src=”http://janfariyadnews.com/wp-content/uploads/2022/03/IMG_20220109_201407_534.jpg” alt=”” width=”286″ height=”280″ class=”alignnone size-full wp-image-7793″ />
[6/10, 9:24 PM] Pradip: NOG SS No: 001
પ્રકાર: પદ્ય
શીર્ષક : કોઈ હજુ પણ રાહ જુએ છે.
વિષય : અંતરમન ની આશા
ઘરચોળાં ને પાનેતરનાં મેઘધનુષી રંગો ઓઢી,
અંતરનાં ઉજાસની આશાએ ,
કોઈ હજુપણ રાહ જુએ છે.
આંખોનાં દરિયામાં મૂકી તરતી ,
કૈં સપનાંની હોડી,
અંતરનાં ઉજાસની આશાએ ,
કોઈ હજુપણ રાહ જુએ છે.
શ્વાસ નામનું એક સરોવર,
કાંઠે આવી છલકવાની અણી પર છે,
ને બીજી બાજુ તરસનાં ભમ્મરિયાળા કૂવા ખોદી,
અંતરનાં ઉજાસની આશાએ ,
કોઇ હજુપણ રાહ જુએ છે.
સ્પર્શ નામનો રાજકુંવર આવીને,
એનાં શ્વેત અશ્વ પર તાણી જશે એ આશાએ,
ત્વચા નામની રૂપસુંદરી ભીતરથી શણગાર સજી,
અંતરનાં ઉજાસની આશાએ,
કોઇ હજુપણ રાહ જુએ છે.
આંખોનાં ચશ્માં પહેરીને, દ્રશ્યોનાં દરવાજા ઊપર ઊભી ‘હું‘ એજ વિચારે,
આવશે દોડીને મળવા, વીતેલા દિવસોની ટોળી,
અંતરનાં ઉજાસની આશાએ,
કોઈ હજુપણ રાહ જુએ છે.
સંચાલક : પ્રદિપ રાવલ
[6/10, 10:47 PM] Prafulla Prasanna: NGO. સાહિત્ય સરિતા (૧)
N G. No. — 39
વિષય – અંતરમનની આશ
પ્રકાર – ગદ્ય – લેખ
શીર્ષક — હાલો ભેરુ ગામડે
શબ્દો — ૩૫૦
તારીખ – ૧૦ – ૬ – ૨૨
રચના —
કાળઝાળ ઉનાળો આવ્યો છે તો કુદરતી હવાનાં ખોળે ગામડે જવાની અંતરમનમાં આશ જન્મી છે.
ગામડે શહેર જેવું નહીં. મતલબ હોય ત્યારે જ ખપ પૂરતી વાત કરવી એવું અમને ના આવડે. હા,શહેરનું જીવન ધમાલીયું બહુ! ગામગપાટા મારવા માટે સમય ના હોય કોઈની પાસે. પણ ભાઈ! કામ તો ગામડાનું કામ બહુ મહેનતવાળું!પણ અમે સંધાય કામ સાથે મળીને જ કરીએ. સવારમાં વહેલાં ઉઠીને ગામની બાઈયું કુવે પાણી ભરવા જાય એ પણ ગોઠીયણનો સંગાથ શોધીને! એય સુખ દુઃખની ને અલકમલકની વાતો કરતાં કરતાં ને કુદરતને માણતાં જાય એટલે ગમે એટલું દૂર જવાનું હોય તોય રસ્તો ખૂટી જાય અને માથે ભરેલાં બેડાનું વજન પણ ના લાગે. વળી કુવા કાંઠે એમનો સાસુ, ધણી અને જીવતર પ્રત્યેનો બધોક બળાપો ઠલવાઈને વાયરા જેવાં હળવાં થઈ જાય એ અલગ! આવીને છોકરાં અને ધણીને ગરમ રોટલો અને દૂધ ખવરાવીને નદીએ કપડાં ધોવા જાય. ધણી બળદ ગાડું લઈને ખેતરે જાય. બપોરે ઘેરથી રોટલો, શાક, છાશ, ડુંગળી અને મરચાનું મસ્ત મજાનું ખાણું લઈને ઘરવાળી ખેતરે આવી જાય! ને બેય માણસ ઝાડ નીચે બેસીને, હસી મજાક કરતાં કરતાં હારે જ જમીએ! અડધો થાક ઉતરી જાય હોં. છોકરાંઓને પણ કોઈ રોકટોક નહીં.
અનાજ ચાળવું, ઝાટકવું, વિણવું, પાપડ બનાવવાં, પિત્તળનાં વાસણોને ઘસી ઘસીને સોના સરખાં કરીને અભરાઈ પર સુશોભિત રીતે ગોઠવીને ઘરની શોભા વધારવી, સરસ ઓકરીની ડિઝાઇન પાડીને લીંપણ ગુપણ કરવું વગેરે એવાં બધાં જ કામો પડોશણો સાથે મળીને કરે. એટલે કામનો બોજો ના લાગે અને બધાનું કામ પાર પડી જાય.
ઢોર ઢાંખર વગર ગામડાનું જીવન જ ના હોય. એ ય ઢોર ચરતાં હોય અને માલિક ઠંડા વાયરાની સંગે ઝાડ નીચે ગીત ગણગણતો જિંદગીનો આનંદ લૂંટતો હોય! અહીંના હવા, પાણી, અનાજ બધું જ એકદમ ચોખ્ખું હોં! ચોખ્ખું ઘરનું સાદું ભોજન, ઘરનાં ઢોરનાં દૂધ, દહીં, ઘીથી સંતોષનો એવો ઓડકાર આવે કે વાત નહિ. બિમારી અમારાથી બહુ દૂર રહે. મહેનત સખત અને શુદ્ધ ભોજન એટલે ઊંઘ પણ મીઠી આવે! અહીં અમારે એસી. કે પંખાની જરૂર જ નહીં. ભગવાન ઠંડા વાયરાનો એવો સરસ વિંઝણો હલાવે કે નીંદર ક્યારે આવી જાય એ જ ખબર ના પડે! પશુ- પંખી, ઢોર-ઢાંખરનું અમે જીવથીય વધારે જતન કરીએ. અહીં દરેકને એકબીજા માટે માયા, મમતા, આદર હોય!
ગામડું એ શહેરનું હૃદય છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”✍🏼
[6/11, 10:56 AM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય :- અંતરમનની આશા
શિર્ષક:- આશા નામનું પતંગિયું
આશાઓનું રંગીન પતંગિયું,
જીવનવાટિકા પર રોજ નર્તન કરે છે.
ક્યારેક આવી જાય છે મુઠ્ઠીમાં તો,
ક્યારેક દૂર દોડી જઇ ઉપહાસ કરે છે.
જીવન સાથે જ રોપી છે આશાઓ,
એના વિના ક્યાં કોઈ શ્વસે છે?
જીવંત એને જ ગણે છે દુનિયા,
જે આશાઓની નગરીમાં વસે છે.
દીકરી તરીકે એ જ આશા કે,
માવતરનું નામ અજવાળું.
જેણે આ તન-મનની ભેટ આપી,
એના સંસ્કારોને ઉજાળું.
બનું એમના ઘડપણની લાકડી,
સપનાં એમના સાકાર કરું.
જેમણે મારો જીવનબાગ ખીલવ્યો,
એમના જીવનમાં હુંય પ્રેમની સુવાસ ભરું.
બહેન તરીકે એક જ આશા,
ભાઈની સાચી ભગિની બનું.
સુખે- દુઃખે સાથ નિભાવી,
ખરા અર્થમાં ‘મોટી’ બનું.
પત્ની તરીકે એક જ આશા,
ખભેખભો મેળવી સાથી સંગે આગળ વધુ.
ના એક ડગલું આગળ કે ના એક પાછળ,
જીવનપથ પર સાચી સહભાગી બનું.
મા તરીકે એક જ આશા,
સંતાનોની લીલી વાડી જોવું.
સંસ્કારો જે રોપ્યા હતા એક દી’,
વિકસતા ને બીજાને પ્રેરતા જોવું.
વ્યક્તિ તરીકે એક જ આશા,
મારી આવડતોને જગહિતાર્થે વાપરું.
જે મેળવ્યું છે અહીંથી જ મેળવ્યું,
પાછું આપીને ઋણમુક્ત જીવન કરું.
આશાઓની આ સૂચિ છે લાંબી,
ખેંચતાણ થાય છે એમાં ઘણી.
ક્યારેક ‘દીકરી’ તો ક્યારેક ‘પત્ની’,
આશાને કુરબાન કરે છે જોઈ બીજા ભણી.
આશાઓનું નંદવાવું જીવન છૂટવા જેવું,
શરીર જીવે ને પ્રાણ જ ના હોય એમાં.
સ્મશાન વૈરાગ્ય શું પળમાં જાગી જાય,
માત્ર મનની તાકાત જ કામ આવી શકે જેમાં.
છતાંય હું આશાઓને છોડતી નથી,
સમાધાન કરું છું, મનોબળ તોડતી નથી.
જે પામી છું એ મારી આશાઓને જ કારણે,
એથીજ આશારૂપી એ રંગીન પતંગિયાને હું છોડતી નથી.
-અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૧૧/૦૬/૨૨.
[6/11, 1:37 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO. 0081
વિષય : અંતરમનની આશ
પ્રકાર : પદ્ય
શીર્ષક: મોખરે મારો દેશ
યુગોથી છે આ દેશ મારો , શાંતિ અહિંસા, કરૂણાનો પૂજારી,
એની હર વાત નિરાળી,હર ભાત નિરાળી,હર રીત સાવ અનોખી.
એની શાખ,એની આબરૂ,એ જ વસે હૈયે સદા,
રહે અભિમાન એનું, વાંછીએ એનું હિત હૈયે સદા.
બુદ્ધિધન એનું અનેરૂં, તપોભૂમિ છે સદીઓથી આ,
મોખરે વિશ્વમાં એનું નામ, હર ક્ષેત્રે હર કાર્યમાં સદા.
વીરોનું બલિદાન છે આ ધરતીનું ઋણ સદીઓ સુધી,
આઝાદી ખાતર, રક્ષે સીમાડા,લગાવી જાનની બાજી.
આ ભૂમિનો પરતાપ જ દૈવી,જો પુનઃજન્મ ઈશ આપે ,
ભારતભૂમિએ જન્મવું ફરી,એ જ આશ રહે અંતર્મને.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[6/11, 5:21 PM] Bhavana R.MeM: NOG SS No. 111
વિષય: અંતરમનની આશ
વિભાગ: ગદ્ય
શબ્દસંખ્યા: ૨૮૩
શીર્ષક: આશા : એક આધ્યાત્મિક પ્રવાસ
‘ આશા અમર છે ‘ . ‘ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે ‘. આ બધાં સામાન્ય લાગતાં સુવિચારો કે રૂઢિપ્રયોગો પર આપણે બહુ ધ્યાન ન આપીએ પરંતુ કોઈ હતાશામાં સરી પડેલી વ્યક્તિનાં જીવનમાં જો આશાનું એક કિરણ પણ દ્રશ્યમાન થાય તો એ વ્યક્તિનું જીવન બદલાય જાયછે.
બાળકથી લઈને વૃદ્ધો સુધી દરેકને કોઈને કોઈ આશા તો હોયજ છે. કોઈ મનોસ્થિત પ્રબળ ઈચ્છાનું જ્યારે નિત્ય રટણ મનમાં રહેતું હોય તો એકદિવસ તે જરૂર સાકાર થઈને રહેજ છે. આ આશા એ જ હકારાત્મક મનોસ્થિતિ છે. આજનાં યુગમાં આ વિશે ઘણું લખાયેલું છે. મનુષ્ય સતત કાર્યરત રહેછે ત્યારે તેને આ સકારાત્મક ઊર્જા તેમજ વિચારોની ઘણીજ જરૂર છે. ફક્ત મનુષ્ય જ નહીં પણ પશુ-પક્ષી દરેકને જો આપણે નિહાળીએ તો તેમનામાં પણ ખાવાનું શોધવાની, માળો બનાવવાની, બચ્ચાંઓનાં આગમનની આશા રહેલી હોય છે. જેના આધારે આ બધાનું જીવન ચાલે છે. આશા જીવનનું પ્રેરકબળ છે. એક એવો તાંતણો છે, જેના આધારે સમગ્ર સૃષ્ટિ ચાલેછે. આપણી રોજબરોજની ઈશ્વર પ્રાર્થનામાં પણ એ જ બળ કામ કરે છે. આશા સાથે જન્મેલાં દરેક જીવ છેવટે પણ ઈશ્વરનું શરણ પામે , એવી આશા સાથે જીવન પૂરું કરેછે.
આપણી મનોકામનાઓમાં ફક્ત આપણું કે આપણાં પરિવારનું ભલું થાય, એવું સ્વાર્થી પણું ન હોવું જોઈએ.એટલે તો આપણી નિત્ય પ્રાર્થનામાં સમગ્ર વિશ્વનું , દરેક જીવનું , કલ્યાણ થાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. જીવનનાં દરેક તબક્કે અંતરમનની આશા બદલાતી રહે છે. ફક્ત તેનું સ્વરૂપ અલગ હોય છે. સંકુચિતતાને ત્યાગીને જો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવી, દરેકમાં ઈશ્વરનાં દર્શન કરતાં, બધાનું ભલું ઈચ્છીએ તો તેમાંજ આપણો આધ્યાત્મિક વિકાસ રહેલો છે. માટે આપણે આ અણમોલ મનુષ્ય અવતારમાં અંતરમનની આશાનો આધ્યાત્મિક વિકાસ સભાનપણે કરીને, મનુષ્ય જન્મને સફળ બનાવવો જોઈએ.
તો ચાલો, આપણે બધાં આ દિશામાં પ્રયાણ કરીએ.
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
૧૧/૦૬/૨૦૨૨