ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની વિરહ,વેદના,ચાહના વિષય અંતર્ગત માઇક્રો ફિક્શન,ટૂંકી વાર્તા,ગદ્ય રચનાઓ…www.janfariyadnews.com
NOG SS NO. 055વિભાગ : ગદ્યશીર્ષક:વેદનાપ્રકાર : માઇક્રો ફિક્શન
તે દર્દના લીધે કણસી રહ્યો હતો…તેને અંગેઅંગ માં વીંછીના ડંખ માર્યો હોય તેવી વેદના થતી હતી…જીવ હવે નીકળવાની તૈયારીમાં હતો તે હવે સમજી ચૂક્યો હતો પણ ઉંહકારો કરવામાં પણ તેને નાનપ લાગતી હતી…આજુબાજુના દ્રશ્યો હવે ધૂંધળા થવા માંડ્યા હતા ….નજર સામે ફકત એક જ દ્ર્શ્ય હતું…. તેની ચાહત….જેને નસ નસમાં તેના માટે ચાહના હતી તે….
સ્વતંત્ર આકાશમાં ઉન્નત લહેરાતો તિરંગો…. એક જોરથી શ્વાસ ભર્યો અને પોતાની તમામ તાકાત લગાવી તે બુલંદ અવાજે પોકારી ઉઠ્યો…” વંદે માતરમ્…” દુશ્મનની આખરી છાવણી પર બોમ્બ ફેંકી તે અનંત તરફ પ્રયાણ કરી ગયો..તેની વેદના હવે શાંત થઈ અને તેની ચાહત અમર………
🙏🙏🙏🙏
શ્રદ્ધા ભટ્ટવાપી….27/12/2020
*****************************************
NOG SS No-0062ન્યૂઝ ઓફ ગાંધીનગરવિભાગ:- ગદ્યશિર્ષક:- છેલ્લી વિદાયપ્રકાર:-માઈક્રોફિકશન
અમારી ગલીના વથાણમાં શિયાળાની ગુલાબી ઠંડીને માણવાની ચાહનામાં અમે મેળાવો જમાવી બેઠા હતા. ત્યાં યોગુભા બધાને હાથ આપી જય શ્રી કૃષ્ણા કર્યા….અને કિધુંઆજે સૌને જય શ્રી કૃષ્ણા કાલે સવારે ઉઠીએ કે નહીં, તો આજે મારા બધાંને છેલ્લા રામ રામ એવું બોલી યોગુભા ભાઈ બંધુઓ ની પાસે થી રજા લીધી.બીજી સવારે તો રવીભા યોગુભા નું સ્ટેટસ જ જોતાં રહી ગયા.
*સંઘાર વર્ષાબેન દેવજીભાઈ ગાલા’પલક’**ગામ બિદડા તાલુકો માંડવી જિલ્લો ક્ચ્છ
“એય સોનલ… આમ મૂંઝાઈ ‘ને શું બેઠી છે? હું મંદિરે જઉં છું. મારી સાથે ચાલ.” ઓસરીની કોરે અડગ ઉભા સ્તંભને ટેકે ઉંડા વિચારમાં ખોવાઈને બેઠેલી સોનલને હળવે રહીને એના ફોઈબાએ બોલાવી. “હં…. હા…. ચાલો હમણાં આવી.” કહીને સોનલ અંદરના ઓરડામાં ગઈ. થોડીવારમાં સોનલ બહાર આવી એટલે બંને સાથે ચાલતા થયા. “સોનલ, તું એને પ્રેમ જ કરતી હતી ને?” ક્યારના મૂંગા મૂંગા જ ચાલતા બંને વચ્ચેના મૌનને તોડતા ફોઈએ સોનલને સવાલ કર્યો. ફોઈનો આવો સવાલ સાંભળીને હેબતાઈ ગયેલી સોનલ એના ફોઈ સામું આભીબનીને જોઈ રહી. મંદીર નજીક આવી જતા સોનલનો હાથ પકડીને એક બાકડા પર બેસાડી, એના ફોઈ સોનલનો ચહેરો વાંચવા મથી રહ્યા. ફોઈએ સોનલને સવાલ પૂછ્યા. સોનલ મૂક બનીને શ્રાવણ ભાદરવો વરસાવતી આંખોથી જ જવાબ આપતી રહી. “પ્રેમમાં વિરહ હોય, વેદનાને સ્થાન ના હોય, દીકરા. તારો પ્રેમ એક તરફી હતો. એને તારા પ્રત્યે કોઈ જ લાગણી નહીં હોય એટલે જ આમ તને છોડીને જાય. પ્રેમ તેં આત્માથી કર્યો ‘તો, તારા દેહને કસોટી શું કામ? શું રાધાને એના કૃષ્ણ સદેહે મળ્યા ખરા? તો શું કૃષ્ણ રુક્મિણી સાથે રાધાની જેમ જોડાઈ શક્યા ખરા? પ્રેમ અમર છે જે તમારા દિલના એક ખુણામાં જ રહેશે. પ્રેમ ક્યારેય મરી ન શકે. જે કોઈને ન પામીને જીવતા જ મરી જાય એને પ્રેમ ન જ કહી શકાય.” સોનલના ફોઈએ સોનલને પ્રેમનો પાઠ ભણાવ્યો અને સોનલે હૃદયમાં ઉતાર્યો. રાધા કૃષ્ણના મંદિરમાં બંને નતમસ્તક થઈને એના પ્રેમનો સાક્ષાત્કાર કરી રહ્યા.
– તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ) 27/12/ 2020 રવિવાર
NOG SS No /0064વિષય : વિરહશીર્ષક : દ્વઢ મનોબળ
ઉદરમાં પાંગરતા પ્રણય સાથે આશિકાએ જીવનનાં પાનાં ઉથલાવવા ચાલું કર્યા. સ્વપ્નનગરી જેવો તેનો રૂડો સંસાર આંખો સામે તરવરી ગયો. સોનેરી સ્વપ્ન આશિકાની આંખોમાં ભરી અનુરાગ દેશ પ્રત્યેની ફરજ નિભાવવા નીકળી પડ્યો. આશિકા રોજ એક નવાં સ્વપ્ન સાથે રાચતી અનુરાગની પ્રતીક્ષા કરે. એકાએક સ્ટેજ પર શૌર્યચક્ર માટે શહીદ અનુરાગના નામની જાહેરાત થતાં આશિકાનાં જીવનનાં બચેલાં પાનાં પર સજાવેલ સ્વપ્નો અશ્રુધારા સાથે વહી ગયાં. સુકાયેલી શાહી સાથે આશિકાનાં અંતરમાં વિરહની વેદના અસહ્ય બની પણ, શૌર્યચક્ર હાથમાં લેતાં પેટ પર હાથ ફેરવતાં તેણે દ્વઢ મનોબળ સાથે નવું સ્વપ્ન આલેખવું શરું કર્યું.
નેહા બગથરીયા.
************************************************
જન ફરીયાદમાં પ્રસિદ્ધ લેખ
-સદા બહાર સૂર- અવિનાશ વ્યાસ –
આવકાર છે ૨૦૨૧ના નવા વર્ષનો..
આશા રાખીએ કે આ નવું વર્ષ સૌના માટે સ્વસ્થતા, સુખાકારીનો સંદેશ લઈને આવ્યું હોય.
આમ તો આ ૨૦૨૦નું વર્ષ જાણે સ્થિરતા લઈને આવ્યું હોય એમ ઘણાં બધાના જીવન સ્થગિત થઈ ગયા. યાદ છે નાના હતાં ત્યારે સ્ટેચ્યૂની રમત રમતાં? એમ ઉપરવાળાએ દુનિયાના અત્યંત કામઢા લોકોને, વધારે પડતા દોડાદોડી કરતાં લોકોને સ્ટેચ્યૂ કહી દીધું. ઘણુંબધું સ્થગિત થઈ ગયું પણ મનથી જે સક્રિય હતાં એમણે એમની સક્રિયતાને સ્થગિત કરવાના બદલે વધુ વેગ આપ્યો. ચાર દીવાલોની વચ્ચે રહીને આ સ્થગિત સમયને જીવંત રાખ્યો.
અનેક લોકોની જેમ મારા માટે આ ૨૦૨૦નું વર્ષ સ્થગિતતામાં પણ સક્રિયતાસભર રહ્યું. સર્જનાત્મક રહ્યું. વ્યક્તિ જ્યારે ફુરસદમાં હોય ત્યારે એને પસાર થઈ ગયેલી આલબમના પાનાઓ પર જડાયેલી ક્ષણો, જુની યાદોનું સ્મરણ કરવું ગમે છે. એવી રીતે આ સ્થગિત થઈ ગયેલા સમયને સહેજ પાછું વળીને જોવાનું, વિશેષ યાદોનું સ્મરણ કરવાનું મને ગમ્યું હતું.
આમ પણ મને સ્પર્શી ગયેલો સમય, સંબધ, સંજોગો અને સ્થળો વિશે મને વાત કરવી ગમી છે. ઘણા અલગ અલગ સ્થળોએ ફર્યા પછી એ મુલાકાતની અનુભૂતિ વિશે લખવાનું ગમ્યું છે અને મારા ‘પ્રવાસ વર્ણનો’માં એ આલખ્યું પણ છે.
એવી રીતે આજ સુધીના જીવનમાં અનેક વ્યક્તિઓને મળવાનું બન્યું ત્યારે અનેક એવી વ્યક્તિઓ છે જેમની મારા મન પર અમિટ યાદ અંકિત થયેલી છે. કોઈ એક વિષયની જેમ કોઈ વિશેષ વ્યક્તિ વિશે વાત કરવાની હોય ત્યારે મનમાં એવી અનેક વ્યક્તિઓની યાદ તાજી થઈ. કેટલાક અંગત સ્મરણો હોય તો કેટલાક સ્મરણો એવા હોય જે અંગત હોય પણ એના વિશેની વાતો સૌને સાંભળવી, જાણવી ગમે.
‘બેઠક-શબ્દોનું સર્જન’માં આ વર્ષે કોઈ એક વિષયના બદલે વ્યક્તિવિશેષ વાત કરવાની હતી. આપણે રહ્યા ગુજરાતી એટલે ગુજરાતને, ગુજરાતીપણાને ગૌરવવંતું કરનાર એક વ્યક્તિ જે હંમેશા આપણી સાથે જોડાયેલી રહી છે એ વ્યક્તિવિશેષ વિશે વાત કરવાની, રાજીપાને વ્યક્ત કરવાની આ તક હતી, અવસર હતો ત્યારે મારા અને તમારા માનસપટ પર ચિરસ્થાયી અંકિત થયા છે એવા શ્રી અવિનાશ વ્યાસ વિશે વાત આલેખવાનું વિચાર્યુ .
સુગમસંગીતના ભિષ્મપિતા તરીકે ઓળખાતા અવિનાશ વ્યાસ વિશેના આલેખન દરમ્યાન આ સુગમ સંગીત વિશે જાણવા પ્રયત્ન કર્યો. એમ કરવું ગમ્યું. થોડું સંગીતની નજીક જવાયું. ભલે સુગમસંગીત નામ છે પણ અવિનાશ વ્યાસની અનેક એવી રચનાઓ છે જેમાં ક્યાંક અગમ્ય, ગૂઢ ભાવો અને ભક્તિ વણાયા છે એય સમજાયા અને એટલે જ હવે જે વાત કરવી છે એ આવા જ તન-મનને તરંગિત કરી મુકે એવા ગીતો અને ગીતકારની છે. મારા-તમારા-સૌના મનમાં વસેલા અને ઘર ઘરને ગૂંજતુ કરનાર ગીતકારની છે. આપણા જીવનના દર એક શુભ મંગલ પ્રસંગને યાદ કરીએ તો મનમાં એક સૂરીલા ગીતનો ગુંજારવ તો ઉઠે જ ને?
આ આલેખન દરમ્યાન મનમાં એક વાત સ્પષ્ટ હતી કે અહીં કલ્પનાથી વિશેષ મહત્વ માહિતીનું છે. આ સંદર્ભે અવિનાશ વ્યાસ વિશે, ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવવંતા કરતાં એમના પ્રદાન વિશે જાણવા પ્રયાસ કર્યો. અવિનાશ વ્યાસ સાથેની મારી સ્મૃતિઓ, એમને મળેલી અનેક વ્યક્તિઓ પાસેથી જાણેલી વાતોની સાથે શક્ય હોય ત્યાંથી એમને ઓળખવા પ્રયત્ન કર્યો. એમના ગીત-સંગીત થકી એમની પ્રતિભા વિશે જ્યારે જે જાણ્યું એમાં મારી પોતાની અનુભૂતિનો, અહોભાવનો ઉમેરો થયો અને એમાંથી સર્જાઈ આ લેખમાળા. લેખ દરમ્યાન અવિનાશ વ્યાસના ગીતો, ગરબા કે ભજનો વિશે વાત કરતી ત્યારે અનાયાસે એમાં મારા ભાવ વણાઈ જતાં.
વર્ષો પહેલાંનો એ દિવસ મને આજે પણ બરાબર યાદ છે. છ વર્ષની ઉંમર હતી અને પપ્પા અમને એ દિવસે રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ “ મેંદી રંગ લાગ્યો” જોવા લઈ ગયા હતા. ફિલ્મ જોવી એ મારા માટે એ સમયે ખાસ કોઈ મઝાની વાત હતી એવું ય નહોતું હા ! જરા નવી વાત જરૂર હતી પણ પછી તો એમાંય ખાસ કોઈ નવિનતા રહી નહી કારણકે પપ્પા એ સમયે પણ જાણીતા પત્રકાર, વિવેચક, સમીક્ષક, નાટ્ય લેખક અને ફિલ્મની સાપ્તાહિક પૂર્તિના સંપાદક હતા.
અમદાવાદ શહેરના અને મુંબઈના કંઇ કેટલાય લેખક, ગાયક, ગીતકાર, સંગીતકાર, કલાકાર, નાટ્યકાર સાથે ઘરોબો એટલે આ બધા કલાકારોને જોતા, ઓળખતા ઓળખતા જ હું મોટી થતી રહી.
ગુજરાતી ફિલ્મ “ મહેંદી રંગ લાગ્યો”ના પ્રિમિયર શો પછીના બીજા જ દિવસની વાત છે. એ સમયના જાણીતા અભિનેતા રાજેન્દ્રકુમારનો મારા પપ્પા ઈન્ટર્વ્યુ લેવાના હતા. આ હિન્દી ચલચિત્રના અભિનેતાએ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું એટલે ગુજરાતી ફિલ્મમાં અભિનય દરમ્યાનના અનુભવ વિશે જ વાત હતી.
જો કે એ ૬ વર્ષની ઉંમરે તો મને આ પ્રિમિયર શો કે ઈન્ટર્વ્યુની પણ ક્યાં ખાસ સમજ હતી અને એમની સાથેની વાતોમાં ય ખાસ તો એવું કંઈ કે મઝા પડે એવું કંઈ નહોતું. એ સમયે તો કોઈપણ અભિનેતા કે અભિનેત્રીને મળવું એ પણ મારા માટે ખાસ કોઈ રસપ્રદ વાત નહોતી. રસ હતો તો માત્ર એ જ કે એ ઇન્ટર્વ્યુ હતો અમદાવાદના કાંકરિયાના બાલવાટિકામાં….. ઇન્ટર્વ્યુ તો ટેપ જ થવાનો હતો પણ સાથે જે ફોટા લેવાય એમાં બેક-ગ્રાઉન્ડ સુંદર હોય તો એ ફોટા પણ શોભી ઉઠે એટલે એના માટે પસંદ કરવામાં આવ્યું એ સમયનું બાળવાટિકા અને એ બાળવાટિકાનો નકશીકામવાળો ઝૂલો.
એ ઉંમરે બાલવાટિકા, એનું અરીસાઘર, બોટહાઉસ તો મારી પ્રિય જગ્યાઓ અને એનો પેલો નકશીકામવાળો હિંચકો, એ તો મને બહુ જ ગમતો જેની પર બેસી ઝૂલતા ઝૂલતા રાજેન્દ્રકુમારનો ઇન્ટર્વ્યુ લેવાનો હતો. આપણા રામને પણ નકશીકામવાળા ઝૂલા પર ઝૂલવામાં જ રસ હતો.
ઈન્ટર્વ્યુ સમયે રાજેન્દ્રકુમારની સાથે વાતોની વચ્ચે એ ગુજરાતી ફિલ્મના ગીતો પણ ટેપ રેકોર્ડર પર વાગતા હતા. બાકી બધું તો ભૂલાઈ ગયું પણ એ સમયે સાંભળેલો ગરબો જે બહુ ગમી ગયો જે આજ સુધી મારી યાદમાં જડાયેલો છે…
“મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો….”
આગલા દિવસે પરાણે જોયેલી ફિલ્મમાંથી પણ આ ગરબો જ મને બહુ ગમી ગયેલો જે ઇન્ટર્વ્યુ સમયે ફરી સાંભળવા મળતા હું તો રાજી રાજી કારણકે એ ગરબામાં માથે જાગ અને બેડા સાથે સાથે થયેલી એન્ટ્રી એ મારા માટે કંઇક નવું હતું. માથે આવો ભાર લઈને કેવી રીતે ગોળ ગરબે ઘૂમી શકાય એ સાચે જ મારા માટે કોયડો હતો અને પછી તો ત્રણ તાળી સાથેની રમઝટમાં મને ખુબ મઝા પડી ગઈ.
ઘણા બધા સમય પછી સમજાયું કે જે ગરબો ગમ્યો હતો એ તો લખ્યો હતો કોઈએ, ગાયો હતો કોઈએ અને એના તાલે ઘૂમ્યા હતા અન્ય કોઈ. એ દિવસે ઇન્ટર્વ્યુ દરમ્યાનની વાતોમાં રાજેન્દ્રકુમાર સાથે ઉષા કિરણ, લતા મંગેશકર એવા બધા નામ સાથે એક બીજું નામ પણ અવારનવાર સાંભળવા મળતું એ ય યાદ રહી ગયું હતુ. એ નામ હતું અવિનાશ વ્યાસ અને એ નામ સમજણ આવ્યા પછી તો અવારનવાર મારા કાને પડવા માંડ્યુ.
વર્ષો વિતતા ગયા અને એક દિવસ શ્રી અવિનાશ વ્યાસને મળવાની તક ઊભી થઈ. એક ધ્યાનસ્થ ઋષિની જેમ શાંતચિત્ત બેઠેલા શ્રી અવિનાશ વ્યાસને જોયા. એમને જોઈને એવી કલ્પના પણ ન આવે કે મને ખુબ ગમતા “તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે’ જેવી મસ્તીભર્યા ગીત કે ‘ હે હૂતુતુતુ’ જેવું ચિંતનાત્મક અને તેમ છતાં ગુજરાતી ભાષાના સૌ પ્રથમ રેપસોંગની કક્ષામાં મુકાય એવા ગીતના એ રચયિતા હશે.
શ્રી અવિનાશ વ્યાસ એક નથી અનેક છે. એ ગીતકાર છે, એ સંગીતકાર છે. ગુજરાતી સંગીતને સુગમ બનાવવામાં, સામાન્યથી માંડીને સાક્ષર સુધીની કક્ષાએ લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનન્ય છે. ઘર ઘરમાં વ્યાપેલા એમના ગીતો સદાબહાર છે. એમના નામની જેમ જે એમના ગીતો પણ અવિનાશી છે. એ અનેક નથી એ એક છે એ અવિનાશી અવિનાશ છે.
મને ,તમને સૌને ગમે એવા શ્રી અવિનાશ વ્યાસ વિશે ખુબ વાતો કરવી છે તો મળતાં રહીશું જન ફરીયાદના આ પેજ પર.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com