ભારતીય સંતપરંંપરા સમર્થ જ્ઞાની પુરુષ ની વિદાય
ગુજરાતની સંતપરંંપરાના ધ્રુવતારક સમા તેજસ્વી આધ્યાત્મિક પુરુષ, શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના પ્રણેતા સંતશ્રી આત્માનંદજીના પવિત્ર જીવન, વિશાળ શાસ્ત્ર જ્ઞાન અને તીર્થંકર તથા સંતો પ્રત્યેના અપાર ભક્તિભાવને કારણે તેમના ઉપદેશને અનુરારનારા એમના
હજારો અનુયાયીઓ દેશ-વિદેશમાં વસે છે. ધર્મ અને સમાજ પ્રત્યેની સદ્દભાવ અને સંનિષ્ઠાથી તેમણે હજારો મુમુક્ષુઓને દિવ્ય જીવન જીવવાની
પ્રેરણા આપી છે. ગુજરાતની જનતાએ એક જ્ઞાની ભક્તિ ભાવપૂર્ણ અને અધ્યાત્મ ભાવના પરમ આરાધક એવા મોક્ષમાર્ગના સંતની દ્રષ્ટીએ એમને
સદૈવ જોયા છે. છેલ્લા ચાર દાયકા થી પણ વધુ સમયથી આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વાધ્યાય પ્રવચનો, તીર્થયાત્રાનો, યુવાશિબિરો અને
આરોગ્ય સેવા ક્ષેત્રે પ્રદાન આપ્યું છે. કોઇપણ જાતના ભેદભાવ વિના એક સંત તરીકે એમની સર્વદર્શનો પ્રત્યે સમદ્રષ્ટિ રહી હતી. વ્યવહારિક
જીવનમાં એમ. બી. બી.એસ. થયા બાદ એમણે ઇગ્લેન્ડમાં અભ્યાસ કરી એમ,આર.સી. પી. તથા ડી.ટી.એમ.એચ.ની ઉચ મેડીકલ ડીગ્રીનો પ્રાપ્ત
કરી. એ પછી ‘કુંદકુંદાચાર્ય ત્રણ રત્નો’ અને શ્રીમદ્ રાજચંદ્રજીની વચનામૃત’ના ઊંડા અધ્યયનથી એમની આધ્યાત્મિક રૂચિ વધુ ને વધુ પ્રદીપ્ત
થતી ગઈ. ૧૯૬૯ની ૧૪ ફેબ્રુઆરીએ તેમનામાં શુદ્ધ આતમજ્ઞાનનો ઉદય અર્થાત આત્મસાક્ષાત્કાર થયો. ૧૯૭૫માં મીઠાખળી, અમદાવાદમાં
‘સત્કૃત સેવાસાધના કેન્દ્રની સ્થાપના કરી. ૧૯૭૬માં પૂ. સહજાનંદજી વર્મી મહારાજની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. ૧૯૮૨માં
કોબા મુકામે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રની સ્થાપના કરી. ૧૯૮૪માં ગિરનાર મુકામે પૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજની આજ્ઞાથી
વિશિષ્ટ નિયમવ્રતો અંગીકાર કરી આત્માનંદજી નામ ધારણ કર્યું. પૂજ્ય આત્માનંદજીએ અમેરિકા, બ્રિટન અને આફ્રિકાની તથા અન્ય અનેક
ધર્મયાત્રાઓ દ્વારા દેશ-વિદેશ સ્થિત મુમુક્ષુઓને ધર્મજીવનનું માર્ગદર્શન પૂરું પાડયું. 1993માં શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદની શતાબ્દી
નિમિત્તે ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને શ્રીમદ્ રાજચંદ્રના તત્વજ્ઞાનની એમણે સચોટ રજૂઆત કરી.
પૂજ્ય આત્માનંદજીની પ્રેરણાથી આર્થિક રીતે સાધારણ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે તે હેતુથી કોબામાં ‘વિદ્યાભક્તિ આનંદધામ’
ગુરુકૂળની સ્થાપના કરી, જેમાં વિદ્યાર્થીઓનું ખૂબ ઓછી ફી લઈને સંસ્કાર ઘડતરનું કાર્ય ચાલુ છે.’
જરૂરતમંદ દર્દીઓને મેડિકલ સારવાર મળી રહે તે હેતુથી સંસ્થામાં મેડિકલ સેન્ટર પણ શરુ કરવામાં આવ્યું છે. અમદાવાદની જનતાને સત્સંગ
ભક્તિનો લાભ મળે તે હેતુથી મીઠાખળી ખાતે ૧૯૯૯માં ‘સદગુરુપ્રસાદ’ સંસ્થાનું નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણા અને શુભાશીર્વાદથી થયું હતું.
સરસ્વતી માતાના ઉપાસક જ્ઞાની સંતશ્રી આત્માનંદજીએ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં ૪૫ ઉપરાંત નાના-મોટા પુસ્તકોની સમાજને
ભેટ ધરેલ છે. તેમની અનુભવવાણીથી સભર સંસ્કારસિંચક સ્વાધ્યાયની ૪૦૦૦ ઉપરાંત ઓડિયો-વિડીયો કેસેટો તૈયાર કરવામાં આવી છે. તેમની
પ્રેરણાથી ‘દિવ્યધ્વનિ’ નામનું આધ્યાત્મિક માસિક છેલ્લા ૪૦ વર્ષથી પ્રકાશિત થાય છે તથા દર વર્ષે દિવાળી પુસ્તિકા પ્રકાશિત થાય છે. તેમણે
આપેલું ‘હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું’ એ સૂત્ર વિશાળ જનહ્રદયોમાં ગુંજી રહ્યું છે.
પૂજ્ય આત્માનંદજીના દિવ્ય આત્માએ રવિવાર, તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સવારે ૧૦.૫૮ કલાકે આત્મજ્ઞસંતો, વિશાળ સાધકવૃંદ તથા
મુમુક્ષુગણની ઉપસ્થિતિમાં શાંતિપૂર્વક દેહ ત્યાગ કરીને સમાધિ મરણને પ્રાપ્ત કરેલ છે. પૂજ્યશ્રી અંતિમ સંસ્કાર વિધિ કોબા આશ્રમના સંકુલમાં
સંપન્ન થયેલ છે. એમની વિદાયથી ભારતીય સંતપરંંપરાનો એક ઉજ્જવળ સિતારો આપણી વચ્ચેથી વિદાય પામ્યો, પરંતુ એમની પ્રેરણા, એમણે
તૈયાર કરેલા મુમુક્ષુઓ, એમ ના ગ્રંથો અને એની સ્મૃતિ વિશાળ જનસમુદાય ને સદાય માર્ગદર્શક બનશે.