાગ્યા કે તમારા કારણે ગામમાં બે દિવસ પછી પાણી ચાલુ થયું. મેં એ પ્રશંસાના ખરા હકદાર એ ત્રણ બહેનોને આગળ બોલાવી આખી વાત કરી અને તેમનું તાળી પાડીને સન્માન કરવા વિનંતી કરી.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર ,
૦૧/૦૩/૨૨.
[3/2, 8:07 AM] Pradip: NOG SS NO -0050
વિષય – જીવન સફર,સમાજ સેવા, સાહિત્યક સેવા કડવાં મીઠાં ઘૂંટ આપવીતી.
શીર્ષક – જીવન સફર
………………………………..
કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું..!
જિંદગી જીવવા માટે ખૂબ બહાના શોધ્યાં..!
હું કરું એક જીવનની સફર..!
ધારું તો હું શ્વાસ ઉપર લખી દઉં…!
બંધબેસતા શબ્દો જેવાં જીવન સફરની..!
ખુદનું નામ લખું
બદનામી ની વાતો હોય કે કડવાં ઘૂંટડા પણ..!
આ મારું છે કહેવાથી..!
કાગળ પર તો લખવાનાં પણ અભરખા ઘણાં..!
છાની છપની ચણભણ થાય હોબાળા વચ્ચે..!
એક સાચું સરનામું ક્યાં લખું..!
છીપ ને પરવાળા વચ્ચે ,
દરેક સફરમાં ચીવટ રાખી સરવાળા બાદબાકીનાં હિસાબ કરીએ..!
ક્યારેક ચિત્કાર નીકળે છે…!
અંતર મહી ઘૂમરી વહે ત્યારે કાગળ પર ઉતારીને હાશ થાય…!
ખૂબ અવઢવ પછી અમસ્તી બહાર નીકળે..!
આતો શિયાળે લીલા પર્ણો પર પડતી ઝાકળ જેવી સફર..!
અલ્લડ મસ્તીખોર, વાતોડિયો સ્વભાવ ,હંમેશા દરેકને મદદ કરું હું દોડતી જઈને…! પ્રમાણિક અને લાગણીશીલ કહી દેવા જોઈએ મોંઢા પર..!
જિંદગીની સફર કરવી પ્રેમથી મને બહુ ગમે છે..!
સૂરજની સાથે કરું સફર..!
પેલો કાગડો કહે એકલી નથી દ્વાર પર..!
મારે કોઈ ટકોરા આવ્યાં મહેમાન સફર કરીને ..!
લો સાંભળો હવે ..!
જીવનનાં સાચાં સફરમાં દરેકને ચાહો તો…!
સપનાઓ પુરા થઈ જશે દરેકનાં જલ્દીથી..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી.
[3/2, 8:07 AM] Pradip: NOG SS NO – 0050
વિષય – શિવરાત્રી
વિભાગ – પદ્ય મૌલિક
શીર્ષક – જીવનું શિવમાં ભળવું
તા – ૧/૩/૨૦૨૨
………………………………..
શિવરાત્રી શિવનું અવતરણ કરી પૂજા શિવની કરીએ.. !ભાગ્યનું વાવેતર કરીએ..!
ના કરીએ વાવેતર તો જીવ પસ્તાય..!
આત્માને પરમાત્માનાં મિલન નો સમય એટલે..!
કળિયુગને સતયુગનુ મિલન.!
રાક્ષસ ને દેવોનું મિલન..! સત ને અસત્યનું મિલન..!
સત્ય શું ને અસત્ય શું ની, સમજણ આપવા પરમાત્મા આવે છે ..!
જ્યારે સાધુ-સંતનું અપમાન થાય ત્યારે હું અવતરું છું..!
શિવ પરમાત્મા અવતરે..!.
તેને શિવરાત્રી કહેવાય .!
અજ્ઞાનતાના ઘોર અંધકાર સમયે પરમાત્મા,
સત્ય જ્ઞાન પ્રકાશ માં લઈ જાય..!
શિવમાં જ ઓમની ઉત્પત્તિ થાય…!
શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ ઉજવણી કરીએ ચાલો
ને ભેળાં મળીને..!
મૂળમાં ઓમકાર પ્રગટ્યાં..!
સમુદ્ર મંથનમાં પ્રથમ પ્યાલો નીકળ્યો વિષનો..!
સમગ્ર સંસાર ખતમ કરવાની તાકાત..!
શિવજીએ પાન કર્યું કંઠમાં અટકાવાયું ..!
ભોગવે તે ભાગ્યશાળી..!
માટે સમયને ઓળખો ભક્તો ,
ને ભાગ્યના વાવેતર કરી આવતાં ભવમાં માટે…!
ને ભાગ્યશાળી બની શિવરાત્રી પૂજા કરો..!
પૂર્ણ શ્રદ્ધાથી જીવને શિવમાં ભેળવો..!
શિવનાં આશિષ તમારાં પર રહે..!
ભાગ્યશાળી કાયા ફરી ન મળે..!
શિવની શક્તિ થી ,
શિવની ભક્તિ થી,
મહાદેવની કૃપાથી તમને જીવનપથ પર સફળતા મળે..!
તમારી માયા અદભુત અમરનાથના વાસ કર્યો લીલા રંગની છાયા તમારી..!
હું ને તુંજમાં મદિરાનો નશો ને ,
તું મુજમાં મહાશિવરાત્રી ભાંગ સમી ચમકાવશે..! તમારું ભાગ્ય શિવજીની રાત્રીએ ચમકશે..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
[3/2, 8:07 AM] Pradip: NOGSS NO. :0034
વિભાગ: ગદ્ય (લેખ)
શીર્ષક: સાહિત્ય અને સમાજ
શબ્દો: 343
સાહિત્ય એ સમાજનું દર્પણ છે. જે-તે સમયના, જે-તે બનાવો, રહેણી-કરણી, રીતિ-રિવાજોની અસરો સાહિત્યમાં ઝીલાય છે. શું સાહિત્ય કે શું સમાજ દરેક જગ્યાએ આપણને કડવાં-મીઠાં અનુભવો થતાં રહે છે. એ અનુભવોથી જ આપણે શીખીએ છીએ, ઘડાઈએ છીએ. સમાજમાં પારકાં તો ટાંટિયા ખેંચે પરંતુ પોતાનાં પણ પછાડવામાં કંઈ બાકી નથી રાખતાં. સાવ ક્ષુલ્લક બાબતમાં પણ ચડસા-ચડસી થતી હોય છે.
સાહિત્ય જગતમાં પણ સતત આગળ વધવાની રેસ ચાલુ હોય છે. આજકાલ ઉઠાંતરી કરવી એ સામાન્ય બાબત બની ગઈ છે. ટૂંક સમયમાં જ પ્રસિદ્ધિ મેળવવાની લાલચ અને પોતાની ક્ષમતા ન હોય એટલે આવાં શોર્ટકટ અપનાવતાં હોય છે. વધુ આશ્ચર્ય તો ત્યારે થાય કે પકડાઈ જાય પછી પણ ગુનો કબૂલવાને બદલે ઉલટો ચોર કોતવાલને દંડે એવો ઘાટ થાય છે. ઘણીવાર તો નવોદિતની સારી કૃતિને પણ ઉતારી પાડવામાં આવે છે અને તેની ઉગતી લાગણીઓને એવી રીતે ભાંગી પાડવામાં આવે છે કે તે ફરી બીજીવાર કલમ ઉઠાવવાની હિંમત જ નથી કરી શકતાં. ખરેખર સમાજમાં પણ કોઈ માણસ પ્રગતિ કરે તો સહન નથી કરી શકતાં, પરંતુ તે જ માણસ નીચે પછડાય ત્યારે તેને ઊભો કરવા પણ આગળ કેટલાં લોકો આવે છે?
મનુષ્ય જેવો હોય એવો મોડો કે વહેલો સામે આવી જતો હોય છે. કોઈ ખરાબ વ્યક્તિ ગમે એટલો સારો દેખાવ કરે પણ તેના વર્તનથી ક્યારેક તો ઓળખાઈ જ જાય છે. માણસને માપવાનું કોઈ યંત્ર નથી બન્યું.
બે મિત્રો હતા. એક મિત્રએ બીજાં સાથે દગો કર્યો. બીજાં મિત્રે દુઃખ સાથે કહ્યું કે, મને ખબર નહોતી કે તું આવો નીકળીશ. એણે કહ્યું કે,”હું તો આવો જ છું.” પેલાએ કહ્યું કે, “સાચી વાત છે, મેં જ તને ઓળખવામાં થાપ ખાધી. તેં દગો ન કર્યો હોત તો મને એવો જ ભ્રમ રહેત કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે.” આ પીડાદાયક ઘટનાથી તે હલબલી ગયો. અને ફરી કોઈને મિત્ર ન બનાવી શક્યો. વિશ્વાસ એકવાર તૂટે પછી જલ્દીથી મેળવી શકાતો નથી.
દરિયામાં અને નદીમાં આમ તો પાણી જ હોય છે પણ એક ખારું અને એક મીઠું. દરિયાનું પાણી આપણે ઉપયોગમાં નથી લઈ શકતાં જ્યારે નદીનાં પાણી વગર જીવન શક્ય નથી. આપણાં ઉપર આધાર રાખે છે કે આપણે કેવું બનવું!
ટહુકો:
સારા વિચાર ધરાવવા એ આંતરિક સુંદરતાની નિશાની છે. – સ્વામી રામતીર્થ
— ડૉ. રેખા શાહ
[3/2, 8:34 PM] Pradip: NOG SS NO. 0081
પ્રકાર : ગદ્ય
વિષય : સામાજિક જીવનની મીઠી યાદો
શીર્ષક : લીલીછમ યાદો
શબ્દો :૩૪૭
સામાજિક જીવન એટલે આપણી આજુબાજુના પરિસર કે કામનાં સ્થળે એકબીજા માટે મદદરૂપ થવું.આ માટે કોઈ મોટી ધનરાશિ કે પીઠબળ નહીં પરંતુ એક સહ્રદયી દિલની જરૂર હોય છે.
બેંકની કારકિર્દી દરમ્યાન થયેલ અનુભવોમાંથી એક ..દિનેશ નામનો એક શખ્સ જરૂર પડે બેંકની સાફસફાઈ માટે આવતો. બેંકનો સ્ટાફ લાંબી રજા પર હોય ત્યારે એની સાથે વધુ વાતચીત કરતાં જણાયું કે બાજુની ઓફિસમાં ઓછા પગારે લાંબો સમય પ્યુન તરીકે કામ કરતો હતો.
એની નિષ્ઠા, ઈમાનદારી અને નમ્રતા સૌને મનમાં વસી ગઈ.એ દરમ્યાન જ શાખાનો સફાઈ કામદાર તાનાજી પ્યુન તરીકે પદોન્નતિ પામ્યો. એની સખત મહેનતને હું ગણિત તેમ જ અંગ્રેજી , બેંક સમય પૂરો થયા પછી શીખવી પાનો ચઢાવતી. એ જ્યારે શાખા છોડી પ્યુન તરીકે ગયો ત્યારે મને સાષ્ટાંગ પગે લાગી ગયો.ત્યાર બાદ પણ ગ્રામીણ શાખામાં કામ કરી ક્લાર્ક તરીકે બઢતી મેળવી. વારંવાર ફોન કરી એ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતો.
હવે ફરી આવીએ દિનેશની વાત પર,તાનાજીની જગ્યા ખાલી પડવાથી દિનેશને નિયત કર્યો પણ, રોજનાં પગાર પર.રજા હોય એ દિવસે એને પગાર ન મળે. મારાં ઉપરી સાહેબ સાથે સમય મળે વાત કરી દિનેશ વિશે કંઈક કરવા કહેતી. રાષ્ટ્રીયકૃત બેંક એટલે બીજો કોઈ હસ્તક્ષેપ ન થાય.
દિવસો પસાર થઈ રહ્યાં હતાં ત્યારે મેં જીદ કરી દિનેશને બારમું ધોરણ પાસ કરવા કહ્યું. આખો દિવસ નોકરી, ઘરે પહોંચવા લાંબો પ્રવાસ.. વિગેરે સાથે સરળ નહોતું પણ એણે પરીક્ષા આપી. મરાઠી માધ્યમ હોવાથી વધુ મદદ ન કરી શકતી.પણ એને વિધ વિધ માર્ગદર્શન માટે પુસ્તકો ઉપલબ્ધ કરી આપ્યાં. ત્રણ પ્રયત્ન બાદ એણે બારમું પાસ કરી લીધું.
આ દરમિયાન ઉપરી સાહેબની બદલી થઈ પણ તેમની બઢતી થવાથી તેઓ મુંબઈથી બેંગ્લોર ગયાં.દિનેશની નિયુક્તિનું કામ ઠેબે ચઢ્યું.પણ, જુદાં જુદાં યુનિયન પદાધિકારીઓ અને બીજાં ઉપરીઓ થકી મેં દિનેશ મિશન ચાલુ રાખ્યું.એ દરમિયાન બઢતી પામી ગયેલા સાહેબને એસ ટી ડી થી ફોન કરતી રહેતી. એમનાં પ્રભાવથી છેવટે લગભગ વરસ બાદ દિનેશને સફાઈ કામદાર તરીકે નિયુક્તિનો પત્ર મળ્યો.
એ દિવસે એ મારી પાસે આવી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડ્યો અને પગે લાગ્યો. એ બાદ થોડાં જ સમયમાં મારી પણ બીજી શાખામાં બદલી થઈ,માનો દિનેશ માટે જ ત્યાં હતી. આજે પણ એની હાજરી ફોનથી પૂરાવતો રહે છે.
આવી નાની નાની અનેક વાતો કંઈક કર્યાનો આનંદ આપી આજે નિવૃત્તિનાં આઠ વર્ષ બાદ પણ બેંકની યાદોને લીલીછમ રાખે છે.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.