દિલ્હીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈ મોદી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પણ દિલ્હીની હિંસા-તોફાનોના કારણે નરેન્દ્રભાઈ હવે આ પ્રેસ કોન્ફરન્સમાંથી ખસી ગયા. કોઈપણ પત્રકાર અઘરો સવાલ પૂછે તો તેની અગમચેતીથી નીકળી ગયા. ટ્રમ્પને પણ પ્રેસ કોન્ફરન્સ ના કરશો તેવો પ્રયત્ન કરવા છતાં ટ્રમ્પે કહ્યું કે, હું તો પ્રેસ કરવાનો જ છું. તેથી નમોને મુશ્કેલી પડશે તેવું દેખાઈ રહ્યું છે. પ્રેસ સીએએ (નાગરિકતા સંશોધન કાયદો)-એનઆરસીનો મુદ્દો જરૂર ઉછાળે તેનાથી સરકાર ડરી ગઈ છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
શાહિનબાગ પ્રદર્શનકારીઓ સાથે સરકારે બેસીને ચર્ચા કરવી જોઈએ. તેમને સમજાવવા જોઈએ કે તમને કોઈ જ મુશ્કેલી નથી થવાની. હમણાં હમણાં જે લોકો નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશથી આવ્યા છે, તેમના માટે જ આ એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સીટિઝન) લાગુ કરવાનો છે. તેવી સમજ આપી આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. આંદોલનકારીઓમાં અંગ્રેજી મીડિયમમાં ભણતી શિક્ષિત છોકરીઓ છે. તેઓ કાયદામાં ફેરફારને સહેજ પણ સહન નથી કરતી. માટે તેમની સાથે બેસીને ઉકેલ લાવવાની દિશામાં કદમ ઉઠાવવાને બદલે સરકાર કોઈપણ હિસાબે અધ્ધરતાલ મુદ્દો રાખે છે. એનઆરસી કદાપી હટશે નહીં.
શાહિનબાગમાં પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. કેન્દ્ર સરકાર આ મામલે જોઈએ તેટલી ગંભીર નથી લાગતી. અમિતભાઈ શાહ અમદાવાદ પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત જઈ દિલ્હી પોલીસ કમિશનર સાથે ચર્ચા કરે છે પણ પરિસ્થિતિનું નિરાકરણ નથી લાવતા. સીએએ-એનઆરસી મુદ્દાના વ્યવસ્થિત, કાયમી ઉકેલ માટે ચર્ચા કરવા દિલ્હી સરકાર (મોદી સરકાર) ગંભીર નથી તેનું કારણ તેઓ જાણે છે કે, આ મુદ્દાઓ મોદી સરકારના સત્તામાં રહેવા માટેના મુખ્ય એજન્ડા છે.
ટ્રમ્પની મુલાકાત કરાવી પાકિસ્તાન-ચીનને મેસેજ આપ્યો કે, અમેરિકા અમારી સાથે છે. અમારી પાસે અમેરિકા પાસેથી ખરીદેલા અદ્યતન શસ્ત્રો છે. આમ કરી હવે આગામી પ્લાન પીઓકે (પાકિસ્તાન કબજાનું કાશ્મીર) કબજે કરવાનો મુખ્ય એજન્ડા છે, પણ આ બધામાં દેશની આર્થિક, સામાજિક પરિસ્થિતિ અને બેકારી, બેરોજગારીની સમસ્યા વધુને વધુ વિકરાળ, વધુને વધુ ગંભીર બની ગઈ છે. વ્યાપાર, ધંધામાં મંદી-બેકારીઓ ગંભીર સ્વરૂપ લીધું છે. તેનાથી પ્રજાની હાડમારી વધી રહી છે. ચીનમાં કોરોના વાઈરસને કારણે પરિસ્થિતિ ગંભીર છે. તેની સીધી અસર અન્ય દેશોમાં પણ દેખાઈ રહી છે. આર્થિક મોરચે બીજા દેશોને ખૂબ જ ગંભીર અસર થશે.
ભાજપના નેતા કપીલ મિશ્રાના બેફામ નિવેદનોથી, દિલ્હીમાં આપેલા ભડકાઉ ભાષણોથી રાજધાની દિલ્હીની પરિસ્થિતિ હાલ ખૂબ જ ગંભીર બની ગઈ છે. તેઓ સ્થિતિ બગાડી રહ્યા છે. છતાં ભાજપ કપીલ મિશ્રાને રોકી નથી રહી. તે જ બતાવે છે કે, સરકારને પ્રશ્ન ઉકેલવામાં રસ નથી. દિલ્હીમાં સરકાર કબજે કરવા છેલ્લી કક્ષાના પ્રયત્નો કરવા છતાં સરકાર કબજે ના કરી શક્યા. દિલ્હીની સમજુ પ્રજાએ એમના આ ભડકાઉ ભાષણો, લાલચોને ફગાવી દઈને ઉમદા કામ કર્યું છે. હવે મુશ્કેલી એ છે કે, આંદોલને વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે. આગામી દિવસોમાં હજુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પણ નવાઈ નહીં. કેન્દ્ર સરકાર શું કરવા માગે છે. આવનારા દિવસોમાં તે આપણે જોયા કરવાનું છે. વેઈટ એન્ડ વોચ.*✍🏻~જીતુ બ્રહ્મભટ્ટ*