બનાસકાંઠા બ્યુરો
રિપોર્ટ :દીલીપ ગોહીલ
યુક્રેનમાં ફસાયેલા ધાનેરાના વિદ્યાર્થીએ ત્યાની પરિસ્થિતિ જણાવી સરકારને મદદ ની માંગ સાથે વિડીઓ વાયરલ કર્યો.
બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. વહીવટી તંત્ર દ્વારા 13 લોકોની યાદી જાહેર કરાઇ છે. યુક્રેનમાં ફસાયેલ લોકોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ધાનેરાનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો છે.
અત્યારે યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈ હાલ વિદ્યાર્થીમાં ડરનો માહોલ છે. ત્યારે ધાનેરાના વિદ્યાર્થીએ યુક્રેનમાંથી વિડીયો બનાવી ભારત પરત ફરવા સરકાર સામે આજીજી કર્યો છે. તેમજ વિદ્યાર્થીએ વીડિયોમાં આક્ષેપ કર્યા છે કે ગુજરાત સરકારે હજુ સુધી અમને કોઈ માહિતી આપી નથી તેવું ધાનેરાના વિદ્યાર્થીએ યુક્રેનમાંથી વિડીયો વાયરલ કરી ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.
**********************************
અમીરગઢની વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાતાં પરિવારજનો ચિંતિત.
રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના કેટલાંય વિદ્યાર્થીઓ યુક્રેન ફસાયા છે. વિદ્યાર્થીઓના પરિવારજનો હાલ ચિંતામાં મૂકાયા છે. જેમાં બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ ગામની એક દીકરી યુક્રેનમાં ફસાતાં તેમનો પરિવાર ચિંતામાં મૂકાયો છે.
અમીરગઢની એક દીકરી જીનલ મનિષભાઇ અગ્રવાલ 3 માસ પહેલાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે યુક્રેનની વિનિત્સિયા નેશનલ મેડીકલ યુનિવર્સિટીમાં ગયેલી હોવાથી તેનો પરિવાર ચિંતામાં છે. પોતાની દીકરીથી દિવસમાં ત્રણથી ચાર વાર વાતચીત કરી રહ્યા છે. પરિવારજનોએ સરકારને પણ રજૂઆત કરતાં સરકાર દ્વારા પણ પોઝીટીવ જવાબ મળતાં ટૂંક સમયમાં પોતાની દીકરી ઘરે પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી છે.
હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાઇ ચૂક્યું છે અને આ યુદ્ધ પર સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે ભારતના કેટલાંય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેનમાં ગયેલા હોય પરિવાર ચિંતા મૂકાયો છે. જો કે, સરકારે પણ યુક્રેનમાં ગયેલા ભારતના વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની તજવીજ હાથ ધરી છે.
***********************************
યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના 40 વિદ્યાર્થીઓ સહીસલામત.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થતાં યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા બનાસકાંઠા જિલ્લાના 40 જેટલાં વિદ્યાર્થીઓ ફસાયા છે. યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ યુદ્ધની સ્થિતિમાં ત્યાં ફસાઈ જતાં તેમના માતા-પિતાના જીવ તાળવે ચોટ્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે કે, તમામ વિદ્યાર્થીઓ સહીસલામત છે. 19 વિદ્યાર્થીઓ રોમાનિયા, 3 પોલેન્ડ અને 4 વિધાર્થીઓ ખારકીવ પહોંચ્યા છે. યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના 40 વિદ્યાર્થીઓ સહીસલામત છે.
તે પૈકી 19 વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચી ગયા છે, 3 પોલેન્ડ અને 4 વિધાર્થીઓ ખારકીવ પહોંચ્યા છે. 11 વિદ્યાર્થીઓ યુક્રેનના જુદા જુદા શહેરોમાં સહીસલામત છે. જ્યારે 3 વિદ્યાર્થીઓનો સંપર્ક થઈ શક્યો નથી. યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓની યાદી આ સાથે સામેલ છે. તેમ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.