ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાગ – રાગીણી .દિવસ – ૩
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG. સાહિત્ય સરિતા (૧)
NOG SS No. 0029
વિભાગ: ગદ્ય
થીમ: રાગ/ રાગિણી
વાર્તા શીર્ષક : “જુગલબંધી”
“જુગલબંધી”
ધીરે ધીરે અંધારું પથરાયું અને પ્રેક્ષકોનો ગણગણાટ નિરવ શાંતિમાં ફેરવાયો. ટાઉનહોલમાં દેશના પ્રસિધ્ધ તબલાંવાદક ખાઁસાહેબ સાથે રાગ અને સૂર બંને ભાઈઓની ગાયકી શ્રોતાઓને એક અલગ ભાવવિશ્વમાં લઈ ગઈ.
પ્રોગ્રામને અભૂતપૂર્વ સફળતા મળી હતી. બીજે જ દિવસે સૂરને ખાઁસાહેબ સાથે વિદેશ જવાનું હતું.
એરપોર્ટ પર મુકવા આવેલા રાગને સૂરે કહ્યું.
“ભાઈ,તું સાથે હોત તો આપણી ગાયકી અને ખાઁસાહેબ સાથે તબલાંની જુગલબંધીમાં રોકિંગ પરફોર્મન્સ આપત.”
“ના ભાઈ. તારા અને મારા સ્વર એક આ જ બાબતે અલગ પડે છે. એમ મોટા માણસના હાથ પકડીને પ્રસિધ્ધિ મેળવવી મને એ વાત ગળે ઉતરતી નથી.”
“રાગ વિચારી લેજે ભાઈ. આજના મોંઘવારીનાં યુગમાં પ્રસિધ્ધિ અને પૈસા બંને જો સહેજ સમાધાન કરવાથી મળતા હોય તો એ સ્વિકારવું ડહાપણનું કામ છે.”
રાગને તાલબધ્ધ વિચારતો કરીને સૂરને લઈને પ્લેન ઉડી ગયું.
થોડા સમય પછી એક નાના પ્રોગ્રામમાં ખાઁસાહેબ સાથે રાગે જૂગલબંધી કરી પછી ડ્રેસિંગરૂમમાં ખાઁસાહેબે રાગને કહ્યું,
“રાગ, તું જેટલા ઘરાના અને આરોહ-અવરોહ જાણે છે એનાથી પા ભાગનું જ્ઞાન પણ સૂરને નથી. પણ આજે એ ક્યાં છે એ જો.”
અને રાગ વિચારે ચડ્યો.
“ખાઁસાહેબ સાથે મારો આ નાનોસૂનો ચોથો પ્રોગ્રામ છે અને સૂરનો આ દસમો આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામ થયો. પણ એનો અર્થ ખરો? આમ નીતિ નેવે મૂકીને કાંઈ ખ્યાતિ અને પૈસા થોડા મેળવાય?”
“હા, કેમ ન મેળવાય?”
“મેળવાય?”
એ એક સવાલ સાથે રાગને રાત્રે ઊંઘ ન આવી.
બે દિવસ પછી ખાઁસાહેબના સેક્રેટરી સાથે કોન્ટ્રેક્ટ સાઈન થયો.
હવે પછી રાષ્ટ્રીય કે
આંતરરાષ્ટ્રીય દરેક પ્રોગ્રામમાં રાગને લઈ જવામાં આવશે. મોટા ગજાના કલાકાર તરીકે પ્રમોટ કરવામાં આવશે.
ઉસ્તાદના એકાઉન્ટમાં પ્રોગ્રામ દીઠ ત્રીસ ટકા જમા કરાવવાના રહેશે.
પ્રથમ આંતરરાષ્ટ્રીય
પ્રોગ્રામમાં રાગને શિવરંજની આલાપતાં બેસૂર થઈ સૂરની જ્ઞાતિમાં વટલાઈ ગયાનો અહેસાસ થયો.
– લીના વછરાજાની.
****************************** ***********
NOG.SS NO.0095
વિષય :– રાગ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– મનની લાગણીનો ભાવ સંગીતમાં
સંગીત —- રાગ
આમતો સંગીત એ એક ઔષધિ બરોબર છે, એમ કહી શકાય. જોકે સંગીત બાબતે ઘણું બધું લખી શકાય એમ છે.અનેક દ્રષ્ટાંતો સાથે પણ લખી શકીએ છીએ. પણ અત્યારે વાત કરીએ તો માત્ર મનોરંજનની. સંગીતમાં પણ વિવિધ રાગ વિવિધ પ્રહર માટે બન્યા છે.
સંગીતનાં સાત સુર….એમાંથી ઉદ્ભવતા રાગ પણ વિવધ રીતે ગવાઈને વાતાવરણ કે પરિસ્થિતિને જીવંત કરવા કે શમાવવા માટે ગવાતા હોય છે. એમજ હૃદયનાં ભાવ વ્યક્ત કરવા માટે પણ વિવિધ રાગ સભર સંગીતનું માધ્યમ એક નવું જીવન , નવા શ્વાસ આપી જાય છે.
કોઈ માને કે ના માને પણ શરીરના સ્વાસ્થ્ય માટે સંગીત શ્રેષ્ઠ માધ્યમ છે. સમયાંતરે તમે સંગીત એકચિત્તે ધ્યાનથી સાંભળો તો તમારા સ્નાયુઓ જાગૃત થઇ જાય , એવું કહેવાય છે કે અનેક રોગોમાં રાહત આપે છે વિવિધ રાગ ,જોકે સંગીત બાબતે ઘણું લખી શકાય દ્રષ્ટાંતો સાથે પણ અત્યારે વાત કરીએ માત્ર મનોરંજન માટે ની , સંગીતમાં રાગ વિવિધ પ્રહર માટે બન્યા છે એમ જ વિવિધ મૂડ (મનોસ્થિતિ)માટે બન્યા છે, ક્રોધ,ગ્લાનિ, આવેશ, અગ્નિ પ્રજ્વલિત કરવા કે અગ્નિશમન કરવા એમ જ મેઘ મલ્હાર મેઘ વરસાવવા અને મેઘને શાંત કરવા ,મધુરજની ,પ્રેમાલાપ , યુદ્ધ અને વિરામ ઉપરાંત આનંદ મોજ મજા એટલે કે હાસ્યરસ ના પણ રાગ છે.જેમકે તિલક કામોદ ,રાગેશ્રી, જોગ,યમન અને દેશ.આબધા રાગ પર હાસ્યરસની રચનાઓ થયેલી છે. અને એમને એમ પણ આ રાગ વાદ્યો દ્વારા વગાડવામાં આવે કે જેને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક કહેવાય છે એને કારણે પણ શરીરમાં આનંદની લહેર પ્રસરી જાય ,બાકી સંગીત એ શું છે અને એની શું અસર હોય એ વિષે ઘણું લખી શકાય, પણ એક વાત નક્કી છે કે સંગીત એ અનેક ઔષધિ નું કામ કરે છે અને વિવિધ રાગ માનવજીવનના દરેક સમય ,સંજોગ અને શરીર, મન હૃદયની સ્થિતિમાં શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.કોઈપણ અસાધ્ય પરિસ્થિતિ કે રોગમાં વિવિધ રાગ — શ્રેષ્ઠ સહાયક બની જાય જેનો કંઠ સુમધુર છે અને વિવિધ રાગ રાગિણી સુંદર રીતે ગાઈ શકે છે એને તો સાક્ષાત સરસ્વતી દેવીનાં આશીર્વાદ મળેલાં છે. એનું તો જીવન જ સદાય સંગીતમય અને આનંદમય જ પસાર થાય છે.
આમ જો જીવનમાં સંગીતને વિવિધ પ્રહર, સંજોગો, મનોસ્થિતિ મુજબ રાગો સાથે ગાઈ કે શ્રવણ કરી મન ભરીને જીવીએ જીવીએ તો હંમેશાં ખળખળ વહેતાં ઝરણાંનાં સૂર જેવું મનોરમ્ય અને આનંદીત જીવન બની જાય. સ્વયં ને જે રાગનું સંગીત મનોરંજક લાગે , વારંવાર રાગ રાગિણી સાંભળવાનું મન થાય અને એ સાંભળ્યા પછી સ્ફૂર્તિ ,શાંતિ, તાજગી, અને આનંદનો અનુભવ થાય એ જ સંગીત જીવન સૂરમય બનાવી દે.
દીપિકા ચાવડા ‘ તાપસી ‘.
****************************** ************
NOG SS No—0091
વિષય: રાગ, રાગિણી
પ્રકાર: ગદ્ય
કોકિલ કંઠ અને કામણગારુ રૂપ એ ભગવાન તરફથી પિંકીને મળેલી અદભૂત અને અમૂલ્ય ભેટ હતી. નાનપણથી જ તેનો અવાજ મીઠો અને મધુર હતો. કાલું ઘેલું બોલતી તો પણ બહુ જ સરસ અને દિલ ખુશ થઈ જાય તેવું બોલતી. નાનપણથી જ તેને ગીતાનાં પાઠ,શતક પાઠ અને અન્ય ઘણાં બધાં મંત્રો અને ગીતો કંઠસ્થ હતાં. અને તે ગાતી પણ એટલું સુરીલું કે સાંભળનારને ત્યાંથી ઊભાં થવાનું મન જ થતું નહીં. તેને સાંભળનાર લોકો કહેતાં કે પિંકી મોટી થઈને જરૂર એક મોટી સિંગર બનશે,પરંતુ તેની સાવકી માને એ પસંદ નહોતું કારણ કે તેની પોતાની દીકરી નહોતી દેખાવડી કે ન હતી હોશિયાર એટલે પિંકીને ગાતા સાંભળીને તે બોલતી કે રાગડા પાડવાનું બંધ કર ચાલ હવે કામ પર લાગી જા. સાસરે વળાવવાની છે આખી જિંદગી રાગડા તાણી ઢેંફા નથી ભાંગવાના. સાસરે કંઈ નહિ ઉકાળો તો દુનિયા મારું જ માથું કાણું કરશે કે સાવકી મા એ કંઈ શીખવાડ્યું નથી. આવું બહાનું કાઢી તે પિંકીને સંગીતથી દૂર રાખતી હતી. આ વાત સાંભળીને પિંકી તો દુઃખી થતી જ પરંતુ તેના પિતા અક્ષય ભાઈ પણ ખૂબ દુઃખી થતાં,પરંતુ ઘરની સુખ શાંતિ માટે તે વધારે કંઇ બોલી શકે તેમ ન હતા. દિવસો વિતતા ગયાં અને પિંકી થોડી મોટી થઈ. ભણવામાં તો હોંશિયાર હતી જ પરંતુ સંગીત એનો મુખ્ય શોખ હોવાથી તે લાઈબ્રેરીમાં જઈને સંગીતનાં અલગ-અલગ પુસ્તકો વાંચી દરેક રાગ અને તેનાં નિયમો તેણે બુકમાંથી જ શીખી લીધા હતાં. માને ખબર ન પડે તેમ પોતાનાં રૂમમાં જ પ્રેક્ટિસ કરી અનેક રાગ અને સંગીતમાં મહારથી બની. એવામાં સ્કૂલમાંથી જ સંગીતની હરીફાઈ યોજાઈ જેમાં દેશના મોટાં મોટાં સંગીતકારો અને ગાયક કલાકારો નિર્ણાયક તરીકે હતાં. જ્યારે પિંકીએ પોતાનું ગીત ગાયું ત્યારે આખું વાતાવરણ સ્તબ્ધ થયું કે સ્કૂલમાં ભણતી નાની છોકરી જો આવું સરસ, સુરીલું અને તાલબધ્ધ ગાય શકતી હોય તો તેને ભવિષ્યની મહારથી બનતાં કોઇ નહીં રોકી શકે.એ જ સમયે તેમાંથી એક નિર્ણયકે પોતાનાં ગીતો ફિલ્મમાં ગાવા માટે ઓફર કરી અને આજે તે છોકરી ફિલ્મમાં ઊંચા હોદ્દા પર સ્થાન પામી છે. તેણે કુટુંબ અને પરિવારનું નામ રોશન કરી તેની સાવકી મા ને પણ પોતાની ભૂલ સમજાવી છે.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
****************************** ***********
NOG SS No.0007
વિભાગ : ગદ્ય
વિષય : રાગ,રાગિણી
શીર્ષક: વાત એક રાતની
પ્રકાર : મા.ફી.
મધુરજનીની રાત્રે જ નચિકેતે સાગરીકાને કહી દીધું,” ભલે આપણાં લગ્ન થઈ ગયાં હોય, પરંતુ તું તારા રસ્તે અને હું મારા રસ્તે.” નાના ગામડાની નાજુક લતિકા જેવી,સાગર જેવી આંખો ધરાવતી સાગરીકા નચિકેત સાથે પરણીને આજે જ શહેરમાં આવી હતી.હજી તો એની મહેંદીનો રંગ પણ ઝાંખો નહોતો થયો, સપનાં ઓએ તો હજુ એની પાંપણના દરવાજે સહેજ ટકોરા જ પાડ્યા હતાં ત્યાં મધુરજનીની મધુર રાત્રે નચિકેતે સાગરીકાને કહી દીધું અને સાગરીકા કંઈ પણ વિચારે કે કંઈ પણ પૂછે એ પહેલાં જ નચિકેત પોતાના રજાઈ ,તકીયા સાથે બેડરૂમની બહાર જતો રહ્યો અને બેડરૂમનો દરવાજો બંધ થઈ ગયો.પોતાની કૅબિનમાં બેઠેલી સાગરીકા અચાનક દરવાજાના અવાજથી ઝબકીને તંદ્રામાંથી બહાર આવી.એના હોઠો પર ફિક્કો મલકાટ થયો.પોતે સ્વગત: જ બોલી,”આજથી દસ વર્ષ પહેલાં નચિકેતની વાત પર આવેલા રાગે મને નવી મંઝીલ સુધી પહોંચાડી. સમાજના ડરે જો હું નચિકેતના રાગને સહન કરી લેત તો આજે કદાચ હું અહીં વકીલ તરીકે પ્રેક્ટીસ ન કરતી હોત.” ©️
લેખિકા : આરતી મરચંટ
મુંબઈ : કાંદિવલી
****************************** ***********
NOG SS No. 0081
વિષય: રાગ, રાગિણી
પ્રકાર: ગદ્ય
શીર્ષક: રાગને વાળીએ!
આસક્તિ, લગનીવાળી પ્રીતિ એટલે રાગ. રાગ માત્ર કોઈ વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી હોતો પરંતુ તે વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યે પણ હોય છે એટલે દુનિયાની દરેક બાબતો સાથે સંકળાયેલ છે. “મને આઈસ્ક્રીમ બહુ ભાવે!” “મને ટી વી વિના ન ચાલે!” “મને સ્ટેન્ડપ કોમેડી બહુ ગમે!” “મને તહેવારો ખૂબ ગમે .” આવી રાગ દર્શાવતી વાતો આપણે રોજીંદા જીવનમાં સાંભળતા રહીએ છીએ.
પિતા એની દીકરીને લાડ કરાવે એ સહજ ક્રિયા છે , પરંતુ દીકરી સામે ન હોવા છતાં તેના વિચારમાં સતત મગ્ન રહેવું એ પિતાનો પુત્રી પ્રત્યેનો રાગ છે એટલે કે કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથે જોડાવું એ રાગ નથી પરંતુ તેનાથી વિખૂટાં પડ્યાં પછી પણ તેની સાથે મનનું જોડાયેલા રહેવું એ રાગ છે.
તુલસીદાસને યુવાનીમાં થયેલ અતિ રાગથી પિયર ગયેલી પત્નીને મળવા તેઓ સાપને દોરડું સમજી બારી વાટે છૂપી રીતે મળ્યાં.ક્ષુબ્ધ પત્ની રત્નાવલીએ કહેલ વેણથી (દુહા રૂપે) એમનો રાગ બદલાઈ ગયો. પત્નીથી પરમ પ્રત્યે,અને જગતને એક સુંદર ગ્રંથ મળ્યો.
અધ્યાત્મ તરફની ઉન્નતિને રાગ રોકે છે.આત્મીયજનો તરફનાં રાગને લીધે ઈશ્વર તરફની ગતિ ધીમી પડી જાય છે.
પસંદ હોય એવી દરેક વ્યક્તિ, વસ્તુ , વિચાર કે પરિસ્થિતિ તરફથી અપેક્ષા જન્મે છે ત્યારે રાગનો ઉદ્ભવ થાય છે.આ અપેક્ષા શૂન્ય થાય ત્યારે વૈરાગ્યની લાગણી જન્મે છે. આવું નરસિંહ મહેતા કે જ્ઞાનેશ્વર જ કરી શકે.
જે તે વિચાર , વ્યક્તિ કે પરિસ્થિતિ દ્વારા થયેલાં અનુભવને મગજ યાદ રાખે છે તેથી એના પ્રત્યે રાગ અથવા દ્વેષ ઉત્પન્ન થાય છે. રાગરહિત થવા અનુભવ કે બાંધેલાં અભિપ્રાયને ભૂલવો રહ્યો.આ માટે સ્લેટનો દાખલો લેવો. ખોટાં દાખલાઓ કર્યાં બાદ રાતે
સ્લેટ ચોખ્ખી કરી સૂઈ જઈએ છીએ અને સવારે નવી શરૂઆત કરીએ છીએ.તે જ રીતે આગળની સ્મૃતિ ભૂલી મન નિખાલસ રાખી નવો આરંભ કરી આનંદથી જીવી લઈએ.
આ બધું લખાય એટલું આચરવું સહેલું નથી.માનવ સ્વભાવ જ રાગને વરેલો છે,પણ સમજ વધતાં એ રાગથી મુક્ત ન થઈ શકીએ તો કંઈ નહીં પણ એને ઈશ્વર તરફ તો વાળી જ શકીએ !
#માયા દેસાઈ
મુંબઈ ભારત .