*કોરોના વાયરસ કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય મંત્રી મંડળની સતત ચોથી વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક* *મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રી -શિક્ષણ મંત્રી-ગૃહ રાજ્યમંત્રી ગાંધીનગરથી – અન્ય મંત્રીઓ જિલ્લા મથકોએથી વિડીયો કોન્ફરન્સથી કેબિનેટમાં જોડાયા* …… *રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ નિવારણ પગલાં સહિતની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી* …… *જિલ્લાઓમાં આરોગ્ય સર્વેલન્સ-ટેસ્ટ-કોરોના લક્ષણો જણાતા વ્યકિતની સઘન સારવાર અંગેનો એકશન પ્લાન વધુ પ્રભાવી બનાવવા તાકીદ* ……. -: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો*:- …… *કોરોનાથી વધુ પ્રભાવિત ૭ જિલ્લાઓમાં જિલ્લાતંત્રના માર્ગદર્શન-સુપરવિઝન-અમલીકરણ માટે ૭ વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઇ* *રાજ્યના ૧ર૧ માર્કેટયાર્ડમાં ૧ લાખ ૩પ હજાર કવીન્ટલ ઘઉં સહિત ર લાખ ૩૧ હજાર કવીન્ટલ અનાજ-ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે આવ્યા* *૩૪ હજારથી વધુ ઊદ્યોગ એકમોને કામકાજ શરૂ કરવાની મંજુરીથી ર લાખ ૪૦ હજાર શ્રમિકોને રોજગારી મળી* *નિર્માણાધિન રપ૪ કન્સ્ટ્રકશન પ્રોજેકટમાં ૧૭૪૦૦ શ્રમિકોને રોજી-રોટી મળી રહી છે* *રાજ્યના ૬૬ લાખ NFSA લાભાર્થી પરિવારો પૈકી અત્યાર સુધીમાં રપ જિલ્લાના ર૩ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોના બેન્ક ખાતામાં રૂ. ર૩પ કરોડની સહાય જમા થઇ* …… મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની સતત ચોથી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ જિલ્લા મથકોએ કલેકટર કચેરીમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયેલા મંત્રીશ્રીઓ પાસેથી તેમના વિસ્તાર-જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ અને તેને નિવારવાના આરોગ્ય તંત્ર તથા જિલ્લા તંત્ર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓ, જિલ્લામાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દૂધ-શાકભાજી, દવાઓ સહિત નાગરિક પુરવઠાની સ્થિતી, ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થયેલા ઊદ્યોગ અને તેમાં મળી રહેલી રોજગારી તેમજ લોકડાઉનના પાલન અંગેની સ્થિતીની બારીકાઇથી વિગતો-ફિડબેક મેળવ્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતીના સંદર્ભમાં જે એકશન પ્લાન મે-મહિના સુધીનો બનાવવામાં આવેલો છે તેને જિલ્લા કલેકટરો અને આરોગ્યતંત્ર વધુ પ્રભાવી-બનાવે તેવી તાકીદ કરી હતી. આ સંદર્ભમાં તેમણે જિલ્લાઓમાં આરોગ્ય સર્વેલન્સ સઘન રીતે હાથ ધરીને તેમજ લોકોના ટેસ્ટ પણ મોટાપાયે કરીને કોરોના સંક્રમણના લક્ષણો જણાય કે તુરત જ નજીકના સરકારી દવાખાનામાં તેવા વ્યકિતને સારવાર માટે દાખલ કરવા સુધીની અને સારવાર વ્યવસ્થાની સમગ્ર વ્યૂહરચના ઘડીને રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતો અટકાવવા સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્ય મંત્રીમંડળની બેઠક વિસ્તૃત ભૂમિકા આપતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં એવા ૭ જિલ્લાઓ જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા બે આંકડામાં એટલે કે ૧૦ કે તેથી વધુ છે તેવા જિલ્લાઓમાં જિલ્લાતંત્રની મદદ અને માર્ગદર્શન માટે વરિષ્ઠ આઇ.એ.એસ અધિકારીઓને જવાબદારી સોંપી છે. તદ્દઅનુસાર, સચિવ (નર્મદા) શ્રીમતી સોનલ મિશ્રા-ભાવનગર, પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્મા-પાટણ, જી.એમ.ડી.સી.ના મેનેજિંગ ડિરેકટર શ્રી એ. એમ. સોલંકી-બનાસકાંઠા, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.ના એમ.ડી. શ્રીમતી શાહમીના હૂસૈન-ભરૂચ, વાહન વ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજૂ-પંચમહાલ, કુટિર ઊદ્યોગ સચિવ સંદીપકુમાર-આણંદ અને નાણાં (ખર્ચ) સચિવ રૂપવંતસિંઘ અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસ નિયંત્રણ તથા તેને સંલગ્ન કામગીરીમાં માર્ગદર્શન, સુપરવિઝન અને અમલીકરણ કરાવશે. મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યના માર્કેટયાર્ડ-બજાર સમિતિઓમાં તા. ૧પ એપ્રિલથી ખેત ઉત્પાદનોની ખેડૂતો પાસેથી ખરીદી કરવાની પ્રક્રિયા મુખ્યમંત્રીશ્રીના નિર્ણય મુજબ શરૂ થઇ છે. રાજ્યમાં, અત્યાર સુધીમાં ૧ર૧ માર્કેટયાર્ડ કાર્યરત થઇ ગયા છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જાળવીને ત્યાં કામગીરી શરૂ થઇ છે તેમાં અત્યાર સુધીમાં ૨,૩૧,૦૫૪ કવીન્ટલ અનાજ અને ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે આવ્યા છે. આ ઉત્પાદનોમાં ઘઉં ૧,૩પ,૦૨૩ કવીન્ટલ, એરંડા ૬૦૭૦૬ કવીન્ટલ તેમજ રાયડો ૧૧,૬૫૫ અને અન્ય જણસીઓ ૯૬૩૩૪ કવીન્ટલના સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં તમાકુ પકવતા ખેડૂતોને તમાકુનો પાક પ્રવર્તમાન સ્થિતીમાં માર્કેટયાર્ડમાં વેચવા મળી શકે તેવો અભિગમ પણ અપનાવ્યો છે. શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં ઉમેર્યુ કે, રાજ્યમાં સાવલી-વડોદરા માર્કેટયાર્ડ ૬૦ કવીન્ટલ, આણંદના પેટલાદમાં કેરયાર્ડમાં ૧૦૦ કવીન્ટલ અને મહેસાણાના વિજાપૂરમાં ખેડૂતો પાસેથી સીધી ૩૦ હજાર કવીન્ટલ તમાકુની ખરીદી થઇ છે. મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં તા. ર૦ એપ્રિલથી ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ-એકમો કાર્યરત કરવા અપાયેલી પરવાનગીઓ અન્વયે જિલ્લા કક્ષાએથી ૩૪ હજારથી વધુ એકમોને ચાલુ કરવા મંજૂરીઓ અપાઇ છે અને ર લાખ ૪૦ હજાર જેટલા શ્રમિકો-કામદારોને આ ઊદ્યોગોમાં રોજગારી મળી રહી છે. રાજ્યમાં નિર્માણાધિન એટલે કે બાંધકામ હેઠળના વિવિધ રપ૪ કન્સ્ટ્રકશન પ્રોજેકટસમાં ૧૭,૪૦૦ શ્રમિકો રોજી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં અંત્યોદય ગરીબ પરિવારોને આર્થિક આધાર આપવા NFSAનો લાભ મેળવતા ૬૬ લાખ કાર્ડધારકો-ગરીબ પરિવારોના બેન્ક ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરાવવાની જે શરૂઆત કરાવી છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી. તેમણે આ અંગેની વધુ માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં પ્રથમ દિવસે ૬ આદિજાતિ વિસ્તારોમાં લાભાર્થીઓના ખાતામાં રકમ જમા કરાવવાની શરૂઆત કરીને રૂ. ૬પ કરોડ, બીજા દિવસે ૧ર જિલ્લાઓમાં રૂ. ૮પ કરોડ અને બુધવારે ૭ જિલ્લાઓમાં રૂ. ૮૪ કરોડ મળી અત્યાર સુધીમાં રપ જિલ્લાના ર૩ લાખ લાભાર્થીઓને કુલ રૂ. ર૩પ કરોડ સહાય ચુકવી દેવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ રાજ્યમાં લોકડાઉનની સ્થિતીમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વ્યકિતઓને બે ટાઇમ ભોજન પુરૂં પાડવાની સેવા ભાવનાથી અત્યાર સુધીમાં ર કરોડ ૯ લાખ ૯૪ હજાર ફૂડપેકેટસ અને માત્ર ગઇકાલ-મંગળવારના દિવસમાં જ ૧૩ લાખ ૭ હજાર ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે એમ પણ ઉમેર્યુ હતું. રાજ્યમાં બુધવારે ૪૬.૯પ લાખ લીટર દૂધ વિતરણ સાથે ૧,૦૯,૪૧૦ કવીન્ટલ શાકભાજી અને ૯૮૬૮ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે તેની વિગતો તેમણે આપી હતી. સીએમ-પીઆરઓ/અરૂણ