[12/1, 4:16 PM] Jayshree Patel. Sahityakar: NOG SS. No:0099
વિષય: પ્રકૃતિ સાથેનો પ્રવાસ
શીર્ષક: વિશ્વંભરીધામ દર્શન
શબ્દો:300
વર્ષ 2018નો માર્ચ મહિનો. અમારી શાળાનાં દોઢસો જેટલા બાળકોને લઈને અમે વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ વિશ્વંભરીધામ દર્શન માટે ગયાં હતાં. લગભગ ૭૦ એકર જમીન પર પથરાયેલું વિશ્વંભરીધામ અનોખું આકર્ષણ જન્માવે છે. પ્રકૃતિનાં ખોળામાં રમતું લીલુંછમ રાબડા ગામ સૌંદર્ય માટે ગુજરાતભરમાં પ્રખ્યાત છે.
અમે સવારે 11 વાગ્યે રાબડા પહોંચ્યા. લગભગ સવાસો જેટલા આંબા અને ચીકુનાં ઝાડથી શોભતું વિશ્વંભરીધામ અલૌકિક અનુભૂતિનું કેન્દ્રસ્થાન લાગતું હતું. બાળકોની બાથમાં ન આવે એવા જાડા થડવાળા આંબાના ઝાડ જાણે “એક હતા દાદા”ના સમયના જણાતા હતા. મૉરથી ઝૂલતા આંબા કાચી કેરીની સૌરભ વાતાવરણમાં પ્રસરાવી રહ્યાં હતા. બાળકો વૃક્ષોની વિશાળ છાયામાં બેસી ‘હાશ’ની અનુભૂતિ કરી રહ્યાં હતા.
આંબા અને ચીકુનાં ઝાડ પર બેસીને પંખીઓ કલરવ કરી રહ્યાં હતા. આખુંય વાતાવરણ આ કલરવથી જીવંત લાગતું હતું. આમ્રવનમાં નિર્ભય બનીને ફરતા મોરનું ઝુંડ બાળકોને આનંદિત કરતું હતું.
વિશ્વંભરીધામનાં એક બાજુનાં ખુલ્લા ભાગમાં આવેલ લતાવનમાં રંગબેરંગી ફૂલોથી શોભતી વેલીઓ પથરાયેલી હતી. લાલ, પીળા, ગુલાબી અને જાંબલી ફૂલો જાણે પતંગિયાં જેવા લાગતા હતા. નિબિડ રીતે પથરાયેલી લતાઓનું સૌંદર્ય અમને સાદ પાડી રહ્યું હતું.
લતાવનની પાછળના ભાગમાં ફણસ, સોપારી અને ગુલમહોરના વૃક્ષો જાણે કોઈ વિદેશના પ્રવાસ સ્થળને તાદ્રશ કરતા હોય એવું રળિયામણું સૌંદર્ય ધરાવતા હતા.
આ બધાંની વચ્ચે “પાર” નદીનાં વહેતા પાણીનાં પ્રવાહને સહેજ વળાંક આપીને બનાવેલ જળધોધ અનુપમ આકર્ષણ જન્માવી રહ્યો હતો. નવ ફૂટની ઉંચાઈ પરથી પડતો પાણીનો ધોધ જાણે સફેદ બરફના ફોરાં ઉડાડી રહ્યો હતો. ધોધની એકબાજુ જમીન પર લીલુંછમ ઘાસ ઊગી નીકળ્યું હતું. ધોધની બીજી બાજુ કેસરી રંગના પથ્થરો ગોઠવેલા હતા. આ સૌંદર્ય તિરંગાની પ્રતીતિ કરાવતું હતું.
અમે સૌ કતારમાં ઉભા રહ્યાં અને મા વિશ્વંભરીનાં દર્શન કર્યા. બપોરે ભોજન કર્યા પછી અમે ઉપવનમાં વૃક્ષોની છાયામાં બેઠા. બાળકો લીલા ઘાસમાં આળોટવા લાગ્યા. શરીરને ગલીપચી કરતાં ઘાસમાં આળોટીને બાળકોએ પ્રકૃતિનાં ખોળામાં સૂવાનો અનેરો લહાવો લીધો.
પ્રકૃતિનું સૌંદર્ય અને આસ્થાનું સંગમસ્થાન એવા વિશ્વંભરી ધામનો પ્રવાસ અમારી સ્મૃતિપટ પર હંમેશા અંકિત રહેશે.
ભાવનાબેન મિસ્ત્રી “અભય”
વલસાડ
[12/1, 4:21 PM] Jayshree Patel. Sahityakar: NOG. સાહિત્ય સરિતા (૧)
NG No. — 39
વિષય — જીવનનું સંભારણું
પ્રકાર – ગદ્ય – લેખ
શીર્ષક – સિક્કિમ – ગેંગટોક – દાર્જિલિંગ પ્રવાસ
શબ્દો -૩૫૦
તારીખ -૧-૧૨-૨૧
અમદાવાદથી બાય એર દિલ્હી, દિલ્હીથી બાય એર બાગડોગરા અને ત્યારથી બાય રોડ ગેંગટોક. સવારના પાંચ વાગ્યાના નીકળેલાં રાત્રે અગિયાર વાગે ગેંગટોક પહોંચ્યા. બાગડોગરાથી સિક્કિમ સુધી આખા રસ્તે વરસાદ હતો. ઢાળવાળા રસ્તા એટલે દ્રાઈવરે સામાન પ્લાસ્ટિક કાપડથી ઢાંકયો હોવા છતાં પલળી ગયો. ગેંગટોક એક ગુજરાતી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હતાં. પહોંચીને તરત બધા કપડાં રૂમમાં ખુલ્લા કર્યા. એ પછી પણ જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં સામાન ગાડીની ઉપર ચઢાવવાનો હોવાથી પલળી જ જતો. અને હોટલે પહોંચીને પહેલા કપડાં ખુલ્લા કરવા પડતા. વરસાદ બધે જ હતો એટલે કપડાં સુકાય જ નહીં. ઠંડી એટલી કે પંખો જ ના હોય!
સિક્કિમ ઉત્તર ભારતનું તિબેટ, નેપાળ અને ભૂતાન એમ ત્રણ રાજ્યોની બોર્ડર સાથે જોડાયેલું ભારતનું સત્યાવીસમાં ક્રમનું રાજ્ય છે.ગેંગટોક સિક્કિમ રાજ્યની રાજધાનીનું શહેર છે. ગેંગટોકથી લોચુંબ, ઝીરો પોઇન્ટ, અને છેલ્લે દાર્જિલિંગ. બે રાત્રી ગેંગટોક, એક રાત્રી લોચુંબ અને બે રાત્રી દાર્જિલિંગ.
જ્યાં જઈએ ત્યાં ત્યાંની સૌથી મોટી તિસ્તા નદી પહાડી રસ્તા ઉપર અમારી સાથે જ હોય. ત્યાં પેરાગ્લાઈડિંગ અને રિવર ક્રાફ્ટટિંગનો અનુભવ અદ્ભૂત રહ્યો. આઠ વર્ષની આશના અને ટ્વિશાએ પણ પેરાગ્લાઈડિંગ કર્યું.
ગેંગટોક હિમાલય પર્વતની શિવાલીક પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૪૭૦૦ ફૂટ જેટલી ઊંચાઈએ આવેલું અદ્ભૂત સુંદર શહેર છે.શહેરની ચારે બાજુ પર્વતમાળા, બરફથી છવાયેલા શિખરો,વાદળોથી આચ્છાદિત પહાડો માનવ મનને મંત્રમુગ્ધ કરી દે છે.ઠેર ઠેર બરફવર્ષા, ઊંડી ખીણો અને ઊંચા પહાડો વચ્ચેથી પસાર થતા મન ખુશીઓથી ભરાઈ જાય છે. ચારે તરફ લીલોતરી મનને લીલું છમ્મ બનાવી દે છે.છ લાખ દસ હજારની વસ્તી ધરાવતું આ નાનકડું રાજ્યમાં તિબેટીયન સંસ્કૃતિના અભ્યાસ માટેની અનેક સંસ્થાઓ છે. બૌદ્ધ ધર્મના પંચોતેર જેટલાં મઠો આવેલા છે. અહીં નેપાળી, જેપ્ચા, ભૂતિયા જેવી કોમની વસ્તી વધારે છે. અહીં અગિયાર જેટલી અધિકૃત ભાષાઓ છે. અહીંનું વાતાવરણ પ્રદુષણ મુક્ત છે અને સિક્કિમ રાજ્યને સો ટકા ઓર્ગેનિક રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે.અહીં ઉદ્યોગોમાં જૈવિક રસાયણોના બદલે જૈવિક રસાયણો વપરાય છે. રસ્તા ઉપર હોર્ન મારવામાં આવતું નથી, વાહન ઓવરટેક કરી શકતા નથી અને રસ્તો ક્રોસ કરવા માટે રસ્તાઓ ઉપર બ્રિજ બાંધવામાં આવ્યા છે.અહીંના લોકો ખૂબ પ્રમાણિક, મળતાવડા અને મદદ કરવા તત્પર હોય છે.
૮૫૮૬ મીટરની ઊંચાઈ પર આવેલ સૂર્યના કિરણોથી પ્રકાશિત કંચનજંઘાના પહાડો અને દાર્જીલિંગના ચ્હાના બગીચા જગપ્રસિદ્ધ છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
[12/1, 4:26 PM] Jayshree Patel. Sahityakar: NOGSS/0044
વિષય:-. પ્રકૃતિ સાથેનો પ્રવાસ
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- કુદરતને ખોળે
શબ્દો:-૩૪૮
લગ્ન પછી શીલા મહિયર ગઈ ત્યારે સખીઓએ મીઠી મજાક કરી અનુભવ પૂછતાં શીલાએ કહ્યું,” લગ્નની પ્રથમ રાત મધુરજની માણવા ઉત્સુક દેવને મિત્રોએ હેરાન પરેશાન કરી મૂક્યો.માંડ છટકીને દેવ આવ્યો.બાગમાંથી આવતી મોગરાની સુગંધે ઓરડો મઘમઘી ઉઠ્યો, અને અમે એકમેકમાં ખોવાઈ ગયા.
સવાર થતાં જ સૂર્યના આછાં કિરણોએ જાગી, દેવને હળવું ચુંબન કરી બાગમાં આવી પર્ણે ઝીલેલા ઝાકળબિંદુ જોવામાં મશગૂલ.
દેવે જ્યારે હાથમાં કોફી આપી તો હું આશ્ર્ચર્યચકિત! કોફી આપતા પૂછ્યું,” આટલી તન્મયતાથી શું જોઈ રહી છે?”
મેં કહ્યું,” જો દેવ લાલ, લીલા પર્ણ પરના ઝાકળબિંદુએ ઝીલેલાં સૂર્યના કોમળ કિરણો જાણે સુંદર મજાનું મેઘધનુષ રચાતું હોય એવું લાગે.છે ને કુદરતની કમાલ! મને કુદરતને ખોળે, મહાલવું ખૂબ જ ગમે.તરત જ દેવે કહ્યું,” ચાલ તો ફટાફટ તૈયાર થઇ જા
બે-ત્રણ દિવસ માટે તને પ્રકૃતિને ખોળે લઇ જાઉં.ડાંગ જિલ્લાની સફરે.”
હું તો પહેલી જ વખત જતી હતી,વિસ્મયનો પાર નહીં.સીધા પહોંચ્યા ડોન ત્યાં પહોંચતા જ રસ્તામાં બંને બાજુ હરિયાળી જોઈ હું તો ખુશ થઈ ગઈ.ડોન એટલે સૌંદર્યથી ભરપૂર.મસ્ત ઠંડી હવા એકદમ ઉંચાઈએ આવેલું સ્થળ.સાંજ પડી મહાલના જંગલમાં કેમ્પસાઈટમાં ટ્રીહાઉસમાં રાત્રી રોકાણ કર્યું.વૃક્ષો પર રેલાતી ચાંદની જોવાની મજા આવી.
બીજે દિવસે લટાર મારવા નીકળ્યા તો રસ્તામાં બંને બાજુ હારબંધ લીલુડા વાંસના ઝૂંડ.વાંકા વળેલા વાંસ તો જાણે ઝૂકીને આગંતુકને સલામ કરી આવકારતા હોય એવું.અહાહા કુદરતનો આભાર માનતા મન પ્રફુલ્લિત થઈ ગયું
આગળ ચાલતાં જ એક જગ્યાએ ઝરણાંનો ખળખળ આવાજ સાંભળતાં જ ઉભી રહી ગઈ.એ દ્રશ્યે તો મારું મન મોહી લીધું.હું તો ત્યાં જ દેવ સાથે પાણીમાં પગ રાખી બેસી ગઈ.દેવને પણ મજા આવી.
સુસવાટા મારતા પવને વાંસ એકબીજાને આલિંગન આપતાં હોય એમ એકમેકમાં ભળવા લાગ્યા પવન ધીમો થતાં જ વાંસ અથડાવાને કારણે આવતા મધૂર અવાજ સાંભળી એવું લાગ્યું કે સાક્ષાત બંસીધરે સૂર રેલાવ્યા કે શું? સાંભળતાં જ ભાવવિભોર બની ગઈ.
સંધ્યારાણીની વિદાયે વાંસમાંથી આવતાં સૂર્યનાં કેસરવર્ણા કિરણો નિહાળી, રજનીના ઓળા ધરતીને પેટાળમાં સમાવી લે તે પહેલાં અમે અમારા મુકામે પહોંચી, આદીવાસી ખાણું નાગલીનાં રોટલા, વાંસનું અથાણું, ચટણીની મજા માણી.
કુદરતે છૂટ્ટા હાથે વેરેલું સૌંદર્ય અને દેવનો હૂંફાળો સાથ.ત્રણ દિવસ તો ક્યાં પસાર થયા તે ખબર જ ન પડી.
મારી ખુશી અને પ્રકૃતિ પ્રેમ જોઈ દેવે મને દર બે મહિને આવાં પ્રકૃતિથી છલોછલ ભરેલાં સ્થળે ફેરવવાનું વચન આપ્યું .”
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[12/1, 5:01 PM] Jayshree Patel. Sahityakar: NOG -NO -1030
વિષય – પ્રકૃતિ સાથેનો પ્રવાસ
શીર્ષક-અવર્ણનીય સફર
શબ્દ-૩૫૦
કાશ્મીર જવા માટે હું અને મારી દીકરી ભવ્યા “છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશલ” એરપોર્ટ પહોંચી, સામાનનાં ચેકીંગ પછી ર્બેોડિગ પાસ મેળવી એરપોર્ટનાં લાઉન્જ એરિયામાં કોફી પીતા કાશ્મીરની વાતોમાં ખોવાઇ વિમાનને ચૂકી જતાં સાંતાક્રુઝ એરપોર્ટ આવી નવી ટિકિટ ખરીદી જમ્મુ પહોંચ્યા હતા.
જમ્મુમાં બરફનું ભારી તોફાન સર્જાતા શ્રીનગરની ફલાઇટ અને બાય રોડ પણ બંધ હતાં.
અમે હરિસિંગ નિવાસમાં રહ્યાં હતાં જે જમ્મુનાં રાજાનો મહેલ હતો પણ હવે હોટલમાં રૂપાંતરિત થયો હતો.
રાજાશાહી સજાવટ, કલાત્મક ફ્રેમમાં મઢેલા પેઇન્ટિંગ, નયનરમ્ય ઝુમ્મરો, હાથીઘોડાનાં સ્ટેચ્યુઓ, રાજાની મોટી ખુરશી અને બીજી બહુમૂલ્ય ચીજોની ગોઠવણી, આરસથી ચમકતી લોબી હારબંધ ફૂલોનાં કુંડાઓથી મનભાવન લાગી રહી હતી. ફૂલોથી મહેંકતો બગીચો, એક તરફ માતાનો ત્રિકુટ પર્વત અને બીજી તરફ તપસ્વી મુનિઓની જેમ તટસ્થ પહાડોનાં ચરણ પખાલીને અલ્લડપણે વહેતી તાવી નદી. કુદરતે આ ધરતી પર પોતાનું સૌંદર્ય છુટ્ટા હાથે વેરી દીધું હતું! આહલાદક વાતાવરણની અનુભૂતિથી દિલ બાગ બાગ થઇ ગયું હતું.
બીજા દિવસે વૈષ્ણવદેવી માટે ટેક્સીમાં કતરા તરફ જતાં કુદરતને જોઇ અમે ગુનગુની રહ્યાં હતા, “યે વાદિયાઁ યે નજારે બુલા રહે હે હમેં….” ખરેખર સફરમાં ગીતો ગાવાની બહુ જ મજા આવી હતી.
માતાજીનાં મઢ પર જવા માટે ઘોડા પર બેસી ત્રિકુટ પર્વતનું ચઢાણ ચાલુ કરતાં જ ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો.
સૂરજદાદા વાદળો સાથે સંતાકૂકડી ખેલતા હોવાથી ધૂપછાંવમાં પ્રકૃતિ ખીલીને અદ્દભૂત લાગી રહી હતી. કાલીઘટાઓથી છવાયેલું અંબર અને વૃક્ષોથી સજેલી ખીણ જોતાં જ ભવ્યા ગાઇ ઉઠી, “બલખાતી બેલે મસ્તીમેં ખેલે પેડોકોં મિલકે ગલે….ઓ..નીલે ગગનકે તલે..” અને કુદરતની આ અનેરી લીલા કેમેરામાં ઝીલાતી રહી હતી.
દેવીનાં સ્થાનકે પહોંચતા સંધ્યા આરતીનો સમય થયો હતો. આરતીનાં ઘંટનાદનાં ધ્વનિથી અમે ભક્તિમય વાતાવરણમાં ભાવવિભોર થઇ ગયા હતાં. સમૂહમાં જયમાતાજીનાં નારા સાથે મંદિરનાં ગર્ભદ્રારમાં પ્રવેશતાં જ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીદેવીની પીંડી સ્વરૂપનાં અનુપમ દર્શન કરતાં અમે શ્રધ્ધાથી મસ્તક નમાવી માતાજીનાં આર્શીવાદ લીધાં હતા.
માતાજીનો પ્રસાદ લઇ અમે ત્રિકુટપર્વતની ટોચ પર આવેલા ભૈરવનાથનાં દર્શન કરી નીચે કતરા તરફ પ્રયાણ કરતા ઘોડાવાળાએ અમને અર્ધકુવરી માતાજી, વૈષ્ણવદેવી અને કાલભૈરવનો ઇતિહાસ કહી જણાવ્યું કે કાલભૈરવ ભગવાન શિવનો અંશ છે. ત્યારે અમે અવર્ણનીય ભાવદશામાં આવી ગયા હતા.
મુંબઇ આવી સહપરિવાર સાથે કાશ્મીરનાં કાવાની ચુસકી લેતા ફોટા જોયા હતા સફરની મીઠી યાદોંને સાંભળતાં દાદીમા બોલી ઉઠ્યાં, “આ તો માતાનો બુલાવો આવ્યો હતો. એટલે કાશ્મીર જતાં વિમાનને ચૂકી ગયા હતાં.”
નિલમ દોશી
મુંબઇ