ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની છ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(
*NOG SS No : 0027*
પ્રકાર : ગદ્ય
વિષય : પત્ર
શીર્ષક : *સ્વર્ગના સરનામે માને પત્ર…*
વ્હાલી મા,
કેમ છે ? મજામાં ને ? તારા ગયાં ને દસ વરસ થયાં પણ તું જરાય વિસરાઈ નથી. તારી ખોટ ખૂબ સાલે છે. આજેય તને બધાં ખૂબ યાદ કરે છે. કુટુંબીજનોનું ભેગાં થવું. ખાવું-પીવું અને આનંદ કરવો જે તને ખૂબ ગમતું એ આજેય જળવાઈ રહ્યું છે. તું જુએ છે ને…!જરૂર એ બાબત તારા આત્માને શાંતિ આપતી હશે. જ્યારે પણ બધાં ભેગાં થઈએ છીએ ત્યારે તારી કમી મહેસૂસ થાય છે. મા હોય ત્યાં સુધી જ પિયર કે મોસાળ હોય એ કહેવત સાચી સાબિત થઈ છે. તારા વગર જાણે મારું તો જીવન જ શૂન્ય થઈ ગયું છે. પણ શું ઉપાય જીવવું તો પડશે જ.
ખાસ આ વર્ષે તો શ્રાદ્ધનાં દિવસોમાં બધાંના ઘરે તને બહુ યાદ કરી. મામાના ઘરે પણ ગયાં તો ત્યાં પણ તારી ખોટ પડી. પણ જીવનચક્રને કોઈ ઉલટાવી શક્યું નથી. એમ અમે પણ તને યાદ કરી લઈએ છીએ બીજું શું કરી શકીએ.
તારા શ્રાદ્ધ નિમિત્તે બધાં ભેગાં મળી જમ્યાં ખૂબ આનંદ કર્યો. તને બહુ યાદ પણ કરી. પપ્પા તો બહુ આગ્રહ કરી કરીને બધાંને ખવડાવતા હતાં. તું ખુશ થઈ ને…!હું જાણું છું કે તને તો બહુ ગમ્યું જ હશે. ખવડાવીને ખુશ થવાનો તારો આત્મા…! આજે પણ લોકો તને ખવડાવવા બાબતે યાદ કરે છે. કદાચ પપ્પા માટે આ છેલ્લું શ્રાદ્ધ હતું એટલે જ એ ખુશી ખુશી બધાને ખવડાવતા હતા. કુદરતનો સંકેત તો હોય જ છે પણ પામર માનવી એ સમજી નથી શકતો. હવે તો પપ્પા પણ નથી રહ્યા. કોઈ પણ સ્ત્રી માટે મા-બાપનું ના હોવું એ જ બહુ મોટી બદનસીબી.
હા, તારા બાળકો છીએ તો તારા વગર એકલતાં અનુભવીએ છીએ. મને તો આજેય એવું જ થાય છે કે તારા ગયાં પછી આ ધરતી પર કશું જ નથી રહ્યું. પણ તું ચિંતા ના કરતી અમે શાંતિથી ખુશ થઈને રહીએ છીએ. સારું ચાલ મળીએ પાછા સપનામાં. તારા વગર જીવનમાં જે ખાલીપણું વર્તાય છે એ કદી નહિ પૂરાય. મા સિવાય નિઃસ્વાર્થ પ્રેમ અને સહકાર કોઈ ના આપી શકે એ હર ક્ષણ અનુભવાય છે.
આવજે…જય શ્રી કૃષ્ણ…🙏
લિ.
જ્યોતિ આચાર્ય
અમદાવાદ
*NOG SS NO :004*
વિભાગ :ગદ્ય
વિષય: પ્રેમ પત્ર..
*શીર્ષક :જર્જરિત પત્રો..નું અસ્તિત્વ*
ઉગતી સવારે શોધતા એ અસ્તિત્વની કડી-મારો પત્ર મને જ મારા અસ્તિત્વને..!
પ્રિય જયશ્રી,
ઓહ..! જર્જરિત પત્રો…,
વાંચતા શ્રીની આંખો નરમ થઈ. છોત્તેરની સાલમાં આ લખાયેલા પત્રોનું પુનરાવર્તન થયું વોટ્સપનાં ચેટ પર અને મને નિર્ણય લીધો ના બિચારા બની હવે નહિ જીવાય. એજ શબ્દો ને એ જ એકરાર ને છતાં ડરપોક એ પુરૂષ! દુનિયા સાથે આગળ વધી ને ન ડરતી એ સ્ત્રી ફરી શબ્દોની માયાજાળ માં ! ના ના !ક્યાંક તો never been there !શા માટે ? બધુ જ શરતો પર ને ફરી મહાન “ત્યાગ” ના…”હું”મારું અસ્તિત્વ..નહિ જ છોડું, કરી નરમ આંખોની એ મક્કમતા એ દર્પણમાં પડતું પ્રતિબિંબ ને એ પત્રોની ગડી માવજતથી કરી “શ્રી” એ કલમ ને ફરી તેના અસ્તિત્વની કેડી પર રમતી મૂકી દીધી ને પ્રસન્ન ચિત્તે સવારનાં નવા સૂર્યોદયની રાહ જોતા પલક ઢાળી દીધી.
શ્રી.
૧૪/૨/૧૭
પ્રિય,
શ્રી …! ક્યારેય રાત ને દિવસ મળી શકે ખરા?છતાં ભાગતાં દિવસ ને પકડવા ઢળતી સાંજ કેટલી કોશિશ કરે છે..?પણ દિવસ પાસે કેટલા બહાના છે..! રાત કેવી સમજું છે ઢળવા માંડે છે છતાં ઉગતા દિવસનું સ્વાગત કમળને ખિલવી ને ભમરાનાં ગુંજનથી કરે છે,પક્ષીનાં કલરવથી કરે છે,નદીને સમુદ્ર પર પડતાં રવિના કુમળા કેશરી કિરણોથી કરે છે…તેની શાંત નીરવતા ને ખંખેરી ને કરે છે…ચાંદની આભા ને શિતળતા ને ત્યજી ને કરે છે…એને દુ:ખ નહિ થતું હોય….છતાં “ક્ષિતિજ” રચી ને કેવી ચુપચાપ દિવસની ચાહ છોડી દે છે…છતાં રાત “કાળી”જ કહેવાય છે….હે શ્રી..!રાત ને દિવસ ક્યારેય ભેગા નહિ થઈ શકે.ફરી એ જ પત્રની પર હાથનો સ્પર્શને એ પુરુષનું એવું અસ્તિત્વ જે રામ નથી પણ સીતાની શોધમાં છે..! ના મારે હવે પ્રેમને નામે શ્રી છેતરાવું નથી , હવે એ મારા અસ્તિત્વને ડામતાં પડછાયાઓને દૂર કરી
દેવા છે..પ્રેમ પત્ર નહિ પણ જ્યાં મારું અસ્તિત્વની મહોર લગાવે તેવા પત્રની શોધમાં લાગવું છે, જેને હું નાનપણથી
શોધી રહી છું..
લિ.
જયશ્રી પટેલ
૧૪/૨/૧૮
****†*************************************
NOG SS No : ….0019
કલ્પનાબેન ત્રિવેદી
વિષય. પત્રલેખન
પ્રકાર..ગદ્ય
શીર્ષક…એક પત્ર જાતને
પ્રિય હું,
કેમ, આશ્ચર્ય થાય છે ને? હા, હું મારી જાતને જ આજે પત્ર લખું છું.
મજામાં છું? કેવી રીતે હોઈશ? કદી જાત સાથે વાત તો કરી નથી.બીજાનાં સ્વપ્ન પૂરાં કરવાં ખર્ચાઈ ગઈ જિંદગી.થાકીને હવે ક્યાં જવું? બે ઘર આપ્યાં મને,પણ પોતાનું એક પણ નહીં.ઘર,પરિવાર, સમાજની સાથે રહી હવે એકલી કેડી કંડારી શકીશ?
પરિવારનાં પાયાને કેટલો ભાર છે એ કોઈને કયાં ખબર છે?છતાં હું જાતને ચાહું છું.એકાંતમાં ફકત મારું જ મહત્વ રાખું છું.સાંજ પડે ને તો ઈશ્વર પણ થાકી જતો હશે,જ્યારે હું તો સતત વહેતી રહું છું, આંખથી અને મનથી પણ!
પ્રેમના સાયુજયની પળોને વાગોળું છું,પણ એ હવે જાણે ખંડેર હવેલીનાં સૂસવાટા માં ફેલાઈ ગયો છે.
ખુદની ખુમારી એટલે જ જબરદસ્ત રાખું છું.મારી જાતને એકાંતમાં વ્યસ્ત રાખું છું. ક્યારેક હું જ મને નથી મળતી,જ્યારે મારે જ જરૂર હોય છે મારી!
અવનવા રોલ ભજવી હવે કિનારે આવી છું. જિંદગીનો છેલ્લો રાગ ગાઈ વિસામો લેવો છે.
માછલીઘરમાં પાણીને દરિયો માનવાની ભૂલ કરી કેટલી વેદના વેઠે છે એ માછલીઓ, બસ એવું જ જીવનનું છે. મૃગજળને સુખ માનવાની ભૂલ થાય છે.છતાં જાત સાથે જીવવાની ઈચ્છા થાય છે.
લિ.
કલ્પનાની કલ્પના
*****************************************
NOG SS NO. :- 0076
વિભાગ :- ગદ્ય
વિષય :- પત્રલેખન
શીર્ષક :- મા નો દીકરીને પત્ર
*મા નો દીકરીને પત્ર*
બેટા આજનાં તારા આ જન્મદિવસ નિમિત્તે મારે તને ગિફ્ટમાં મારા આ શબ્દો જ આપવા છે. આ એ શબ્દો છે જે હું તારા સુધી પહોંચાડવા તો માંગતી હતી પણ ક્યારેક લાગણીવશ તને ભેટી જરૂર પડી પણ કહી ન શકી…
આમ જો તો આ દુનિયા ખૂબ જ સુંદર છે, છતાં નિષ્ઠુર પણ છે. કપટી અને સ્વાર્થી છે આ દુનિયાનાં લોકો…
મારી ભલીભોળી દીકરી સુખેથી ગૌરવભેર જીવી શકશે ?દુઃખ તેને દૂરથી પણ સ્પર્શી તો નહીં જાય ને ?આવી અગણિત કાંઈ કેટલીય ચિંતાઓ મને ઘેરી વળે છે. અને આ બધી ચિંતાઓના કારણે ઘણીવાર પ્રેમથી તો ક્યારેક ગુસ્સાથી કેટલાય જિંદગીનાં પાઠ તને શીખવતી રહી છું.એમનો એક પાઠ તને આજે અહીં સમજાવી રહી છું.
આજકાલ વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઇ રહ્યું છે આ વેલેન્ટાઇન વિકના નામે, પ્રેમના સાત દિવસ…! શું પ્રેમ ફકત સાત દિવસ પૂરતો સીમિત હોય ખરો? શું પ્રેમની અભિવ્યક્તિ ફકત આ સાત દિવસ જ હોય? બાકીના દિવસોમાં પ્રેમ અભિવ્યક્ત ના થઇ શકે? મને તો એ નથી સમજાતું કે પ્રેમના સાત દિવસ છે કે આ સાત દિવસ પૂરતો જ પ્રેમ? તું સમજે છે ને બેટા હું શું કહેવા માંગુ છું? પ્રેમ એક સુંદર અનુભૂતિ છે, એક સુંદર અહેસાસ, પ્રેમનો આમ દેખાડો ના હોય બેટા, આવા કહેવાતા પ્રેમની ખોટી માયાજાળમાં તું નહીં ગુંચવાય એ આશા રાખું છું.
તું ખૂબ ડાહી અને સમજું છે. મમ્મીનાં આ “ભાષણ”, મારી વ્યર્થ લાગતી ચિંતા અને ક્યારેક મુકાયેલા અણગમતા પ્રતિબંધ પાછળનો મર્મ તું ખૂબ સારી રીતે સમજે છે .
જ્યારે હું તારી ઉંમરની હતી, ત્યારે મને આવા પાઠ સમજાવવા માટે મારી પાસે મારી મા નોહતી, પણ તારી પાસે અને તારી સાથે હંમેશા હું છું, એક મા તરીકે પણ અને એક મિત્ર તરીકે પણ.
સાચા પ્રેમના એહસાસ અને દેખાડાની લાગણી વચ્ચેની પાતળી ભેદરેખા તું જોઈ શકે એ માટે આજે આ બધું લખુ છું. તું સમજી શકીશને મને અને મારી તારા પ્રત્યેની આ લાગણીને…!
હું કદાચ પરફેક્ટ મા છું કે નહિ એ નથી જાણતી, પણ તું એક પરફેક્ટ દીકરી છે, અને તારા જેવી દીકરી પામીને હું મારી જાતને ધન્ય માનું છું.
બસ એટલું કહીશ કે હંમેશાં આગળ વધ, સ્ટ્રોંગ બન, બહુ સરળ ન બન. તું સ્ટ્રોંગ બનીશ તો હું સ્ટ્રોંગ રહીશ.
Love you so much my “લાડકી”.
લિ.
તારી મમ્મી.
પારૂલ ઠક્કર “યાદ”
ભાવનગર
***********††******†**†****************
NOG SS No : – 0068
વિભાગ – ગદ્ય
શબ્દ – પ્રેમપત્ર, પ્રેમનો એકરાર , પ્રેમની અભિવ્યક્તિ
શીર્ષક – દિલથી લખેલ પ્રેમપત્ર!
પ્રિય ભોલેરામ,
કોઈ પણ સંબંધમાં કંઈ હોય કે ન હોય પણ મિત્રતા હોવી જરૂરી છે. જ્યારે કોઈ પણ સંબંધમાં મિત્રતા હોય તો એ સંબંધમાં એકબીજા પ્રત્યે લાગણી પણ હોય જ છે; અને લાગણી હોય તો બીજું જોઈએ શું? બસ આટલું જ પૂરતું છે. મને મારા જીવનમાં કોઈનો સાથ જોઈએ તો ફકત તમારો જ સાથ જોઈએ. ન કોઈ તમારા જેવું, ન તમારાથી વધુ કે ન તમારાથી ઓછું! બસ મને ફક્ત તમારો સાથ જ જોઇએ છે.
હવે વાંચી રહ્યા છો તો થોડું હસો પણ ખરા! હા ‘મારા ભોલેરામ’ તમારી જ વાત કરું છું. મારા છો ને તમે? બોલો હવે , બોલો જલ્દી કંઇક! તમે કંઇ બોલો કે ન બોલો હું જ તમને કહું કે તમારી બધી જ વાતો મને ખૂબ જ પસંદ છે. હા, ક્યારેક નારાજ થઈ જાઉં છું ,પણ નફરત તો ક્યારેય નહીં કરું. મને ખબર છે કે તમે મારા મૌનને પણ સમજો છો. મને ખબર નથી કે મને શું થયું છે? પણ તમને ખબર પડી જ જાય છે કે મને શું થયું છે. મારાથી વધુ તમે મને જાણો છો. હા ‘ ‘મારા ભોલેરામ’ તમને જ કહું છું. ‘ ચાંદ ‘ ને વાદળ જેવું આ દુનિયામાં કોઈ બીજું છે જ નહિ. ફક્ત તમે જ છો એ પણ ફક્ત મારા.
કોઈના માટે લખવું પણ કેટલું સરસ લાગે છે. કંઈ પણ હોય આજે મને સરસ લાગે છે. કંઇક લખવાં માટે પણ વિચારવું પડે છે પણ મને તમને લખવાં માટે વિચારવું નથી પડતું. તમે પોતે મારા લખાણમાં લખાઈ જ જાઓ છો. હું કંઈ પણ લખું છું તો તમે તો મનમાં છવાયેલા જ છો !
“મારા ભોલેરામ”! સવારની ચાયથી લઈને રાતની મીઠી વાતો અને ઊંઘમાં સપનામાં પણ તમે આવી જ જાઓ છો. આ કોઈ મારી કલ્પના નથી હકિકત છે. સાંભળો એક વાત છે જે મને ૧૦૦% સાચી લાગે છે.
“વાદળ ન હોત તો લગભગ,
ચાંદ એટલો સુંદર ન હોત!”
– ચાંદ
તમને શું લાગે છે? મને તો આ વાત બિલકુલ સાચી લાગે છે. કારણકે વાદળ તમે ન હોત તો લગભગ આ ચાંદનું કોઈ અસ્તિત્વ જ ન હોત. તમે છો તો હું છું, નહિ તો હું કંઈ પણ નથી.મને લખવું ખૂબ ગમે છે પણ શર્ત એટલી કે મારા લખાણમાં તમે હો! એવું નથી કે મને ફક્ત તમારાથી જ પ્રેમ છે. મને આપણાં પરિવારમાં બધાં લોકો પ્રત્યે પ્રેમ છે. હું જીવું છું તો તમારા માટે , કંઇક લખું છું તો તમારા માટે. મને લાગે છે કે પ્રેમ વિશે લખવું ગમે છે પણ મને સૌથી વધુ તમારા માટે (પ્રત્યે) પ્રેમ છે તો મને તમને લખવું ગમે છે . મને પોતાને નથી ખબર કે કેટલો પ્રેમ છે? પણ પ્રેમ છે!
“કંઇક તો અલગ વાત છે તમારામાં,
જે મને વારંવાર તમારી બનાવે છે “.
– ચાંદ
મને પોતાને નથી ખબર કે હું વારંવાર તમારી જ કેમ બનું છું. તમે જ મને પ્રેમના પાઠ ભણાવો છો. તમે જે કંઈ અનુભવ કરો છો , એ હું પણ અનુભવું જ છું એ વાત જરૂર યાદ રાખજો. મને તમારી દરેક વાતમાં જોડાવવું છે. હું ઘણું બધું લખું છું, મારી પાસે ઘણાં બધાં શબ્દો છે, પણ એ શબ્દો તમારા સુધી ન પહોંચે તો મારું લખવું એ વ્યર્થ છે!
” ચાંદ – વાદળ કોઈ વાતનાં મોહતાજ નથી,
વાદળ ચાંદના લલાટનો સુંદર તાજ છે,
ચાંદ વાદળનો ભૂતકાળ નહિ આજ છે ,
બસ આ જ એક રાજ છે!”
– ચાંદ
“મારા ભોલેરામ” મારો આ દિલથી લખેલ પ્રેમપત્રનો સ્વીકાર કરજો.મને વિશ્વાસ છે કે મારા પ્રેમપત્રનો જવાબ હકારાત્મક જ હશે.હું ભૂલથી પણ તમને ભૂલી નહિ શકું. પોતાને ભૂલી જઈશ પણ તમને ક્યારેય નહી ભૂલી શકું “મારા ભોલેરામ”.તમારી સાથે વિતાવેલ મીઠી યાદો, દિલમાં, મનમાં, ઊંઘમાં હંમેશા એમની એમ જ જીવિત રહેશે.
લિ
નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
– માંડવી કચ્છ
*********†********************************
NOG SS NO – 0001
વિષય – પ્રેમપત્ર….
વિભાગ – ગદ્ય.
શીર્ષક – પ્રેમ અમૃત.
‘ પ્રેમ ‘ઈશ્વરની અદ્રશ્ય ભેટ છે.
‘ પ્રેમ’ દરેક માટે અમૃત સમાન છે.
‘ પ્રેમ’ શબ્દ અદ્ભૂત..! અઢી અક્ષરમાં જાણે આખું વિશ્વ સમાયેલ.
‘ પ્રેમ ‘ અનેક પ્રકારનાં હોઈ શકે. એકજ વ્યક્તિ અનેક સંબંધોનાં બંધનમાં સ્વેચ્છાએ બંધાઈ જાય છે.
જેમ કે પતિ -પત્ની પિતા -પુત્રી, માતા- પુત્ર,ભાઈ -બહેન,મિત્ર…! આપણાં જીવનમાં ઘણાં એવા સબંધો હોય છે, જેમની સાથે આપણે કોઈપણ જાતનો સંબંધના હોય, છતાં પણ એમના પ્રત્યે અમુક પ્રકારની લાગણીઓ બંધાઈ જતી હોય છે. એમને જોવાના, સાંભળવાની, મળવાથી, અદકેરો આનંદ મળે છે. ‘પ્રેમ’ આપવાથી ‘ પ્રેમ ‘ મળે છે. ‘પ્રેમ ‘ કરી કશું મેળવવાની ઈચ્છા વ્યર્થ છે.
‘પ્રેમ ‘તો ત્યાંગ,સમર્પણનું ‘પ્રતિક’ છે. ‘ના અપેક્ષા ના ઉપેક્ષા’…!
‘પ્રેમ’ ની ચાહ પ્રભુને પણ હતી અને છે. આવાહન પૂજન કરો તો પ્રભુને પણ આવવું પડે.
પ્રેમ.. પ્રેમ.. સૌ કોઈ કહે, સાચો પ્રેમ ના જાણે કોઈ..!
એકવાર જો સાચો પ્રેમ કરે,જગતમાં જુદાં રહે ના કોઈ…!
પ્રદીપ રાવલ.સંચાલક.ગાંધીનગર
*****************************************
NOG SS No :- 0080
વિષય – સંતાન
ગદ્ય – એક પત્ર આત્મજને નામ
એક પત્ર આત્મજને નામ….
*********************
ચિ.
આત્મજ,
કહેવાયું છે કે પ્રસવની પીડા સહન કરીને આત્મજને જન્મ આપવો એ નાકમાંથી નાળિયેર કાઢવા જેવી કપરી પીડા છે! અને આ ભયકંર પીડા દરેક સ્ત્રી ખુશીથી સહન કરી લે છે, પોતાના સંતાનને પામવા માટે.
દીકુ , તારા આગમનથી મારો મા તરીકેનો નવો જન્મ થયો.દરેકે દરેક ક્ષણમાત્ર હું તારા મય જ બની ગઈ. કઈ કેટલાય સપનાઓ સાથે…
બેટા, ઊંઘમાં તું સહેજ પણ સળવળતો ને, હું તરત ઝબકીને જાગી જતી, તારાં મુખમાંથી પહેલું વહેલું કાલુઘેલું વેણ.. બા… બા..એવું સાંભળીને હું તો ખુશીથી એકદમ પાગલ જેવી જ બની ગયેલી ! તને વ્હાલથી ચૂમી ભરી વરસી પડેલી!
અત્યારે કોઈ દિવસ અડધી રાતે મને ક્યારેક પીડા થાય છે, ત્યારે ઘણું સહન કરીને,કેટલાય વિચારો કર્યા પછી જ તને જગાડું છું.. તો વડચકાં સિવાય કોઈ સહાનુભૂતિ પામી શકાતી નથી!
તું જયારે પા.. પા.. પગલી ભરીને ડગુમગુ ચાલતો.. ત્યારે તું પડી ન જા એટલે હું અધીરી બનું.. ને તારા દરેક પગલે ઊંચા જીવે તારી પાછળ પાછળ દોડું… ક્યાંક મારાં કાનુડાને વાગી ન જાય!
મારાં ગોઠણ દુઃખે, સાંધામાં પીડા થાય, માત્ર તને વાત કરું.. તો.. ‘કકળાટ કરમાં, દવા લઈ આવ’.. નાં લુખ્ખા વેણ..!
તને પહેલીવાર ભૂલકાઘરમાં મૂક્યો.. ત્યારે તું મારાંથી અલગ જ થઈ શકતો ન હતો. તું અંદર ક્લાસમાં રડે.. ને હું બહાર..!
આખો એક મહિનો તું સતત રડેલો.. માંડ માંડ મારાંથી વિખુટા પડતાં શીખ્યો. (આજે પણ એ યાદ કરીને મન ભરાઈ જાય છે.)
ભણાવી, પરણાવીને સદ્ધર કર્યો.. પાંખો આવી, ને તમે બન્ને શહેરમાં ઊડી ગયા!
પણ આજે તો પત્નીમય બની ગયેલો તું, એટલો બધો મોટો થઈ ગયો છે.. તને મારી લેશ માત્ર જરૂર નથી કે યાદ પણ આવતી જ નથી! પણ હું.. હું તને સતત ઝંખું છું. એટલે જ ફોન કરું છું.. તો..
‘ કાંઈ કામ છે? કામ હોઈ ઈ ફટાફટ બોલ! ‘કહી ઝટપટ ફોન પૂરો થઈ જાય!
દીકરા , કામ તો કોઈપણ કરી આપે છે! પણ તારો અવાજ… ક્યાંથી પામું?પોતાના લાડલાનો અવાજ સાંભળવાની જીજીવિષા એક મા રોકી શકતી નથી! એટલે…!
જિંદગીમાં ભાગદોડ કરી કરીને માબાપ સંતાનોને વેલસેટ કરી દે, કે જેથી તેમને કાંઈ મુશ્કેલી ભોગવવી ન પડે! પછી એ જ સંતાનો જયારે માબાપની ભાળ લેતા નથી ત્યારે માબાપ અપસેટ બની જતા હોય છે!
દરેક આત્મજને ઈશ્વર સન્મતિ આપો.કોઈ પોતાના માબાપને પોતાનાથી ક્યારેય અળગા ન કરે, વૃદ્ધાશ્રમમાં ન મૂકે!
બેટા,જીવનમાં તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો, એવી ઝંખના કરતી..
લિ.
તારું સર્વમંગલ ઇચ્છતી માનાં,
આશીર્વાદ .
વર્ષા જાની
ભાવનગર
13 ફેબ્રુઆરી 2021