*મળવા જેવો એક માણસ*
*માણસ કથાઓ સાંભળે એના કરતાં ધરતી પરના જીવોની વ્યથાઓ સાંભળે તો ખરેખર જગત જીવવાલાયક બની જાય.*
આ દુનિયામાં એવા કેટલાક લોકો હળાહળ કળિયુગમાં હાલ પણ મોજૂદ છે જેના લીધે આ ધરતી ટકી રહી છે,આ ધરતી ફળદ્રુપ છે,આ ધરતી સત્વયુક્ત છે.
આજે એવા જ એક સંતસ્વરૂપ શખ્સને મળવાનું થયું.ના એના કપાળ પર ટીલાં ટપકાં હતાં,ના એણે ભગવાં પહેર્યાં હતાં,એ હજારોની ભીડ એકઠી કરનાર કથાકાર પણ ન હતો અને એ આ જગતને ભાષણ આપનારો મોટિવેશનલ સ્પીકર પણ નથી.
સાચા અર્થમાં જેને એક માણસ કહી શકાય એવો જ એ એક માણસ છે.
હા,એક માણસ નામે
*વિજયસ્વરૂપ હરિનારાયણ દ્રુતવાલ ઉર્ફે વિજુભાઈ*
ઉંમર વર્ષ:૬૦
ગામ-આદિપુર,તા-ગાંધીધામ,જિલ્લો-કચ્છ.
કામ:નિવૃત છતાં સૌથી વ્યસ્ત.
તમને પણ થતું હશે કે આ માણસ એવું તો શું કરે છે કે આ ડૉકટર લેખક આટલી લાંબી પ્રસ્તાવના બાંધે છે.તો કાન ખોલીને સાંભળી લો કે
‘એ નાળિયેર વેચે છે.’
આ લે લે….
આ તો “ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર”
તો પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત……
એ કીડીઓને ખાવા માટે નાળિયેર તૈયાર કરીને વેચે છે…..
હા,સાચું જ સાંભળ્યું તમે….
એ નાળિયેરનું કીડીયાનગરું તૈયાર કરે છે.
તમને થતું હશે કે એમાં શું?
આપણા ભારતમાં કેટલાય લોકો કીડીયાનગરું તૈયાર કરીને વગડે વગડે કીડીઓના દર પાસે જઈને નાખતા હોય છે.
પણ અહીં વાર્તા થોડી અલગ છે.
છેલ્લા બે વર્ષમાં એમણે *એક લાખ અને નેવું હજાર* નાળિયેર આ રીતે ભરીને વહેંચ્યાં છે અને વેચ્યા છે.
હા,એક લાખ નેવું હજાર.
આ નાળિયેર તૈયાર કરવાની એમની એક અલગ જ પ્રક્રિયા છે.
સૌપ્રથમ તો એ સૂકાં નાળિયેર લાવે છે અને એમાં વચ્ચે એક હોલ કરે છે.ત્યારબાદ તલ, ખાંડ, બાજરીનો લોટ અને ઘી/તેલ સાથે મેળવીને તૈયાર કરેલું એક ખાદ્ય મિશ્રણ એમાં કૂટી કૂટીને ભરે છે.પછી સહેજ ગોળ વડે એ હોલ બંધ કરી દે છે. હોલ કરવા માટે એમને સ્પેશ્યલ ડ્રીલ મશીન અને લોટ દળવા માટે એક અલગ જ ઘરઘંટી વસાવી છે.નાળિયેર ભરવા માટે હરદાનભાઈ અને પાંચીબેન એમની સાથે ખભેખભો મિલાવીને સેવા આપે છે.
શરૂઆતમાં એ બજારમાંથી નાળિયેર ખરીદતા પણ હવે એમનો અમુક મોટાં મંદિરો સાથે સંપર્ક થતાં એ ભગવાનને ચડાવેલા નાળિયેર મંગાવે છે.વિરમગામ અને કચ્છમાંથી આ રીતે ટ્રક ભરીભરીને એ નાળિયેર એકઠાં કરે છે.શરૂઆતમાં એમને આ એક નાળિયેર પચ્ચીસ રૂપિયામાં પડતું જે હવે બધા ભગવાનોની કૃપાથી બાર-તેર રૂપિયામાં પડે છે.એ કોઈને પણ આ નાળિયેર જોતાં હોય તો ફક્ત દસ રૂપિયાનું એક આપે છે.
ફક્ત દસ જ રૂપિયામાં.
અને હા,દર મહિને ત્રણ હજાર નાળિયેર એ પોતે જ સ્વખર્ચે અને જાતે જ કીડીઓને અર્પણ કરે છે.
વળી,એ ફક્ત આ એક જ કામ નથી કરતા,
એમણે આજ સુધી *આડત્રીસ હજાર* કૂતરાંની ચાટનું નહી નફા અને નહી નુકસાનના ધોરણે વિતરણ કર્યું છે.એ જાતે સિમેન્ટના કારખાનામાં જઈને આ ચાટ બનાવડાવે છે.ફક્ત પંચાવન રૂપિયા પ્રતિ ચાટ.એમણે હજારો પક્ષીઘર ફક્ત પચ્ચીસ રૂપિયામાં પડતર ભાવે આપ્યાં છે,પાણીનાં કુંડા પણ અઢળક વહેંચ્યાં છે અને ભાવોભાવ વેચ્યાં છે.
આજે મારા જલારામ જીવદયા ગ્રૃપે સો નાળિયેરની સેવાનો લાભ લીધો અને એમને મળવાનું થયું.
ખૂબ મજા આવી….
આજ સુધી જેટલા પણ સંતો,સાધુઓ અને સેવાભાવી અને ખાસ તો જેટલા પણ માણસોને મળ્યો છું એમાં સૌથી શિરમોર માણસ.
ખરેખર.. આજ હૈયે હરખની હેલી ઉપડી છે મને.
મળવા જેવો માણસ…..
ના મોટા થવાની મહેચ્છા,ના કોઈ પ્રતિષ્ઠાની ખેવના.
“આ ધરતીની સાચી વસંત તો આવા લોકો છે.સાચા અર્થના સંત તો આવા માણસો છે.”
લેખક….
ડૉ. કિશોર એન.ઠક્કર.(ગાંધીધામ,કચ્છ)
(કિશન વઢિયારી***લોલાડાવાળા)