- બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને NCPએ કર્યા સસ્પેન્ડ, પાર્ટીના નિર્ણયને શરદ પવારનું સમર્થન
NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
શરદ પવારે કહ્યું કે અમે તેમના નિર્ણયનું સમર્થન કરીશું. અમે નવેસરથી સંગઠન ઊભું કરીશું
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા NCPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જયંત પાટિલના નિર્ણયને શરદ પવારે આપ્યું સમર્થન
જયંત પાટીલના આ નિર્ણયને એનસીપી ચીફ શરદ પવારનું સમર્થન મળ્યું છે. શરદ પવારે કહ્યું કે અમે તેમના નિર્ણયનું સમર્થન કરીશું. અમે નવું સંગઠન બનાવીશું. તેમણે કહ્યું, “કોણ ગયું અને કોના માટે ગયું તેની અમને ચિંતા નથી કારણ કે હવે બે-ત્રણ વાર એવું બન્યું છે. રાજ્યમાં અમારું સંગઠન મજબૂત છે.”
“અજિત પવારના શબ્દોનું હવે કોઈ મહત્વ નથી”
શરદ પવારે કહ્યું, “એકવાર હું વિદેશ ગયો હતો ત્યારે ઘણા લોકોએ પાર્ટી છોડી દીધી હતી, મને ચિંતા નહોતી. અજિત પવારનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. તેમની વાતનું હવે કોઈ મહત્વ નથી. લોકોનો ટેકો અમારી સાથે છે. જો લોકોનો પ્રેમ મળતો રહેશે તો અમે આખું ચિત્ર બદલી નાખીશું. NCP પણ અમારી સાથે છે.
અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
ખરેખર તો રવિવારે (2 જુલાઈ) મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. રાજકીય નેતા અજિત પવારે NCP સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદે ગઠબંધન સરકાર સાથે હાથ મિલાવ્યા છે. તેમણે ગત રોજ નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા હતા. તેમની સાથે અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
Post by Suresh vadher.