ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાજ,રાજપાટ,રાજ સિંહાસન,રાજવી પરંપરા – .દિવસ – ૨
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.
N0G SS No :0022
વિષય : રાજપાટ
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : દલાજી ઠાકોર
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
રાવળ હાંફતો હાંફતો ચોતરે પહોંચ્યો અને સમાચાર આપ્યા,”બાપુ, સાબદા થઈ જાઓ, દરબાર મોટું લશ્કર લઈને આપણા ગામ ઉપર ચડી આવે છે.”
ઠાકોર દલાજીના ચહેરા ઉપર આશ્ચર્ય તરી આવ્યું,”હજારોનાં પાલનહાર, આપણી હારે આમ કાં કરે? હજી ઠાકોરબાપા જીવતા હતાં,ત્યાં લગન તો બેટો, મારો છૈયો કહીને બોલાવતા હતાં. તારા સાંભળવામાં કોઈ ભૂલ થઈ હશે. ખરખરો કરવા આવતા હશે.”
“સાંભળવામાં કોઈ ભૂલ નથી બાપુ, મેં સગા કાનથી સાંભળ્યું છે. અહીંનું રાજકાજ હવે જસાજી જોશે. એનું કહેવું છે કે તમે તો આંગળીયાત છો.”
દલાજી સાનમાં સમજી ગયા.
વાત જાણે એમ હતી કે દસ ગામના ધણી જાહલજી ઠાકોરે, ઠકરાણાનાં મોત પછી બીજું ઘર માંડ્યું અને તેમની સાથે આંગળી પકડીને આવનાર દલાજીને પોતાનો વારસદાર બનાવ્યો. પહેલાં પોતાના નાનાભાઈના દીકરા જસાજીને વારસો સોંપવો હતો પણ તેના લક્ષણો જોઈને ઈરાદો માંડી વાળ્યો અને સદગુણી દલાજીને પળોટવાનું શરૂ કર્યું.
દલાજીએ પણ સાબિત કરી દીધું કે દસ ગામનો ધણી થવા સક્ષમ છે. ઠોકોરના મોતનાં વીસમે દિવસે જ જસાજીએ દરબારને ધા નાખી,”મારો ન્યા કરો, આંગળી પકડીને આવેલો દલો રાજનો ધણી જઈ બેઠો છે.”
પછી કસુંબો પીતાં પીતાં દરબારના કાન ભંભેરવાનું શરૂ કર્યું.દલાજી કેટલો નીચ છે એ સાબિત કરવા ઘણી વાતો કરી.અંતે દરબારે કહ્યું,”લશ્કર સાબદું કરો આપણે રામપરે જઈશું.” જસાજી હરખાઈ ઉઠ્યો.
રામપરના ચોતરે પહોંચેલા દરબાર સામે દલાજી નમી પડ્યો. દરબારને આશ્ચર્ય થયું તેમણે જ રાવળને આગોતરી ખબર કરવા મોકલ્યો હતો જેથી દલાજી યુદ્ધની તૈયારી કરી શકે, પણ દલાજી તો નતમસ્તક હતો. ફટ્ટ ભુંડા, પોતાનું રાજ બચાવવા લડી પણ ન શક્યો, દરબાર મનોમન બબડ્યા.
દલાજી જાણે તેમના મનની વાત સમજી ગયો હોય તેમબોલ્યો,”હજારોનાં પાલનહાર અને મારા માથે હાથ મૂકનાર સામે તલવાર કેમ ઉપડે? તમે કોઈ દિ અન્યાય નથી કર્યો તો આજે ભરોસો કેમ ખોઉં?”
દરબાર હસી પડ્યા,”ધન્ય છે તમારી જણનાર! હું કાચા કાનનો નથી, હું હકીકત જાણતો હતો પણ તમારું પારખું કરવા જ દોડી આવ્યો. હવે તમારાં બેસણાં અહીં નહીં મારા દરબારમાં હશે.”
જયોતિન્દ્ર મહેતા.
***************************”***†********
NOG SS No : 0055
વિષય : રજવાડું
*પ્રકાર.. ગદ્ય *
ટુંકી વાર્તા….
શીર્ષક : રજવાડું
બળબળતી બપોરે સવલી ચાર ઘરનાં કામ પતાવીને આવી , જમવામાં સવારની રોટલી અને સૂકા કાંદાનું શાક…પોતાની શેઠાણી ને કેટલી શાંતિ ….કામવાળા ય ખરા અને રસોઈવાલા પણ ખરા…અને પોતે ..
ત્યાં જ ડેલી ખખડી,કદાચ રવજી હતો, હા…હા… એ જ હતો, તેને જોઈ સવલીનું મોં ચમકી ગયું.
” આ જો હું શું લાયવો…?”
” શું…છે…?”
” અરે ! લસ્સી છે લસ્સી , અને ઇ ય પસી અમૂલની…” જાણે કોઈ કિંમતી જણસ કાઢતો હોય એમ મેલા શર્ટનાં ખિસ્સામાંથી લસ્સી કાઢી.
સવલી જાણે રજવાડાની મહારાણી હોય તેમ ઝળૂંબી રહી અને લસ્સીનો એક એક ઘૂંટડો જાણે તેની બાદશાહત સ્વીકારતો હોય તેમ ચૂપચાપ તેના પેટની શાતા વધારી રહ્યો હતો.
અંતે તે ઝુંપડાની મહારાણી વિચારી રહી રહી…” છો ને એને કામવાળા કે રસોઇવાળા..આપણે તો ઘરવાળો જ આપણો…એથી વધુ શું રજવાડું……”
શ્રદ્ધા ભટ્ટ
વાપી
૦૭/૦૪/૨૦૨૧
*****†***********************†****†****
NOG. SS. NO. 0095
વિષય :– રાજ , રાજપાટ, રાજવી, રાજ સિંહાસન
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– એક અનોખું રજવાડું , ‘ ભાવનગર ‘
આજે જ્યારે આપણને આટલો સુંદર વિષય મળ્યો છે ત્યારે હૈયું તો એમજ કહે છે કે જે કલા , સંસ્કૃતિ , સાહિત્ય અને શિક્ષણની નગરી ભાવનગરમાં હું રહું છું એની જ થોડી ઐતિહાસિક વાતોની રજૂઆત કેમ ના કરું ?
સૂર્યવંશી ગોહિલવંશનાં રાજાઓ તેમનાં મૂળ વતન મારવાડથી ગુજરાત આવ્યા અને અનેક જગ્યાએ રાજધાની સ્થાપી હતી. કાળક્રમે રાજધાની બદલાતી રહી અને અંતે સંવત ૧૭૭૯ ની વૈશાખ સુદ –૩ અખાત્રીજનાં દિવસે દરિયાકિનારે ‘ વડવા ‘ ગામ પાસે મહારાજા ભાવસિંહજી ગોહિલે નવી રાજધાની વસાવી અને તેમનાં જ નામ ઊપરથી એ નગરી ‘ ભાવનગર ‘ તરીકે ઓળખાઈ.
ભાવનગરનાં રાજવીઓ પ્રજાવત્સલ હતાં. એવીજ રીતે એમનાં કારભારીઓ પણ એટલાંજ પ્રજાપ્રેમી હતાં.અહીંના મહારાજાનાં પ્રજાપ્રેમનું એક નાનું એવું ઉદાહરણ આપું તો , “ એકવાર મહેલનાં દરવાજે એક ભિક્ષુક આવ્યો. અને મહેલનાં વિશાળ પ્રાંગણમાં બોરથી લચી પડેલી એક બોરડી જોઈ. ભૂખ્યો હોવાથી એણે એક પથરો લાઈને બોરડી પર ફેંક્યો. ઘણાં બધાં બોર નીચે પડ્યા બહાર પડેલાં બોર એણે વીણીને લીધાં. પણ પેલો પથરો અંદર બેઠેલા રાજાનાં માથે વાગ્યો. ભિક્ષુક ને પકડીને રાજા પાસે લાવ્યા. પૂછવામાં આવ્યું કેટલાં બોર લીધાં ? એક ખોબો ભરીને , ભિક્ષુકે કહ્યું. રાજાએ વિચાર્યું કે એક પથરો મારવાથી જો બોરડી ખોબો ભરીને બોર આપે તો હું તો મહારાજા છું મારે એને એક ખોબો ભરીને સોનામહોર આપવી જોઈએ. અને એમણે એને આપી પણ ખરી. “ તો આવી પ્રજાવત્સલતા હતી અહીંનાં રાજાઓમાં.
જેટલાં પ્રજાવત્સલ એટલાં જ કલા, સંગીત , ને સ્થાપત્ય પ્રેમી પણ ખરાં જ. મહારાજા જશવંતસિંહજીએ સૌ પ્રથમ પ્રાથમિક શાળા શરૂ કરી અને કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે પોતાની કુંવરીને પણ શાળામાં દાખલ કરી હતી. અહીંનાં મહારાજાઓએ બંધાવેલાં મંદિર , દવાખાનાં , પુસ્તકાલય , શાળા કોલેજો આજે પણ એમનાં સ્થાપત્ય પ્રેમની સાક્ષી પુરતાં ઊભા છે.
મહારાજા તખ્તસિંહજીએ પણ રેલ્વે , હાઈસ્કુલો, શાળાઓ, દવાખાનાંઓ , કૂવા , તળાવો , બાગ બગીચાઓ બંધાવ્યાં હતાં. ત્યાર બાદ ભાવસિંહજી બીજા આવ્યા . એ ખૂબજ કલા પ્રિય હતાં. એમણે ચિત્ર , સંગીત જેવી કલાને વેગ આપવા માટે પોતાનાં પેલેસમાં જ એક અલગ બંગલો રાખ્યો હતો .જ્યાં તેઓ કલાકારોને બોલાવતા અને એમની પાસેથી શીખતાં પણ હતાં. અને ઘણીવાર સંગીતની મહેફિલો પણ યોજાતાં હતાં.
ભાવસિંહજી પછી રાજગાદી પર કૃષ્ણકુમારસિંહજી આવ્યા. ભારતને આઝાદી મળી ત્યારે એમણે જ પહેલ કરીને પોતાનું રાજ્ય દેશને અર્પણ કરીને ગોહિલવાડનું નામ ઊજળું કરી બતાવ્યું હતું. એ સમયે ખેડૂતો પર થયેલું લાખોનું દેવું પણ તેમણે માફ કરીને ખેડૂતો વતી પોતે એ દેવુ ચૂકવ્યું હતું. આવી જ ઉદારતાને ધ્યાનમાં રાખીને એમને મદ્રાસનાં ગવર્નર બનાવવામાં આવ્યા હતાં. ત્યારે પણ માત્ર ૧ રૂપિયાનો પગાર લઈને સેવા કરીને જબરી લોકચાહનાં મેળવી હતી એમણે.
આમ અહીંના રાજા મહારાજાઓએ ઉદારચરિત માનસથી ખરા અર્થમાં પ્રજાકીય શાસન ચલાવીને , પોતાની પ્રજાને બધાં જ અધિકારો આપીને સમગ્ર પ્રજાનાં દિલ જીતી લીધાં હતાં. એવા મારાં આ ભાવનગરનાં નરેશને શત્ શત્ વંદન કરું છું.
દીપિકા. ચાવડા . ‘ તાપસી ‘
******************************************
*NOG SS No : 0077*
*વિષય:સિંહાસન/ખુરશી*
*વિભાગ:ગદ્ય, મૌલિક*
*શીર્ષક:ખુરશીનો ખેલ*
સિંહાસનની શોધ જેણે પણ કરી હોય એને ખરેખર અભિનંદન આપવા જોઈએ…!
વેદકાળથી લઇને મોદી કાળ સુધી અત્યારે પણ ખુરશી કેવા કેવા ખેલ કરાવે છે, એ આપણે રોજ સવારે ઊઠીને છાપામાં વાંચતા જ હોઈએ છીએ…! અનંતકાળથી લોકોનો ખુરશી પ્રત્યે અસીમ પ્રેમ હજુ સુધી અકબંધ રહ્યો છે !વિવિધ આકારના સિંહાસનો હડપ્પા અને મોહેંજો દરોનાં ખોદકામ દરમ્યાન મળી આવેલ છે , જે એ વાતની સાબિતી પૂરે છે કે ત્યારે પણ સત્તાની લાલચ રૂપે ખાસ પ્રકારની ખુરશીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જેણે પણ આવી ખાસ પ્રકારની કહી શકાય એવી અને ખાસ વ્યક્તિઓ માટેની ખુરશીઓ બનાવી હશે તે બહુ જ ભેજાબાજ વ્યક્તિ હશે એ વાત નક્કી..! ગુરુત્વાકર્ષણ કરતાં ચડિયાતું ખુરશીઓ માટેનું આકર્ષણ બળ દરેક મનુષ્યમાં જોવા મળે જ છે. ફક્ત રાજા-મહારાજા અને નેતાઓ સુધી આ રાજાપાઠ સમી ખુરશી કે સિંહાસન સીમિત ન રહેતા હવે એ ધર્મગુરુઓ સુધી પહોંચ્યું છે.
અમુક પ્રકારના ધ.ધૂ, પ.પૂ, એકહજાર આઠ ,શ્રીશ્રીશ્રી અમુક પ્રકારની સિંહાસન કે ખુરશીઓનો આગ્રહ રાખે છે..!
જો કોઈ સમારંભ કે કાર્યક્રમમાં એમને માટે સ્પેશિયલ ખુરશીની વ્યવસ્થા ન થાય તો કાર્યક્રમ મુલતવી રાખવો પડે છે.
એમના ગયાં પછી પણ ગુરુ પરંપરાના ભાગરૂપે એમનું આ સિંહાસન અમુક તમુક શિષ્યને મળે છે…!
અમુક સિંહાસન તો પાછા જાદુઈ હોય છે. તેમાંથી કંકૂ,ભસ્મ અને પ્રસાદ ઝરે..બોલો..!
આવી ખુરશી કે કહેવાતા સિંહાસન વગર આસને પૂજાતા હોય છે. અને કરોડો રૂપિયા આવા સિંહાસન થકી કમાવામાં આવે છે.
આ સિંહાસન કે ખુરશી નો અભાવ, પ્રભાવ ,ભાવ કે સ્વભાવ જે પણ ગણો તે ,એના ઉપર બેસનારના નામ ઉપર જ આધારિત છે. સત્તાધીશ વ્યક્તિઓ માટે ખુરશી એ સનાતન સત્ય છે. ખુરશી અને સત્તા એકબીજાના પર્યાય કહી શકાય. જોકે ખુરશીને વ્યક્તિની ખાનદાની કે સંસ્કાર જોડે કોઈ જ નહાવા નિચોવાનો સંબંધ નથી..!
દુનિયાનાં કોઇપણ પ્રદેશમાં ખુરશી એ સત્તા માટે સંકળાયેલી છે. પછી એ ગમે તે હોય.
જેને પણ પોતાની ખુરશી અને સિંહાસન ડોલતા લાગે તો એના પર બેસનારની પત્તર રગડવામાં કોઈ જ કચાશ રાખવામાં આવતી નથી …!
જેટલા પણ પેંતરા અપનાવાય એટલા ઓછા…!
આપણી સમક્ષ તાજેતરનો જ દાખલો લઈએ..!
યુ એસ એ.નાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જોઈ લો..!
પોતાની સત્તા જતી રોકવાં ,પોતાની ખુરશી બચાવવા ,કેટકેટલા હાથકંડા અપનાવ્યા હતા..!
કેટલો મોટો કોર્પોરેટ ,ઉદ્યોગપતિ, બિલ્ડર ..!
એના નામનું આખું સો માળનું બિલ્ડિંગ ટ્રંમ્પ હાઉસ હોય…!
એ વ્યક્તિ પોતાની કારમી હાર પચાવી શક્યો નહીં અને પોતાનું સિંહાસન ડોલતું જોઈ શક્યો નહીં. એમણે વ્હાઈટ હાઉસમાં તોફાનો કરાવ્યા .
આખું વ્હાઈટ હાઉસ માથે લીધું…!શું કમી હતી એની પાસે…?
સાહેબ,
વ્હાઈટ હાઉસની ખુરશી …!
એનો પ્રતાપ…!
એ દુનિયાની સૌથી મોટી કહેવાતી મહાસત્તાની ખુરશી છોડવા નહોતો માંગતો..!
રાજા વિક્રમની સિંહાસન વાળી વાર્તા આપણને સૌને ખબર છે .
એનાં સિંહાસન પર લાગેલી બત્રીસ પૂતળીઓ વારાફરતી આવી એક અર્થ સભર વાર્તા કહી જતી.આજ
વાર્તા હજુય સુધી દરેક સિંહાસન સાથે જોડાયેલ છે ફર્ક એટલો છે કે એનાં પર બેસનાર સાચો વિક્રમાદિત્ય નથી મળતો…!
બાકી વાર્તા દરેક ખુરશી અને સિંહાસન પાસે નોખી અનોખી છે…!
ચાર પાયા, બે હાથ અને પાછળ ટેકો ધરાવતા આ આસનમાં ગજબનો જાદુ છે..!
માણસ ઘરડો ખચ્ચર જેવો થાય પણ ખુરશીનો મોહ છુટતો જ નથી ..!
ભલે ને પછી એક પગ કબરમાં કેમ ન હોય..!
રૂપાળી સ્ત્રી કરતા એ વધારે આકર્ષણ સિંહાસન કે ખુરશીનું છે..!
જસદણના હરસુર ગઢવીની ડાયરામાં સાંભળેલી એક વાત રજુ કરું છું કે સુકાયેલા ઝાડના ઠૂઠા પર કાગડા અને ગીધ બેસીને શિકાર પર નજર નાખતાં.
એક મિસ્ત્રીએ આ સૂકાયેલ ઝાડનાં ઠૂઠામાંથી પાટિયા વહેરી એમાંથી ખુરશી બનાવી. જે અટાંણે સંસદમાં ગોઠવવામાં આવેલી છે. અને એનાં પર બેસીને ખાદીનાં સફેદ કપડાંવાળા કાગડાઓ અને ગીધડાઓ પ્રજાના પૈસે ખાય છે અને રોજ નવો શિકાર પર નજર નાંખે છે…!
આપણે ત્યાં ચાર ખભા ભેગા કરવાની ઉંમરે ખુરશીનાં અભરખા સેવનાર પણ મળી રહેશે ત્યાં સુધી ખુરશી કે સિંહાસનનો દબદબો ચિરકાળ રહેશે..!
એને ઊની આંચ નહીં આવે..!
*જાદૂઈ ખુરશીની ગજબની માયાજાળો,ખુરશીનો છે ખેલ નિરાળો..!*
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
*************************************
NOG SS NO:004
*વિષય: રાજ,રાજપાટ, રાજ સિંહાસન ,રાજવી પરંપરા.*
*શીર્ષક: રાજકુમારી કે દીકરી!*
ઢંઢેરો પિટનાર રાઘવો ઢોલ લઈ ચારે તરફ રાજ્યમાં ફરી વળ્યો રાજાને ત્યાં રાજકુમારીનો જન્મ થયો છે. ગામવાળા એક પછી એક સાંભળીને પોતપોતાના ખોરડામાં ભરાઈ ગયાં. કારણ રાજાજી રાજ્યમાં નથી નહિતો આ ઢંઢેરો પિટાત જ નહિ.રાણીસાહેબ ખૂબ જ ખુશ હતાં. બે રાજકુમાર પર ત્રીજી કુંવરી આવી હતી.
ભાઈઓ ને રાખડી બાંધશે, મહેલમાં એક પરીની જેમ અહીંથી ત્યાં ઉડશે.
રાજા પૂનમસિંહ મહેલમાં પધાર્યાને રાણી સાહેબે સ્વાગત કર્યુ, તિલક લલાટે લગાડ્યું અને સમાચાર આપ્યા રાજકુમારીનાં જન્મનાં, ફક્ત એક સાદું હાસ્ય કરી તેઓ દરબાર તરફ વળી ગયાં. રાજકુમારીને જોવા પણ બે દિવસે ગયાં. સમય વીતતો ગયો રાજકુમારો સાથે રાજકુમારી મોટી થતી ગઈ.જેમ જેમ ભાઈઓને તલવારબાજી, ઘોડે સવારી , ગજશાળામાં હાથીઓ સાથે શિક્ષણ લેતા જોતી તો અંદરનો માહ્યલો વ્યાકુળ થઈ જતો. પોતે આ બધું શીખવા માંગે છે..પણ કોને સમજાવે મનની સ્થિતિ? એકવાર તેણી રાઘવાની દીકરીને જુએ છે તો તેણી છક્ક જ થઈ ગઈ !ઓહ! આ છોકરી કેવી તલવાર બાજી કરે છે? પવનવેગે ઘોડેસવારી કરે છે.
તેણી તેની પાસે પહોંચી બધી જાણકારી લેછે..રઘવાને તે મજબૂર કરે છે ને અહીં શરું થાય છે રાજ,રાજપાટ ને રાજસિંહાસનનાં રાજવી પરંપરાનાં કાવાદાવા!
રાજકુમારી બધું જ ધીરે ધીરે શીખી રહી છે, બન્ને રાજકુમારમાં મોટો રાજકુમાર તેજસ્વી હતો.થોડો ઈર્ષાળું પણ, જ્યારે નાનો એકદમ કાવાદાવા વાળો ગીધ જેવો તેજ નજરવાળો જાણતો હતો કે રાજ્ય જો પિતાજીને હાથમાં નહિ રાખું તો મને કોઈ રીતે હાંસલ જ નહિ થાય, રાજકુમારી જાણતી હતી બન્ને ભાઈઓ પિતાજીની પાછળ પોતાનું જ ધાર્યું કરી રહ્યાં છે, પિતાજી સાથે પણ કાવાદાવા રચીને રાજ્યનું ભલું જોવા તૈયાર નથી. ત્યારે તેણી રાજાને સચેત કરવા જવાનું વિચાર્યું, ત્યાંતો તેઓની માતા રાણી સાહેબનું મૃત્યું થયું ને તે જ વર્ષે મોટા રાજકુમારની બગાવતથી રાજા પૂનમસિંહજી નજરકેદ થવું પડ્યું.નાના રાજકુમારે નાના રાજ્યો લઈ સંતોષ માન્યો. રાઘવો આ બધું જોઈ રાજકુમારીને સમજાવ્યું કે તે થોડી કડક થાયને તેના પિતાજીને બચાવે.
રાજકુમારીએ પોતાની એક સ્ત્રીઓની ફોજ તૈયાર કરી હતી, રાજાજી આ જાણતા નહોતા. બહાદૂર કન્યાએ પિતા પાસે ગુપ્ત રસ્તા અને તિજોરીની ગુપ્ત કૂંચીઓ વડે મોટાભાઈ સાથે મને કમને યુધ્ધ કર્યુ. પિતાજીને ગુપ્ત માર્ગે વિદાય કર્યા અને મોટા રાજકુમારને નજરકેદ કરી, રાજ્ય શાસન પોતાના હાથમાં લીધું.પ્રજાનાં વિદ્રોહ છતાં એક દીકરીએ રાઘવાની મદદથી રાજસિંહસન પર પોતાનું
રાજ્ય સ્થાપ્યું, રાજ્યની પ્રધાન રાઘવાની દીકરીને નિયુક્ત કરી.આમ જ્યાં દીકરીનાં જન્મ પર દરવાજા બંધ થતાં ત્યાં રાજ, રાજવી, ને રાજ સિંહાસન પર સ્ત્રીનું રાજ્ય સ્થપાયું ને રાજ પરંપરા જ બદલાઈ ગઈ.
સ્ત્રીની વ્યાખ્યા જ બદલાય..🙏
જયશ્રી પટેલ
૯/૪/૨૧