ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” શ્રાવણ માસના તહેવારો” વિષયક રચનાઓ(૨૯-૮-૨૦૨૧)દિવસ – ૬
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG SS NO. 0031
વિષય : શ્રાવણનાં તહેવારો
વિભાગ: ગદ્ય
પ્રકાર: ટુંકી વાર્તા
શીર્ષક: ટાઢી હાતમ
વાલી શરીરથી સાવ અશક્ત હાડકાંનો માળો જોઇલો તેવી હતી. એની આવી દશા હોવાથી તે ક્યાંય કામ પણ ના કરી શકતી. ઉપરજતા તેનો પતિ દારૂડિયો અને કામચોર હતો. એટલે કમને વાલીને ભીખ માંગીને પરિવારનું પેટ ભરવું પડતું.
શ્રાવણ મહિનો ચાલતો હતો એટલે બધાં મંદિરોમાં ભક્તજનોનો મેળો ભરાતો. બે પૈસા અથવા ખાવાનું કંઇ મંદિર પાસે બેસવાથી વધુ મળશે,એ લાલચે વાલી પોતાના બંને બાળકોને લઇને રોજ અલગ અલગ મંદિર પાસે બેસતી. તે દિવસ વાલી જે મંદિર પાસે બાળકોને લઇને બેઠી હતી ત્યાં માણસોની અસહ્ય ભીડ હતી. આ જોઇ વાલીના આઠ વર્ષનાં દીકરાએ તેને પૂછ્યું, ” મા આ કયું મંદિર છે? આજે કેમ અહીં આટલાં બધાં માણસો છે?”
દીકરાની વાત સાંભળી વાલીએ કહ્યું, ” બેટા આ શીતળા માતાજીનું મંદિર છે. આજે શ્રાવણ મહિનાની હાતમ છે. આ ટાઢી હાતમે માણસો આગલા દિવસનું ટાઢું ખાય અને પોતાના બાળકો હાજા હારાં, હાલતાં ચાલતાં, દેખતાં રહે એટલે શીતળા માતાને પગે લાગવા અને પ્રાર્થના કરવા આવે એટલે આટલી ભીડ છે.”
આ સાંભળી દીકરાએ કહ્યું,” તય હે મા આપણે તો કોઇએ આપેલું આગલા દિવસનું ટાઢું ખાય રોજ હાતમ કરીએ છી તો ય શીતળા માએ મને પગે ખોડો કર્યો અને બેનને આંખે દેખતી નો કરી એવું કેમ કર્યું?”
આ સાંભળી વાલી મનમાં બોલી, ” આપણે રોજ ટાઢી હાતમ કરીએ છી એટલે જ તમારી આ દશા છે. બીજી બાયુંની જેમ હું પણ વરહમાં એક દી જ હાતમ કરતી હોત તો તમે પણ હાલતાં, દેખતાં હોત.”
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
********************************
NOG SS No – 0050
વિષય – શ્રાવણ મહિનામાં આવતાં ધાર્મિક તહેવારો.
શીર્ષક – નાનકડી રુપ રેખા.
……………………………….. પવિત્ર શ્રાવણ માસમાં શિવનાં પૂજન અર્ચન અને ભક્તિમાં રસબોર થતાં ભક્તો વિવિધ તહેવારો ઉજવવાનો આનંદ મેળવે છે ભક્તિને એકાત્મતા નો સમન્વય મહાદેવનાં વ્રતમાં થાય છે. શિવ પાર્થેશ્વર પૂજા વિધિ થાય છે જુદા જુદા તહેવારો ની વાતો કરી આપણે નાનકડી રૂપરેખા રજુ કરું છું. શુક્રવારે જીવંતિકા દેવીનું વ્રત,
મહાલક્ષ્મી પૂજન થાય. શ્રાવણમાં આવતા તહેવારોનું મહત્વ છે . સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સંતાનો માટે અને દીર્ઘ આયુષ્ય માટે કરે છે. પાંચ દિવેટનો દીવો કરી જીવંતિકા દેવીનું પૂજન અને કથા વાર્તા થાય છે. તેમાં પીળા વસ્ત્રો નિષેધ હોય છે.
શ્રાવણનાં પ્રથમ સોમવાર થી સોળ સોમવાર , ભાખરીયા સોમવાર , સાકરિયા સોમવાર શરૂઆત થાય છે ઉપરાંત
શિવપુષ્ટિ વ્રત પણ કરી શકાય છે. જેમાં સોમવારે મુઠ્ઠીભર અનાજ અને ફળથી પૂજા થાય છે. પ્રથમ સોમવારે ચોખા અને નારિયેલ, બીજા સોમવારે ઘઉં અને બીજોરાથી પૂજા થાય છે, ત્રીજા સોમવારે તલ અને કેળા થી થાય અને ચોથા સોમવારે મગ અને કાકડી થી પૂજા થાય છે. આ વ્રત પાંચ વર્ષ કરવાનું હોય છે અને પછી ઉજવણું કરાય છે.
શ્રાવણનાં દર મંગળવારે થાય છે ,સગાઈ થાય પછી છોકરીઓ કરે છે. પાંચ વર્ષ સુધી કરાય પછી ઉજવણું કરાય. પતિના સુખ-સંપત્તિ અને લાંબા આયુષ્ય માટે થાય છે.
દશામાનું વ્રત અષાઢી અમાસ થી લઇને દસ દિવસ સુધી થાય છે. માટીની સાંઢણી બનાવીને પૂજા થાય છે અને દસમે દિવસે જળમાં પધરાવી દેવાય છે.
સોમ પ્રદોષ ની પૂજા શિવજીની પૂજા, ગ્રહ દોષ નિવારણ માટે કરાય છે .
રક્ષાબંધન શ્રાવણી પૂનમ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર. તેનાં સ્વાસ્થ્ય અને સુખાકારી કલ્યાણ માટે ભાઈને રક્ષા બાંધીએ છીએ. બ્રાહ્મણો નદીમાં સ્નાન કરીજનોઈ બદલે છે અને વર્ષ દરમિયાન થયેલાં પાપનું પ્રાયશ્ચિત કરી પૂજન કરે છે .
ચોખા કાજલી શ્રાવણ મહિનાની વદ ત્રીજના દિવસે કુંવારીકન્યા ડાંગર લઈ હજાર દાણાં ફોલે છે અને શિવજીને અર્પણ કરે છે.
બોળચોથ વદ ચોથનાં દિવસે કંકુ-ચોખા, ફૂલહારથી ગાયની અને વાછરડાની પૂજા કરાય છે. એકટાણું કરાય અને ઘઉંની કોઈપણ વસ્તુ ખાવાથી નથી તેમાં.
નાગ પાચન પાંચમનાં દિવસે પાણીયારે નાગ નું ચિત્ર દોરી કંકુ,ચોખા ફૂલથી પૂજા કરાય. બાજરીના કે ચોખાનાં લોટની કૂલેર, કાચાં મગ ને કાકડી ખવાય. નાગદેવતાની કૃપા રહે.સપૅદોષથી મુક્તિ મળે છે. સાતમ આઠમની ઉજવણી રાંધણ છઠ્ઠે ટાઢું રાધી ને સવારે પાણિયારે દીવો કરી બાળકોને જવારથી બચવા માટે આ વ્રત કરાય છે.
આઠમનાં દિવસે કૃષ્ણ જન્મ ઉજવાય છે. યુગપુરૂષ શ્રી હરિ વિષ્ણુનાં અવતારનો જન્મ આપણે ધામ-ધૂમથી ભારતમાં ઉજવીએ છીએ.
છેલ્લે અમાસ એકાદશીનો મહિમા પણ અનેરો શ્રી હરિ વિષ્ણુ ની એકાદશીએ ફળાહાર કરાય છે .
છેલ્લે અમાસે ગાય અને તુલસીની પૂજા કરાય એક ટાઈમ જમવાનું અને એમાં પણ લીલા કપડાં નીષેધ છે.
આમ પવિત્ર શ્રાવણ માસના વિવિધતા અને તહેવારોનું આગવું રુપ સંક્ષેપમાં લખ્યું છે આજના કળિયુગમાં બદલાતા સમાજમાં નાનકડી રૂપરેખા બનાવી ભુલાતી પ્રથાને યાદ કરાવી છે.
પૂજાપાઠ ધ્યાન મંત્ર કરી શકાય અને મનોકામના પૂર્ણ થાય. સૌને શિવજીનાં આશિષ મળે જીવન ધન્ય થઈ જાય.
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
********************************
NOG. SS NO. .0095
વિષય :– શ્રાવણનાં તહેવારો
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :–” શ્રાવણી મેળો ”
શ્રાવણમાં જેમ ઉપવાસનું મહત્વ છે એમજ સૌરાષ્ટ્રમાં તો આ માસમાં આવતા તહેવારોમાં ભરાતા લોકમેળાનું પણ ખૂબજ મહત્વ છે .પહેલાનાં સમયમાં તો દર સોમવારે શિવમંદિર નજીક મેળો અચૂક ભરાતો હતો .જેને લોકમેળો કે આનંદમેળો પણ કહેવાતું .
મેળો એટલે નાના મોટા સૌનાં ઉત્સાહ ને છલકાવતો ઉત્સવ ! જ્યાં બાળકો માટે રમકડાં મળે , ઘરની નાની મોટી વસ્તુઓ મળે , કટલરી મળે , માટીની બનેલી શિવ – પાર્વતીની, રાધા – કૃષ્ણની , રામ – સીતાની કે ગણેશજીની , હનુમાનજીની રંગબેરંગી મૂર્તિઓ તો મળે જ , અને લોકો એ મૂર્તિઓને હોંશે હોંશે ખરીદીને શ્રાવણમાં એની પુજા પણ કરે .
મેળામાં ચગડોળમાં ઝૂમવાની મજા જ કાંઈક જુદી હોય છે .નવયુવાનો એમાં ઝુલીને પોતાનાં હૈયાને પણ પોતાનાં મનપસંદ સાથીને સંગ ઝુલાવે છે .આનંદ કિલ્લોલ કરતાં હૈયાની વાત એકબીજાને કરીને એકબીજાનાં થવાના વચન પણ આપે છે .એ ઉપરાંત રીંછ , વાંદરાના ખેલ બતાવતા મદારી પણ હોય છે .બાળકો એ જોઈને ખૂબજ આનંદિત થાય છે .મોટેરાઓ ક્યાંક નાસ્તાની લારીએ જાય છે તો કોઈક ગીત સંગીતનાં કાર્યક્રમ માં જાય છે .
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારમાં લગ્ન પછી જમાઈને સાસરે આ તહેવાર કરવા તેડાવે છે .નવી વહુને પહેલું આણું કરીને તેડી લાવવાની આ પ્રથા હતી .જેનો એકમાત્ર હેતુ એવો હતો કે વહુ ઘરનાં આંગણે પ્રથમ પગ મૂકે અને ઈશ્વરની ભક્તિની જેમ એ પતિની પણ ભક્તિ કરે અને પોતાનો સંસાર સુખેથી ચલાવે , અને વહુ ઘરે આવતા પતિનાં હરખનો પાર નથી રહેતો એટલે એ હરખમાં ઘેલો બનીને પતિ એની પત્નીને મેળામાં ફરવા લઈ જાય .
આમ મેળામાં યુગલો મસ્તીખોર બનીને ઝૂમે અને મેળામાં ઢોલ વગાડતા ઢોલીના ધબાક ધબાક તાલથી નાચે એ જોવાની પણ મજા જ જુદી હતી .જે હવૂ ભૂતકાળ બની ગયા છે. એ સમયે કોઈજ ભેદભાવ વગર મેળામાં મહાલવાનો આનંદ જ જુદો હતો . શ્રાવણી મેળો માણવા માટે તો એકવાર તમારે સૌરાષ્ટ્રમાં આવવું જ રહ્યું. ભલે આજની તારીખે પહેલા જેવો મેળો નથી યોજાતો પણ હાલનાં સમય મુજબની પરંપરા દર્શાવતો મેળો તો ભરાય જ છે .
ખરેખર મેળો એટલે નાત જાત , ધર્મ , ઊંચ નીચ , રિત રીવાજ ને ભૂલીને સૌએ એક થઈને હૈયાનાં આનંદને મહાલવાનો ઉત્સવ !!!
દીપિકા ચાવડા ” તાપસી ” .
NOG SS NO:-0038
વિષય :- શ્રાવણ માસના તહેવાર
વિભાગ :- પદ્ય
શીર્ષક :- જન્માષ્ટમી (કનૈયો )
દેવકીનો જાયો કામણગારો ને ,
વાસુદેવનો લાલો,
મા જશોદાનો આંખનો તારો ને ,
નંદનો દુલારો.
રાધાનો પ્રાણપ્યારો કાનુડોને
ગોપીઓને વ્હાલો,
યમુનાને તીરે રાશ રચાવતો ને ,
ગાયો ચરાવતો,
આખા વિશ્વનું મન મોહતો
એ નટખટ કનૈયો.
ઉજવીએ ઉત્સવ સૌ મળીને હરખથી
સર્વે ભક્તોનો પ્રાણપ્યારો કનૈયો.
✍️ શીલાપટેલ “આકાંક્ષા”
*******************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- શ્રાવણી તહેવાર
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક* હાલને ભેરું મેળે!
******************************
આભથી વરસતું એકધારું ધીમું વહાલ.. બિલકુલ માબાપના ‘પ્રેમ જેવું જ’ એટલે શ્રાવણમાસ. માનવીય મનને ભીની લાગણીઓથી તરબોળ કરતો ભક્તિનો સંયોગ અને સંગમ.
સૌ ભૂલકાંઓનો પ્યારો મહિનો એક તો.. એમાં રોજેરોજ તહેવાર હોયને ઉપરથી..શાળાઓમાં મોટાભાગે રજાઓનો માહોલ ને ‘મોજ જ મોજ’.
ચાલો, આજે જઈએ બાળપણનાં મેળે.. મારાં દાદી કહેતાં, *”જે જાય મેળે, તેનો મનખો ન જાય એળે”.*
શ્રાવણ સુદ પૂનમ ને બળેવ એ ભાઈ-બહેનનાં પ્રેમના બંધનનો દિવસ. ફોઈ એકાદ-બે દિવસ વહેલાં આવી ગયા હોય. સુંદર રસમધુર મીઠાઈને, ચટાકેદાર ફરસાણ. સૌથી વધુ આનંદ એકઠાં મળી જમવાનો આવે.
બળેવના દિવસે સવારે વહેલાં ઉઠવાનું.. મા સાથે સરસ નવાં કપડાં પહેરી મામાને ઘરે જવાનું.. આખો દિવસ મોજમજા ને ધીંગામસ્તી અને એકાદ બે દિવસ રહી ને સીધા જ બા- દાદાના ઘરે ગામડે જવાનું.
દૂર દેશાવર રહેતાં સૈા.., પરબિયાં કરવા ગામડે આવે. મહોલ્લો ભાઇભાંડુઓથી હર્યોભર્યો થાય. પૂરું અઠવાડિયું આનંદોત્સવ થાય.
નાગપંચમીનો મેળો, શીતળા સાતમનો મેળો, ગોકુળ આઠમનો મેળો.. આ સોનેરી દિવસો મારી પેઢીના સર્વે મિત્રોને યાદ હશે જ ..
મેળાના દિવસે સૌ તૈયાર થઈ મેળો મહાલવા નીકળી પડે. વાહ વાતાવરણ એવું જામ્યું હોય કે વાત જ ન પૂછો… શું લઈએ ને શું મૂકીએ ? મેળાનો ચેવડોપેંડા, ફુગ્ગા, સિસોટી અને પીપૂડાંનો અવાજ સાથે ચગડોળ, ચકરડી વગેરેમાં બેસવાનો લહાવો.. ખાસ તો વાદળી, લાલ અને પીળા ચશ્માં પહેરીને દુનિયાને રંગીન જોવાની અનેરી મજા. બે હાથ રમકડાંથી ભરાયેલાં હોય.. ને ઘરે આવી ને ભાઈ-ભાંડુ જોડે પોતાનું રમકડું સૌથી શ્રેષ્ઠ છે ની મીઠી રકઝક થાય..
શીતળાસાતમની કુલેર ને થેપલાનો સ્વાદ હજુએ મન મમળાવી રહ્યું છે. ગોકુળઆઠમનો ઉપવાસ અને રાત્રે પાછું કાનુડો મૂકી ગીતો ગાવાં, મસ્તી કરવી.
પારણાંને દિવસે સૌ વડીલો વચ્ચે કાનાને પાછો વાળવાની હોડ જામે.. ત્યારે તો એમ જ થાય.. કે, “કાના તું આમ આખો મહિનો રહી જ જા..” રોજ નવુંનવું જમવાનું, કૂદવાનું – નાચવાનું અને એય ને.. મજા જ મજા. સ્કૂલને તો ભૂલીજ જવાની. જ્યારે સૈા ઉત્સવ પૂરા થાય પછી પગ ઢીલા પડે.. અને ફરી પાછાં એ જ વાતાવરણમાં પાછા જવા મનને મનાવવું પડે.
પણ એ દિવસો શું ફરી ક્યારેય પાછા આવશે? આજની પેઢીને મેળો એટલે માત્ર ફનફેર. ટચસ્ક્રીનથી નજીક જણાતો માનવી શું એટલો નજીક છે જેટલાં આપણે હતાં?..
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*******************************
NOG SS No. 0034
વિભાગ : ગદ્ય (લેખ)
શીર્ષક : રક્ષાબંધન
શબ્દો : 247
“બંધો બંધો બળિરાજા, રક્ષો રક્ષો રક્ષાણિ…”
આ શ્લોક બોલીને બેની જ્યારે એનાં લાડકવાયા વીરાને કાંડે રાખડી બાંધે છે એ દ્રશ્ય ખરેખર મનભાવન હોય છે. બળેવ, નારિયેળી પૂર્ણિમા કે રક્ષાબંધન ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર. શ્રાવણ મહિનો તહેવારોની વણઝાર લઈને આવે છે. ભોળા મહાદેવનો પ્રિય મહિનો તો નટખટ કાનુડાનો જન્મોત્સવ પણ.
ભાઈ બહેન નો પ્રેમોત્સવ રક્ષાબંધન સૌ કોઈ ઊજવે છે. આ દિવસે બહેન ભાઈને કુમકુમ અક્ષતનું તિલક કરી, આરતી ઉતારી, મોઢુ મીઠું કરાવી ભાઈના ઓવારણાં લઈને અને રાખી બાંધે છે અને ઈશ્વર પાસે ભાઈનાં દીર્ઘાયુ ની મનોકામના કરે છે. આ અમર પ્રેમ તો સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી રહેશે. રાખડી તો બહેનની શ્રદ્ધાનું, પ્રેમનું પ્રતીક છે. એ શ્રદ્ધામાં એક જાદુઈ ઊર્જા રહેલી હોય છે. ઇ એક સામાન્ય રેશમી તાર માત્ર નથી, પરંતુ બહેનની લાગણીઓ છે. વિધાતા પાસે અરજ છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ ઈશ્વર ભાઈલાના રખોપા કરે, તે જીવનમાં પ્રગતિ કરે, તે સ્વસ્થ રહે.
આજે એક સવાલ મનમાં ઉદ્દભવે છે કે, ” શું મોટાં થયા પછી બાળપણનો આ નિર્દોષ પ્રેમ રહે છે ખરો?” ક્યાંક મિલકત માટેની લડાઈ તો ક્યાંક દેખાદેખીને કારણે ભાઈ બહેન વચ્ચે બોલવાનો પણ વ્યવહાર પણ નથી રહેતો. જે અનમોલ છે એ રાખી પ્રેમ વિના મૂલ્યહીન થઈ જાય છે. પૈસાદાર ભાઈ પ્રત્યે આદર વધુ અને સામાન્ય પરિસ્થિતિ વાળા ભાઈને ઈગ્નોર પણ કરાય છે. શું આ યોગ્ય છે? આ પવિત્ર સંબંધને દુનિયાદારીનો લૂણો ન લાગે, સંબંધોમાં કટુતા ન આવે એ દરેક ભાઈ બહેનની જવાબદારી છે.
” રાખડી બાંધી હેતે, મારા વીરાને કાંડે,
ખમ્મા મારા વીરા, તારા રામ રખોપા રાખે.”
— ડૉ. રેખા શાહ