ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની સાત રચનાઓ
વિષય :.” ગણેશોત્સવ,ગણેશજી નું શાસ્ત્રોક્ત મહત્વ વિષયક રચનાઓ(૨૨-૯-૨૦૨૧)દિવસ – ૧
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
********************************************
NOG SS No :0091:
પ્રકાર : પદ્ય
હે ગણપતિ ગજાનંદ, સુખ કર્તા દુખ હર્તા.
છો લંબોદર વિનાયક, તમે વિઘ્નહર્તા.
માતપિતાનાં લાડકા ને રિદ્ધિ-સિદ્ધિનાં નાથ.
કાર્તિકેયનાં ભ્રાતા તમે ને મા સંતોષીના તાત.
આવી બિરાજો આંગણે, જગના પાલનહાર.
“શુક” તમને વિનવે કરગરીને આજ.
હાથ જોડી કરું વિનંતી, બેસોને મહારાજ.
વાત મારી સાંભળો, જે કરવી છે ખાસ.
લાડુ મોદક બહુ ખાધાં, હવે કરો માફ.
ગરીબ બિચારાં રોટલે તરસે, નિહાળો છો આપ.
કોરોના મહામંદી ને હવે થશે દુષ્કાળ.
એક પછી એક હોનારત, શું આદર્યું છે હાલ.
હોય અમારી ભૂલો તો માંગીએ ક્ષમા આજ.
કરો રહેમ અમારા પર ને સઘળી સુધારો સાંજ.
નથી સહેવાતી વેદના સારી, થયા શું નારાજ?
પાય પડી તમને વિનવીએ, ક્ષમા કરો મહારાજ.
નહીં સુધરે દુનિયા એ વાતને પણ ન્યાય.
થોડું-ઘણું સમજી લો ને, ન કરો હવે અન્યાય.
છોરુ કછોરુ થાય પણ, માવતર કમાવતર ન થાય.
સઘળી ભૂલો માફ કરીને, ઉગારો મહાકાય.
.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
********************************
NOG SS No : 0044
પ્રકાર : પદ્ય
સૌ મિત્રોને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ.
આવકારીએ
હૈયે ધરી ઉમંગ
ગણેશ પર્વ.
ગણેશ પર્વ
લાવે હર્ષ ઉલ્લાસ
આનંદાનંદ.
હર્ષ ઉમંગ
વ્યાપ્યો ગણેશ પર્વે
ચોગરદમ.
ગણેશ તેડું
પાવન અવસરે
કરું નમન.
ચઢાવું દુર્વા
ગણેશ થાય રાજી
પામું આશિષ.
સહુનાં પ્રિય
ગણેશજી આવશે
મૂષકે ચઢી.
હરશે વિઘ્ન
શિવ પાર્વતી પુત્ર
કરીએ ભક્તિ.
ગણેશજીને
રૂડાં બાજઠ કેરાં
આસન દઉં.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
******************************
NOG SS No : NRI Group MEM
પ્રકાર : ગદ્ય
બાપ્પાનાં આગમનનાં વધામણાં થઇ ચુક્યા છે અને એ સાથે જ પર્વાધિરાજ પર્યુષણ પર્વનાં આલંબનને પામીને અંતરમાંથી ક્રોધ, ઈર્ષા, નિંદા, અહંકાર, કઠોરતા જેવા મલિન ભાવોને દૂર કરીને નમ્રતા, સરળતા, ઉદારતા, વિશાળતા, પ્રેમ, કરુણા જેવા શુભ ભાવોને સદા માટે વહેતા કરીયે એમાં જ પર્યુષણ પર્વની ઉજવણીની સાર્થકતા છે.
હું પણ માનવ છું અને અગણિત પ્રયત્નો છતાં ભૂલને પાત્ર છું. કોઈ પણ ક્ષણે જાણે કે અજાણે ક્રોધાવેશમાં આપની ભાવના કે લાગણીને મારાં શબ્દો કે વર્તન થકી ઠેસ પહોંચાડી હોય તો મન, વચન અને કાયાથી મારાથી થયેલ ભૂલ બદલ ક્ષમા તો પ્રાર્થી જ શકું છું. માત્ર જૈન ભાઈઓ બહેનો તથા આરાધક તપસ્વીઓને જ નહિ પણ આપ સર્વેને અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્.
હું સુપેરે જાણું છું કે આપ સહુ ઉદાર ભાવે મારી ક્ષમાને માન્ય રાખશો જ ને..!! 🙏🙏
– વૈભવી જોષી.ઓસ્ટ્રેલિયા
******************************
NOG SS No : 0089
શીર્ષક : ઘરનાં ગણેશજી
રેખા શુકલ- અમેરિકા
“ ૐ ગંમ ગણેશાય નમ: “
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્ર માં મારો જન્મ તેથી મરાઠી ની જેમ ગણેશજી માટે રવા લાડુ વળાતા ને હલદી કુમકુમ નો પણ રિવાજ અમેરિકામાં ધામધૂમથી ઉજવવાનો આનંદ છે. આ તહેવાર 10 દિવસ સુધી
ઉજવાયા પછી ગણપતિ વિસર્જન કરી કહેવાય છે ભૂલચૂક કરજો માફ ને વહેલા વહેલા મુજ આંગણીયે પધારજો. દયા કરો
ગણનાથ ને હંમેશા રિદ્ધિ સિદ્ધિ ના દાતા રક્ષા કરજો.
ગૌરી તણા તનય હે ! વર ઇષ્ટ દાતા,
હે નાથ, આપ જગપાલક છો વિધાતા;
વિઘ્નો બધા દૂર કરી નિજ અંક થાપો,
પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો …(૧)
આવ્યો અહિં શરણમાં ચરણે તમારા,
લાવ્યો ન ભેટ ધરવા ફળ, ફૂલમાળા;
કીધા નથી મન કરી તવ નામ જાપો,
પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો …(૨)
સવારી કરી મુશકની ઉપરે, ફરતા,
ભક્તો તણાં સહુય સંકટને હરતા;
બાળો ભયંકર બધાં શત જન્મ પાપો,
પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો …(૩)
લંબોદરા, ગણપતિ, ગજકર્ણ દાદા !
સો કોટિ ભાસ્કર સમા સુર વંધ દાતા;
મેલા મનોરથ બધા મમ સદા કાપો,
પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો …(૪)
હે નાથ ! નિર્મલ કરો મમ ચિત્ત બુદ્ધિ;
શ્રીપાદ વલ્લભ, ભજું તમને સ-શુદ્ધિ;
સંતપ્ત છું, તન અને મન કષ્ટ કાપો;
પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો …(૫)
હું ‘ભૂ’ પરે ભટકતું છું અલ્પ પ્રાણી,
કેડી મને ન મળતી દિશ કો જવાની;
હે નાથ ! હાથ મુજને ઝટ આપ આપો,
પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો …(૬)
દૂર્વા ન અર્પણ કરી, શિર મેં તમારા,
ગંધાક્ષતે નવ કરી, કદી દુગ્ધ ધારા;
દોષો થતાં મધુ થકી સહુની ક્ષમા દો,
પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો …(૭)
વેગે સહાય કરવા, નિજ ભક્ત કેરી,
નિત્યે જ તત્પર રહો, કરુણા ઘણેરી;
હે તાત ! આ જગતમાં સુખશાંતિ સ્થાપો,
પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો …
********************************
NOG SS No : 0055
વિષય : સંવત્સરી
પ્રકાર : ગદ્ય
મિચ્છામી દુક્કડમ
વડલાની જેમ ફેલાયેલું અમદાવાદ શહેર સાંજના ટ્રાફિક પછી અડધી રાતે અજગરની જેમ સુસ્તાયેલું હતું.
ફાતિમા મસ્જિદની પાછળ આવેલ કાદરશાની પોળમાં
રહેતા મધ્યમવર્ગીય સૌ બિરાદરો મહેનતનું રળી ખાય . સૌથી ઉજળું અને ઈજ્જતદાર ખોરડું મરિયમનું..
વર્ષો પહેલાં મરિયમ બીબી સાસરેથી દુઃખાયને આવ્યા ત્યારે કોખમાં બે માસનો અબ્દુલ આકાર લઇ રહ્યો હતો…
સમય સમય કરતાં પણ વધુ ઝડપથી ઉડી રહ્યો હતો, મરિયમનો માળો અબ્દુલ નામના પંખીથી શોભી રહ્યો હતો. આખા વિસ્તારમાં મરિયમની નેકદિલી પ્રખ્યાત.પારકા કામ કરનારી મરિયમ ખરેખર પારકાને જ પોતાના માને. ઘણા ઘરોમાં ઝાડુ પોતા, કપડાં વાસણ કરે , સાથે સાથે પોતાના અને અબ્દુલના જીવનને પણ ઉજાળે.
અબ્દુલ પણ મા જેવો જ..ઉત્સાહી અને પરગજુ..
ભોળો એટલે સાવ ભોળો..
ગણપતિની સ્થાપનાથી લઈ વિસર્જન સુધી…જવાબદારી એની જ.. તાજીયા હોય તો શરબત એના જેવું કોઈ ન બનાવે…
ખબર નહિ પણ કોની નજર લાગી , આ મા – દીકરાની જોડીને .. વાત એમ વણસી ગઈ કે અબ્દુલની શાદીની વાત ચાલી ત્યારે સૌથી વધુ ઉત્સાહિત મરિયમના બધા જ અરમાન પર ત્યારે પાણી ફરી ગયું જ્યારે તેને ખબર પડી કે અબ્દુલ તેના માટે છોકરી પસંદ કરી ચૂક્યો છે અને તે છોકરી સાથે જ શાદી કરવાનો છે.
આજે તેની અહમ્ ઘવાયો હતો, વાત શાદીની નહોતી પણ વાત તેની મહત્તાની હતી. તેના જીવનનું કેન્દ્ર , તેનો બેટો આજ તેના જીવનનો સૌથી મોટો નિર્ણય કરી ચૂક્યો હતો જેમાં તે શામિલ નહોતી….
વાત વધી ચૂકી હતી, બંને પક્ષે મૌનની ખાઈ વધતી જતી હતી. એકાદ વરસ વીતવા આવ્યું હતું. હવે મરિયમ મુંઝાણી અને અબ્દુલ પણ સલવાયો હતો.
રોજની જેમ આજે પણ સવારે મરિયમ કામ પર ગઈ. આજે તહેવારો હોવાથી વધુ કામ હતું, બપોરે આવી , રસોઈ કરી તેને જમવા બોલાવ્યો… જમતાં જમતાં વાત કાઢી
” હવે, પે ‘ લી ક્યારે આવશે ? મારાથી હવે રોજ રોજ રસોઈના ઢસરડા નથી થતાં…”
અબ્દુલની આંખ આજે જાણે ઈદની રોશની ચમકી રહી હતી ,આ અચાનક થયેલ ફેરફાર સમજાયો નહી. છતાં અમ્મીને કારણ પૂછ્યું….તો કહે, ” બેટા, આજે કોઈકે કહ્યું કે આ દુનિયામાં ક્ષમાથી મોટું કોઈ નથી, આજે મે તને માફ કર્યો….”
શ્રદ્ધા ભટ્ટ
વાપી
******************************** NOG SS NO : 0037
ગણેશ સ્થાપનાં.( પદ્ય.)
મારે ઘરે બેસાડયાં ગણેશ રે …
સૌ લોક દર્શને આવજો.
શિવ શક્તિનો વ્હાલો આવ્યો,
સૌ લોક આરતીમાં આવજો.
બુંદીના બનાવ્યાં રૂડાં મોદક રે…
સૌ લોક પ્રસાદ આરોગજો.
આસોપાલવના બાંધ્યાં તોરણ,
સૌ લોક ગુણગાન ગાજો.
કંકુ,ચોખા ને ગુલાબનાં ગોટા,
સૌ લોક ભાવથી પૂજન કરીએ.
રિદ્ધિસિદ્ધિ સાથે બિરાજ્યાં ગણેશ રે…
સૌ લોક દર્શને આવજો…
હેમલતા ટી. દિવેચા. હેમ.(જૂનાગઢ)
******************************** NOG SS NO 0037
વિષય – ગણપતિ ઉત્સવ,ધર્મ,શાસ્ત્ર….
વિભાગ – ગદ્ય. ( લેખ )
શીર્ષક – ગણેશજીના અંગોનું શાસ્ત્રીય અર્થઘટન.
જય શ્રી ગણેશ 🙏
ગણપતિ ઉત્સવનું આગમન થાય તે પહેલાં જ મુંબઈ મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં ગણેશ ઉત્સવનું માહાત્મ્ય વધતું જાય છે.શિવ અને શક્તિના પ્રિય પુત્રની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિના દાતાની મૂર્તિને ધ્યાનથી જોતાં રામ,કૃષ્ણ,વિષ્ણુ વગેરે ભગવાન કરતાં તેમનું સ્વરૂપ અલગ તરી આવે છે.
હાથીનું મસ્તક,લાંબી સૂંઢ,ચાર હાથ, તૂટેલાં દાંત,મોટું ગોળ મટોળ પેટ, સૂપડાં જેવડાં કાન, થાંભલાં જેવડાં પગ,ઝીણી આંખો. વિશાળ કાયા ધરાવતાં ગણપતિનું વાહન, નાનકડો ઉંદર. પાશ,અંકુશ, વરદ, કમળ, સર્પ, ગદા ધારણ કરે છે. લંબોદરનું સ્વરૂપ અને તેમનાં આયુધોનું શાસ્ત્રીય અર્થઘટન જાણવા સમજવા જેવું છે.
અનાદિકાળથી ગણેશજીનું પૂજન થાય છે.ઋગવેદ અને યજૂર્વેદમાં પણ એમનો ઉલ્લેખ બુદ્ધિના દેવ તરીકે થયો છે.ગણેશજી,પિતા શંકરની સેનાના નાયક હોવાથી તેમને ગણનાયક કહેવામાં આવે છે. તેમનાં પર હાથીનું મસ્તક હોવાથી ગજાનન પણ ગણાયા.ગજરાજનું મસ્તક એટલે મેધાવી બુદ્ધિ. તમામ પ્રાણીઓમાં હાથીની યાદદાસ્ત ખૂબ જ તીવ્ર હોય છે.માટેજ વેદ વ્યાસે મહાભારતની રચનામાં ગણેશજીની મદદ લેવી પડી હતી.
ગણપતિનું પેટ મોટું હોવાથી એમને દૂંદાળા દેવ પણ કહેવાય છે. અહીં મોટી દુંદનો અર્થ, ભક્તો તેમની પાસે આવી પોતાના સુખ દુઃખની વાતો કહે છે,બાપા બધાંની વાત સાંભળી પોતાના પેટમાં રાખે,કોઈને પણ કહે નહીં.વિઘ્નેશ્વર દાદાની આંખો ઝીણી છે.તે ઘણે દૂર સુધીની નિહાળી શકે છે.કદમાં ઝીણામાં ઝીણી વસ્તુ પણ દેખાય છે.પોતાની દ્રષ્ટિ વડે ગણેશ આ વિશાળ જગતની નાની વાત પર પણ બરાબર નજર રાખે છે.લંબોદરની નાનકડી આંખો વેધક દ્રષ્ટિ અને ભવિષ્ય દર્શનની પ્રતિક છે માનવી પણ પોતાના જીવનમાં દીર્ઘદ્રષ્ટિ રાખવી જોઈએ.
ગૌરી પુત્રના કાન સૂપડાં જેવડાં છે. તેનો અર્થ એ કે ભગવાન ભક્તોની બધીજ વાત સાંભળે છે. સૂપડાંનું કાર્ય સારી વસ્તુ રાખી કચરો દૂર કરવાનો છે.બાપા પણ ભક્તોના હિતની વાતો ગ્રહણ કરે છે.
વિનાયક દેવને બે દાંત છે.એક તૂટેલો અડધો.પરશુરામે એક દાંત તોડી નાખ્યો હતો,ત્યારથી એક દંત કહેવાયા. રિદ્ધિ સિદ્ધિના દાતા ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ગણેશજીના પગ નાનાં પણ થાંભલા જેવડાં છે,તેથી બીજાઓની જેમ ઝડપથી ચાલી કે દોડી શકે નહીં. તેનો અર્થ એ કે કોઈપણ કાર્ય ઉતાવળથી ન કરવું,વિચારીને ગંભીરતા પૂર્વક કરવું.વળી ટુંકા પગ બુદ્ધિ મતાનું લક્ષણ હોય છે. તેવો પોતે નથી દોડતાં પણ પોતાની બુદ્ધિથી બીજાને દોડાવે છે.
ગણેશજીનું વાહન નાનકડો ઉંદર.ગમેત્યાં પ્રવેશ કરી શકે. નાનામાં નાની જગ્યાએ પહોંચી શકે.નાનાં માણસ સુધી પણ પહોંચી જાય.વળી ઉંદર માયાનું પ્રતિક છે.દુનિયામાં આવીને માણસ માયાના મોહમાં ભગવાનને પણ ભૂલી જાય છે. રિદ્ધિ-સિદ્ધિના દાતાને દૂર્વા નામનું ઘાસ અતિ પ્રિય છે.સુગંધ વગરના ઘાસની લોકોને કોઈ કિંમત નથી હોતી, છતાં તે ભગવાનની પૂજામાં વપરાય છે.તેનો અર્થ એ કે ગણેશજી સમાજના સામાન્ય ગણાતા લોકો ને પણ સ્વીકારે છે.વળી જાસુદનું લાલ ફૂલ પણ તેમને ચઢે છે.લાલ રંગ સોર્ય અને ક્રાંતિનો સૂચક છે.
ગણેશજીને ચોખા પણ ચઢે છે.ચોખાને અક્ષત કહેવાય છે અક્ષત એટલે અખંડ.ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા – ભક્તિ અખંડ હોવી જોઈએ.
એટલા બધાં ઉત્તમ ગુણો ધરાવનાર ગણનાયક સર્વ શુભ કાર્યોમાં પ્રથમ પૂજાય છે.ગણેશજીના ચાર હાથમાં પાશ,અંકુશ, વરદ, એવાં આયુધો અને સાથે મોદક હોય છે.ગણેશજીની જમણી અને ડાબી સૂંઢ વિશે જબરો વિવાદ છે.
આ બધાં પાસાઓ વચ્ચે વિઘ્નહર્તાની મનોહર મૂર્તિ એક ઉત્તમ અને ફળદાયી યંત્ર હોવાનો ઉલ્લેખ શિલ્પ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.ભારત દેવ દેવીઓ, તહેવારો અને ઉત્સવોનો દેશ છે. આપણાં દેશના લોકો આકાશ,વનસ્પતિ, જળ અને પથ્થરમાં પણ ઈશ્વર નિહાળે છે.માટેજ ગણેશ ઉત્સવ લોકો ખૂબ ઉત્સાહથી,ભાવથી રિદ્ધિ સિદ્ધિના દાતાની નાનકડી પણ મૂર્તિની પૂજા અર્ચના કરી જીવનમાંથી વિઘ્નો હરી લેવાની પ્રાર્થના કરે છે.
જય શ્રી ગણેશ 🙏
લેખન – હેમલતા દિવેચા ( હેમ )