ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની પાંચ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : સવાર.બપોર.સાંજ.રાત
..સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyadnews
સાહિત્ય સરિતા(1)
NOG No-0042
વિભાગ-પદ્ય
વિષય-સવાર, બપોર,સાંજ,રાત
શીર્ષક-હાઈકુ
1)ઉગ્યો ભાનુ
ધબકતું જીવન
આશા સંચાર.
2)પડે સવાર
વિહંગ ચહેકતાં
ધૂન મધુરી.
3)મૌન વાયરો
સળગતી બપોર
સૂની ડગર.
4)ગ્રીષ્મ મધ્યાહ્ન
સુમસામ અરણ્ય
એકલ દ્રુમ.
5)સુહાની સાંજ
આથમતો રવિ
સમુદ્રતટે.
6)ડૂબતો સૂર્ય
લાલીમાં પથરાઈ
સલૂણી સંધ્યા.
7)રાત કૃષ્ણા
શ્વેત જ્યોત્સના
તારલે મઢી.
8)મેઘલ નિશા
પ્રગાઢ આલિંગન
પિયુ મિલન.
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર
***********†****************************
NOG SS No : – 0054
વિભાગ – પદ્ય
વિષય – સવાર, બપોર, રાતે
શીર્ષક : સફળ થશે એ સુવર્ણ રાતે!
ઈચ્છા જાગે છે રોજ સવાર, બપોર ને રાતે,
ઈચ્છા જાગે છે રોજે રોજ નિરાંતે!
ઈચ્છાઓ બધી પૂરી કરાય એમ પણ નથી,
જવાબદારીઓ જો રડતી આવે છે શરણાર્થે!
કેટલીય ઈચ્છાઓ મારી સંઘરીને બેઠી છું,
શું કહું હું તમને, હવેતો છૂટકોય નથી મરણાંતે!
આશા લગાવીને બેસીશ જરૂર સવાર, બપોર ને રાતે,
ક્યારેક તો જરૂર સફળ થશે એ સુવર્ણ રાતે!
સપના શાહ “હની”
ગોધરા
***************************************
NOG SS No : 0048
વિષય – સવાર, બપોર, સાંજ, રાત
વિભાગ – પદ્ય
*શીર્ષક – પ્રીતનો વિચાર*
ઊગતી પ્રભાત ને મનમાં ઉગ્યો એક વિચાર,
તારા સથવારે હોય એક સુંદર સવાર.
તારું મધુરું સ્મિત ને પાંપણનો પલકાર,
તારા સ્મિતમાં છલકાય પ્રેમનો રણકાર.
તારા હૈયામાં છલકતો સાગર અફાટ,
તારી આગોશમાં ઓગળવાનો અનેરો થનગનાટ.
મારા રૂદનને પડકારતું તારું મોહક સ્મિત,
મારી ઉદાસીને મહેકાવતું તારું પ્રેમ ગીત.
તારા આંગણમાં ઢળતી એક સુંદર સાંજ,
પ્રતિક્ષા જોતી બેઠી રહું તારે કાજ.
તારા આગમનથી ઉછળતું મારું મન,
તારા સ્પર્શની ઉષ્માથી તરવરતું મારું તન.
તારા સહવાસમાં ઉતરતો નિશાનો અંધકાર,
આપણા સંબંધમાં ‘પ્રીત’નો એક ઝબકાર.
તું હોય મુજમાં ને હું હોઉં તુજમાં,
ના હોય કોઈ અંતર આપણા બંનેમાં.
ચાહવાનો ઉન્માદ તારા કણે કણને,
જીવી લેવું છે આ જીવન તારી સાથે પળે પળે.
મારા એકલવાયા જીવનનો તું જ માત્ર આધાર,
‘પ્રીત’નાં આ વિચાર પર, કરી લેજો જરા વિચાર.
✒️પ્રકૃતિ શાહ “પ્રીત”
*************************************
NGO SS No : 0015
વિષય:- સવાર,બપોર, સાંજ, રાત
વિભાગ:- પદ્ય
શીર્ષક:- રાજી રાજી
રાત પડે ને રાજી રાજી,
રાજી રાજી રાજી રાજી.
ઈચ્છા સઘળી થાતી તાજી,
રાજી રાજી રાજી રાજી.
દિવસે આખો માંદી રે’તી,
રડતી યાદો વ્યથા કે’તી,
ઢળતા શ્વાસો જાતાં દાજી,
રાત પડે ને રાજી રાજી,
રાજી રાજી રાજી રાજી.
અંધારું બાંધે આંખે પાટા
ખુલ્લી જાતા ગેબી ફાંટા
ઇચ્છા દોઢી થાતી જાજી,
રાત પડે ને રાજી રાજી,
રાજી રાજી રાજી રાજી.
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
**************************************
NOG SS No-0011*
*સાહિત્ય સરિતા*
*શબ્દ:-સવાર,બપોર, સાંજ,રાત*
*પ્રકાર : મૌલિક રચના*
*શીર્ષક : ગગનેથી ઉતરી વાદળી*
ગગનેથી ઉતરી વાદળી સાત રંગો ભરી
રાત રોકાઈને સવારે કેમ પાછી ફરી ?
લીલો રંગ વ્યાપી રહ્યો, તરુ ને પાનમાં,
બપોરે જાઉં, ત્યાં ફરવા ને આંખ કરી.
પીળો રંગ ફેલાયો છે, સોનેરી ગગનમાં,
મોતી-શા ચમકી રહ્યાં, તે ચમક જરી.
લાલ રંગ કહી રહ્યો, આ કંકુ ને ફૂલમાં,
પવિત્રતા છવાઈ રહી જ્યાં રંગ ભરી.
ભૂરા રંગે કર્યો છે કમાલ આભ મહીં ,
મોકળા મેદાનમાં પક્ષીએ પાંખ ભરી.
મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
****************************************
NOG SS NO – 0037
વિષય – સવાર,બપોર,સાંજ…
વિભાગ – પદ્ય.
શીર્ષક – સંગાથ તારો સદા.
સૂરજની સવારી લઈ…!
આવ્યું સ્વર્ણ પ્રભાત ….!
સોળકળાએ દિવસ ઉગ્યો…!
પ્રભાત થયું ભાઈ, પ્રભાત થયું…!
મધ્યાહ્ન, મારો તાજ બન્યો…!
દોડી-દોડી મારી સાથે આવ્યો…!
સૂરજ તપે,ભાઈ સૂરજ તપે…!
મધ્યાહ્ન થયું ભાઈ મધ્યાહ્ન થયું….!
સાંજ પડતાં સૌ સંગાથે..!
નીકળ્યાં ઘરની બહાર..!
સંધ્યા ખીલી, આભે રંગોળી થાય..!
સાંજ પડી, ભાઈ સાંજ પડી…!
રાતરાણીએ, ખુશ્બૂ ફેલાવી..!
મન મોહવા, ચાંદની આવી..!
રજની એ શીત-લહેર ફેલાવી..!
રાત પડી ભાઈ, રાત પડી…!
હેમલતા દિવેચા.
**********†***************************
NOG SS NO- 0001
વિષય-સવાર,બપોર,સાંજ,રાત….
વિભાગ – પદ્ય.
શીર્ષક – સ્વાગત
સૂરજદાદા જાગ્યાં,
પ્રકાશિત થયાં ધરા,ગગન,
માનવનાં મન હરખાયા,
સવાર થયું….સવાર થયું.
સ્વાગત થયાં,માનવીએ સ્વાગત કર્યા….!
સૂરજની સવારી સાથે,
ઉષારાણી આવ્યાં,
ખડખડાટ હસતાં,
નદી, ઝરણાંએ પગ પછાડ્યાં,
સ્વાગત કર્યા, મહેકી ઉપવને…!
બપોર થઈ, મધ્યાહ્ને તાપ,
પરસેવે રેબઝેબ,
તળિયાં બાળતી ગરમી,
માનવી એ વધાવ્યો તાપ,
સાંજ ઢળતાં,
સંધ્યારાણી આવ્યાં,
ગગને મેઘ-ધનુષ રચાય,
માનવનાં હૈયા હરખાય,
સ્વાગત કર્યા,મંદિરે આરતી થાય…!
ચાંદા -મામા આવ્યાં,
ચાંદનીને લાવ્યાં,
તારલાં ટમટમ્યાં,
ગગને દીવા થાય,
ધરા આનંદિત થાય.
સ્વાગત કર્યા, રાતરાણીનાં..!
પ્રદીપ રાવલ.સંચાલક
**†***********************************
*મારી ડાયરીનું પાનું…*
*ભવ્ય અમદાવાદ*
૧૯૭૫ નવનિર્માણ પછીનો સમય,મે અમદાવાદ તરફ પ્રયાણ કર્યુ.આમતો અમદાવાદ મારે માટે ફરવા જવાનું એક સ્થળ, ખાસ કરી મોસાળ ચાણસ્મા જતાં વચ્ચે આવતું એક ઐતિહાસિક સ્થળ. કર્ણાવતીને નામે જાણીતું સ્થળ. પિતાજીના કુમાર સામાયિકની એક ઓફિસ ત્યાં, બીજી રીતે જોવા જાઉં તો ઘણાં સંબંધીઓ પણ ત્યાં. મારે માટે તે ભૂમિ બની શિક્ષણભૂમિ. ક્યારેય ને ક્યાંય માતા પિતા વિના રહેવાનું વિચાર્યું પણ નહોતું. એ અમદાવાદમાં મે ભોજે વિદ્યાભવનમાં ઈન્ડિયન કલચરમાં એમ.એ કરવા જઈ પહોંચી.
રહેવાને ઓટલો ને ખાવા રોટલો જરૂરી હતો ને તે માટે સખી પલ્લવીને ત્યાં મા ને ભાઈની (નરહરી જાની)ડની છત્રછાયા મળી.અમદાવાદ્ ઘણું બધુ આપ્યું. ન લાગ્યું કે હું કોઈ અમદાવાદીને ત્યાં ઉતરી..ખરેખર મા બાપ ભાઈ ભાંડુની કોઈ કમી ન રહી. બે વર્ષ ખૂબ સંઘર્ષ કર્યો.
ઈન્કમ ટેક્ષની બાપુની મૂર્તિ કે ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી કે ભો.જે વિદ્યાલયના સાહેબો સર્વે
પોતાના લાગ્યા.મારું પ્રિય સ્થળ ગાંધીઆશ્રમ સાબરમતીને કિનારે સ્થિત સુંદર જોવા લાયક જગ્યા, બીજું સ્થળ સુભાષબ્રીજની નીચેનાં પગથિયાં મારી એકલતાનાં સાથી..ને રોજ બપોરે સાબરમતીથી આશ્રમરોડ સુધીની સાયકલીંગ તો પાછા ફરતાં સુમસામ
રસ્તા પરનો ડર..એવી આ ભૂમિ એટલે અમદાવાદ.
કાંકરિયા તળાવની અત્યારની બદલાયેલી સૂરત ભવ્ય અમદાવાદની સાક્ષી પૂરે છે.એ અમદાવાદ એટલે એક જમાનામાં જ્યા મિલોને તેનાં કાપડ ઉદ્યોગનું માનચેસ્ટર કહેવાતું શહેર. ગુજરાતની રાજધાની એટલે કર્ણાવતી ને પછી અમદાવાદ..સીદી શૈયદની જાળી,હટીસિંગના જૈન દેરાસર,જામા મસ્જિદ, ત્રણ દરવાજા, ભદ્રકાલી મંદિર,રાનીનો હજીરો,માણેક ચોક,
રિલીફ રોડ, લાલ દરવાજા, લક્કડબ્રીજ, ઝૂલતો મિનારો,
વિક્રમ સારાભાઈ સ્પેશ મ્યૂઝિયમ..કેમ્પ હનુમાન..જાત જાતની મોગલોની મસ્જિદ ને અડાલજની વાવ..ઝેવિયર્સ હોસ્ટેલમાંથી દેખાતું ડ્રાઈવઈન સિનેમા.,લો ગાર્ડનનું શોપિંગ અરે પેલો રબારી ભરતનો થેલો..ઘણું બધું છે નહિ…પણ આજના અમદાવાદની ત્રણ ચીજ મને બહુ જ આકર્ષે છે તે છે પતંગોની હરિફાઈ નરેન્દ્ર મોદીની સુંદર ભેટ, રંગબેરંગી ફૂલોનું પ્રદર્શન અને મારા સંધર્ષને યાદ કરાવતો આશ્રમ રોડ પરની એ મારી કોલેજનું પ્રાંગણ.ખાવા પીવાનો શોખ ઓછો પણ પહેલવહેલી એક્સપ્રેસો કોફી પીધી નટરાજ થિયેટરની, પુરોહિતની પચ્ચીસપૈસાની મટર સેન્ડવીચથી પેટ ભરાય જતું.હન્ડલૂમ હાઉસમાંથી શોપિંગ કરવું ને રોજ છ માઈલ આવવાનું ને છ માઈલ જવાનું સાયકલિંગ કરી અમદાવાદ
ફરી વળવાનું…વાહ મિત્રો સાથેની એ છાનામાના અજંટા થિયેટરમાં સિનેમા જોવાની ને વડીલોનાં હાથે પકડાય જવાની મજા એ જ અમદાવાદમાં કરી છે.આ જ તો આજે અમદાવાદનાં સ્થાપના દિવસે ઉભરાય આવ્યું.
પરિમલ ગાર્ડનની મીઠી સુવાસ, ને મારા મનગમતા સાહિત્યકારોનું એ અમદાવાદ આજે તેના સ્થાપના દિવસની જાહોજલાલીમાં મળી જતાં મારા એ પરસેવાનાં શ્વેદ બિંદુ ક્યાંક ને ક્યાંક મને આકર્ષે છે ને હું દોડી
આવું છું તારા એ સુંદર રિવરફ્રન્ટ પર લટાર મારવા..હવે તો નવીન વિકસિત અમદાવાદ છે પણ ત્યાં મારા જુવાનીનાં દિવસની મીઠી યાદો પણ છે..ગુમાવેલા મિત્રોની યાદો છે.. પાટનગર ગાંધીનગર નું વર્તમાનપત્ર ન્યુઝ ઓફ ગાંધીનગરમાં મળેલ લાડને પ્રેમ પણ છે…ખૂબ ખૂબ શુભેચ્છા એ વિકસિત શહેરને અને અંભિનંદન…💐
જયશ્રી પટેલ
૨૬/૨/૨૧
********†*********************************
*NOG SS No:082*
*છેલછબીલો અમદાવાદી*
અમદાવાદની સાંકડી ગલી ,
એમાં રહેતા સૌ અમદાવાદી,
ગીચ પોળોમાં હસતાં રમતાં,
ઓટલેબેસતા સૌ અમદાવાદી.
તહેવારોની મોસમમાં ખુશીની,
છોળો ઉડાડતા અમદાવાદી.
કરકસરમાં દુનિયાને પછાડી
ભાવતાલમા શ્રેષ્ઠ અમદાવાદી.
સીટીએમ, ભદ્ર, સીજી રોડમાં
ટહેલતામાલામાલ અમદાવાદી
ટાગોર હોલમાં નાટક જોતા,
ખુશ મિજાજી અમદાવાદી.
નવરાત્રિનાં નવ દિવસે ખુશીથી
ઝૂમતા ચારેકોર અમદાવાદી.
રાત્રે ખાણીપીણીની લારી પર,
ઝટપટ આરોગતા અમદાવાદી.
ઉત્તરાયણમાં કિકિયારીઓ,
કરતા બુઢાજવાન અમદાવાદી.
ઠાકોરજીની રથયાત્રામાં ,
મન મૂકી જયનાદ કરે અમદાવાદી.
નવું અમદાવાદ જૂના નગરને,
રાખી ઓળખ આપે ,
છેલ છબીલો અમદાવાદી.
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
*****************************************
NOG SS No : 0048
*અમદાવાદ વર્ષગાંઠ વિશેષ*
*શીર્ષક – મારું અમદાવાદ*
સાબરમતીનાં કિનારે, વસેલું આ શહેર,
અહમદશાહ બાદશાહનું,
સુંદર સપનું આ શહેર.
પોળોની સાંકડી શેરીઓમાં,
સંબંધોનો અનેરો વૈભવ,
બંગલાઓની જાહોજલાલીમાં,
છલકાય શ્રીમંતાઇનો ગવૅ.
પૂવૅ-પશ્વિમ વિસ્તારને જોડે,
નદી પરનાં વિવિધ પુલ,
સાબરમતી આશ્રમ એટલે, ગાંધી વિચારોની સ્કૂલ.
“પતંગ” હોટેલનાં ઝરૂખે,
શહેરનો અદ્ભત નજારો,
કોટવિસ્તારની શાન છે,
સીદી સૈયદની જાળીને ઝૂલતો મિનારો.
ભદ્રકાળીનાં મંદિરનું આંગણ,
સાથમાં એક અનોખું બજાર,
રાત પડે ધમધમે,
માણેકચોકનું ખાણી-પીણી બજાર.
લો-ગાડૅનની ખાઉગલીમાં,
ઊભરાય માનવ મહેરામણ,
ચાહે હોય નવરાત્રિ-દિવાળી,
કે પછી નાતાલ ને ઉત્તરાયણ.
પરિમલ ગાર્ડનનાં સાનિધ્યમાં,
પાંગરેલું “કદંબ સેન્ટર ફોર ડાન્સ”,
રંગમંચ અને કલાનાં ક્ષેત્રમાં,
શહેરનો હરણફાળ વિકાસ.
નવવર્ષની પૂર્વસંધ્યાએ ઝગમગે, સી.જી. રોડ ને એસ.જી. રોડ,
પુસ્તકમેળાનાં વાતાવરણ,
જેવો આ ગાંધીરોડ.
પોળોનો ઇતિહાસ જાણવા,
યોજાય છે “હેરિટેજ વોક”,
રિવરફ્રન્ટ પર માણે, લોકો “મોર્નિંગ” અને “ઇવનિંગ વોક”.
લાલ બસોનું ટર્મિનલ ,
એટલે લાલ દરવાજા,
અનોખી ને અવનવી વસ્તુઓનું બજાર, એટલે ત્રણ દરવાજા.
નગીનાવાડી ને કાંકરિયા તળાવ, છે મણિનગરની શાન,
સાયન્સ સિટી અને ઇસરો,
કરાવે વૈજ્ઞાનિકોની ઓળખાણ.
ઉધોગોના વિસ્તારનો વ્યાપ,
એટલે વટવા, નરોડા અને નારોલ,
યુનિવર્સિટી વિસ્તાર છે, શૈક્ષણિક સંસ્થાઓનું સંકુલ.
કટિંગ ચાય ને મસકાબન, સાથે જામે મિત્રોની મહેફિલ,
બી.આર.ટી.એસ. ની સવારી, પછી આવી રહી છે મેટ્રોરેલ.
વી.એસ. અને સિવિલ હોસ્પિટલ, શહેરનાં આરોગ્યધામ,
કર્ણાવતી નગરી છે એનું બીજું નામ.
આ મારૂં અમદાવાદ છે, અને હું અમદાવાદી છું,
“પ્રીત”ભરી ખુશહાલ જિંદગી માટે, હું એની આભારી છું.
✒️ પ્રકૃતિ શાહ “પ્રીત”
*****************************************
NOG SS No : 0089
પ્રકાર : ગદ્ય
શીર્ષક : “ આજ અમદાવાદ “
— રેખા શુકલ – અમેરિકા
અમે નીકળી પડ્યા અમદાવાદની સફરે. સીટી ઓફ જોચ : આપણું અમદાવાદ
1 – દિલીપ ધોળકિયા માર્ગ
માનસી ચાર રસ્તાથી વસ્ત્રાપુર તળાવ તરફ જતો માર્ગ એટલે દિલીપ ધોળકિયા માર્ગ.
સંગીતકાર દિલીપ ધોળકિયા આપણી ભાષાના ઉત્કૃષ્ટ સંગીતકાર હતા..
2 – ક્ષેમુ દિવેટિયા એમ્ફિથિયેટર.
વસ્ત્રાપુરનું તળાવમાં જે વિશાળ એમ્ફિથિયેટર તેનું નામ ક્ષેમુ દિવેટિયા એમ્ફિથિયેટર છે.
તેઓ ગુજરાત ગૌરવ પુરસ્કૃત નિવડેલા સંગીતકાર હતા જેમણે કાવ્યસંગીત અને વૃન્દગાનને લોકપ્રિય કર્યું .
જાણીતી ફિલ્મ : ‘કાશીનો દીકરો’
3 – ‘શ્રી અવિનાશ વ્યાસ ચોક’
પંચવટી ચાર રસ્તા પર સીજી રોડ બાજુ વાળો ત્યાં આ ચોક આવેલો છે.
અવિનાશ એટલે આપણી ભાષાના સર્વાધિક લોકપ્રિય કવિ અને સ્વરકાર.
લોકપ્રિય રચના : માડી તારું કંકુ ખર્યું
4 – ઉમાશંકર જોશી માર્ગ
સી.જી રોડ પર મીઠાખળી પાસે આવેલો છે ઉમાશંકર જોશી માર્ગ.
ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જ્ઞાનપીઠ પુરસ્કૃત પ્રખર કવિ અને લેખક હતા.
જાણીતી રચના : નિશીથ
5 – ‘સુંદરમ્ ચોક’
સ્વસ્તિક ચાર રસ્તાને નામ આપવામાં આવ્યું છે સુંદરમ્ ચોક.
ત્રિભુવનદાસ લુહાર ‘સુંદરમ્’ આપણી ભાષાના કવિ , વાર્તાકાર અને વિવેચક હતા.
જાણીતી કૃતિ : કાવ્યમંગલા
6 – ‘રાસબિહારી દેસાઈ ચોક’
ગુજરાત કોલેજ સામે માદલપુર ગામ તરફ વળો ત્યારે રસ્તાની એક તરફ ગુજરાત કોલેજ સામે છે આ ચોક.
રાસબિહારી દેસાઈ ચોક તેઓ સુગમ સંગીત ના ઉત્તમ સ્વરકાર અને ગાયક હતા.
જાણીતી રચના : આજ મેં તો મધરાતે સંભાળ્યો મોર.
7 – ‘ શ્રી ધૂમકેતુ માર્ગ’
પાલડી વિસ્તારમાં વિકાસગૃહનો રસ્તો છે જેને બધા વિકાસગૃહ રોડના નામથી જ ઓળખે છે પણ તેનું મૂળ નામ છે’શ્રી ધૂમકેતુ માર્ગ.
ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ ગુજરાતી નવલિકાના પ્રણેતા અને ઉત્તમ લેખક હતા.
જાણીતી વાર્તાઓ : રાજપૂતાણી , પોસ્ટ ઓફિસ
8 – ‘કવિ નાન્હાલાલ બ્રિજ’
ટાઉનહૉલની સામે કર્ણાવતી આર્ટ ગેલેરીથી છે ત્યાંથી શરુ કરીને એલિસબ્રિજનાં છેડે નીકળતા સર્પાકાર ઓવરબ્રિજનું નામ ‘કવિ નાન્હાલાલ બ્રિજ’ છે
તેઓ આપણી ભાષાના વિદ્વાન કવિ હતા.
ભારતીય ટપાલ ખાતા દ્વારા તેમની ટિકિટ બહાર પાડવામાં આવી છે.
9 – ‘કવિ દલપતરામ ચોક’
ઝવેરીવાડ રીલીફરોડની પાસે લાંબેશ્વરની પોળમાં આ ચોક આવેલો છે જ્યાં કવિ શ્રી દલપતરામની પ્રતિમા પણ મુકાઈ છે.
આપણી ભાષાને લોકપ્રિયતા અપાવનાર પ્રથમ પંક્તિના પ્રખર કવિ એટલે દલપતરામ
‘ઊંટ કહે આ સમા માં ‘ એ તેમનું જગ વિખ્યાત કટાક્ષ કાવ્ય છે.
10 – ‘ કવિ અખા ભગત’
ખાડિયા વિસ્તારની દેસાઈની પોળમાં ‘કવિ અખા ભગત’ના નામની ચોક આવેલો છે. આજ સ્થેળ તેમની પ્રતિમા પણ છે.
સમાજ સુધારક આ કવિ આખો તેમનાં છપ્પા માટે ખુબ જાણીતા છે.
જાણીતો છપ્પો:
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ…
11 – ‘ શ્રી ઝવેરચંદ મેઘાણી ચાર રસ્તા’
મેઘાણીનગર પોલીસ સ્ટેશનથી કલાપીનગર જવાના રસ્તે આ ચાર રસ્તા આવે છે.
ઝવેરચંદ મેઘાણી ના નામથી જે અપરિચિત હોય એ ગુજરાતી નથી .
સૌરાષ્ટ્રની રસધાર અને ચારણ કન્યા એ એમની અતિ લોકપ્રિય કૃતિ છે
💐 *Happy Birthday અમદાવાદ*
મનગમતી મસ્તીનું શ્હેર અમદાવાદ
અલબેલી વસ્તીનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
હાથોમાં એનાં છે મહેંદીની ભાત સમી
સીદી સૈયદની કોતરણી
રોશનીથી ઝગમગતું કાંકરિયા Lake જાણે
એનાં રે નાક કેરી નથણી
માણેકચોક એનું દિલ બની ધડકે ને
C G Road મન બની મહેકે
મિલોની Siren ને વાહનનાં Horn રોજ
એનો અવાજ બની ગહેકે
ભદ્દરકાળીની છે મ્હેર અમદાવાદ
ખાણીપીણી ને લીલાલ્હેર અમદાવાદ
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ
Googleની Site પર લાગે છે મોટું
પણ દિલમાં સમાય એવું નાનું
High Rise Buildingsની ગોઠવણી એવી
જાણે ઊભું છે ખાના પર ખાનું
બાર બાર દરવાજા, દેરાં, હવેલી
જાણે જીવતાં નખશીખ કોઈ ચિત્રો
કીટલીની પહેલી મુલાકાતમાં જ તમને
મળી જાય કાયમનાં મિત્રો
નિત નવાં રંગોનું શ્હેર અમદાવાદ
ઊડતાં પતંગોનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
આ શહેરનાં Biodataમાં છે
IIM, NID, CEPT જેવી Degree
Fashion, Textile કે Computer હોય
કોઈ વાત એને લાગે ના અઘરી
ISROની ખુલ્લી અગાસી પર જઈએ
તો ચાંદ હવે લાગે છે પાસે
BRTSમાં કરીએ સવારી તો
Future પણ હાથવગું ભાસે
સોનાં ને ચાંદીનું શ્હેર અમદાવાદ
સૌની આઝાદીનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
મારે જાવું કોંકરિયા તળાવ જોવા
મારે જાવું ઝીલણીયાં તળાવ જોવા
હો મુરલ ચયો વાગે સે
એકે લોલ દરવાજે તંબુ તોણીયા રે લોલ
સીદી સૈયદ ની જાળી ગુર્જરી જોવા હાલી
કે વહુ તમે ના જશો જોવા ને ત્યાં બાદશો બડો ગુલામી (મિજાજી)
—- રેખા શુકલ
**************************************
NOG SS No : 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- અનેરું અમદાવાદ
જેની ઉષા રંગીન અને સંધ્યા લાવે સપ્તરંગી લાલી છે,
એ મારા અમદાવાદની ભૂમિ મને ખૂબ વ્હાલી છે.
અહીં સસલું પણ શ્વાનને નસાડે છે,
આતતાયીઓને સાચો રસ્તો દેખાડે છે,
“સાબરમતીના સંતની અહીં જાહોજલાલી છે,
એ મારી અમદાવાદની ભૂમિ મને વ્હાલી છે.
આ શહેર, રાત-રાત જાગે છે,
પુરોહિત, ચેતના અને ચંદ્રવિલાસનો ઠસ્સો હજુંય માંગે છે,
જ્યાં અડધી ચ્હા હજુય રકાબીમાં ઠાલી છે,
એ અમદાવાદની ભૂમિ મને વ્હાલી છે.
જેણે વિશ્વને અહિંસાના મૂલ્યો શીખવ્યા છે,
સહુંથી વિશાળ સ્ટેડિયમ,સીદી સૈયદની જાળી અને
રિવરફ્રન્ટની સુંદરતા આપી છે,
જેણે શૈક્ષણિક ક્ષેત્રે પણ મોખરાની સંસ્થાઓ આપી છે,
એ મારી અમદાવાદની ભૂમિ મને વ્હાલી છે.
જેણે સાબરમતીના પાણી પીધા છે,
એણે નવા ચીલા ચાતરી દીધા છે,
અહીં વિશ્વનાથ આનંદ અને પાર્થિવ પટેલની વાત નિરાળી છે,
એ મારી અમદાવાદની ભૂમિ મને વ્હાલી છે.
અહીં સ્ત્રીઓ-યુવતીઓ નિર્ભય થઈ મ્હાલે છે,
શેર બજારની રંગતથી શહેરનું
અર્થતંત્ર ચાલે છે,
અહીં “એકતામાં અનેકતા” ફૂલે-ફાલે છે,
એ મારી અમદાવાદ ની ભૂમિ મને વ્હાલી છે.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર.
*************************************
NOG SS NO-0091
પ્રકાર: પદ્ય
શીર્ષક: ગુજરાતની જાન અમદાવાદ
વટ્ કરીને હું કહેતી, હું છેલ છબીલી ગુજરાતી.
ગુજરાતણ હું ખરીને, ખરી અમદાવાદી.
વાત કરું આ શહેરની, અજબ ગજબ કહાની.
મસ્તમજાનું ખાવું-પીવું, મજા છે ફરવાની.
રાણીનો હજીરો ને, સીદીસૈયદની જાળી.
જોવાલાયક છે આ, દુનિયાની અજાયબી.
કાલુપુર મણીનગર ને અડગ શાહીબાગ.
નોકરી ધંધા ને ખરીદીનું છે અલગ બજાર.
કાંકરિયા ને રિવરફ્રન્ટ અમદાવાદની શાન.
સાયન્સ સીટી ને ઈસરો છે જગમાં ખૂબ વિખ્યાત.
લાલ દરવાજા, ત્રણ દરવાજા કેટકેટલાં દરવાજા.
બાગ-બગીચા પણ કેટલાંય છે ફરવાનાં.
સાબરમતી ને નર્મદા સાથે વહેતી જાય.
ગોળ ફરતી પતંગ હોટલ અહીં છે દેખાય.
રથયાત્રા તાજીયા ને ઝુલૂસ ઝુલેલાલ.
મંદિર મસ્જિદ ને આશ્રમો અહીં છે અપાર.
મિલો કારખાનાં ને ઉદ્યોગોથી ધબકતું અમદાવાદ.
પુલ,પોળો ને વિદ્યાપીઠોથી શોભે અમદાવાદ.
દાળવડા ને ખમણ ઢોકળાં અહીંના છે વખણાય.
અરે જીલ ના ભજીયા ખાઈને કજિયા ભૂલી જવાય.
કરકસરને ત્રીજો ભાઈ માને છે અમદાવાદ.
એક ચાના ત્રણ કટીંગ કરે અમદાવાદ.
સંસ્કારોને સંસ્કૃતિની ધરોહર અમદાવાદ.
નારીની સુરક્ષા માટે જાગૃતિ અમદાવાદ.
શબ્દો ખૂટે છે મારાં વખાણ કરતાં આજ
બધા કરતાં અલગ મારું છે અમદાવાદ.
રંગબેરંગી, હરિયાળું ને મહેકતું અમદાવાદ.
ધમધમતુ ને ધબકતું, છે ગુજરાતની જાન.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક”
**†**************************************
NOG SS No :- 0044
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- અમદાવાદની મીઠી યાદ.
અમદાવાદનાં જન્મદિવસે અઢળક મીઠી વહાલભરી શુભેચ્છાઓ.
ભલે રહું હું બિલીમોરા પરંતુ અમદાવાદ મારું માનીતું.૧૯૭૨/૭૩ માં હું અમદાવાદ હતી,મામાનાં ઘરે.મામાનું ઘર એટલે માનીતું જ હોય ને!
રિલીફ રોડ,રિલીફ ટોકીઝની બાજુમાં સસ્તું કિતાબ ઘર, જેમાં મેં પહેલવહેલી નોકરી કરી.વાંચન મારો શોખ, મને મઝા આવતી.
અમદાવાદ જવાનું ધ્યેય હતું, કોમ્પ્યુટર શીખવાનું.પ્રવેશ ના મળ્યો.પ્રવેશ મળે ત્યાં સુધી બેસી રહેવા કરતાં કંઈક કરવું,આને નોકરી મળી ગઈ.સાથે પ્રોડ્કટિવીટી કાઉન્સિલ તરફથી ચાલતા અભ્યાસક્રમમાં ઓફિસ મેનેજમેન્ટમાં પ્રવેશ લીધો.
સવારે ૬ વાગ્યે નીકળી સાંજે ૬ વાગ્યે પરત પછી ટાઈપ ક્લાસમાં.મારી પાંસે સાયકલ હતી એટલે આ બધું શક્ય બન્યું.
અમદાવાદમાં ત્યારે જાણીતાં ચાર જ પૂલ.એ બધાં જ પૂલ, લાલદરવાજા,કેમ્પનાં હનુમાન, ઝૂલતાં મિનારા, કાંકરિયા, જેવાં તમામ જોવાલાયક સ્થળો મેં જોયાં છે.ગુજરાત યુનિવર્સીટી,અટીરા તો વળી માત્ર પાંચ જ રૂપિયામાં તે જમાનાની જાણીતી હોટલ પૂરોહિતનાં ભોજનનો સ્વાદ પણ માણ્યો છે.કંઈ કેટલી સ્મૃતિ તાજી થઈ ગઈ.તો વળી સાયકલ પર કેલિકો મિલની મુલાકાત પણ લીધેલી. મારા મામા ત્યાં નોકરી કરતાં.
અત્યારે લખતી વખતે નજર સમક્ષ જાણે હું ૨૧ વર્ષની નવયૌવના બનીને સાયકલ પર ઘૂમી રહી હોઉં એવો અહેસાસ થાય છે.
અમદાવાદનાં લોકો જરા પણ કંજૂસ નહીં પણ માયાળું , પ્રેમાળ લાગ્યાં.અમદાવાદનાં લોકો અને અમદાવાદ હ્દયમાં અકબંધ છે.
તો હવે ન્યૂઝ ઓફ ગાંધીનગર નાં સંચાલક શ્રી પ્રદીપભાઈ રાવલે એમનાં વર્તમાનપત્રમાં સાહિત્ય વિભાગ ફાળવી અમારી કૃતિ ફોટા સાથે રજૂ કરવાની ઉમદા તક આપી.અમે તો એમનાં લાડકવાયાં સંતાન હોય એમ આમને સર્જકોને ચમકવતો વીડિયો યુટ્યુબ પર રજૂ થાય છે.શ્રી પ્રદીપભાઈનાં જીવનસાથી મિનાક્ષીબેનની મહેનતથી.
અમદાવાદ ક્યારેય ન ભૂલાય.સલામ અમદાવાદ આવે અમદાવાદીઓને.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
******************************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- અમદાવાદ સ્થાપના દિન
*પ્રકાર*- પદ્ય
*શિર્ષક* – અમદાવાદ રહે આબાદ..
******************************
જબ કુત્તે પે સસ્સા ધાયા…
અહમદશાહને શહર બસાયા..
અમદાવાદ અમારું, રહે આબાદ સદા..
રહીએ અહીં તહીં કે સર્વત્ર..
પણ વિચારોથી વખણાઈ એ સદા..
એક ચાને વધુમાં વધુ કેટલા પી શકે?
એવાં મેનેજમેન્ટના તો પાક્કા ગુરુ..
મનથી મોજીલા ને તનથી ટનાટન..
હરતા ફરતા પાછા કહીએ..
શું યાર શું ચિંતા કરે છે?
અરે પડશે એવાં દેવાશે..
હવે ક્યાં? અને કેટલા? દેવાશે.. ભગવાન જાણે..દેવાશે ખરા હો!.. અમે અમદાવાદી ના નથી હરામજાદી..
બસ ગમે છે થોડી આઝાદી..
મિજાજે! મિજાજે ખરી આઝાદી..
તેથી જ, ગાંધીજીએ આઝાદીનો દીપ.. અહીંથી જ પ્રજ્વલિત કર્યો હતો.. આવો સૌ, ખરી આઝાદી બરકરાર કરીએ..
શુભ અમદાવાદ, આબાદ રહે અમદાવાદ..
*નામ*- *ડો. મનીષા વ્યાસ*✍️
******************************””””””
NOG સાહિત્ય સરિતા (૧ )
N.o.G. S.S.0059
વિષય. અમદાવાદ.
વિભાગ ગદ્ય
શીર્ષક. અમદાવાદે વિશ્ર્વને શૂ –
આપ્યુ ?.
* અમદાવાદી* ની પાકી ઑળખ.
કાપડ ઉદ્યોગ ના માનચેસ્ટરની પદવી.
કલા, સ્થાપત્યનો અમૂલ્ય વારસૉ.
Quit India ની આગવી ઑળખ.
પંતગ ઉત્સવનૉ અનેરૉ આનંદ.
નવ નિર્માણનું નવલુ આંદૉલન.
સાહિત્યની સરિતા નૉ અદભૂત વારસૉ.
મંદિર-મસ્જિદ નૉ વારસૉ.
સાબરમતી ના સંત અને નર્મદાની નમ્રતા .
વિશ્ર્વના અજૉડ-અનૉખા સ્ટેડીયમની ભેટ.
પોળમાં પૉળ અને તેની શૉધખૉળ.
દિવસ-રાતનૉ એક સમયે અહેસાસ.
ઇંટ સામે પથ્થરની અમૂલ્ય ભેટ.
કૂમાર* ની અનેરી ઑળખ.
સૌથી અદકેરૉ તૉ અડધી ચા નૉ
અદ્ભૂત આનંદ, અને આવુતૉ અનેક.
વાહ અમદાવાદ શાહ અમદાવાદ.
©️જયકાન્ત ઘેલાણી પ્યારે’.
૨૬.૨.૨૧.
**************************************
NOG. સાહિત્ય સરિતા (૧).
NG no.39
વિષય – અમદાવાદનો જન્મ દિવસ
પ્રકાર – પદ્ય – અછાંદસ
શીર્ષક – અનેરું અમદાવાદ
તારીખ – ૨૬-૨-૨૧
આન,બાન ને શાન અમદાવાદની સીદી સૈયદની જાળી,
રિવરફ્રન્ટની અનુપમ શોભા, સાબર કેવી ન્યારી!
મસ્તી સાથે મસ્ત ભોજન,મસ્ત પોળ ને ખડકી!
કાંકરીયુ કેવું રૂડું રૂપાળું માણેકચોકની મસ્ત ખાણીપીણી!
ભદ્રકાળી કરે શહેરની રક્ષા, ખાંચે ખાંચે મંદિર ને દેરાં,
બાર દરવાજા, ચોકે ચાહની કીટલી, મિત્રો મળે રંગીલા,
રુડી ઉતરાણ, નવલી નવરાત્રી, ઉત્સવ ઉજવે અનોખા!
કાપડનું માન્ચેસ્ટર ગણાતું, સોનું ચાંદી અહીં ચમકતાં!
સર્વ ધર્મ જીવે એકરુપતાથી, મસ્જિદ, ગુરુદ્વારા ને ચર્ચ,
માર્ગ ને ચોક રૂડાં સાહિત્યકારોનાં નામે, ગુજરાતીનો વટ!
બાપુ,સરદાર, રવિશંકરની ભૂમિએ કેવા શહીદો, સપૂતો!
અનેક ધર્મના લોક વસે અહીં, તહેવારોનો અજુબો!
સાહિત્યકારોની કર્મભૂમિ આ, થાય કાર્યક્રમ અનોખા!
રંગીલા છે અમદાવાદી, અહીં માનવ મળે અલબેલા!
ભણતરની અહીં બોલબાલા બહુ, પેદા કરે સાક્ષરો!
અમદાવાદને જ્ઞાનથી દીપાવે, દરેક ક્ષેત્ર નીપજે ધુરંધરો.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
***************”””””
(વિશેષ નોંધ: જો પાક્કા અમદાવાદી છો તો મારી સાથે અમદાવાદની આ લાંબી અને રોચક સફર એક વાર જરૂર માણજો 😇. મારો એક અંગત મત અને ઇચ્છા પણ ખરી અમદાવાદનું નામ ફરીથી આશાપલ્લી કે છેવટે કર્ણાવતી થતું જોવાની જેમાં મારી સંસ્કૃતિ કે મૂળિયાંની મહેંક છે.)
અમદાવાદનાં રસ્તા પર એવું થાય,
ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી આવે ગાય,
સ્કૂટર પાછળ જ્યારે શ્વાન પડી જાય,
છેક ઘરના ઝાંપા સુધી છોડી જાય…!!
જો તમે શ્યામલ ભાઈની મોજીલી કલમથી લખાયેલું અને શ્યામલ-સૌમિલનાં સુરીલાં છતાંય મસ્તીભર્યા કંઠે ગવાયેલું આ રમતીલું ગીત 😃 નથી સાંભળ્યું તો તમે અમદાવાદી ન હોઈ શકો 🙄. મારો તો આ ગીત સાથે ગજબનો નાતો, એક-એક શબ્દમાં અમદાવાદીપણું છલકાય અને જયારે પણ આ મોજીલું ગીત સાંભળું ત્યારે મને એમ થાય કે મેં અહીં બેઠા આખાં અમદાવાદનું ભ્રમણ 🥰 કરી લીધું. આ મજાનું ગીત એમનાં ‘આપણું અમદાવાદ – સુરીલું અમદાવાદ’નાં આલબમનું છે. આજનાં દિવસે બધા અમદાવાદીઓ એક વાર તો અચૂક માણજો આ ગીતને😀.
એ સિવાય બીજી એક ધમાકેદાર સરપ્રાઈઝ આપણાં બધાનાં ખુબ માનીતાં એવા અરવિંદભાઈ વેગડાએ આપણાં અમદાવાદ માટે એક લેટેસ્ટ અને જોરદાર ગીત ગાયું છે અને જેટલાં દિલથી ગાયું છે કે એટલાં જ દિલથી માણવું પણ ગમે એવું છે. બધાને ગમશે એ આશા સાથે એની લિંક પણ મુકું છું.
જો કે તમને થશે કે મને અચાનક સિડનીમાં બેઠાં-બેઠાં અમદાવાદ કાં સાંભરી આવ્યું..!! 🤔 તો કહી દઉં કે આજે મારા અમમમમ…દાવાદનો હેપી બર્થડે છે. (આ અમમમમ…દાવાદ દયાની સ્ટાઇલમાં બોલવું તો જ એની મજા છે હો..😅 !! મનમાં ને મનમાં આ વાંચતા-વાંચતા તમે પણ મારી જેમ એક વાર તો આ સ્ટાઇલમાં બોલી જ ગયા હશો 😄.) ૨૬ ફેબુ્આરી ૧૪૧૧નો દિવસ એટલે મારાં અમદાવાદ શહેરનો ૬૧૦મોં સ્થાપના દિવસ. ૬૦૯ વર્ષોની સફર માણી નગરપાલિકામાંથી મહાનગરનો દરજ્જો મેળવનાર, ગુજરાત રાજ્યનાં સૌથી મોટા અને ભારતનાં સાતમાં ક્રમમાં સ્થાન મેળવનાર મારાં અમદાવાદ શહેરની વાત જ અનોખી છે.
કાપડ ઉદ્યોગ માટેનાં માનચેસ્ટરના બિરૂદથી લઈ અમદાવાદ આજે સ્માર્ટ સિટી અને ભારતનું સૌપ્રથમ હેરીટેજ શહેરનાં દરજ્જા સુધી પહોંચ્યુ છે. ગુજરાતનું પાટનગર ભલે ગાંધીનગર છે પણ સાબરમતી નદીનાં કિનારે વસેલું આ શહેર ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચૂક્યું છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર (political capital) અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર (economical capital) તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમદાવાદ એટલે લાલ બસનું શહેર. આ લાલ બસ એટલે કે એ.એમ.ટી.એસ. બસ સેવાને આશરે ૭૪ વર્ષ થયા અને વી.એસ.હોસ્પિટલ પણ સ્થાપનાંનાં આશરે ૯૦ વર્ષ પુરા કરી ચુકી છે. આ બંને સેવા ભવ્ય ભૂતકાળ બનવા તરફ અગ્રેસર થઈ રહી છે. તો ચાલો આજે તમે પણ નીકળી પડો મારી સાથે અમદાવાદની સફરે અને માણો એનો ભવ્ય અને રોમાંચક ઇતિહાસ.
સન્ ૧૪૧૧માં મુસલમાનોનાં ભારત પરનાં આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેનાં પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ ‘અહમદાબાદ’ તરીકે જાણીતું કર્યુ. સમય જતાં તે અપભ્રંશ થઇને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું. કર્ણાવતી નગરીનાં સ્થાપક રાજા કર્ણદેવ અને આશાવલ્લીનગરીનાં સ્થાપક રાજા આશા ભીલ તેમ જ આ બે નગરી જેમાં સમાઈ ગઈ એવા અમદાવાદ નગરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહથી લઈને આજ સુધીની આ ઐતિહાસિક પરંપરા ૬૦૦ વર્ષનો ભાતીગળ ઇતિહાસ ધરાવે છે.
જો નામની જ ખાલી વાત કરીયે તો અમદાવાદ અને એની પહેલા અહમદાબાદ અને એની પણ પહેલા કર્ણાવતી કે આશાવલ (“આશાપલ્લી”) વિશે ખુબ વિસ્તારથી ચર્ચા થઇ શકે. જેમને પણ આ વિશે વિસ્તારથી જાણવું હોય એમને અમુક પુસ્તકો વાંચવાં ગમશે જેવા કે ‘અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી’, ‘મિરાત-એ-અહમદી’ કે ‘હિસ્ટ્રી ઑફ ગુજરાત’, ‘આ છે અમદાવાદ’ વગેરે.
પણ ટૂંકમાં આખો સાર કહું તો વનરાજ ચાવડાએ સંવત ૮૦રનાં રોજ રાજધાની માટે નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડનાં નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. અણહીલપુર પાટણની રાજગાદી પર મૂળરાજથી સોલંકી યુગ શરૂ થયો. એ પછી ચામુંડદેવ, વલ્લભરાજ, દુર્લભરાદ અને બાણાવળી ભીમદેવ ગાદી પર આવ્યા. આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કેમ કે એ સમયે ગુજરાતનાં ચૌલુક્ય વંશ સોલંકી રાજ્યનું પાટનગર અણહીલવાડ પાટણ હતું અને કર્ણદેવ એટલે ભીમદેવનો નાનો પુત્ર જેણે આ કર્ણાવતી વસાવ્યું.
આશરે ૧૧મી સદીમાં સાબરમતી નદીનાં કિનારાની એક છાવણી ‘કર્ણાવતી’ તરીકે ઓળખાતી હતી. કર્ણદેવ સોલંકીએ આશરે છ લાખ ભીલોનાં રાજા આશા ભીલને હરાવી આશાવલનું નામ કર્ણાવતી રાખ્યું હતું એવું માનવામાં આવે છે. હકીકતમાં આ બાબતે ઈતિહાસકારોમાં પણ મતમતાંતર પ્રવર્તે છે. સોલંકી વંશનાં શાસક કર્ણદેવ સોલંકીએ સાબરમતીને કાંઠે રહેલા ગીચ જંગલોમાં વસતાં આશા નામનાં ભીલની સરદારી હેઠળની ભીલોની વિશાલ સેનાને પરાજિત કરી હતી અને આ ભીલો જ્યાં રહેતાં હતાં એ વિસ્તાર આશાવલ કે આશાપલ્લીનાં નામે ઓળખાતો હતો.
પુસ્તકમાં મળતા વર્ણન પ્રમાણે, મુઘલ સમયના ઇતિહાસકારો આશાવલ સાબરમતી નદીનાં પૂર્વ કિનારે આવેલું હોવાનો ઉલ્લેખ કરે છે. અરેબિક અને પર્શિયન ઇતિહાસકારો પણ આને ‘આશાવલ’ નામે ઓળખાવે છે, જ્યારે સંસ્કૃત અને પ્રાકૃતમાંથી મળતા સ્રોત તેને ‘આશાપલ્લી’ તરીકે ઓળખાવે છે.
એ વાત સ્પષ્ટ થઈ શકતી નથી કે કર્ણાવતી એ આશાવલનું બીજું નામ હતું કે તેની બાજુમાં કર્ણાવતી નામની કોઈ લશ્કરી ચોકી હતી. એક બીજી વાત પણ વિચાર કરતા કરી મૂકે કે કર્ણાવતી હતું તો શા માટે આશાવલ કે આશાપલ્લીનો ૧૨મી કે ૧૩મી સદી સુધી ઉલ્લેખ જોવા મળે છે? ૧૩મી સદીનાં અંતમાં જૈન સાહિત્ય અને ધાર્મિક સાહિત્યમાં કર્ણાવતીનો ઉલ્લેખ થવાનો શરૂ થયો હતો એવું ઇતિહાસકારો જણાવે છે. કર્ણદેવ સોલંકીએ આ પ્રદેશની સત્તા પોતાનાં માટે જોખમરૂપ ન બને તે હેતુથી અહીં જે લશ્કરી છાવણી નાંખી તેનું નામ કર્ણાવતી રાખ્યું હતું.
આ પરથી આપણે એવું કહી શકીએ કે કદાચ કર્ણદેવે આશાપલ્લીની બાજુમાં લશ્કરી ચોકી સ્થાપી હશે, જે ધીરેધીરે તે વસાહતમાં ફેરવાઈ હશે. અહમદ શાહે ૧૪૧૧માં અહમદાબાદની સ્થાપના કરી તે બાદના ૧૫૦ વર્ષો સુધી પણ આશાપલ્લીનો ઉલ્લેખ જોવા મળે છે. આગળનાં વર્ષોમાં તેનો વિકાસ થતાં આશાપલ્લી સાથે કર્ણાવતી નામ ભળી ગયું હોવાની શક્યતા છે. એક જમાનામાં જે કર્ણસાગર કહેવાતું હતું તે જ આજનું કાંકરિયા તળાવ. અલગ-અલગ પુસ્તકોમાં આ બાબતે અલગ-અલગ સંદર્ભો મળી આવે છે એટલે નક્કર કઈ કહેવું તો ઇતિહાસકારો માટે પણ કદાચ શક્ય નથી.
આમાં કેટલું સાચું ને કેટલું ખોટું એ અલગથી વિસ્તૃત ચર્ચાનો વિષય બની શકે પણ અમદાવાદની સ્થાપના વિશે એક ગમ્મત પડે એવી વાત બહુ પ્રચલિત છે. તો ચાલો મારી સાથે અહમદશાહનાં સમયમાં ડોકિયું કરી આવીયે 😃. આ મજાની વાત એવી છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ 🐇 સુલતાનનાં શિકારી કુતરાથી 🐶 ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારનાં સસલા આટલાં બહાદુર છે તો ત્યાંનાં માણસો કેવા હશે 😇 અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યું. બસ એમાં કદાચ આ ગમ્મત પમાડે એવી પંક્તિ પ્રચલિત થઇ હશે કે, “જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને યે નગર બસાયા”. જો કે આ વાતનો કોઈ એવો સંદર્ભ કે ઉલ્લેખ નથી મળી આવતો અને બહુ અર્થસભર પણ નથી લાગતું પણ ગમ્મત પડે એવું છે એટલે એ બહાને જરા હસી લેવાય 😄.
સાબરમતીની ગોદમાં રમતી અમદાવાદની ભૂમિ અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે. સાબરમતી નદીનાં પટમાં રીવર ફ્રન્ટ યોજનાથી શહેરની રોનક બદલાઈ છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોનાં ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે. આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે.
શહેરમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેમાં ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક, કાંકરિયા તળાવ, હઠીસિંહના દેરા, સાયન્સ સિટી, અડાલજની વાવ, સીદીસૈયદની જાળી, જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સ્વામિનારાયણ મંદિર, ભાગવત વિદ્યાપીઠ, માણેક ચોક, રાણીનો હજીરો, સાબરમતિ રિવરફ્રન્ટ, તિરૂપતિ બાલાજી મંદિર, ઈસરો જેવા અનેક સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આજે અમદાવાદ સમયનાં કિનારે નવી આશા અને ધબકાર સાથે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે,ત્ યારે આપણા વ્હાલાં અમદાવાદને દરેક પાક્કા અમદાવાદી તરફથી હેપી બર્થ ડે..!! મારી વાત કરું તો અમદાવાદ મારી જન્મભૂમિ પણ અને એક સમયે કર્મભૂમિ પણ હતી પણ આજે વાત કરીએ કવિતામાં ધબકતા અમદાવાદની.
અખા ભગત અને કવિશ્વર દલપતરામથી લઈને ઉમાશંકર જોશી અને પ્રવર્તમાન કવિઓ સુધી કંઈ કેટલાય કવિઓએ મહાનગર બનેલાં આ નગરમાં શ્વાસ લીધા. અમદાવાદની સ્થાપનાં નિમિત્તે આ શહેર વિશે લખવા નિર્ધાયું, ત્યારે અમદાવાદમાં નિવાસ કરી રહેલાં, કરી ચૂકેલાં તથા અમદાવાદને મહેસૂસ કરી ગયેલાં લેખકો અને કવિઓએ આ મહાનગર વિશેની પોતાની લાગણીઓ જે રીતે કાગળ પર ઉતારી છે એ જોતાં તો અમદાવાદની ધરા ધન્ય બની છે.
બધું તો સમાવી નહિ શકું પણ જે આછું પાતળું યાદ છે એ પ્રમાણે થોડી-થોડી પંક્તિઓ ટાંકુ છું અને આપને પણ એ સિવાય આપણાં અમદાવાદ વિશેની કોઈ કવિની રચના યાદ હોય તો ચોક્કસ ટપકાવજો..!!
શ્વાન – સસલાની કથાનું આ નગર,
ચાર અહમદની તથાનું આ નગર
છે અડીખમ કાળના ખપ્પર મહીં,
રે અઝીઝ રૂડું બધાનું આ નગર.
-‘અઝીઝ’ ટંકારવી
રાત નોખી સાવ અમદાવાદની, ભાત નોખી સાવ અમદાવાદની
કૈંક પુસ્તક થાય એવી બધી, વાત નોંખી સાવ અમદાવાદની
મે અમદાવાદી… અમે અમદાવાદી…જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી…ભાઈ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
– અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ ‘સંતુ રંગીલી’નું આ ગીત અમદાવાદની ભાતીગળ છબી રજૂ કરે છે. જાણે કોઈ લોકગીત હોય એ હદે લોકપ્રિય બનેલું આ ગીત અમદાવાદ શહેર સાથે તંતોતંત વણાઈ ગયેલું છે.
“એક લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ અમદાવાદી નગરી”
ગુજરાતી સિનેમાના આ અતિ લોકપ્રિય ગીત વિના કાવ્યમાં ધબકતા અમદાવાદની વાત અધૂરી જ ગણાય. ‘મા-બાપ’ ફિલ્મનું આ ગીત જ્યારે માણવા મળે ત્યારે અમદાવાદ તાદૃશ્ય ન થઈ ઊઠે તો જ નવાઇ.
હે અલ્યા..હે બાજુ બાજુ..એ ભઈલા હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો અમદાવાદ… અમદાવાદ બતાવું ચાલો…
શ્રમ કરીને જે મળે તે ખાય અમદાવાદના,
એ જ કારણસર ગમે ત્યાં જાય અમદાવાદના.
આજ ‘આતિશ’આ જગાનું કેટલું ગૌરવ રહ્યું,
મિત્રના શું ? શત્રુના ગુણ ગાય અમદાવાદના.
દૃષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં.
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં.
ઊઘડે ભલેને રોજ દુકાનો નવી નવી,
કબરોય પણ ચણાય છે માણેકચોકમાં
-આદિલ મન્સૂરી
પાંચ અક્ષરથી રચાયા નામને તું યાદ કર,
આંખ સામે આખેઆખું ઊભું અમદાવાદ કર !!
– કરસનદાસ લુહાર
– Vaibhavi Joshi
(સૌજન્ય : પુસ્તકો ‘અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી’, ‘મિરાત-એ-અહમદી’ ‘હિસ્ટ્રી ઑફ ગુજરાત’, ‘આ છે અમદાવાદ’ વગેરે)”””””*”””””*””**””