ભારતીય જનતા પાર્ટી
ગાંધીનગર મહાનગર
તા.26/01/2021
————
‘શ્રી કમલમ’, સેક્ટર 21 ખાતે મહાનગર ભાજપા દ્વારા દેશના 72માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.
————
મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી.
———–
ગાંધીનગરના પૂર્વ ભાજપા પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને વોર્ડ નં. ૪ ના કોર્પોરેટરશ્રી ધીરુભાઈ ડોડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ઋચીર ભટ્ટ
————
ગાંધીનગર મહાનગર ભાજપાના મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સેક્ટર 21 સ્થિત ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે મહાનગર ભાજપા દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે ધ્વજારોહણ કર્યું હતું. તિરંગાને સલામી આપી ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે રાષ્ટ્રીય ગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. શ્રી ભટ્ટે આઝાદીના લડવૈયા અને બંધારણના ઘડવૈયાનું સ્મરણ કરી વંદન કર્યું હતું અને સૌ નગરવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આજના આ ધ્વજવંદનના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયરશ્રી નાઝાભાઈ ઘાંઘર, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી નૈલેશભાઈ શાહ, મહાનગર ભાજપા સંગઠનના પદાધિકારીશ્રીઓ, ભાજપા અગ્રણીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ઋચિર ભટ્ટે ગાંધીનગરના પૂર્વ ભાજપા પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને વોર્ડ નં. ૪ ના કોર્પોરેટરશ્રી ધીરુભાઈ ડોડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી સદગતના આત્માને ઈશ્વર શાંતિ અર્પે અને તેમના પરિવાર પર આવી પડેલી અણધારી આપત્તિ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી.
કલ્પ પટેલ…મીડિયા સહ-કન્વીનર..ગાંધીનગર મહાનગર ભાજપા
****************************
મહાનગર પાલિકા દ્વારા વાવોલ માં પ્રજાસત્તાક દિન ઉજવણી
ત્રિરંગાને મેયરશ્રીના હસ્તે સલામી આપવા સાથે મહાનગર પાલિકા દ્વારા વાવોલમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ
વિકાસની હરણફાળમાં અગ્રેસર ગાંધીનગરમાં નવા 600 કરોડના કામોનું આયોજન કરાયું છે: રીટાબેન પટેલ
નવા ભળેલા સહિત મહાપાલિકા વિસ્તારમાં 1100 કરોડના ખર્ચના માળખાકીય સુવિધાના કામ પ્રગતિ હેઠળ છે: મેયરશ્રી
ગાંધીનગરમાં મેટ્રો રેલ અને અયોધ્યામાં રામ મંદિર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનતા મેયરશ્રી
મહામારી સામેની લડત માટે કોરોના વોરિયર્સ અને સ્વચ્છતા માટે સફાઇ કર્મયોગીઓની કાર્યનિષ્ઠાને મેયરશ્રી દ્વારા બિરદાવાઇ
કોરોના સંક્રમણ બાદ નિધન પામેલા કોર્પોરેટરશ્રી ધીરૂભાઇ ડોડિયાને મેયરશ્રી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ
ગાંધીનગર
દેશના 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહાનગર પાલિકા દ્વારા મહાપાલિકામાં નવા ભળેલા વિસ્તાર વાવોલ ખાતે દબદબાભેર કરવામાં આવી હતી. મેયરશ્રી રીટાબેન પટેલના હસ્તે ત્રિરંગો ફરકાવીને રાષ્ટ્રગીતના ગાન સાથે સલામી ઝીલવામાં આવી હતી. મેયરશ્રીએ દેશને આઝાદિ અપાવનારા શહિદોને યાદ કરવાની સાથે આપેલા પ્રવચનમાં જણાવ્યું હતું કે વિકાસની હરણફાળમાં અગ્રેસર ગાંધીનગરમાં નવા 600 કરોડના કામોનું આયોજન કરાયું છે અને આ સિવાય માળખાકીય સુવિધા અને લોક કલ્યાણના કામની રૂપિયા 900 કરોડની યોજનાઓ પ્રગતિ હેઠળ છે અને 200 કરોડના ખર્ચના કામ પૂર્ણ કરાયા છે. ખાસ જાહેરાત કરતાં જણાવ્યું કે, ગાંધીનગર-કોબા-ઇન્દિરા બ્રિજ સુધીના એક્સપ્રેસ વેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં આ રસ્તાની સમાંતર આવેલ સર્વિસ રોડને ફૂટપાથ સાથે ચારમાર્ગીય કરવાની કામગીરી રૂ. ૮૮.૦૦ કરોડના ખર્ચે ટૂંક સમયમાં શરૂ કરવાનું આયોજન છે. મેયરશ્રીએ આ તકે ગાંધીનગરમાં મેટ્રો રેલ અને અયોધ્યામાં રામ મંદિર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો. સાથે જ મહામારી સામેની લડત માટે કોરોના વોરિયર્સ અને સ્વચ્છતા માટે સફાઇ કર્મયોગીઓની કાર્યનિષ્ઠાને મેયરશ્રી દ્વારા બિરદાવાઇ હતી. મેયરશ્રી દ્વારા કોરોના સંક્રમણ બાદ નિધન પામેલા કોર્પોરેટરશ્રી ધીરૂભાઇ ડોડિયાને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સાથે જ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગતની વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી નાજાભાઇ ઘાંઘર, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી વાડીભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ પ્રભારીશ્રી ગાંધીનગર, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અશોકભાઈ પટેલ તથા પુનમભાઈ મકવાણા, વિપક્ષ નેતાશ્રી શૈલેન્દ્રસિંહ બિહોલા, શહેર ભાજપ પ્રમુખશ્રી રૂચિરભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ગુડા ચેરમેનશ્રી આશિષભાઈ દવે, પૂર્વ મેયરશ્રીઓ મહેન્દ્રસિંહ રાણા, પ્રવિણભાઇ પટેલ, હંસાબેન મોદી તથા શોભનાબેન વાઘેલા, તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પી. સી. દવે, કોર્પોરેટરશ્રીઓ, વાવોલ ગામના આગેવાનશ્રીઓ શૈલેષભાઈ પટેલ, વિક્રમસિંહ ગોલ, કુબેરસિંહ ગોલ, નગીનભાઈ નાડીયા તથા ભાજપ સંગઠનના મહામંત્રીશ્રીઓ કનુભાઈ, ગૌરાંગભાઈ અને ધર્મેન્દ્રસિંહ, વોર્ડ પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ તથા અલગ-અલગ સંસ્થાના મહાનુભાવો, નગરજનો, મહાનગરપાલિકાનાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.
વિકાસની વાત કરતાં મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યુ હતું કે ગાંધીનગર મહાનગરપાલિકાનું સરકારશ્રી દ્વારા હદ વિસ્તરણ કરવામાં આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકામાં આવેલા જુના વિસ્તારો તેમજ નવા ભળેલા વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર, લાઈટ, બગીચાઓ, સફાઈ સહિત કામગીરીના આધુનિકરણ સાથે લોકોની સુવિધા માટે અનેકવિધ નવા આયોજન કરવામાં આવ્યા છે. તેમાં રસ્તાના કામ પાછળ 250 કરોડના ખર્ચનું આયોજન કરાયું છે. ગાંધીનગર શહેરમાં પીવાના શુદ્ધ પાણી માટે 219 કરોડના ખર્ચની યોજના અમલી કરાઇ છે. જ્યારે અંબાપુર, પોર, કુડાસણ, રાંદેસણ, રાયસણ, વાવોલ અને સરગાસણમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે 21 કરોડ ઉપરાંતના ખર્ચની યોજના કરાઇ છે. ગાંધીનગર શહેરમાં 50 વર્ષ જુની ગટર લાઇન બદલવા 254 કરોડના ખર્ચની યોજના તૈયાર કરવામાં આવી છે. જ્યારે કોલવડા, અમિયાપુર, કુડાસણ, રાંદેસણ, રાયસણ, વાવોલ, અંબાપુર, નભોઇમાં ગટર લાઇન માટે રૂપિયા 53 કરોડનો ખર્ચ કરાશે. વરસાદી પાણીના નિકાલ માટે સ્માર્ટ સિટી અંતર્ગત 52 કરોડના ખર્ચે 85 કિલોમીટરની લાઇન બિછાવી દેવાઇ છે. જ્યારે નવા વિસ્તારોમાં 50 કરોડના ખર્ચે ગુડા દ્વારા કામ શરૂ કરાયા છે. શહેરમાં વિવિધ સેક્ટરમાં 25 કરોડના ખર્ચે 15 બગીચા વિકસાવાઇ રહ્યાં છે અને 6 કરોડના ખર્ચે 6 બગીચાના કામ પૂર્ણ કરાયા છે. હવે નવા ભળેલા વિસ્તારોમાં મતલબ કે 18 ગામ અને 34 ટીપી વિસ્તારમાં નિર્ધારિત કરેલા 40 જેટલા પ્લોટમાં બગીચા વિકસાવવાની યોજના તૈયાર કરાશે.
અન્ય મુખ્ય વિકાસ કામોમાં નવા વિસ્તારોમાં ઇન્ટેલીજન્ટ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સાથે જોડાણ કરી અને ૧૫ જેટલા ટ્રાફિક સિગ્નલો, તમામ પ્રકારના સી.સી. ટીવી કેમેરા તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લગતી તમામ સ્માર્ટ સુવિધાઓ તેમજ પ્રોપર્ટી ટેક્ષ સર્વેની જી.આઈ.એસ. સિસ્ટમની કામગીરી કરવા માટેનું ટેન્ડર રૂ. ૬૫.૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી યોજના હેઠળ બહાર પડાયું છે.જેનીકામગીરી ટૂંક સમયમાં શરુ થશે. સેક્ટર-૨૧માં પાર્કિંગ વ્યવસ્થા સુદ્રઢ કરવાનું કામ રૂ. ૧૫ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. સેક્ટર-૨૧માં હાલની લાયબ્રેરીની જગ્યાએ પાંચ માળની નવી આધુનિક અને ડીજીટલ લાયબ્રેરી બાંધવાનું કામ રૂ.૧૫ કરોડના ખર્ચે કરાશે. રૂ. ૨૫ કરોડના ખર્ચે ગાંધીનગરમાં સમાવિષ્ટ ૬ પ્રાથમિક શાળામાં નવા મકાનો (૧૫ રૂમ પ્રતિ શાળા) બનાવવાનું કામ ટુંક સમયમાં હાથ ધરાશે. શહેરના વિવિધ સેક્ટરોની ફરતે બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ રૂ. ૧૧.૬૫ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. સરકારશ્રીની સૂચના મુજબ સુંદર, લોકઉપયોગી ૮૧ પીકઅપ બસસ્ટેન્ડ બનાવવાનું કામ પ્રગતિમાં છે.
પેથાપુર માટે ગટર વ્યવસ્થા સહિત 50 કરોડના ખર્ચની યોજનાઓ તૈયાર કરાઇ છે: મેયરશ્રી
પેથાપુર ચાર રસ્તે મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા મુકીને નગરને આગવી ઓળખ અપાશે
ગાંધીનગર:
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વાવોલમાં આયોજિત પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગે મેયરશ્રીએ કરેલા ઉદબોધન દરમિયાન હવે મહાનગર પાલિકામાં ભળેલા પેથાપુર વિસ્તારમાં માળખાકીય સુવિધાના રૂપિયા 50 કરોડના ખર્ચના વિવિધ કામોની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યું કે ગત ૧૫મી ઓગષ્ટના રોજ જાહેર કર્યા મુજબ પેથાપુર ચાર રસ્તા ઉપર રાજપૂત યુવા પરિષદ અને મહાનગરપાલિકાના સહયોગથી સમગ્ર ભારત વંશના મહા-યોધ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે, આમ થવાથી પેથાપુરનાં પ્રવેશદ્વારની આગવી ઓળખ ઉભી થશે.
પેથાપુર માટે હાથ ધરાયેલી યોજનાઓ સંબંધમાં વધુમાં જણાવ્યું કે પેથાપુર, કોલવડા તેમજ રાંધેજા ખાતે નર્મદાનું પાણી પહોંચાડવાની રૂ. ૧૩.૫૦ કરોડની યોજના અને પેથાપુર ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારી અને પેથાપુર તેમજ ટી.પી. વિસ્તારની ગટર વ્યવસ્થા કાર્યરત કરવાનું આયોજન રૂ. ૩૫.૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહ્યું છે. રૂ. ૩૮ લાખના ખર્ચે પેથાપુરમાં પેવર બ્લોક અને સી.સી. રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. અહીંના સરકારી દવાખાનાનું નવીનીકરણ કરી સમગ્ર જનતાને ઉપયોગમાં આવે તેવું અદ્યતન દવાખાનું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે હયાત સ્મશાનગૃહનું નવીનીકરણ કરાશે. પેથાપુર તેમજ તેના ટી.પી. વિસ્તારમાં નવીન બગીચાઓ બનાવી તેની સુંદરતામાં વધારો કરાશે.. પેથાપુર-રાંધેજા રસ્તાને સ્ટ્રીટ લાઈટ સાથે ચાર માર્ગીય કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રૂ. ૧૪.૬૩ કરોડના ખર્ચે નવા ૧૮ ગામો તથા પેથાપુર નગરપાલિકા વિસ્તારમાં માં નવા સી.સી. રોડતથા ડામર રોડના કામ કરાશે.