ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : રામાયણ ના પાત્રો વિષયક રચનાઓ – .દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
*NOG SS No:0077*
*વિભાગ : પદ્ય,મૌલિક*
*વિષય:રામાયણના કોઈપણ એક પાત્ર પર લેખન*
*મારું પાત્ર આલેખન છે રાવણ પર*
*શીર્ષક:રાવણ બનવું સહેલું નથી*
તે રૂપવાન,ગુણવાન,મહા તેજસ્વી, મહા ઓજસ્વી , બુધ્ધિમાન બ્રાહ્મણ, શિવભક્ત,વેદોનો જ્ઞાતા અને મહા વિદ્વાન હતો,
છતાં એક જ ભૂલથી એ ખરાબ ચીતરાયો…!
ઓ ભાઈ, રાવણ બનવું એટલું સહેલું નથી…!
એ ના હોત તો રામાયણ જ ના થઈ હોત..!
રામનાં ઉજ્જવળ ચરિત્ર લેખનમાં રાવણનો બહુ મોટો ફાળો..!
રામાયણમાં રાક્ષસ તરીકે પંકાઈને સીતાજીને હાથ પણ ના લગાડ્યો…!
ઓ ભાઈ , રાવણ બનવું એટલું સહેલું નો’તું …!
એ ના હોત તો વિભિષણની સારપ ઉજાગર જ ના થઈ હોત…!
શ્રીરામને હનુમાનજીનો ભેટો જ ના થયો હોત…!
સારપને ઉજાગર કરાવવા માટે ખરાબ દેખાયો..!
ઓ ભાઈ, રાવણ બનવું એટલું સહેલું નો’તું …!
મંદોદરીની ભક્તિમાં ભંગ ના પડે એટલે પોતાના જ હાથની નસને વીણાનો તાર બનાવનાર એ રાવણ હતો..!
પત્ની માટે પોતાની નસ કાપી તો ય મોક્ષ કામના અર્થે પારકી પત્નીને
અપહરણ કરી લાવ્યો..!
ઓ ભાઈ,રાવણ બનવું એટલું સહેલું નો’તું …!
રાક્ષસી માતા અને ૠષિ પિતાનું સંતાન હોવાથી સદૈવ બે પરસ્પર વિરોધી તત્વોથી એનુું અંત:કરણ વલોવાતું રહેતું, એ વેદના કેરું દ્વંદ્વ જે લડે અને સહન કરે એ જ જાણે…!
ઓ ભાઈ,રાવણ બનવું એટલું સહેલું નો’તું…!
રામાયણનું સૌથી શક્તિશાળી પાત્ર,
શિવભક્ત રાવણ,
શિવ તાંડવનો રચયિતા
છતાં ય દાનવ થઈ પંકાયો…!
ઓ ભાઈ, રાવણ થવું
એટલું સહેલું નો’તું…!
રામાયણ તો કૈકેયીને લીધે શરૂ થઈ,
છતાંય આખી રામાયણનો અપયશનો
ટોપલો રાવણનાં
ભાગે આવ્યો….!
ઓ ભાઈ, રાવણ બનવું એટલું સહેલું નો’તું …!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
****************************************
NOG SS No : 0051
વિષય: રામાયણનું કોઈ પાત્ર
શીર્ષક: કેવટ
મારી નાવડી,
પેલે પાર રે…
હું નાવિક સદાય,
પ્રભુ રામનો સેવક રે….
ધોવા ચરણો,
પ્રભુ રામનાં મારે રે…
વાટ જોઉં મારાં,
પ્રભુ રામની રે…
મારાં પ્રભુ ભવોભવના,
પાપ ધોવા આવશે રે…
એમ છે!ભાઈ કેવટ,
વાહ ! નાવિક તારી ભક્તિ રે…
વાહ! કેવટ ચરણોનો સેવક રે…
ઉર્વશી મહેતા
અમદાવાદ.
*****************************************
*વિષય : રામાયણ નું કોઈ પાત્ર*
*શીર્ષક – સીતા*
*NOG SS NO- 006*
મૂર્ખ બનેલા ધોબી એ અવળાં વાવડ ફેલાવ્યાં,
પણ રામ તમે સીતાને શાને વનમાં મે ‘લી આવ્યાં?
રાજમહેલમાં રહેતી સીતા વન – વગડામાં ભટકે…
ફૂલ સમી એ રાજકુમારી કંટકને જો અડકે….
સુખના હર ધબકારા માંહે દુઃખના શ્વાસો વાવ્યાં,
રામ તમે સીતાને શાને વનમાં મે ‘લી આવ્યાં?
સીતા માથે આભ તૂટ્યું ને અંતર હડ- હડ બળતું,
હાથ કળે તો ઔષધ હો ‘ પણ આ તો હૈયું કળતું.
સંસ્કારો ને માન -મલાજો કેવાં રે ઢોળાવ્યાં,
રામ તમે સીતાને શાને વનમાં મે ‘લી આવ્યાં?
લેખ લખ્યાં છે ઘોર વિધાતા ક્યાં એને વંચાવે?
માણસ જેવાં માણસ શું એ ઈશને નાચ નચાવે.
આળ નકામું નાંખી સૌએ રાજપાટ મેલાવ્યાં
રામ તમે સીતાને શાને વનમાં મે ‘ લી આવ્યાં?
*દિવ્યા એમ.પુરોહિત*
*”બંસરી”*
******************************************
NOG SS NO – 0037
વિષય – રામાયણનું કોઈ પણ પાત્ર.
વિભાગ – ગદ્ય.
શીર્ષક – રાવણ.
વિશ્રવા અને કૈકસીને ચાર સંતાનો હતાં.રાવણ,કુંભકર્ણ, વિભીષણ,અને ચંદ્રનખા નામની અતિ સુંદર પુત્રી.
રાવણ સ્વયં અત્યંત સુંદર,વીર, વિદ્વાન,શિવનો ઉપાસક હતો. તપસ્યાથી અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત કર
બાળપણમાં જ્યારે તે દર્પણમાં, માળા પહેરતો હતો,ત્યારે વિશ્રવાએ જોયું કે બાળક રાવણની અનેક આકૃતિઓ ઉપસી આવી, તેનાથી બાળક રાવણ વધારે સુંદર લાગે છે. દર્પણમાં બાળકની ૧૦ આકૃતિઓ જોઈને પોતાનાં બાળકને ‘દસશીશ’ સંબોધનથી પોકાર્યો.ત્યારથી રાવણનું નામ દસશીશ (દસ મસ્તક વાળું ) પ્રચલિત થયું.
રાવણની સુંદરતા ઉપર મયપુત્રી મંદોદરી મોહિત થઈ ગઈ હતી.તે સમયે મંદોદરી અને રાવણ સાથે ‘ગોકર્ણ ‘ આશ્રમમાં લશ્કરી તાલીમ મેળવી રહ્યાં હતાં. રાવણ તમામ વિદ્યાનો જાણકાર હતો. તેમનાં લગ્ન પણ એક વિદૂષી કન્યા સાથે થયાં. રાવણે ક્યારેય કોઈ સ્ત્રી સાથે બળજબરીથી લગ્ન કર્યાં ન હતાં. વાલ્મિકી ઋષિએ સ્પષ્ટ લખ્યું છે,જ્યારે હનુમાનજી, લંકામાં ગયાં ત્યારે તેમણે રાવણનાં મહેલમાં પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રીઓને જોઈ ન હતી.લોકો જે દ્રષ્ટિથી રાવણને જુએ છે,એવો કદાપિ ન હતો.રાવણ અજોડ વ્યક્તિત્વ ધરાવતો હતો. એમનાં સમયની મહાન જાતિઓને રાવણ સમક્ષ નતમસ્તક થવુ પડતું હતું.તેથી જ રામાયણમાં વાલ્મિકીએ તેમને ‘મહાત્મા’ કહ્યાં છે.
રાવણ ફકત યોદ્ધા જ ન હતો.એ ભકત,કવિ, સંગીતનો જાણનાર પણ હતો.તે વ્યવહાર કુશળ,સાચો પ્રજાવત્સલ રાજા પણ હતો.લક્ષ્મણે રાવણની બહેનનું નાક કાપી અપમાન કર્યું હતું માટે રાવણે રામને પડકારવા માટે માતા સીતાનું હરણ કર્યું.એ ત્રિકાળ જ્ઞાની હતો, બધું જાણતો હતો.તેથી જ રામનું ‘વનવાસ વ્રત ‘ તૂટે નહીં માટે, માતા સીતાને મહેલમાં નહીં પોતાની અશોકવાટિકામાં રાખવાનો નિર્ણય કર્યો.
સેતુબંધ માટે રામ શિવલિંગની સ્થાપના કરી, પૂજા કરવા ઈચ્છતાં હતાં.રાવણને જાણ થતાં,પોતે પુરોહિતનું કાર્ય કર્યું અને રામને સફળતાનાં શુભ-આશિષ પણ આપ્યાં.આવા મહાન શત્રુ નું ઉદાહરણ વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે.
રાવણ પોતાની પ્રજાને અત્યંત પ્રેમ કરતો હતો. પોતાનાં પ્રિય રાજાને યુદ્ધમાં ઘવાયાની સ્થિતિમાં જોઈ બધાં જ શોકમગ્ન થઈ ગયાં. રાવણ જ્યારે મૃત્યુશય્યા પર હતો, ત્યારે રામે લક્ષ્મણને તેમની પાસેથી રાજનીતિના સૂત્રો જાણવા માટે મોકલ્યાં હતાં.રાવણે પણ તમામ નીતિ સૂત્રો પ્રેમપૂર્વક શીખવ્યાં માટે જ વાલ્મિકીએ રાવણની પ્રશંસા કરી છે.એક સ્થળે રાવણને સંયમી અને સદાચારી પણ કહ્યો છે.
વાલ્મિકી રામાયણ અનુસાર રાવણ કેવો હતો એનું આલેખન.
હેમલતા દિવેચા. જૂનાગઢ
**************************************
NOG SS .NO. 0095
વિષય :– રામાયણનાં પાત્રો
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :–‘ રાવણનું મિથ્યાભિમાન ‘
આપણે સૌ જાણીએ છીએ કે રામાયણનાં મુખ્ય પાત્રો એટલે રામ , સીતા , લક્ષ્મણ, અને રાવણ.
રાવણને તો અનેક વખત અનેક પાત્રોએ સલાહ આપી છે. રાવણ મારીચ પાસે જાય છે અને તેને છળ કરનાર મૃગ બનવાનું કહે છે. જેથી રાવણ સીતાજીનું હરણ કરી શકે. મારીચે રાવણને સમજાવ્યો અને કહ્યું , “ હે રાવણ ! શ્રી રામ મનુષ્યરૂપમાં ચરાચરનાં ઈશ્વર છે. તેમની સાથે વેર ના કરો . આપણે તો એમની કૃપાથી જ જીવીએ અને મરીએ છીએ.” છતાંય રાવણ માનતો નથી. ત્યારે મારીચ વિચારે છે કે રાવણનાં હાથે મરવું એનાં કરતાં તો શ્રી રામનાં હાથે મરવું સારું અને પોતે મૃગ બની જાય છે અને રામનાં બાણથી મરણ પામે છે.
એવી જ રીતે હનુમાનજી પણ રાવણને સમજાવીને કહે છે કે, “ જે દેવો, રાક્ષસો , સમસ્ત ચરાચર અને ખુદ કાળ પણ જેમનાંથી અત્યંત ડરે છે તેની સાથે વેર ના કર અને જાનકીજીને આપી દે. “
છતાંય રાવણ માન્યો નહીં.
મંદોદરી પણ રાવણને સમજાવે છે , “ સીતા તમારા કુળનાં વનને દુ:ખ દેનારી કાળરાત્રિ બનીને આવી છે .એને પાછી આપી દો નહીં તો શંકર અને બ્રહ્મા પણ તમારા હિત માટે ગમે તેટલું કરશે તો પણ તમારું હિત નહીં થાય. “ પણ તોય રાવણ માનતો નથી.
વિભીષણ પણ વિનમ્રભાવે રાવણને સમજાવે છે કે , “ હે સ્વામી ! કામ, ક્રોધ, મદ, અને લોભ એ બધાં જ નરકનાં માર્ગો છે. એ છોડો અને રઘુવીરને ભજો. “ જેણે ગમે તેટલો જગતનો દ્રોહ કર્યો હોય પણ એ પ્રભુને શરણે જાય એટલે પ્રભુ એનાં પાપનો નાશ કરે છે. સુબુદ્ધિ અને કુબુદ્ધિ બધાંનાં હૃદયમાં રહે છે. પણ જ્યાં કુબુદ્ધિ છે ત્યાં અનેક વિપત્તિઓ પણ હોય છે માટે અજ્ઞાનરૂપી અભિમાન છોડીને રઘુનંદનનાં શરણે જાઓ અને એને ભજો .”
પણ રાવણ માનતો નથી અને વિભીષણને લાત મારીને કાઢે છે. પછી રાવણ શુક નામનાં દૂતને મોકલે છે,વિભીષણની પાછળ. વિભીષણ શ્રી રામને શરણે ગયાં છે. શુક ત્યાં જાય છે. વાનરો શુકને મારે છે. લક્ષ્મણ તેને છોડાવે છે.
અંતે રાવણનો મોક્ષ શ્રી રામનાં ચરણોમાં અને શ્રી રામને હસ્તે જ થયો એ જગજાહેર છે.
દીપિકા ચાવડા ‘ તાપસી ‘