JF_24-4-22
GN_24-04-2022.
[4/23, 10:24 AM] Neha Bagghariya.MeM.NOG: NOG no. /0064
વિષય : પડછાયો
પ્રકાર : પદ્ય
શીર્ષક : અંતરગત અભિવ્યક્તિ
ઉઠે એક ટીસ
જળ મહી પગ મૂકતાં.
આ
ટાઢુંબોળ પાણી
કેમ દઝાડતું હશે તનને?
પગના ઉઝરડાં
ફક્ત પગ સુધી જ!
કે પછી
એ અંતરની વેદનાનો પડછાયો?
નેહા બગથરીયા
[4/23, 3:53 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : *ગદ્ય-નિબંધ*
*વિષય* : *પડછાયો*
*શબ્દો* : *૩૩૯*
*શીર્ષક* : *’વડલાનો પડછાયો-છાંયો’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
મને યાદ આવે છે ગામને પાદરે આવેલો એ ઘેધૂર ધટાદાર વડલો જેનો છાયારૂપી પડછાયો સહુ ગામવાસીઓ માટે શીતળતાનો પર્યાય હતો. નાના બાળકો ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ નિશ્ચિંત થઈ આ વડલાની શીતળ છાંયમાં રમતા, ગામના વડીલો અને મુખિયા લોકો સમૂહમાં ગામ અંગે કોઈ પણ મહત્વની ચર્ચા કરવા અને નિર્ણય લેવા આ વડની વિશાળ છાયામાં એકત્ર થતાં. વટેમાર્ગુ યાત્રાળુઓ માટે કેટલાંય વર્ષોથી તે શીતળ વિરામસ્થાન બની રહ્યું. કંઈક કેટલાંય શુભ અને અશુભ પ્રસંગોનો આ વડલો મૂક સાક્ષી બની રહ્યો હતો.
કાળઝાળ ગરમી ઓકતો ઊનાળો હોય, વર્ષાની ઋતુ હોય કે ઠંડીની મોસમ હોય, વડલાએ અડીખમ ઉભા રહીને વર્ષોથી મૂંગે મોંએ ઋતુઓની વિષમતાઓ પોતે સહન કરી તેના પડછાયે સહુને હૂંફ અને માત્ર હૂંફ જ આપી છે. પોતાની વિશાળતા, પોતાની સહ્રદયતા, પોતાની ઉદારતા જ હંમેશા સહુને પીરસી છે. ક્યાંકને ક્યાંક કોઈ પણ પ્રકારે લોકોને ઉપયોગી જ થયો હોય તેવું તેનું અસ્તિત્વ.
કંઈક આવાં જ ધેધુર વડલા જેવા વડીલ વ્યક્તિત્વો આપણી આસપાસ હોય જ છે અને જીવનની પ્રત્યેક વિષમ પરિસ્થિતિઓમાં આપણને તેમની સોડમાં લઈ હૂંફ અને શીતળતા પ્રદાન કરતાં હોય છે. જરૂર છે માત્ર તેમને ઓળખવાની અને તેમનો અહેસાસ કરવાની. તેમનો આશીર્વાદ રૂપી છાંયો કે પડછાયો સદા આપણી સાથે જોડાયેલો રહે છે. જેમ વડલો પોતાની ઉદારતાની કોઈ કિંમત માગતો નથી તેવી જ રીતે આપણી આસપાસના આ વડીલોની આપણી પાસે આદર અને સહૃદયતા સિવાય બીજી કોઈ અપેક્ષા હોતી નથી. એમને આવશ્યકતા છે થોડીક સંભાળની અને દરકારની. તેમના તરફથી આટલો શીતળ છાંયો મેળવવા માટે આટલું તો આપણે કરી જ શકીએ.
આજે ગામના પાદરે એ વર્ષો પુરાણો ઘેઘૂર, ઘટાદાર શીતળ છાંયો આપતો વડલો રહ્યો નથી. તેનું સ્થાન એક મહાકાય ઇમારતે લઈ લીધું છે. મને ચોક્કસ ખાતરી છે કે આ વડલાને દૂર કરનારે ક્યારેય આ વડલાની શીતળ છાંય માણી નહીં જ હોય. ક્યારેય વડલાની ગોદમાં સૂઈને મીઠી નીંદર નહીં માણી હોય. તેથી તેને છાંયાની ક્યાંથી કદર હોય? આજે આપણા સમાજમાં પણ આપણી આસપાસના આવા અસંખ્ય વડલા જેવા વિશાળ વ્યક્તિત્વોને અવગણવામાં આવે છે અને સમય આવે તેમને દૂર હડસેલી દેવામાં આવે છે. શું આવા વડલાઓના શીતળ છાંયા રૂપી આશીર્વાદની આપણને ક્યારેય જરૂર નહીં પડે? સમય રહેતાં ચાલો આપણે સહુ ભેગાં મળીને તેમને આપણા જીવનમાં અને સમાજમાં માનભેર યોગ્ય સ્થાન આપીએ.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૩ એપ્રિલ ૨૦૨૨.
[4/23, 5:07 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.: 0101
વિષય : પડછાયો
પ્રકાર : ગદ્ય
શીર્ષક : સંસાર, સંસ્કૃતિ અને સદગતિ
લેખક : ભરત સાંગાણી
માનવીના સૃષ્ટિના આવાગમનનો પડછાયો એટલે સંસાર, સંસ્કૃતિ અને સદગતિ. પડછાયાની જેમ તેના તાંતણા આપણા અસ્તિત્વ સાથે જોડાયેલા છે. આ ત્રણેય શબ્દોમાં સમગ્ર જીવનનું અમૃત છુપાયેલું છે.
એટલે કે સંસારને પાર કરીને, સંસ્કૃતિને પામીને સદગતિની સાધનાને માર્ગે પ્રયાણ કરવાનું છે.
સંસાર: જેમાં સુખ ઓછું અને દુઃખની માત્રા વધારે છે. મનુષ્ય જન્મ જ લોહી,મળ, મૂત્રના આવાસમાંથી થાય છે.
આધિ વ્યાધિ અને ઉપાધિમાં જીવતો વ્યક્તિ આ સંસારની આગની વચ્ચે પણ દુઃખ, હતાશા, કલેશ રાખ્યા વિના સમતાથી જીવે તે જરૂરી છે.
કૃષ્ણનો જન્મ કારાવાસમાં થયો. ત્યારે પિતા અત્યંત વ્યથિત અને માં ચોધાર આંસુએ રડતી હતી. કાળી ઘનઘોર રાત્રે, મુશળધાર વરસાદમાં બાલકૃષ્ણને કરન્ડિયામાં પધરાવીને પિતા યમુના નદી પાર કરે છે. અને તે જ કૃષ્ણ વિદાય વેળાએ એકલા હતા અને પારધિનાં બાણથી મૃત્યુ પામે છે. આરંભ અને અંતે પારાવાર દુઃખમય સ્થિતિ હોવા છતાં કૃષ્ણ સદા મોહક સ્મિત રેલાવતાં રહ્યા.
આપણે દેહની અનિત્યતા અને ચૈતન્યની નિત્યતાની સમજ કેળવવી પડશે. સુખ અનિત્યતામાંથી ક્યારેય નથી મળતું. તે તો આત્માના રમણથી જ પ્રાપ્ત થશે.
સંસ્કૃતિ: એટલે જીવન જીવવાની રીત. તેમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા, કલા નીતિ, કાયદો અને સમાજના સભ્યો તરીકે માનવીએ પ્રાપ્ત કરેલ યોગ્યતાઓનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ એક માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે તે સમાજની સંસ્કૃતિ કહીએ છીએ. સંસ્કૃતિ એટલે સમાજના ધબકારા ઝીલવાની કલા.
સદગતિ: એટલે માયાથી વીંટળાયેલા અશુદ્ધ આત્માનું શુદ્ધ આત્મા તરફનું ગમન. ધર્મ અને મોક્ષની એટલે કે સદગતિની પ્રાપ્તિ પુરુષાર્થને આધિન છે, કર્મની નિયતિને નહીં. કર્મના પડછાયાથી મુક્ત.
ષટરિપુ-ક્રોધ, કામ, લોભ, મોહ, મદ, મસ્તર. તેની તીવ્રતા જન્મ મરણના પડછાયાનું અવલંબન છે. તેનાથી મુક્ત થવું, તે તપશ્ચર્યાથી સાધી શકાય.
સંસાર, સંસ્કૃતિ અને સદગતિની ભીતરમાં ગહન અનુભૂતિ રહેલી હોય છે. એ સ્થૂળ શબ્દો નહીં આધ્યાત્મિક દષ્ટિ બિન્દુઓના ફલકથી નિરખવાના છે. એની સમગ્રતાને પામી એના મર્મ સુધી પહોંચીએ તો માયાના પડછાયાને અતિક્રમી શકાશે.
ત્યારે તેજોમય પ્રકાશમાં કાળને પેલે પાર ઝળહળતાં કૃષ્ણ સ્વરૂપની શીતલતામાં ઓગળી જઈશું.
લેખન: ભરત સાંગાણી
[4/23, 5:34 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય (અછાંદસ કાવ્ય)
શીર્ષક – એક આભાસ
કોઈ વખત ભર તડકામાં જતી હોઉં ત્યારે;
કે કોઈ વખત રાતના સમયે પણ રસ્તા પરની
લાઈટના અજવાળામાં,
ક્યારેક લાંબું તો ક્યારેક ટૂંકું, એ શું?
એમ તો અદ્દલ મારા જેવું , પણ
કંઈ એના કાન મારી વાત સાંભળે?
ચહેરો-મહોરો દેખાય પણ એ કંઈ બોલે?
ક્યાં એની સાથે કોઈ ચર્ચા થાય?
પોતાની મરજીથી મારી જેવું હુબહુ મારી અંદરથી આવે પણ હું જ્યારે ઈચ્છું ત્યારે?
ઘણીવાર પ્રયત્ન કર્યો એ મારા હાથમાં ન આવે.
ના સાંભળે, ન બોલે કે ના મારા હાથમાં આવે!
જાણે કે રણમાં મૃગતૃષ્ણા જેવું,
તાપમાં, રાતના અંધકારમાં ‘હું સાથે છું’
એવું એક માત્ર છળ,
આ પડછાયો છે કે માત્ર એક આભાસ.
– શ્વેતા તલાટી
[4/23, 5:41 PM] Prafulla Prasanna: NOG સાહિત્ય સરિતા -(૧)
NG. No. — 39
વિષય — પડછાયો
પ્રકાર – પદ્ય – અછાંદસ
શીર્ષક — ઓછાયો
તારીખ ૨૩ – ૪ – ૨૨
ફર્યાં કરે છે એક પડછ્યો સંતાતો સંતાતો!
ભ્રમ થાય છે કે એ આવ્યો સંતાતો સંતાતો!
હવા સાથે લહેરાતો જાય સંતાતો સંતાતો!
પાલવ ખેંચી જાય ભાગ્યો સંતાતો સંતાતો!
નથી પકડાતો નજરમાં, સંતાયો મનની બખોલમાં!
અનુભવાય એહસાસ એનો રજકણની રજમાં!
થાય બહાર-અંદર શ્વાસોચ્વાસ સાથે સતત!
પણ ના આવે સામે, રહે સંતાતો સંતાતો!
ઘડીક થાય ટપલી મારી, ઘડીક કરે હાઉક્લો!
શોધું ચારેકોર પણ હાથ ના આવે એ પગલો!
ખબર હતી જાય એ ના આવે પાછા કદી!
તોય કેમ રાત-દિવસ સતાવે મને એનો પડછ્યો?
કહેવાય કે અનુભવાય પડછાયો પ્રકાશમાં!
થાય નાનો કે મોટો પણ રહે એ સાથમાં!
નથી પ્રકાશ કે અજવાળું તોય ફરે ચારેકોર!
પડછ્યો બની સ્થપાઈ ગયો છે મારાં હૃદયમાં!
પ્રફુલ્લા “પ્રસન્ના”