ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” ગણેશોત્સવ,ગણેશજી નું શાસ્ત્રોક્ત મહત્વ વિષયક રચનાઓ(૨૪-૯-૨૦૨૧)દિવસ – ૩
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*********************************************
NOG. SS. NO. 0095
વિષય :– ગણેશ ઉત્સવ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ ગણેશ નું અવતરણ “
ઉર્જા એ પુજા વિધિ પતાવી દીધી .દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઘરે ગણપતિની સ્થાપના કરી હતી .છેલ્લા ચોદ વર્ષોથી ગણપતિની સ્થાપના અને પુજા અર્ચના ભક્તિ ભાવથી કરતી રહી હતી. આરતી પૂરી થઈ બધા પ્રસાદી લઈ જતાં રહ્યાં. ઉર્જા આજે ખુશ પણ હતી અને મનમાં એક ગડમથલ પણ હતી .એક જ વિચાર સતાવતો હતો , કેટકેટલાં કષ્ટ આવ્યા ! કેવી વિકટ પરિસ્થિતિ કે શું કરવું ક્યાં જવું ? કાંઇજ સૂઝે નહીં ! ને એવે સમયે પણ શ્રદ્ધાથી ગણપતિની સ્થાપના કરતી રહી અને દરેક વિકટ પરિસ્થિતિમાં પણ મને બાપ્પા એ સંભાળી લીધી હતી. ના કહેવાય ના સહેવાય એવી હાલતમાં પણ ગણેશજી મારી સાથે જ રહ્યા છે. બાપ્પા આજે મને તમે જે જગ્યાએ પહોંચાડીને સમાજમાં ઊંચું સ્થાન અપાવ્યું છે એની માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું .સદાય આમજ મારી અને મારા પરિવારની સાથે જ રહેજો ! આંખોમાં આંસુ સાથે વિનંતી કરતી ઉર્જાનો ખભો ઢંઢોળીને શૌર્ય બોલ્યો ,
“ દાદી મને ગણપતિની વાર્તા કહોને !” અને આંસુ લૂછતાં જ ઉર્જા એ વાત શરૂ કરી.
બેટા ગણપતિની મૂર્તિ એમની માતા પાર્વતીએ ન્હાવા જતાં પહેલાં પોતાના શરીરનાં મેલમાથી બનાવી હતી. ગણેશ બહાર ચોકી કરતાં હતાં અને મહાદેવ આવ્યા .ગણેશે એમને રોક્યા .અંદર જવા ના દીધાં એટલે ગુસ્સામાં ગણેશનું શીશ કાપી નાખ્યું. પાર્વતીએ વિલાપ કર્યો એટલે મહાદેવે હાથીના બચ્ચાં નું શીશ કાપીને ગણેશનાં શરીર પર લગાવી દીધું ને ગણેશ ને સજીવન કર્યા .આ દિવસ ભાદરવી ચતુર્થી નો હતો .એટલે આ દિવસ ગણેશ ચતુર્થી તરીકે ઊજવાય છે.
દેવી દેવતાઓ પણ ગણેશજીની પુજા કરીને જ શુભકાર્ય કરે છે .એકવાર જ્યારે મહાદેવ ત્રિપુરાસુરનો વધ કરવા ગયા ત્યારે સફળ ના થયા .એમને યાદ આવ્યું કે ગણેશની પુજા કર્યા વગર આ કાર્ય કર્યું એટલે સફળતા નથી મળી .પછી એમણે પ્રથમ ગણેશ પુજા કરી પછી એમને લાડુનો પ્રસાદ ધર્યો .પછી જ ત્રિપુરાસુરનો વધ કરી શક્યા.
ગણેશજી વિઘ્નહર્તા છે એટલે હંમેશાં સૌ પ્રથમ એમની પુજા કરીને જ કોઈપણ શુભ કાર્ય ની શરૂઆત કરવી જોઈએ.
બોલો ગણપતિ બાપા મોરિયા ,
મંગલમૂર્તિ મોરિયા…..
દીપિકા ચાવડા “ તાપસી “ .
********************************
NOG SS No : 0025
પ્રકાર: પદ્ય(ધૂન)
શીર્ષક: પ્રેમે પધારો ગણપતિ
પ્રેમેથી ગણપતિ દેવ પધારો,મેં આંગણિયાં અજવાળ્યાં છે,
આસોપાલવનાં પર્ણ તણાં મેં તોરણિયા બંધાવ્યા છે..(૧)
કુમકુમ-કેસર ઘોળી મેં રંગે સાથિયાઓ
પૂરાવ્યાં છે,
અધિક સુગંધી ફૂલડેથી મેં રસ્તાઓ મહકાવ્યાં..(૨)
બધાયે બાજોઠે મખમલ કેરાં કપડાંઓ બિછાવ્યાં છે,
અંતરનાં ઓરડે ભાવતણાં મેં દિવલડાં પ્રગટાવ્યાં છે..(૩)
રિદ્ધિ-સિદ્ધિનાં સ્વામી રૂપાળાં,મેં વસ્ત્રો નવલાં સજાવ્યાં છે,
મેં હેમ-રૂપાનાં હેત કરી,આજ આભૂષણો ઘડાવ્યાં છે..(૪)
દેવ દીલડાંથી મેં તવ કાજે,આ મોદક ભાવે બનાવ્યાં છે,
આવોને જમવાં પ્રીત થકી, બહું પ્રેમથી તમને ધરાવ્યાં છે..(૫)
ઝટ-ઝટ આવો હે દેવ દુંદાળા,ભક્તોએ બોલાવ્યાં છે,
આવીને દર્શન દાન દીયો,તવ શરણે શીશ ઝુકાવ્યાં છે..(૬)
*_કવિ’સુજ્ઞ’_*
*ભૂમિત પિઠડિયા(દરજી)*
*માંડવી કચ્છ*
*******************************
NOG:SS:NO:0101
વિધાન: ગણેશોત્સવ, વિધાનમાં ગણેશજીનું મહત્વ.
પ્રકાર: ગદ્ય
શીર્ષક: ગણેશજીનાં વિવિધ પાસાઓ
લેખન : ભરત સાંગાણી
*રાષ્ટ્રીય એકતા અને ગણેશ ઉત્સવ*
આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશ્વાએ ગણેશોત્સવની શરૂઆત કરી. પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી. લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોકમાન્યએ તેને સાર્વજનિક મહોત્સવ બનાવતાં તે રાષ્ટ્રીય એકતા નું માધ્યમ બની ગયો. તેમણે ૧૮૯૩માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યા.
*ગણેશ અને ફૂલ*
પદ્મ પુરાણમાં લખ્યું છે કે ગણેશજીની તુલસી વડે ક્યારેય પૂજા ન કરવી. ભગવાન ગણેશને જાસૂદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોઈ છે. ચમેલી, પારિજાત ફૂલની માળા પહેરાવામાં આવે છે
*ગણેશજીની મહતા*
કોઈપણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં ગણેશજીની પૂજા થાય છે. તેનાથી કાર્યમાં કોઈ વિઘ્ન આવતું નથી.
ગણેશે બ્રહ્માંડમાં માતા પિતાને સૌથી ઊંચું સ્થાન આપ્યું છે. તેથી તેમણે માતા પિતાની પ્રદક્ષિણા કરી. તે જ સર્વસ્વ છે, તેમ દર્શાવ્યું.
*ગણેશજીનો સંસાર*
ગણેશની રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ છે , જે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ છે. સિદ્ધિ ના ‘ક્ષેમ’ અને રિદ્ધિના ‘લાભ’ નામના બે પુત્ર હતા. લોક પરંપરામાં આને ‘શુભ લાભ’ કહેવામાં આવે છે. ગણેશજીના પૌત્રો આમોદ અને પ્રમોદ છે.
*ગણેશજીનું સ્વરૂપ ગૂઢ અર્થ દર્શાવે છે* .
ગણેશજીનું મોટું માથું આપણને સંદેશ આપે છે કે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ, વધારે જ્ઞાન મેળવીએ.
ગણેશજીની આંખો નાની નાની છે તે કહે છે દરેક વસ્તુનું નિરીક્ષણ ઝીણવટથી કરવું .
મોટા સુપડાં જેવા કાન સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળો, ને નાનું મોઢું કહે છે જરૂર પૂરતું જ બોલો. વધુ સાંભળો ઓછું બોલો.
મોટું પેટ દર્શાવે છે કે જીવનની સારી ખરાબ દરેક પરિસ્થિતિને એકદમ સારી રીતે પચાવી જાણવી.
મોટું શરીર ને નાનકડો ઉંદર તેમનું વાહન અજીબ લાગે પણ તે પાછળ તર્ક છે. ઉંદર ઈચ્છાનું પ્રતિક છે . બેકાબુ ઈચ્છા અશાંતિ સર્જે, ઈચ્છા પર સવારી કરી તેના પર કાબુ મેળવો.
હાથની આશિર્વાદ મુદ્રા આશીર્વાદ અને સુરક્ષા આપે છે. હાથનું દોરડું લક્ષ્યને તમારી તરફ ખેંચવાનું પ્રતીક છે. એક દાંત સારું રાખવું ને ખરાબને ફેંકવાનો નિર્દેશ કરે છે.
સૂંઢ ઊંચી કાર્યક્ષમતા અને કુનેહ , દરેક સ્થિતિને સૂંઘવાની આવડત ને નિર્દેશ કરે છે.
આ રિતે જીવન જીવવાથી મોદક રૂપી સિદ્ધિનો પ્રસાદ મળે છે.
ગણેશ ચતુર્થીના આ અવસર પર આપ સૌને શુભેચ્છા વ્યક્ત કરું છું કે ભગવાન ગણપતિ તમારા ઘરમાં સુખ,સમૃદ્ધિ અને શાંતિ લાવે.
-ભરત સાંગાણી.
********************************
NOG SS NO.0081
વિષય : ગણેશજી…
પ્રકાર : ગદ્ય
શબ્દો : ૨૬૭
શીર્ષક : ગણેશજીનું જીવન
ગણેશજી સાથે જોડાયેલી અનેક કથાઓ, દંતકથાઓ વિશે વાંચીએ ત્યારે તર્ક સાથે વાંચીએ તો એને ધર્મ સાથે પૂર્વજોએ કેમ જોડી એ સમજાય અને એ વિશે માન ઉપજે.
દુર્વા વિશે આપણે સૌ જાણીએ જ છીએ પણ ગણેશજીનાં ૧૦૮ નામમાં પણ એનો ઉલ્લેખ થાય છે .ॐ बालदुर्वांकुरप्रियाय नमः!આ દુર્વાનાં અનેક ઔષધીય ગુણો છે.એ દુર્વા ગણેશજી માટે ઔષધ તરીકે વપરાઈ હતી જ્યારે એમણે દેવોને ત્રાસમાંથી મુક્ત કરવા અનલાસુર નામનાં રાક્ષસને ગળી લીધો હતો. અનલ એટલે અગ્નિ, તેથી ગણેશજીનાં પેટમાં સખત અગન બળવા લાગી જે દુર્વાથી શમી.આમ પ્રકૃતિમાં જ ઉપાય શોધવાનું શાસ્ત્રોમાં સૂચવાયું છે.
શિવજીનાં ધ્યાનમાં ભંગ ન થાય તેથી ગણેશજીએ , વિષ્ણુનાં અવતાર પરશુરામને રોક્યાં.ક્રોધિત પરશુરામની પરશુના ઘા ને તેમણે એક દાંત પર ઝીલ્યો તેથી તેમનો એક દાંત તૂટી ગયો જે એમને એક પિતૃવત્સલ પુત્ર તરીકે ઓળખ આપી ,એકદંત તરીકે. તેઓ ધારત તો વળતો ઘા કરી શક્યા હોત પણ પરશુરામને એ પરશુ શિવજીએ જ આપી હતી તેથી તેનો ઘા વ્યર્થ ન જવો જોઈએ તેથી દાંત ગુમાવ્યો.
આ વાત એક પુત્રનાં લક્ષણ , ધર્મપરાયણતા દર્શાવે છે.આ વાતને પુષ્ટિ આપતી એક ૧૦-૧૨મી સદીની લગભગ
છ ફૂટ ઊંચી પથ્થરની મૂર્તિ હાલનાં છત્તીસગઢના
દંતેવાડામાં છે જે ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ છે. અહીં એવી દૃઢ માન્યતા છે કે ગણેશજીનું યુદ્ધ આ પહાડ પર થયું હતું.
આ શ્રદ્ધાનો વિષય છે એ ખરું પણ આવી જુદાં જુદાં દેવ સાથે જોડાયેલી, વિવિધ કથાઓ ક્યા ધર્મ કે દેશમાં જોવા મળે ? એમાં ય ગણેશજી તો આંતરરાષ્ટ્રીય ભગવાન છે જે શ્રીલંકા, ઈન્ડોનેશિયા, કંબોડિયા જેવાં દેશની
સંસ્કૃતિમાં છે તો અમેરિકા, યુરોપમાં પણ એને માન અપાય છે.જાપાન ,ચીન જેવાં એશિયાઈ દેશોમાં પણ ગણેશજી પૂજાય છે.જૈન અને બુધ્ધ ધર્મમાં પણ આ દુંદાળા દેવની હાજરી છે.રિદ્ધિસિદ્ધિના દાતા આપણને એમનાં જેવાં પિતૃવત્સલ અને બુદ્ધિવાન બનાવે એ જ અભ્યર્થના!
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
********************************
NOG SS No/0044
વિષય:- ગણેશોત્સવ, ગણેશજી નું
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- અમારાં દ્વારે.
રૂમઝૂમ કરતાં આવો ગણેશજી આજ અમારાં દ્વારે.
આસોપાલવનાં તોરણ બંધાવ્યાં આજ અમારાં દ્વારે.
રૂડાં બાજઠ શણગાર્યાં આસન કાજે.
રૂમઝૂમ કરતાં આવો ગણેશજી આજ અમારાં દ્વારે.
દરોઈનો તો હાર બનાવ્યો પ્રેમે પહેરાવું.
રૂમઝૂમ કરતાં આવો ગણેશજી આજ અમારાં દ્વારે.
મોદકનો તો પ્રસાદ બનાવ્યો પ્રેમે આરોગો.
રૂમઝૂમ કરતાં આવો ગણેશજી આજ અમારાં દ્વારે.
ભાવે કરું હું ભક્તિ તમારી આશિષ રૂડાં આપજો.
રૂમઝૂમ કરતાં આવો ગણેશજી આજ અમારાં દ્વારે.
ગૌરી નંદન અરજ સુણી વહેલાં રે પધારજો.
રૂમઝૂમ કરતાં આવો ગણેશજી આજ અમારાં દ્વારે.
દર્શન દઇને ધન્ય કરો અમ સૌનું જીવન.
રૂમઝૂમ કરતાં આવો ગણેશજી આજ અમારાં દ્વારે.,આજ અમારાં દ્વારે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*******************************
*NOG SS NO. -0036*
*વિષય:- ગણેશોત્સવ*
*પ્રકાર – પદ્ય*
*શીર્ષક -ગણેશવંદના*
*ગણેશવંદના*
*પ્રથમ પહેલાં પવિત્ર પૂજા તમારી,*
*ૐ ભક્તવિઘ્ન વિનાશનાય નમઃ*
*વિશ્વ વિનાયક વહાલાં વિધાતા,*
*ૐ વંદન કરીએ વક્રતુંડાય નમઃ*
*મનભાવન, મનમોહક મંગલમૂર્તિ*
*ૐ બુદ્ધિપ્રિયાય એકદંતાય નમઃ*
*ગણનાયક,ગુણ જ્ઞાનવિધાતા,*
*ૐ ગજાનન ગૌરીતનુજાય નમઃ*
*સકલમંગલ,સદા સંકટમોચન,*
*ૐ સુખદાતા,સિદ્ધિપ્રદાકાય નમઃ*
✍🏻 અરૂણા ત્રિવેદી
અમદાવાદ