શું આ પ્રોજેકટ દેશી-વિદેશી દારૂનો વેપાર કરતાં બુટલેગરો માટે ખતરા રૂપ હોઈ શકે?…
ભાઈઓ – બહેનો વડીલો જેઓમાં અર્થતંત્રની ગૂઢ સમજ હોય તથા જેઓ વર્ષ 2034 સુધીમાં ઈન્ડિયન ઈકોનોમીને 20 ટ્રીલીયન ડોલર સુધી પહોંચાડવા મક્કમ હોય તેવા દેશવાસીઓને જ આ પ્રોજેકટ વંચાવશો અથવા તો ફોરવર્ડ કરશો…પણ જેઓ વર્ષોથી નિયમિત ટાંટિયાખેંચમાંથી ઊંચા જ નથી આવતા તેવા કરચલાઓને મોકલવાથી કઈ જ ફાયદો નહિ થાય ચેક કરી જો જો…જય હિન્દ…
થોડાક સમય પહેલાં વહેલી સવારે અંદાજીત છ વાગ્યા આસપાસ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુજી મારા સ્વપ્નમાં આવ્યા અને મને કહ્યું “વત્સ ભરતસિંહ, આજે તને હું ગુજરાતના ન્યુ મોડેલ વિષે વાત કરું છું જેનાથી ગુજરાતની સાથે સાથે દેશની પણ ઉન્નતિ થશે”
મેં કહ્યું “જણાવો પ્રભુ”
તો વિષ્ણુજીએ મધુર સ્મિત સાથે મને આદેશ આપતા અહીં નીચે જણાવેલ દેશી – વિલાયતી દારૂ સંદર્ભેનું આયોજન કહી સંભળાવ્યું.
તેમની આ વાતો ધ્યાનપૂર્વક સાંભળ્યાં બાદ મેં થોડાક ખચકાટપૂર્વક તેઓશ્રીને પ્રશ્ન પૂછ્યો કે “હે પ્રભુ , દારૂ વેચવો તો ગેરકાયદેસર છે અને જો હું તમે આદેશ કરેલી આ પ્રમાણેની રજુઆત સોશ્યલ મીડિયા દ્વારા દેશવાસીઓ સમક્ષ જાહેર કરું તો આ વાતને લોકો સ્વીકારશે ખરા?”
તો વળી પાછા પ્રભુએ મને સસ્મિત જણાવ્યું ” જો બેટા, લોકો કે સરકાર, મારા જણાવેલા આ આયોજનને ના સ્વીકારે તો કહેજે કે “તો પછી માત્ર ગુજરાત જ નહીં દેશના તમામ વિસ્તારોમા દેશી – વિલાયતી તમામ પ્રકારનો દારૂ તાત્કાલિક બનતો અને વેચાતો બંધ કરાવી દો. અથવા તો જે વિસ્તારમાંથી કોઈપણ પ્રકારનો હવે પછી દારૂ પકડાય તો તે વિસ્તારના જે કોઈ જવાબદારો હોય તેઓને તાત્કાલિક તેઓના પદ કે હોદ્દાઓ ઉપરથી બરતરફ કરી આકરીમાં આકરી સજા ફરમાવો.”
આ સાંભળ્યા બાદ હિંમતપૂર્વક એક વધુ પ્રશ્ન મેં પ્રભુને પૂછ્યો કે “હે પ્રભુ, આ આયોજનને અમલમાં મૂકવા માટે મારે કોને સંબોધીને રજુઆત કરવી?”
ત્યારે પ્રભુએ ખૂબ જ શાંત ચિત્તે પોતાના સુંદર હાથોમાંનું કમળ લહેરાવતાં મને જણાવ્યું કે “જો બેટા, હાલમાં તો ગુજરાતમાં દારૂબંધી કરાવવા માટે અથવા તો આ આયોજનને અમલમાં મૂકવા માટે માત્ર બે જ વ્યક્તિઓ સક્ષમ છે. એક તો છે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને બીજા છે પાટીલ સાહેબ. આ બંનેને તું મારા આદેશ મુજબ સોશ્યલ મીડિયાના માધ્યમથી રજૂઆત કર. કા તો તેઓ ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી કરાવશે. કા તો મારા આદેશ મુજબ આનું અમલીકરણ કરશે…અને તે છતાંયે ના માને તો કહેજે કે 2022માં મારા આશિર્વાદથી એક “ઠાકોર” મુખ્યમંત્રી બનશે અને તે “ઠાકોર” લોકતંત્રમાં પ્રજાહિતનો જે નિર્ણય હશે તેનું મારા આદેશથી અમલીકરણ પણ કરશે, અને સાંભળ આ રજૂઆત કરવા માટે તું એક નિમિત્ત માત્ર છે, બાકી બધી જવાબદારી મારી. બસ હવે બહુ વાર્તાલાપ થયો. તને મેં જે આદેશ આપ્યો છે તે મુજબ તું અમલીકરણ કર.બાકી બીજું બધું મારી ઉપર છોડી દે. ચાલ ત્યારે હું જાઉં છું….વિજયી ભવ: વત્સ…”
આટલું કહીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. અને મારી પણ આંખો ઊંઘ છોડી ખુલી ગઈ….
તો દેશવાસીઓ જગતના પાલનહાર એવા ભગવાન શ્રી વિષ્ણુજીના આદેશ અનુસાર તેઓશ્રીએ સુચવેલું ગુજરાતનું ન્યુ મોડેલ આપની સામે જણાવું છું…. તે પછી દેશહીતમાં જે યોગ્ય હોય તે નિર્ણય લેશો… જય હિન્દ
ગુજરાત ન્યુ મોડેલ….
માનનિય સાહેબ શ્રી,
આપણા ગુજરાતમાં વ્યસનમુક્તિ, રોજગારી અને શિક્ષણ, કૃષિક્ષેત્રનો વ્યાપ વધારવા માટે….
સૌથી પહેલા તો ગુજરાતમાં ચાલતા તમામ દેશી-વિલાયતી દારૂના અડ્ડા બંધ કરાવી દઈએ. ત્યાર બાદ સારો અને પીવાલાયક તથા નુકશાનકારક ના હોય તેવો વિલાયતી દારૂ કે જેની mrp 500/-₹ આસપાસ હોય છે તે દારૂની એક બોટલ આપણા રાજ્યમાં ગેરકાયદેસર રીતે ડબલ ભાવે એટલે કે 1000/-₹ માં વેચાય છે તેને સંલગ્ન બુટલેગરો કે વેપારીઓ દ્વારા ટ્રિપલ ભાવે એટલે જે 3000/-₹ પ્રતિ બોટલ વેચવાનું શરૂ કરે. આનાથી ફાયદો એ થશે કે જે લોકોને ખરેખર પોષાય છે તેવા લોકો જ દારૂ ખરીદશે અથવા તો ત્રણથી ચાર જણ સોલ્જરીમાં ખરીદશે.
હવે આપણા ગુજરાતની વર્તમાન સમયની કુલ વસ્તી અંદાજિત સાત કરોડ હોય અને તેના માત્ર 1℅ લોકોને જ એટલે કે સાત લાખ લોકોને જ આ કિંમતમાં દારૂ પોષાય અને તેઓ અઠવાડિયામાં એક જ વાર એક જ બોટલ ખરીદે છે અને 500/-₹ ની mrp વાળી બોટલ હોલસેલમાં 300/-₹ માં પણ વેપારીને પડે અને તેનો રિટેલ વેચાણ સુધીનો કુલ ખર્ચ 1000/-₹ બાદ કરતાં 2000/-₹ ચોખ્ખો નફો બચે તો માત્ર એક જ અઠવાડિયામાં 700000 (સાત લાખ બોટલ) × 2000/-₹ = 1400000000/-₹ (એકસો ચાલીસ કરોડ રૂપિયા) × 4 અઠવાડિયા = 5600000000/-₹ (પાંચસો સાઈઠ કરોડ રૂપિયા) માત્ર એક જ માસમાં ચોખ્ખો નફો થાય.
હવે આ માસિક નફામાંથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા દીઠ 37 કરોડ રૂપિયાનું એક એવા પ્રતિ માસ દુધાળા પશુઓના 10 તબેલા (જેનો કોન્સેપ્ટ મેં અગાઉ વિધવા મહિલાઓ માટે બનાવેલ છે તે પ્રમાણે) બનાવીએ તો 370000000/-₹ (સાડત્રીસ કરોડ રૂપિયા) ×10 જિલ્લા =3700000000/-₹ (ત્રણસો સિત્તેર કરોડ) – 5600000000/-₹ (પાંચસો સાઈઠ કરોડ) = 1900000000/-₹ (એકસો નેવું કરોડ) રૂપિયા માસિક રકમમાંથી શહેરી વિસ્તારોમાં જે વિધવા મહિલાઓના દારૂના અડ્ડા બંધ કરાવ્યા હોય તેવી પ્રતિ મહિલાને 200000/-₹ (બે લાખ રૂપિયા) નવો વ્યવસાય જેવો કે શાકભાજી કે કરીયાણાની દુકાન કે ગલ્લો, ટી સ્ટોલ, કેટરિંગ (શુભાશુભ પ્રસંગોએ જમવાનું બનાવવુ), મંડપ ડેકોરેશન, અથવા તો અન્ય ગૃહ ઉધોગોની તાલીમ આપી એમાં રોજગારી ઉભી કરી આપવી.
આમ 1900000000/-₹ (એકસો નેવું કરોડ રૂપિયા) ÷ 200000/-₹( બે લાખ રૂપિયા) = 9500 (નવ હજાર પાંચસો) × 12 માસ =114000 (એક લાખ ચૌદ હજાર) ગરીબ નિરાધાર વિધવા મહિલાઓ કે જેઓ દારૂના વ્યવસાય સાથે સંકળાઈને પોતાના પરિવારની સાથે અન્ય પરિવારોનું જીવન પણ બરબાદ કરતી હતી તેમને તેવું કરતા રોકીને ઈમાનદારીપૂર્વકના સારા વ્યવસાયમાં જોડી તેની સાથે તેના આખા પરિવારને આપણે સ્વમાનપૂર્વકનું જીવન અને રોજગારી આપી શકીએ. તે ઉપરાંત જિલ્લા વાઇઝ આપણે જે દૂધના તબેલા બનાવેલા છે જેમાં પ્રતિ તબેલા દીઠ 3000 (ત્રણ હજાર) ઢોરોમાં પ્રતિ 10 ઢોરની સંપૂર્ણ સાર સંભાળ માટે માસિક 10000/-₹ (દસ હજાર રૂપિયા) પગાર આપીને એક ગરીબ નિરાધાર વિધવા મહિલા કે એવા અન્ય પરિવારજનને રોજગારી આપીએ તો 3000 ઢોર ÷ 10 ઢોરની સાર સંભાળ માટે એક વ્યક્તિ = 300 વ્યક્તિ એક તબેલા દીઠ એવા આખા ગુજરાતના તમામ જિલ્લા દીઠ 1 તબેલો એટલે કે 33 જિલ્લા = 33 તબેલા × 300 વ્યક્તિ ( પરિવારો)ને રોજગારી = 9900 વ્યક્તિઓને (પરિવારોને) માસિક દસ હજારના પગાર પ્રમાણે રોજગારી આપી શકીએ અને એ પ્રત્યેક તબેલા દીઠ કુલ આવકના 50℅ ખર્ચ બાદ કરતાં બાકીની જે 18000000/-₹ (એક કરોડ એંસી લાખ રૂપિયા) એક તબેલા દીઠ × 33 તબેલા = 594000000/-₹ (ઓગણ સાઈઠ કરોડ ચાલીસ લાખ રૂપિયા) ÷ 200000/-₹ (બે લાખ રૂપિયા) ગ્રામીણ વિસ્તારોની દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી ગરીબ નિરાધાર વિધવા મહિલાઓને બે દુધાળા ઢોર ખરીદવા આપીએ તો = 2970 પ્રતિ માસ × 12 માસ = 35640 મહિલાઓ ( પરિવારોને) વાર્ષિક રોજગારી આપી શકીએ. આમ માત્ર એક જ વર્ષમાં 114000 + 9900 શહેરી + 35640 ગ્રામીણ = 159560 (એક લાખ ઓગણ સાઈઠ હજાર પાંચસો સાઈઠ) પરિવારોને માત્ર એક જ વર્ષમાં રોજગારી આપી શકીએ.
હવે દારૂની જે માસિક 3700000000/-₹ (ત્રણસો સિત્તેર કરોડની ચોખ્ખી આવક છે એમાંથી અંદાજિત ત્રણ માસની આવક આખા ગુજરાતમાં દૂધના પ્રોજેક્ટ પાછળ રોકાણ થાય તો બાકીના નવ માસની કુલ ચોખ્ખી આવક = 3700000000 × 9 માસ = 33300000000/-₹ (ત્રણ હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયા) વાર્ષિક રકમમાંથી ગુજરાતના જે કોઈ સ્લમ વિસ્તારો છે કે જ્યાં સરકારની કિંમતી જગ્યાઓમાં લોકો દબાણ કરીને કે ઝૂંપડપટ્ટીઓ બાંધીને રહે છે તેવા વિસ્તારોમાં રહેતા પ્રત્યેક પરિવારોને રેશનકાર્ડ દીઠ 1000 સ્કવેર ફૂટના 3bhk ફ્લેટ આપવા જેની પડતર કોસ્ટ પ્રતિ સ્કવેર ફૂટ 1000/-₹ પણ ગણીએ તો = 1000000/-₹ (દસ લાખ રૂપિયા ) થાય.
હવે આ ફ્લેટને આપણે 5000 સ્કવેર ફૂટના એરિયામાં ભોંયરા અથવા તો ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા પાર્કિંગ પ્લેસ રાખીને પ્રત્યેક ફ્લોર ઉપર ચાર ફ્લેટ બનાવી પચ્ચીસ ફ્લોરનો એક બ્લોક (એપાર્ટમેન્ટ) બનાવીએ તો 5000 સ્કવેર ફૂટની જગ્યાના એક જ બ્લોકમાં 100 ફ્લેટ બનાવી 100 પરિવારોને માસિક 5000/-₹ (પાંચ હજાર રૂપિયા)ના હપ્તાથી આ ફ્લેટ આપી શકીએ અને આ ફ્લેટ પણ પેલા શહેરી વિસ્તારો નજીક દૂધના બનાવેલા તબેલાઓમાં માસિક દસ હજારના પગાર ઉપર રાખેલા લોકોને જ આપવા જેથી તેમને માસિક પાંચ હજારનો હપ્તો ભરવામાં તકલીફ ના પડે.
આમ જો એક મધ્યમ કક્ષાના શહેરમાં આવા દસ હજાર ઝૂંપડપટ્ટીવાસીઓ હોય તે જગ્યામાં જ તેમને સારી સુવિધાવાળી સ્વચ્છ રેસિડેન્સી આપવાની સાથે રોજગારી પણ આપી શકાય જેનો નિયમિત મકાન, પાણી, વીજળી જેવા વેરાની આવક પણ સરકારને શરૂ થઈ શકે. તે ઉપરાંત પ્રતિ શહેર 10000 (દસ હજાર) ફ્લેટ × 5000/-₹ (પાંચ હજાર રૂપિયા) હપ્તો = 50000000/-₹ (પાંચ કરોડ રૂપિયા) × 33 શહેર (ગુજરાતના 33 જિલ્લાના પ્રત્યેક જિલ્લા દીઠ એક શહેર)= 1650000000/-₹ (એકસો પાંસઠ કરોડ રૂપિયા) માસિક × 12 માસ = 19800000000/-₹ (ઓગણીસો એંસી કરોડ રૂપિયા) વાર્ષિક આવક મેળવી શકાય. જેને આ જ રીતે રાજ્યના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, રોજગારી, શિક્ષણ તથા અન્ય ડેવલોપમેન્ટ પાછળ ઉપયોગમાં લઇ શકાય ઉપરાંત એ તમામ રેસિડેન્સી આસપાસ બચેલી જગ્યાઓમાં જે તે વિસ્તારના લોકોની કુશળતા મુજબના ઉદ્યોગો કે શોપિંગ મોલ બનાવી તેમાંથી પણ આવક ઉભી કરવાની સાથે સાથે તેમાં પણ રોજગારી ઉભી કરી તેમાંથી મળતા વેરાઓ કે આવકોની સાયકલ ચાલુ કરી ડેવલોપમેન્ટ કરી શકાય.
ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ સાથે જોડાયેલા લોકો કે ખેડૂતોને જો તેમની પાસે એક વિઘો જમીન પણ હોય અને તે જમીનમાં પાણીનો સ્ત્રોત પણ હોય તેની પાક્કી ચકાસણી કરાવડાવી તેમાં પાણીનો બોર બનાવડાવવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની સબસીડીવાળી લોન આપવી. ઉપરાંત જે ખેડૂત પાસે દસ વીઘા અથવા તો તેનાથી વધારે જમીન હોય તો તેમાંથી એક વીઘા જમીનમાં 20 (વીસ) ફૂટ ઊંડુ ખોદાણ કરી વરસાદી પાણીનો સ્ત્રોત એકઠો કરવા કે તે જગ્યામાં ચેકડેમ જેવી વ્યવસ્થા કરવા નાણાકીય સહાય પણ આપવી જેથી જે તે વિસ્તારના પાણીના તળ ઊંચા લાવી ખેતીને પ્રોત્સાહન આપી શકાય.
તે ઉપરાંત એક વિધા જમીનમાં એટલે કે 25000 સ્કેવર ફૂટ જમીનમાં 10 × 10 ના અંતરે કુલ 250 કેસર કેરીના આંબા કે જે સારી ક્વોલીટીના કલમવાળા 40/-₹ના ભાવે મળી રહે તેને પ્રતિ આંબાને વાવવાના 10/-₹ ગણીએ તો કુલ 50/-₹ એક આંબાને વાવવાનો ખર્ચ × 250 આંબા =12500/-₹ (બાર હજાર પાંચસો રૂપિયા) એક વીઘા જમીનમાં વાવણીનો ખર્ચ) વાવી શકાય જેમાં ટપક પદ્ધતિથી ઓછા પાણીમાં માત્ર બે જ વર્ષમાં આંબો ફળ આપતો થઈ શકે છે અને જો એક આંબા ઉપર માત્ર 100 (સો) કિલો કેરી ઉત્તપન્ન થાય તો 250 આંબા × 100 કિલો કેસર કેરી × 40/-₹ હોલસેલ વેચાણ ભાવ =1000000/-₹ (દસ લાખ રૂપિયા) વાર્ષિક આવક પણ ઉભી કરી શકાય છે. આ પ્રોજેકટને પ્રોત્સાહન આપવા ઓછી જમીન ધરાવતા ખેડૂતોને આર્થિક સહાય કે સબસીડીવાળી લોન આપી શકાય.
માનનિય સાહેબશ્રી હું સમજુ છું કે દારૂનો વ્યવસાય ગુજરાતમાં ગેરકાયદેસર છે પણ તેમ છતાંયે આજદિન સુધી આ વ્યવસાય નિરંતર ચાલુ રહેલો છે અને ભવિષ્યમાં પણ કદાપિ કાયમી ખાતે બંધ તો થવો અશક્ય છે. પરંતુ આવા આયોજન દ્વારા આપણે દેશી તથા નુકસાનકારક દારૂનું વેચાણ થતું સંપૂર્ણ રીતે અટકાવી આયોજનબદ્ધ રીતે આ દિશામાં કામ કરીશું તો ચોક્કસથી લોકોને નુકશાન થતું અટકાવી રોજગારી, આવાસ, શિક્ષણ અને ડેવલોપમેન્ટ આપી રાજ્ય તથા દેશની પરિસ્થિતિ સુધારી પાર્ટીને પણ ફાયદો કરાવી શકીશું…જય હિન્દ…
ભરતસિંહ પરમાર
પૂર્વ સદસ્ય નગરપાલિકા પાલનપુર
*************************************
ગુજરાત ના એકપણ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ક્યાંય દેશી વિદેશી દારૂ મળતો ના હોય તેવું કોઈ દારૂ મુક્ત મોડેલ પોલીસ સ્ટેશન ખરું? કોઈ પી.આઇ કે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી આવા કોઈ પોલીસ સ્ટેશન ના અધિકારી ને દારૂ મુક્ત પોલીસ સ્ટેશન જાહેર કરવા સ્થાનિક પી.આઇ ને એવોર્ડ નક્કી કરે તો દારૂબંધી નો અમલ ચુસ્ત થઈ શકે? પ્રત્યેક ગુજરાતના શહેરો અને ગ્રામ્યના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહેલાઈથી ગુજરાતની સરહદોથી જે રીતે દેશી અને વિદેશી દારૂની હેરફેર થઈને મોટા પ્રમાણમાં વેપલો ચાલે છે શું તેને નિયંત્રિત કરવા માટે નશાબંધી ખાતું ગૃહ ખાતુ સક્ષમ નથી એવું સમજવું?
શું ગુજરાતના અને કેન્દ્રના તમામ રાજકીય પક્ષના લોકો શું અજાણ હશે કે આ સરહદો વટાવીને કેવી રીતે દેશી વિદેશી દારૂનો વેપલો ગુજરાતમાં ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણમાં આ ભ્રષ્ટાચારની રકમોની પણ ક્યાંક ને ક્યાંક ગોઠવણી થતી હશે અને તેનું સુંદર આયોજન પણ આ જ લોકોએ કર્યું હશે..?
કોઈપણ પુરાવા રાખ્યા સિવાય બૂટલેગરો ને સાચવીને વહીવટ કરવા સુ સરકાર ના ગૃહ ખાતાના અધિકારીઓ એ સૂચના આપવાની હપ્તાની રકમ નક્કી કરી હશે?
શું કોઈપણ બુટલેગર દારૂ,જુગાર નો અડ્ડો કોઈપણ ભરણ વિના ચલાવતો હોય તેવું બને ખરું?
182 ધારાસભ્ય અને 26 સાંસદો માંથી કોઈ મરદ નો લાલ શું એવું કહી શકે કે ને દારૂ ચૂંટણી માં વહેંચ્યા સિવાય ચૂંટણી લડી ને હું જીત્યો છું? અને મારો વિસ્તાર દારૂ મુક્ત છે…
શું 182 ધારાસભ્ય અને 26 સાંસદ માંથી કોઈ એવો મરદ નેતા હશે કે જે કહી શકે કે જે પોતાના વિસ્તાર ના બુટલેગર થી અજાણ હોય અને ક્યા દારૂ વેચાય છે તેની મને ખબર નથી..?
હકીકત તો એ છે કે કહેવાતા દારૂબંધીના ગાંધીજીના ગુજરાતમાં સૌથી મોટો બે નંબરનો વેપલો અને સૌથી મોટો ભ્રષ્ટાચાર નો જો વહીવટ થતો હોય તો તે માત્ર દારૂની હેરફેર અને દારૂના વેચાણની અંદર છે પરંતુ આંખ આડા કાન કરીને આ બે નંબરના તમામ વહીવટને શાસકની નજરો હેઠળ વ્યવસ્થિત રીતે ચલાવવા દેવામાં આવે છે જેની આજે પણ કોઈ રોકટોક નથી કે એવા લોકોને બનાવવા ખાતર સજાના નાના મોટા કાયદાઓ બનાવીને નાની મોટી સજાઓ કરીને નાની મોટી રેડો પાડીને દારૂ પકડાયો તેવો બતાવીને સમાચારોની પ્રસિદ્ધિમાં લાઈને તેનો નાશ કરીને ઘીના ઠામમાં ઘી ઠાર વામાં આવે છે આ બધું જ સમગ્ર ગુજરાતની જનતા ખેલ વર્ષોથી જોઈ રહી છે પછી ગમે તે સરકાર હોય..
ગત વર્ષનું એક ઉત્તમ ઉદાહરણ અનેક ઉત્તમ દાખલો જોયો હોય તો ભારતીય જનતા પાર્ટીની શાસક સરકારમાં બની ગયો જે દેશ અને દુનિયાએ ટીવી ઉપર તેને નિહાળ્યો અને તેને માત્ર એક જિલ્લાના પ્રમુખ તરીકે હટાવવાની સજા આપીને તે આખો ગુનો દાબી દેવામાં આવ્યો. કે જે આદિવાસી વિસ્તારના ભાજપના જિલ્લાના પ્રમુખ ગુજરાત રાજ્યના મહિલા મંત્રીની સાથે પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતા કાર્યક્રમમાં ચાલતા ચાલતા સ્ટેજ ઉપર પહોંચીને બેઠા હતા અને તમામ ગૃહ ખાતા ના પોલીસ અધિકારીઓ પણ આજુબાજુ હોવા છતાં આ બધો ખેલ જોયા કરતા હતા આ વિડીયો બહુ વાયરલ થતા માત્ર પ્રદેશ પ્રમુખે તેમને જિલ્લા પ્રમુખેથી હટાવી લીધા હતા અને તેમના સ્થાને બીજાને મૂકી દીધા હતા આ આખો ખેલ ગુજરાતની નાનાથી મોટી તમામ રાજકીય અને બિન રાજકીય જનતાએ જોયો છે. ભૂતકાળમાં એક ટીવી ન્યુઝ ચેનલ દ્વારા સમગ્ર અમદાવાદમાં દારૂનો વેપાર કરતાં બુટલેગરો નું સ્ટીંગ ઓપરેશન ઉતારીને વાયરલ કરવામાં આવ્યું હતું જેમાં દારૂનો હપ્તો આપનાર લેનાર અને બુટલેગરો બધા જ દ્રશ્યમાન હતા પરંતુ સરકાર દ્વારા થોડોક સમય માટે કડક અમલ કરવામાં આવ્યો અને બધા જ બુટલેગરો જાણે હનીમૂન કરવા ગયા હોય તેમ બહાર જતા રહ્યા અને થોડોક સમય પછી ફરી પાછા હતું તેનું તેમ થઈ ગયું અને તેવી રીતે બધું શાંત પ્રકરણ પાડી દેવામાં આવ્યું.ફરી પાછું બધું વિધિવત ચાલુ થઈ ગયું.આજે પણ ડાયમંડ નગરી માતો અમુક ચોક્કસ સમુદાય માં અતિથિ ને ચાહ પાણી ની જગ્યાએ રંગ પાણી લેશો તેવો સરકાર કરવામાં આવે છે.સૌથી વધુ દેશી વિદેશી બ્રાન્ડ ના દારૂ વેચાણ સુરત અને આખા સાઉથ માં થતું હોય તેવું ચર્ચાય અને જોવા મળે કેમકે વાપી દમણ ઉદવાડા.દાદરા નગર હવેલી અને સહેલવાસ આવા લોકો માટે ઉત્તમ સ્થળ કહેવાય છે અને ટંડેલ બંધુઓ નો દબદબો આજે પણ બરકરાર છે..
આભ ફાટ્યું હોય ત્યાં ક્યા થીગડા મારવા જવાય…એમ ભાજપ શાશન એટલે વોટ બેંક ની ભીખ ખાતર કાઈ પણ ચાલે જે આપણે 27 વરસ માં જોયું છે અને ગુનેગારી નો ગ્રાફ ક્યાંથી ક્યાં સુધી ચાલ્યો..ભ્રષ્ટાચાર ખુદ સી એમ કબૂલ કરે..આખે આખી સરકાર ઉથલાવી દે પણ પુરાવા ના અભાવે સર્વ ને ક્લીન ચિટ… વચોતિયા અધિકારીઓ ફસાઈ જાય…નેતાઓ હેમખેમ…
*****************************************
નોધ : અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચાર.ફોટા.પ્રેસનોટ સોશિયલ મીડિયા અને ચોથી જાગીર ના માધ્યમો થી પ્રાપ્ત થયે જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધિ આપવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક પોસ્ટ લાગે તો તંત્રી નું ધ્યાન દોરી,સંપર્ક કરીને તેવી પોસ્ટ અહીથી દૂર કરી શકાશે…તંત્રી
******************************************