નાતરું…………..
સામાજિક રિવાજોમાં નાતરું શબ્દ થોડો અરુચિકર છે. વિધવા કે ત્યક્તા એવી મહિલા અને વિધુર કે વાંઢો પુરુષ ગરજના માર્યા હોય અને સામાજિક વડીલો બંનેને ઠેકાણે પાડવા માટે લગ્નના સ્વરૂપનો જે સંબંધ ગોઠવે તેને નાતરું કહેવાય. આજની રાજનીતિમાં હવે કોઈ એને ઘરવાપસી કહે છે તો કોઈ ગદ્દારી. રાજકારણમાં જ્યારે આવા નાતરા થાય ત્યારે ફક્ત સરકાર પડવાની સાથે જ પ્રજાના વિશ્વાસની ઈમારત પણ કડડભૂસ થઈ જતી હોય છે.
દેશની રાજનીતિમાં ભારતીય જનતા પક્ષની સર્વોપરિતા પ્રસ્થાપિત થયા બાદ દિલ્હી, ગોવા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છેલ્લે મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો શાસકોને માપમાં રાખવા વિપક્ષને પ્રાધાન્ય આપવાનું મતદારોએ દાખવેલું ડહાપણ હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદારોએ ભાજપને ૧૦૦ની નીચે લાવી પરિપક્વતાનો પુરાવો આપ્યો હતો. સૌપ્રથમ બિહારમાં નીતીશકુમાર સાથે ભાજપનું સંવનન અને ત્યારબાદ કર્ણાટકમાં ખૂલેલા ખરીદ-વેચાણ સંઘથી બંને રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉઠાંતરીથી ત્રીજા રાજ્યમાં પણ ભાજપની સરકાર બનાવી લેશે. ભવિષ્યમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સત્તા પાછી મેળવવા નાતરાના મુરતિયાઓની શોધ શરૂ થઈ ગઈ હોવાનું કહેવાય છે. સમીક્ષકોની લેખિની જ્યોતિરાદિત્યના કોંગ્રેસ છોડવાના કારણો લખીને હવે વિરામ પામી રહી છે. એ વાત હવે નવી નથી કે, કોંગ્રેસ ઘરડી થઈ ગઈ છે. ભાજપને પરાસ્ત કરવા મૂળ સિદ્ધાંતોથી વિમુખ થઈ પહેરેલા સોફ્ટ હિન્દુત્વના ફરજી મુખવટાએ કોંગ્રેસને વધુ કદરૂપી બનાવી છે.
મધ્યપ્રદેશના મહાભારતમાં રાજ્યસ્તરે શાસક કોંગ્રેસને કૌરવ ગણીએ તો અહીં કર્ણ પાંડવો સાથે ભળી ગયો છે અને રાષ્ટ્રીય સ્તરે નામશેષ થવાને આરે ઊભેલી કોંગ્રેસને પાંડવ ગણીએ તો મધ્યપ્રદેશમાં અર્જુને કૌરવોનું બાવડું ઝાલી લીધું છે. અહીં લેખક કોઈ એક પક્ષને કૌરવ કે પાંડવ તરીકે વ્યાખ્યાયિત કરવાનું પાપ કરી શકે નહીં. દૃષ્ટાંત પૂરતા કૌરવ – પાંડવને વાપરવા પડે, બાકી આજની રાજનીતિમાં જે ચાલી રહ્યું છે તેને શરમ, સંયમ, વિશ્વાસ, નીતિમત્તા જેવા શબ્દો સાથે સ્નાનસૂતકનો સંબંધ રહ્યો હોય તેવું દેખાતું નથી. ગ્વાલિયરના રાજવી એવા જ્યોતિરાદિત્ય સિંધિયાનું કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાવું એ માત્ર સમાચાર પૂરતી મર્યાદિત એક રાજકીય ઘટના નથી. ૨૮ જુલાઈ ૧૯૭૯ના દિવસે મોરારજી સરકારની સાથે જ દેશના મતદારે વિપક્ષમાં મૂકેલા વિશ્વાસ પર પણ અવિશ્વાસની મહોર લાગી ગઈ હતી. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્યના જવાથી ફક્ત કોંગ્રેસની સરકારનું પતન તો થશે, સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય પક્ષ તરીકેના સામર્થ્ય સામે પણ દેશવ્યાપી પ્રશ્નાર્થ સર્જાશે.
મતદારોએ નકારી કાઢેલા મોંઢા પહેલી હરોળમાંથી દૂર કરી નવા ચહેરાઓને આગળ કરવાની પહેલ કોંગ્રેસે ભાજપમાંથી શીખવી જોઈએ. પ્રચંડ વ્યક્તિત્વના માલિક એવા અટલબિહારી વાજપેયીને દેશના મતદારોએ ૨૦૦૪માં જાકારો આપ્યો હતો. ૨૦૦૯ની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાનપદના અઘોષિત ઉમેદવાર હતા. મતદારોએ મનમોહન સિંહને પુનઃ સ્વીકાર્યા અને ૨૦૧૪માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે અડવાણીના વજુદની પરવા કર્યા વિના નરેન્દ્ર મોદીનો ચહેરો વડાપ્રધાન તરીકે જાહેર કરી દીધો, પરિણામ ક્યારેક ૪૦૦ બેઠક ધરાવતી કોંગ્રેસ ૪૦માં સમેટાઈ ગઈ છે. સંઘને નજીકથી ઓળખનારાઓને ખબર છે કે, આવતી કાલે હાલનું નેતૃત્વ મતદારોમાં અપ્રસ્તૃત જણાય તો તે બદલીને નવો ચહેરો જાહેર કરતા નાગપુર હેડક્વાર્ટર સહેજ પણ ખચકાટ અનુભવે નહીં. કમનસીબે કોંગ્રેસ પાસે આવી કોઈ વાલી સંસ્થા છે જ નહીં. આખી કોંગ્રેસ ૧૦ જનપથથી શરૂ થઈ ૧૦ જનપથમાં જ પૂરી થઈ જાય છે.
રાષ્ટ્રીય ફલક પર કોંગ્રેસ નામશેષ થઈ જાય અને ભાજપ એકચક્રી સર્વોપરિતા ભોગવે તે લોકશાહીના સ્વાસ્થ્ય માટે હિતકર નથી. વિપક્ષ જો પ્રાદેશિક પક્ષોમાં વિઘટિત થઈને રહી જશે તો સંવિધાનિક સ્વાતંત્ર્ય પર પક્ષિય માન્યતાની ગુલામીનો ગંભીર ખતરો તોળાશે. આપણા દેશમાં હજી પણ ઉમેદવારની યોગ્યતા એ મતદારનો માપદંડ નથી. ટી.એન. શેષાન જેવા વ્યક્તિ વિશેષનું ચૂંટણીમાં હારી જવું મતદારોની વૈચારિક પંગુતા પુરવાર કરનારું છે. જ્યાં પક્ષની વિચારધારાને જ મતદાન થવાનું હોય ત્યાં સામે કોણ? તેવો વાહિયાત પ્રશ્ન ચક્રવાતની જેમ ફરી વળે ત્યારે આખી લોકશાહી ગોટે ચઢી જાય છે.
અને છેલ્લે…
નાતરું એ મજબૂરી જ છે. એ સામાજિક સંબંધ હોય કે રાજકીય, મૂળ સંબંધના આનંદની તેમાં કાયમી બાદબાકી છે. સનાતન ધર્મની માન્યતા પ્રમાણે પતિવ્રતા સ્ત્રીનો પતિ એક જ હોય. લોકતંત્રમાં પ્રજાનિષ્ઠ રાજનેતાનો પક્ષ એટલે કે વિચારધારા એક જ હોવી જોઈએ. રાજકીય નાતરા પ્રતિબંધક વિધેયક કોઈ સરકાર પસાર કરે તો ખૂબ સારું.