કોંગ્રેસના ધુરંધર દિગ્ગજોને માત કરનાર તથા
નેહરુ-ગાંધી વંશવાદના નામે ચરી ખાઈને
કોંગ્રેસને જ નુકશાન કરનાર ટોળકીના આર્કિટેક્ટ કોણ?
.
ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસને “રામરામ” કર્યા. આ માટે કોણ જવાબદાર? કોંગ્રેસને આવી કપરી પરિસ્થિતિમાં વારંવાર કોણ મુકે છે? કોંગ્રેસનો ઝળહળતો વાવટો સંકેલાઈ જાય તેવા નિર્ણયો લેવામાં કોને રસ છે? કોનું અંગત હિત તેમાં સમાયેલું છે? આ બધા પ્રશ્નોના જવાબમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીનું નામ “ટોપ ૫૦”માં પણ નથી આવતું. સૌથી પહેલું નામ જે આવે છે તે છે આપણા ગુજરાત કોંગ્રેસના દિલ્હીમાં દાયકાઓથી બિરાજમાન દિગ્ગજ નેતા “અહમદ પટેલ”. અહમદભાઈ કે જેઓ બાબુભાઈના હુલામણા નામથી ઓળખાય છે તેઓ રાજીવ ગાંધીના સમયથી ગાંધી પરિવાર સાથે બહુ જ નિકટતાથી જોડાયેલા છે. ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારથી તેઓએ ગાંધી પરિવારમાં પગ-પેસારો કર્યો હતો.
.
અહમદભાઈએ સૌથી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને નષ્ટ કરી નાખી. માધવસિંહ, અમરસિંહ, ઝીણાભાઈ જેવા દિગ્ગજ નેતાઓને પછાડીને ગુજરાત કોંગ્રેસ માટે દિલ્હીમાં બેઠા બેઠા કોંગ્રેસના મોવડીમંડળ પાસે એક પછી એક એવા નિર્ણયો લેવડાવ્યા કે જેને કારણે આજે ગુજરાતમાં કોંગ્રેસ હાંફી રહી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાનપદે બિરાજમાન થયા પછી તો અહમદભાઈ પટેલે પોતાના વ્યક્તિગત સ્વાર્થને સાધવા માટે “એક અદ્રશ્ય દોરીસંચાર” હેઠળ “ઈરાદાપૂર્વક” એક પછી એક એવા ખોટા નિર્ણયો લીધા કે જેને કારણે ગુજરાત ભાજપને મોકળું મેદાન મળી ગયું.
.
છેક ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના સતત પ્રયાસોથી અહમદભાઈ પટેલના નેતૃત્વવાળી “સ્થાપિત હિતોની ટોળકી”ને તાબે થયા વગર વિધાનસભાની ચૂંટણીના “તમામ તો નહીં જ પરંતુ ઘણાં ઉમેદવારો”ની પસંદગી વ્યવસ્થિત રીતે થતાં તથા હાર્દિક-અલ્પેશ-જીગ્નેશના આંદોલનોના પરિણામે ગુજરાત કોંગ્રેસ ભાજપને કટ્ટર લડત આપી શકી.
.
પરંતુ રાહુલ ગાંધીના કોંગ્રેસ પ્રમુખપદ છોડ્યા પછી અને સોનિયા ગાંધીના કાર્યકારી પ્રમુખપદે નિયુક્તિ થયા બાદ ફરી એક વખત અહમદભાઈ પટેલે પોતાની આણ કોંગ્રેસમાં અડીખમ રહે તે માટે તથા પોતાના અંગત હિત અને અંગત સ્વાર્થને ટકાવવા માટે ફરી એક વખત પોતાના પાસાં રમવાની શરૂઆત કરી. અને એ રમતની શરૂઆતમાં સૌથી પહેલો ભોગ રાહુલ ગાંધીનો લેવાયો.
.
અહમદભાઈ પટેલના નેતૃત્વવાળી ટોળકીના કારસ્તાનથી થાકીને જ રાહુલ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ છોડી દીધું હતું એમ કહીએ તો તે વધારે પડતું નહીં હોય. ૧૯૬૫માં “ગુંગી ગુડિયા” ગણાતી દાદી ઇન્દિરા ગાંધીએ જે રીતે તે સમયની “સ્થાપિત હિતોની ટોળકી” સામે લડત આપી તેવી લડત રાહુલ ગાંધી આપી શક્યા નહીં અને અંતે કોંગ્રેસને નુકશાન કરી રહેલી “સ્થાપિત હિતોની ટોળકી” સામે રાહુલ ગાંધીએ હાર સ્વીકારી લીધી.
.
હવે આ આખી રમતને અને સંઘર્ષને વિગતે જોઈએ.
.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામો પછી સોનિયા ગાંધીની કથળતી તબિયતના કારણે રાહુલ ગાંધી પ્રમુખ બન્યા વગર પ્રમુખપદનો દબદબો ભોગવતા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડિસેમ્બર ૨૦૧૭માં કોંગ્રેસના પ્રમુખ બન્યા. હકીકતમાં ૨૦૧૫થી રાહુલ ગાંધીએ કોંગ્રેસને “આંટી મારીને ચૂસી” રહેલા “સ્થાપિત હિતો”ને ધીમે ધીમે દુર કરવાની શરૂઆત કરી. આ ઓપરેશન અંતર્ગત જ અહમદભાઈ પટેલ, મોતીલાલ વોરા, કમલનાથ, અશોક ગેહલોટ, ગુલામનબી આઝાદ, પી. ચિદમ્બરમ, એ. કે. એન્ટોની, મલ્લિકાર્જુન ખડગે તથા દિગ્વિજયસિંહ જેવા દિગ્ગજોને પૂછ્યા વગર રાહુલ ગાંધી સ્વતંત્ર રીતે યુવા નેતાઓને સાથે રાખીને નિર્ણયો લેતા થયા. જે કોંગ્રેસના ભવિષ્ય માટે ખરેખર શુભ સંકેત હતો.
.
રાહુલ ગાંધીએ “કોંગ્રેસ મુસ્લિમનું તુષ્ટિકરણ કરે છે” એ છાપને ભૂંસીને “સોફ્ટ હિન્દુત્વ” તરફ કોંગ્રેસને વાળવામાં સફળતા મેળવી. “સોફ્ટ હિન્દુત્વ” તરફ કોંગ્રેસને વાળીને ૨૦૧૫ પછી કોંગ્રેસને બેઠી કરવાના સતત પ્રયાસો કર્યા. આ પ્રયાસો કરવામાં તેમને કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ, મિલીન દેવરા, જીતિન પ્રસાદ, સંદીપ દિક્ષિત જેવા યુવા નેતાઓને સાથે લીધા. લોકસભામાં તેઓ સતત જ્યોતિરાદિત્ય સાથે જ બેઠેલા જોવામાં આવ્યા. નિર્ણયો લેવામાં આ યુવા નેતાઓને બહુ મહત્વની ભૂમિકા આપવામાં આવી.
.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં આમ થવાથી અહમદભાઈ પટેલ, કમલનાથ, દિગ્વિજયસિંહ, અશોક ગેહલોટ, ગુલામનબી આઝાદ જેવા “સ્થાપિત હિતો”ના પેટમાં તેલ રેડાયું. તેમને એવું લાગ્યું કે જો રાહુલ ગાંધી સામે હવે અવાજ ઉંચો નહીં કરીએ તો રાહુલ ગાંધી અહમદભાઈ પટેલના નેતૃત્વવાળી “સ્થાપિત હિતોની ટોળકી”ને સત્તાના કેન્દ્રમાંથી દુર કરી દેશે.
.
આવા ડરના કારણે અહમદભાઈ પટેલના નેતૃત્વવાળી “સ્થાપિત હિતોની ટોળકી”એ શારીરિક રીતે અશક્ત સોનિયા ગાંધીના કાન ભંભેરવાનું શરુ કર્યું. આ દરમિયાન ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રાહુલ ગાંધી અને યુવા નેતાઓના અથાગ પ્રયાસોથી કોંગ્રેસ સરકાર બનાવશે તેવા સંજોગો ઉભા થયા. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનમાં સચિન પાયલોટને મુખ્યપ્રધાન બનાવવા તેવું નક્કી કર્યું.
.
આ સમયમાં જ અહમદભાઈ પટેલના નેતૃત્વમાં રહેલા “સ્થાપિત હિતો” સોનિયા ગાંધીને એવું સમજાવવામાં સફળ નીવડ્યા કે જો રાહુલ ગાંધી આ યુવા નેતાઓને આટલું બધું મહત્વ આપશે તો અંતે નુકશાન રાહુલ અને પ્રિયંકાને થશે. આથી આ બંને રાજ્યો કે જ્યાં કોંગ્રેસ જેના પ્રયાસોના કારણે સત્તા ઉપર આવી તેવા યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટને મુખ્યપ્રધાનપદથી દુર રાખવામાં આવ્યા અને અંતે સોનિયા ગાંધીની દખલગીરીથી કમલનાથ અને અશોક ગેહલોટ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મુખ્યપ્રધાન બની ગયા. આ સમયે સચિન પાયલોટે નામરજીમાં પણ ડેપ્યુટી મુખ્યપ્રધાનપદ સ્વીકાર્યું.
.
પરંતુ મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય દ્વારા પ્રસ્તાવ મુકવામાં આવ્યો કે તે સૂચવે તેને નાયબ મુખ્યપ્રધાન બનાવવા તેની સામે સોનિયા ગાંધીએ પ્રસ્તાવ મુક્યો કે બીજા નાયબ મુખ્યપ્રધાન કમલનાથ કહે તે હશે. અંતે આ પ્રસ્તાવ જ્યોતિરાદિત્યએ ન સ્વીકાર્યો. ત્યારબાદ તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની વાત આવી પરંતુ તેમાં પણ અહમદભાઈ પટેલના નેતૃત્વવાળી “સ્થાપિત હિતો” ધરાવતી ટોળકીએ તેમ ન થવા દીધું.
.
આ બધાંથી એટલે કે અહમદભાઈના નેતૃત્વવાળી “સ્થાપિત હિતો” ધરાવતી ટોળકીથી હારી-થાકીને જ ઓગસ્ટ ૨૦૧૯માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું. આ સ્થાપિત હિતો ધરાવતી ટોળકીને એમ હતું કે રાહુલ રાજીનામું પાછું ખેંચી લેશે પરંતુ રાહુલે તેમ ન કર્યું. અને અંતે આ ટોળકીએ સોનિયા ગાંધીને જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા અને અહમદભાઈ પટેલ અને તેમની ટોળકી ફરી પાછી કોંગ્રેસ ઉપર કબજો જમાવીને બેસી ગઈ. આથી જ જયારે જ્યોતિરાદિત્યને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવાની વાત આવી ત્યારે પણ તેની ઉપર આ ટોળકીએ ઠંડુ પાણી રેડી દીધું અને તેમના નામ ઉપર સંમતિ ન થવા દીધી.
.
આ બધી ઘટનાઓ સમયે રાહુલ ગાંધીએ સંઘર્ષ કરવાને બદલે મેદાન છોડી દીધું. એટલે આ યુવા નેતાઓને હવે એમ લાગવા માંડ્યું કે જો હવે કોંગ્રેસમાં વધુ લાંબો સમય રહીશું તો તેમનું કોઈ જ ભવિષ્ય નથી. એટલે જ યુવા નેતાઓએ કોંગ્રેસના “સ્ટેન્ડ”થી હટીને નિવેદનો આપવા માંડ્યા. “ત્રિપલ તલાક”, “૩૭૦-૩૫એ” કે પછી “રામમંદિર” – આ તમામ મુદ્દે યુવા નેતાઓએ ભાજપ સરકારના નિર્ણય સાથે સંમતિ દર્શાવી.
.
ત્યારબાદ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આવી. અહમદભાઈના નેતૃત્વવાળી “સ્થાપિત હિતો” ધરાવતી ટોળકીએ સોનિયા ગાંધી પાસે એવા નિર્ણયો લેવડાવ્યા કે જેને કારણે કોંગ્રેસને માત્ર ૦૪% મત જ મળ્યા. કોંગ્રેસની જે “કોર મતબેંક” છે તેના મત પણ ન મળ્યા. કોંગ્રેસ ભાજપને હરાવવામાં સફળ રહી પરંતુ સરવાળે કોંગ્રેસ સાફ થઇ ગઈ. “સ્થાપિત હિતો” ધરાવતી ટોળકી કોઈક “અદ્રશ્ય દોરીસંચાર” હેઠળ નિર્ણયો લઇ રહી હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને તેને કારણે કોંગ્રેસને પૂરી ન શકાય તેવું નુકશાન થઇ રહ્યું છે. તદુપરાંત કોંગ્રેસ પાસે કાયમી પ્રમુખ નથી કે વ્યૂહરચના સાથે કોંગ્રેસને બેઠી કરી શકે તેવી “કોર કમિટી” પણ નથી. આથી યુવા નેતાઓમાં હતાશા ફેલાઈ રહી છે અને તેને કારણે યુવા નેતાઓ હવે લાંબો સમય કોંગ્રેસ સાથે રહે તે વાતમાં હવે દમ નથી.
.
તદુપરાંત કોંગ્રેસના નેતાઓ પછી તે કેન્દ્રના હોય, રાજ્યના હોય કે સ્થાનિક હોય – તમામ પોતપોતાના વ્યક્તિગત ધંધાકીય હિતોને સૌથી પ્રથમ પ્રાધાન્ય આપી રહ્યા છે. તેમના માટે પક્ષનું હિત સૌથી છેલ્લે હોય છે. તેની પાછળનું કારણ એ છે કે તેમને કોઈ પૂછનાર નથી. તેમની પાસે જવાબ માંગનાર કોઈ મજબુત તંત્ર નથી. આથી કોંગ્રેસના નેતાઓ પોતપોતાની રીતે મનમાની કરી રહ્યા છે અને તેઓ વ્યક્તિગત નિર્ણયો લઇ રહ્યા છે.અને તેને કારણે પક્ષને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે. પરંતુ તેને જોનાર કે તેઓને તેમ કરતાં રોકી શકે એવું મજબુત તંત્ર કે વ્યવસ્થા કોંગ્રેસ પાસે નથી.
.
એવી નથી કે જુથવાદ ભાજપમાં નથી. ભાજપમાં પણ બધા જ અનિષ્ટો છે અને ભાજપમાં પણ ઉકળતો ચરુ છે પરંતુ ભાજપ “ડેમેજ કંટ્રોલ” કરી શકે છે કારણ કે તે માટે તેની પાસે અલાયદી ટીમ છે જયારે કોંગ્રેસમાં “ડેમેજ કંટ્રોલ” કરવા માટે પણ કોઈ આગળ આવતું નથી. જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લા એક વર્ષથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા તેમ છતાં તેમને બોલાવીને સાથે બેસાડીને તેમના પ્રશ્નો અંગે “ડેમેજ કંટ્રોલ” કરવા માટે પણ કોઈ આગળ આવ્યું નહિ. ઉલટાનું જયારે તેમને સોનિયા ગાંધીની મુલાકાતનો સમય માંગ્યો તો તે સમય પણ આપવામાં ન આવ્યો. કોંગ્રેસમાં આ બધું એક ચોક્કસ વ્યૂહરચના અંતર્ગત એક અદ્રશ્ય દોરીસંચાર હેઠળ થઇ રહ્યું છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેનો ભોગ બની રહ્યા છે પરંતુ કોઈનામાં અવાજ ઉઠાવીને કોંગ્રેસને બચાવી લેવાનો ઉત્સાહ પણ નજરે પડી રહ્યો નથી.
.
આવા સંજોગોમાં જે દિવસે અહમદભાઈના નેતૃત્વવાળી “સ્થાપિત હિતો” ધરાવતી ટોળકીની ગુલામીમાંથી કોંગ્રેસ મોવડીમંડળ મુક્ત થશે તે દિવસે જ કોંગ્રેસ દેશમાં ઉભી થઇ શકશે ત્યાં સુધી કોંગ્રેસે ઉભા થવાની કોઈ શક્યતા રાખવી જ નહીં. આ વાત દેશની લોકશાહી માટે સારી નહીં હોય પરંતુ આ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે અને તેને કોઈ જ નકારી નહીં શકે. હજુ મોડું થયું નથી. કોંગ્રેસની ટોચની નેતાગીરી જેટલી જલ્દી જાગશે તેટલો ફાયદો કોંગ્રેસને થશે.
.
જો તેમ નહીં થાય તો…કોંગ્રેસ એક ઈતિહાસ બનીને રહી જશે.
📢