શસ્ત્રો પધરાવવામાં જગત જમાદાર એમેરિકાનો દબદબો હોવાનું ફરી સ્થાપિત થયું
——————————————————
વર્ષો પહેલા ઈરાન અને ઇરાક વચ્ચે સાત વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. સાત વર્ષ બાદ યુદ્ધ વિરામ થયું હતું. યુદ્ધ થવા અને યુદ્ધ શાંત થવા પાછળ અમેરિકા કારણભૂત હોવાનું વાંચવામાં આવ્યું હતું. કયા અને શામાં વાંચ્યું હતું તે અત્યારે યાદ નથી. પણ તેં વિષય યાદ છે. કદાચ આપણાં સ્વદેશીના હિમાયતી રાજીવ દીક્ષિતે કેટલાક વૈશ્વિક રહસ્યો વિશે જે લખ્યું હતું તેમાં હું જે કહેવા જઈ રહયો છું તેનો ઉલ્લેખ હોઈ શકે. જે કદાચ મારા વાંચવામાં આવ્યો હોય.
હા તો વાત હતી ઇરાક અને ઈરાન વચ્ચે સાત વર્ષ સુધી ચાલેલા યુદ્ધની. આ યુદ્ધ એક એવા સરહદી વિસ્તાર માટેનું હતું જ્યાં પેટાળમાં વિપુલ પ્રમાણમાં ખનીજ તેલ હોવાનું અમેરિકાએ જાહેર કર્યું હતું. અમેરિકાએ આ સ્થાન પર સંશોધન કરી જાહેર કર્યું હતું. આ જાહેરાત બાદ ઇરાક અને ઈરાન વચ્ચે આ સરહદી વિસ્તારની માલિકી માટે ગજગ્રાહ ઉભો થયો હતો. જે પાછળથી યુદ્ધમાં પરિવર્તન પામ્યો હતો. આ યુદ્ધ દરમ્યાન વિશ્વની વકીલાત કરતા અમેરિકાએ યુદ્ધ માટેના શસ્ત્ર સરંજામ આ બન્ને દેશોને વેચ્યા હતા. યુદ્ધમાં બન્ને દેશોની ખુવારી થતી રહી અને અમેરિકા શાસ્ત્રો વેચી આર્થિક રીતે સધ્ધર થતું રહ્યું. સાત વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું. વિશ્વના ઇતિહાસમાં આ યુદ્ધની તવારીખ પણ હશે. સાત વર્ષ બાદ અમેરિકા એ ફરી ઇરાક અને ઈરાન વચ્ચેના વિવાદિત ક્ષેત્રમાં સંશોધન કર્યું અને જાહેર કર્યું કે અહીં પેટાળમાં ખનિજતેલનો પુરવઠો છે જ નહીં. અને એટલે બંને દેશો વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો હતો. યુદ્ધનો વસવસો કદાચ હજી પણ આ બન્ને દેશોને હશે. કે નકામા લડી મર્યા અને ખુવાર પણ થયા. આમાં અમેરિકા એ બન્ને દેશોને લડાવી શસ્ત્રો વેચી પોતાનો ઉલ્લુ જ સીધો કર્યો હતો.
આ વાત એટલા માટે યાદ આવી કે અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ( અમદાવાદ ) આવ્યા ત્યારે તેમને માત્ર અને માત્ર શસ્ત્રો ના સોદા ઉપર જ ભાર આપ્યો. અહીં ટ્રમ્પ એક કુશળ ઉદ્યોગપતિ અને કુશળ વેપારી જેવા લાગ્યા. આજ રોજ સમાચાર માધ્યમોમાં ટ્રમ્પ મુલાકાત અંગેના સમાચારમાં આ વાત સાચી સાબિત થઈ. ટ્રમ્પ આપણે ત્યાંથી ત્રણ અબજ ડોલરના શસ્ત્રોનું ડીલ કરીને ગયા છે.
આઘાત ત્યાં લાગે છે એક તરફ આપણે મેક ઇન ઇન્ડિયાની વાતો કરીએ છીએ, દેશમાં બેરોજગારી વધતી જાય છે, દેશની આંતરિક શાંતિ ડહોળાયેલી છે. જાતિવાદનો રાક્ષસ ફરી માથું ઊંચકી લોકોને ભરખી રહ્યો છે. દેશના માથે આર્થિક સંકટોના વાદળો ઘેરાયેલા છે. ત્યારે દેશનું હૂંડિયામણ દેશની સ્થિરતા માટે વપરાવું જોઈએ તેના સ્થાને ઘરના છોકરા ઘંટી ચાટે અને અમેરિકાને આટો આપવાની વાત છે. અત્યારે પાડોશી દેશોને ધરાસાઈ કરવાના સપના જોવા કરતા દેશને અંદરથી મજબૂત કરવાનું વધારે જરૂરી છે. દેશની એક સૂત્રતામાં બાંધવાની જરૂર છે. સરકારી આંકડાઓ મુજબ ભારત પાસે એટલો બધો શસ્ત્ર સરંજામ છે કે પાકિસ્તાનને તો આપણે ચપટીમાં મસળી નાખીએ. જો તેમ હોય તો અમેરિકા પાસેથી ત્રણ અબજ ડોલરના શસ્ત્રો ખરીદવાની જરૂર જ ક્યાં ઉભી થાય છે. છતાં આપણે ખરીદવાના કરાર કરવા પડ્યા અને જગત જમાદાર અમેરિકાએ ફરી એક વખત સાબિત કર્યું કે તે કુશળ વેપારી છે. આમ પણ ટ્રમ્પ પહેલા એક સફળ ઉદ્યોગપતિ છે અને પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ….આમાં ઘણું સમજી લેવાય………
હું જાણું છું આ લખાણ ઘણા નહિ ઘણા બધાને ખૂંચશે, કેટલાક ફેસબુકીયા દેશ ભક્તો ( બાથરૂમ સિંગર ) તેમના બેહૂદા આલાપ છેડશે, ભલે છેડે છેડવા દો …આપણું કામ છે અરીસો ધરવાનું ધરી દીધો…આપને શુ લાગે છે ?
જગદીશ પરમાર