ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” શ્રાવણ માસના તહેવારો” વિષયક રચનાઓ(૨૬-૮-૨૦૨૧)દિવસ – ૩
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
********************************************
NOG SS No – 0080
વિષય : શ્રાવણી તહેવારો
શીર્ષક :રક્ષાબંધન
============
ભાઈ બહેનનાં પવિત્ર બંધનનો તહેવાર રક્ષાબન્ધન શ્રાવણ સુદ પૂનમનાં દિવસે આવે છે. .રક્ષાબંધન એટલે ,નારિયેળીપૂનમ..બળેવ..,
બ્રાહ્મણો આ દિવસે યજ્ઞોપવિત બદલાવી વિધિ પૂર્વક નવી જનોઈ ધારણ કરે છે. માછીમારો તથા વેપારીઓ દરિયા દેવને શ્રીફળ પધરાવી પૂજા કરે છે.
દરેક બહેનો પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધવા માટે ઉત્સુક હોય છે. પણ બધી બહેનો એટલી ભાગ્યશાળી નથી હોતી કે દરેક રક્ષાબન્ધનનાં પવિત્ર દિવસે સ્વહસ્તે ભાઈને રાખડી બાંધી શકે! આવી બહેન બિચારી, ભાઈ માટે કેટલું ય ઝૂરતી હોય છે. પણ ઘણીવાર કેટલાય ભાઈઓને તો બહેનની યાદ પણ નથી આવતી હોતી! ઘણીવાર એવું પણ બનતું હોય છે, કે બહેન એમ જ ખબર અંતર પૂછવા માટે ભાઈનાં ઘરે ફોન કરે તો માત્ર ભાભી જ વાત કરીને ફોન મૂકી દે. તો ય ભાઈને એવું ન થાય કે મેં તો ઘણાં દિવસથી બહેનનો અવાજ જ નથી સાંભળ્યો.તો હું આજે સામેથી ફોન કરું! બહેન તું મજામાં છો ને? એમ જરા બેઘડી વાત તો કરું!
બહેનને સાસરે વળાવી દીધાં પછી જાણે કે જવાબદારી પૂરી થઈ ગઈ! પછી બહેનનું જે થવું હોય તે થાય!એ જીવે છે કે….!! એની હાલત કેવી છે, એ પૂછવાની તસ્દી પણ ભાઈ લઈ શકતો નથી! બહેનને યાદ કરનારો ભાઈ, અચૂક સામેથી જ ફોન કરતો હોય, તો બહેનનાં રાજીપાનો પાર રહેતો નથી જ. મા બાપની ગેરહાજરી પછી એની લાગણીની અધૂરપ, ખોટ ભાઈ દ્વારા પૂરાતી હોય છે. એ ખોટ પૂરી કરવી ભાઈની ફરજ બને છે…
રક્ષાબન્ધનનાં પવિત્ર દિવસે હું ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે પોતાની બહેનને ભૂલી ગયેલા ભાઈઓને ઈશ્વર બહેન પ્રત્યે સદભાવના અર્પે.
રક્ષાબંધનની અઢળક શુભેચ્છાઓ….
વર્ષા જાની .ભાવનગર
********************************
NOG SS No: 0092
પ્રકાર :-પદ્ય
શીર્ષક:-તહેવારોનો મહિનો શ્રાવણ
“જાત-જાતના તહેવારોને શ્રાવણ ખૂબ નવાજે,
ક્યારેક ઉપવાસ તો
ક્યારેક મઘમઘતી વાનગીઓથી થાળી મારી છાજે.
ભાઈની આપદાઓ નિવારવા રક્ષા બંધન આવે,
રાખડી બાંધી ઓવારણાં લેવાય
ભાઈના ક્ષેમકુશળ ને બહેનની રક્ષા કાજે.
બોળચોથનો મહિમા મોટો,
ગાય-વાછરડાંને મહત્વ આપે.
પૂજા કરી- ખવડાવીને લોક
ખુશીમાં રાચે.
નાગપાંચમે ખેતરના રાખણહાર ને સહુ પૂજે,
પૂજા કરી,નૈવેધ ધરાવી બહેનો અણઘો પૂજે.
રાંધણછઠના પકવાનોથી ઘર-ઘર સુગંધથી મહેંકે,
અગ્નિની પૂજા કરતા
સુરક્ષાના આશિષ કાજે.
શીતળા સાતમે ઠંડુ ખાઈને આરોગ્યને સુધારે,
શીતળામાની કૃપા સદા રાખવા કાજે.
અષ્ટમીનો ઉપવાસ કરી,
કૃષ્ણભક્તિમાં રાજે.
પારણીયે લાલાને પધરાવતા
જન્મ મહોત્સવ કાજે.
શ્રાવણની શ્રેષ્ઠતા
પ્રકૃતિ અને સંબંધોનું મૂલ્ય વધારે,
ધરા અને જીવનની સુંદરતા ટકાવી રાખવા કાજે.
અલકા મહેતા..ગાંધીનગર..૨૧/૦૮/૨૧.
*******************************
NOG SS No: 0022
વિષય : શ્રાવણ માસ અને તહેવારો
વિભાગ : ગદ્ય
પ્રકાર : લેખ
શીર્ષક : જગતની પહેલી રાખડી
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
જગતની સૌથી પહેલી રાખડી માતા કુંતાએ પોતાના પૌત્ર અભિમન્યુને યુદ્ધમાં જતી વખતે બાંધી હતી. અર્જુન યુદ્ધ કરવા પાતાળમાં ગયો અને કૌરવોએ ગુરૂ દ્રોણને ચક્રવ્યૂહની રચના કરવા કહ્યું.
ચક્રવ્યૂહ તોડવાની વિદ્યા ફક્ત અર્જુન જાણતો હતો. સભામાં જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે બધાંએ પોતાનાં મસ્તક નમાવી દીધાં. ચક્રવ્યૂહ તોડવાનું બીડું અભિમન્યુએ ઝડપ્યું. તેણે કહ્યું, “ચક્રવ્યૂહના છ કોઠા ભેદવાની વિધિ મને ખબર છે પણ સાતમા કોઠા વિશે હું નથી જાણતો.”
“માટીના સાતમા કોઠાને હું મારી ગદાથી તોડીશ.'” ભીમની આ જાહેરાત સાથે અભિમન્યુનું યુદ્ધમાં જવું નક્કી થયું.
સુભદ્રા અને અન્યોની સમજાવટ પછી પણ અભિમન્યુ અટળ રહ્યો, ત્યારે માતા કુંતાએ સાત તારથી એક રાખડી બનાવી, જેની ઉપર સાત ગાંઠ વાળી. દરેક ગાંઠનો અર્થ નીચે મુજબ છે.
પહેલી ગાંઠ : પરમેશ્વર, સૂર્યચંદ્ર, ત્રણ ગુણ (સત્વ, રજો અને તમો), ચાર વેદ ( સામવેદ, રૂગ્વેદ, અથર્વવેદ અને યજુર્વેદ), પાંચ વિપય (શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ) અને છ શાસ્ત્ર(વેદાંગ, સાંખ્ય, નિરૂક્ત, વ્યાકરણ, યોગ અને છંદ) રક્ષા કરે.
બીજી ગાંઠ : સાત સમુદ્ર, અષ્ટકુળ પર્વત, નવકુળ નાગ, દસ અવતાર, અગિયાર રુદ્ર, બાર મેઘ રક્ષા કરે.
ત્રીજી ગાંઠ : તેત્રીસ કોટી દેવતા, છત્રીસ રાગિણી, અડતાલીસ અગ્નિ, ઓગણપચાસ વાયુ, બાવન વીર, ચોસઠ જોગણી, બોતેર કોટી દાનવ અને અઠ્યાસી સહસ્ત્ર રુષી રક્ષા કરે.
ચોથી ગાંઠ : શેષશાયી, પારસનાથ, રણછોડરાય, ચૈતન્ય આત્મા અને પરમાત્મા રક્ષા કરે
પાંચમી ગાંઠ : મત્સ્યાવતાર, કુર્માવતાર, નૃસિંહ અવતાર, વરાહ અવતાર, રામાવતાર અને કૃષ્ણાવતાર રક્ષા કરે.
છઠ્ઠી ગાંઠ : શુક્રાચાર્ય, ગણપતિ, અંજીરા રુષી, હનુમાનજી અને ઈન્દ્ર રક્ષા કરે.
સાતમી ગાંઠ : હું ( માતા કુંતા), સહદેવ, અર્જુન, નારદ અને કૃષ્ણ રક્ષા કરે.
રાખડીનો આકાર સમય જતાં બદલાયો અને તે ભાઈબહેનનો તહેવાર બની ગયો, પણ તેનો રક્ષાનો મૂળ અર્થ હજી પણ સચવાઈ રહ્યો છે.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા
(સંદર્ભ : શ્રી વ્યાસ વલ્લભ કૃત ‘મહાભારતની કથા’)
********************************
NOG SS No. 0059
પ્રકાર : ગદ્ય-લેખ.
વિષય : શબ્દો
શ્રાવણમાસનાં
તહેવારો.
શીર્ષક : સાચી પૂજા-અર્ચના
શબ્દ સંખ્યા. : ૩૩૫.
જ્યારે કોઈપણ રમતમાં,
બે ટીમ સમાન, લેવલની સામ સામે આવે અને બંને ટીમ વચ્ચેની સ્પર્ધામાં, તેના અંતિમ પડાવ પછી પણ પરિણામ નક્કી ન થઈ શકતું હોય ત્યારે તે મેચના રેફરી/ નિર્ણાયક તેનાં આગવા નિયમોની સહાય લઈ સ્પર્ધાને જીવંત અને રસપ્રદ તબક્કામાં મૂકી ખેલાડી અને રમતનાં શોખીન પ્રેક્ષકોને જકડી રાખે છે.અને આ જ તો છે રમતમાં સચ્ચાઈનો રણકાર !
ફુટબોલની રમતમાં બન્ને ટીમનાં ગોલ જ્યારે સરખાં થાય ત્યારે વધારાનો સમય ફાળવવામાં આવે છે અને છતાં બન્ને ના ગોલ સરખાં થાયતો ફ્રી હીટ આપવામાં આવે છે, ટૂંકમાં રમતમાં અતિ ઉત્તમ દેખાવ કરનારાને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.
આપણા તહેવારોની ઉજવણીમાં માનવતા, અહિંસા, પર્યાવરણ અને દેશભાવનાને વિશેષ ધ્યાનમાં રાખીને પ્રત્યેક પર્વની ઉજવણી તેની ઉપયોગિતાને લક્ષમાંરાખીને ઉજવવામાં આવે તો
તહેવારોમાં થતો ખોટો બગાડ જેમા દુધ-પાણી,ફુલ-ફળ-શાન્તિ,
પર્યાવરણ, અને ધનનો ખોટો બગાડ આપણે ચોક્કસ બચાવી શકીએ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આગળ વધી શકીએ.
આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વર્ષનાં દરેક મહિનામાં એક ઉત્સવ હોય જ છે અને તેથી જ કહેવત પડી છે,
“બાર મહિનાને તેર પૂજા”,
હાં દરેક ઉત્સવ- મહોત્સવ
માનવજીવનમાં શકિતનો સ્તોત્રછે.
શ્રાવણમાસ અને આસોમાસ પૂજા-અર્ચના અને તહેવારોથી ભરચક છે.તેથી શ્રાવણ અને આસોમાસ એટલે પૂજા- અર્ચના અને તપની આરાધનાનાં આયોજનોથી ભરપૂર ભરેલી બે સશક્ત ટીમ ,એક બીજાને કાંટાની ટક્કર આપે તેવી ટીમ.
શ્રાવણી ટીમના કેપ્ટન આરાધ્ય દેવ ભોળેનાથ શિવશંકર છે તો આસો માસની ટીમના કેપ્ટન તરીકે આરાધ્યદેવી,મહાશક્તિ અંબાજી- દુર્ગાદેવીછે.
બન્ને ટીમનાં ખેલાડીઓનાં નામ પણ તેઓની શક્તિ અનુસાર છે.
જેમ કે ‘ભોળેનાથ’ની સામે ‘ ભોળી ભવાની’!
તાંડવ કરતાં ત્રિનેત્રધારી છે
તો સામે રણચંડી નવદુર્ગા!
‘શિવ’ની સામે ‘આદ્યાશક્તિ’!
બન્ને ટીમનાં ખેલાડીઓનાં નામ પ્રમાણે ગુણ, કળા છે. જે તેમની વિશેષતાને વધુને વધુ ઉજાગર
કરે છે.
બંને ટીમ મેદાનમા ઉતરતા હોકારા- પડકારાથી મેદાન સતત
જરૂર ગાજતું રહેછે.
બન્ને ટીમનાં ખેલાડીઓનાં
અનેક ચાહકો છે,અનુયાયીઓ છે.
ચાલો , આપણે આ વર્ષથી તહેવારો ઉજવવાનો નવો અભિગમ અપનાવીએ,અને
સમસ્ત વિશ્ર્વમાં પર્યાવરણ ને
બચાવવાનો નમ્ર પ્રયાસ કરીએ.
©️જયકાન્ત ઘેલાણી પ્યારે’.
********************************
NOG SS NO : 0001
વિષય :– શ્રાવણનાં તહેવારો
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ રક્ષાબંધન “
રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્વ ધરાવે છે એની તો ઘણી ઘણી વાતો ઈતિહાસનાં પાને લખાયેલી છે .
રક્ષાબંધન નો સાચો અર્થ શું છે ?
ર = રક્ષા કરજે વીરા તારી બહેનની
ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન = ન ભૂલતો વીરા તારી બહેનને
જે સૂતરના તાંતણામાં બહેનની રક્ષા કરવાની આટલી બધી શક્તિ હોય એ બંધન કેટલું બધું અમૂલ્ય હોય ! ઈતિહાસમાં આવા અનેક કિસ્સાઓ બની ગયા છે જેમાં આ નાજુક દોરાથી બાંધેલા બંધને જીવનભરની રક્ષા કરીને પોતાનું ભાઈ તરીકેનું કર્તવ્ય નીભાવી જાણ્યું હોય .
મેવાડની રાણી કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી બાંધી હતી .જ્યારે મેવાડ પર બહાદુરશાહે હુમલો કર્યો ત્યારે હુમાયુએ જ આવીને યુદ્ધ કરીને બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી .આવી જ રીતે કુંતામાતાએ પણ અભિમન્યુને યુદ્ધમાં જતી વખતે રાખડી બાંધીને મોકલ્યો હતો .
રક્ષાબંધન એ બહેન માટે પોતાનાં ભાઈ પ્રત્યેની નિષ્પાપ , નિર્મળ, અને નિ: સ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું પવિત્ર બંધન નું પ્રતિક છે .રક્ષાબંધન એ સમસ્ત બ્રહ્મસમાજ માટે મહત્વ ધરાવે છે .આ દિવસને બળેવ કે નાળિયેરી પૂનમ તરીકે ઓળખાય છે .આ દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે સાગર કે નદી કિનારે મંદિર પાસે બેસીને મહાદેવનાં સાનિધ્યમાં વિધિપૂર્વક બદલે છે .
નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધીને આશીર્વાદ આપે છે , અને દક્ષિણા પ્રાપ્ત કરે છે .જનોઈ એ કેવળ સૂતરનો ધાગો નથી , પરંતુ સોળ સંસ્કારોમાંનો એક ઉત્તમ સંસ્કાર છે .આ રીતે પણ બળેવનું મહત્વ ઘણું છે .આ દિવસે ત્યાગ , પ્રેમ , અને સંસ્કારની સુગંધ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે એવા આ દિવસે સાગરખેડુઓ પણ સાગરને ખોળે નાળિયેર પધરાવી ને સાગરનું પૂજન કરે છે અને દરિયાદેવને સાગરખેડુઓની રક્ષા કાજે વ્રત કરીને પ્રાર્થના કરે છે .માટે આ દિવસને નાળિયેરી પૂનમ પણ કહે છે .
એવું કહેવાય છે કે જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે , સર્વ દોષોથી મુક્ત થઈને આજીવન સુધી પરમ સુખ પામે છે .
પ્રદીપ રાવલ “ સંચાલક “ .
********************************
NOG. SS. NO .0095
વિષય :—શ્રાવણ માસનાં તહેવારો
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ માનવ મનનાં હૈયાનો ઉત્સવ “
આપણી ભારતીય લોકસંસ્કૃતિ એટલે એમાં આવતાં નિતનવા તહેવારો ! તહેવારો અને એની સાથે સાથે ખોરાક , પોષાક, એની ઉજવણી આ બધું જ જોડાયેલું છે .દરેક તહેવારો ની પાછળ એક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું જ છે . આપણે આપણી આ સંસ્કૃતિની પરંપરાને જાળવીને એની ઉજવણી પણ ધામધૂમથી કરીએ છીએ એ જ આપણી સાચી ધાર્મિક ભાવના છે .
વિદેશમાં વસતા આપણા ભારતીયો પણ ત્યાં જઇને આપણાં તહેવારો ઉજવીને એની પરંપરાને ચાલુ રાખે છે . અને હવે તો ખાસ એવું પણ જોવા મળે છે કે વિદેશીઓને આપણી આ પરંપરાગત તહેવારોની ઉજવણીમાં ખાસ રસ જાગ્યો છે .અને એ લોકો હવે ખાસ અહીં આપણા તહેવારોને માણવા અને જાણવા માટે આવે છે .
આ વખતે અમેરિકામાં વસતા મારા એક સ્નેહીજને મને ફોન કરીને કહ્યું કે એમની સાથે નોકરી કરતી એક એમની મિત્ર “ શેલ્વીના “ ને ભારતીય તહેવારો પર અભ્યાસ કરવો છે .તેથી એ ભારત આવે છે તો તમે તેને સૌરાષ્ટ્રમાં ઉજવાતા ખાસ શ્રાવણમાં આવતા તહેવારોની માહિતી આપજો અને બને તો એને ઉજવણીમાં ,મેળાવડામાં પણ લઈ જશો .
શેલ્વીના ભારત આવી પહોંચે છે .હું રહું છું ભાવનગર , સૌથી પહેલાં એને મેં ભાવનગર ની મારી શાળાની મુલાકાત કરાવી .જ્યાં જન્માષ્ટમી ની ઉજવણી થઈ રહી હતી .શાળામાં મનોરંજન કાર્યક્રમ ચાલુ હતો ને એમાં શ્રાવણમાં આવતા બધાજ તહેવારોને સાંકળીને એક સુંદર અને ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્ષાબંધન, નાગપંચમી , રાંધણછઠ , શીતળાસાતમ , જન્માષ્ટમી , પારણાં નોમ , .આ બધાજ તહેવારોને એક કરીને સુંદર નૃત્ય નાટિકા સ્ટેજ પર બાળકોએ ભજવીને એની ઉજવણી ની અને એની પાછળ રહેલી કથાની પણ આબેહૂબ રીતે રજૂઆત કરી .શેલ્વીના તો જોતી જ રહી ! એને તો એટલું બધું આશ્ચર્ય થયું કે આટલા નાનાં બાળકો પણ આટલું સુંદર વર્ણન ને નાટક દ્વારા ભજવી જાણે છે એટલે અહીં ની સંસ્કૃતિ ને જાણે કણ કણમાં વસેલી એણે નિહાળી ને ભાવવિભોર બની ગઇ .
હવે એને આ તહેવારોને વધુ જાણવાની ને માણવાની ઈચ્છા થઈ. મારી સાથે મારા જ ઘરે એ રહી હતી એટલે એણે બોળચોથની વાર્તા ને ગાયની પુજા કરી .જોકે આ વાર્તા એને ગળે ના ઉતરી પણ ભારતીય પરંપરાને એણે સહૃદય વંદન કરીને સ્વીકારી. બીજે દિવસે નાગપંચમી ની પુજાને નિહાળી. મેં પાણિયારે કંકુથી નાગદેવતાનું ચિત્ર દોરીને એની પર રૂ માં થી બનાવેલો હાર પહેરાવ્યો, કુલેર ની પ્રસાદી ધરી ને દીવો કરીને પગે લાગ્યા .શેલ્વીના પણ આમાં શામેલ થઈ હતી .સાંજે ભરાતાં નાગપંચમી નાં મેળામાં લઈ ગઈ .અને શેલ્વીના તો આ બધું જોઈને જ ભાવવિભોર બની ગઈ .
બીજે દિવસે રાંધણછઠ હતી .શેલ્વીના માટે તો આ એક જાણે અજાયબી જેવું જ હતું .એને મેં કહ્યું કે અમે શીતળાસાતમ ને દિવસે ઠંડું ભોજન ખાઈએ , તે દિવસે ચૂલો ના સળગાવીએ , એટલે તે દિવસે જમવા માટે આજે બધી જ સ્ત્રીઓ ઘરે રસોઈ બનાવીને રાત્રે ચૂલો ( ગેસ ) ધોઈને ઠંડો કરીને પછી જ સૂશે .આજે બધાનાં ઘરે શાક , પુરી , થેપલાં , ગુલાબજાંબુ, ગાંઠિયા, ચેવડો, પાત્રા જેવી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવે છે .એને તો આટલી બધી રસોઈ નાં નામથી જ નવાઈ લાગી. વિદેશમાં તો આવું હોય જ નહીં .એને વધારે નવાઈ તો ત્યારે લાગી કે જ્યારે મેં રાત્રે ગેસને ધોઈને ઠંડો કરીને પછી તેની કંકુ ચોખાથી પુજન કરીને પછી સૂતી ત્યારે એણે મને પુછ્યું કે આ શા માટે ?
ત્યારે મેં એને શીતળાસાતમની વાર્તા કહી અને એ સાંભળીને એની આંખો પહોળી થઇ ગઇ. વિચારવા લાગી કે શું ખરેખર આવું બની શકે ખરું ? મને પુછી જ લીધું કે તમે આવી બધી વાતો ને સાચી માનો છો ? ત્યારે મેં એટલું જ કહ્યું કે આ જ તો અમારી સંસ્કૃતિ અને પરંપરા છે જે ધર્મની સાથે જોડાયેલી છે.
બીજે દિવસે શીતળાસાતમ , એટલે ચૂલો પ્રગટાવવાનો નથી એટલે ઘરે પુજા વિધિ પતાવીને શેલ્વીના ને શીતળાસાતમ ના લોકમેળામાં લઈ ગયા .ત્યાં પણ મંદિરમાં દર્શન કરીને મેળાનો ભરપૂર આનંદ માણીને પછી ઘરે આવીને ટાઢું જમ્યા .શેલ્વીના આજે બહુજ ખુશ હતી .આપણા તહેવારોની ઉજવણી ને જોઈને એનું હૈયું ખુશીથી નાચી ઉઠ્યું .
બીજે દિવસે જન્માષ્ટમી ! શેલ્વીના કૃષ્ણ ભક્ત હતી. એટલે આજે તો એનો આનંદ બમણો હતો .મારા ઘરે જ રાત્રે કૃષ્ણ જન્મ ની ઉજવણી કરવાની હતી. આખું ઘર શણગારી ને સુશોભિત કર્યું હતું. હીંડોળો શણગાર્યો હતો . પંજરીની પ્રસાદી તૈયાર કરી. ફૂલહાર , દીવો ધૂપ બધું તૈયાર હતું. રાત્રે બરોબર બારનાં ટકોરે કૃષ્ણ જન્મ કરીને , “ નંદ ધેર આનંદ ભયો , જય કનૈયાલાલ કી, “ ની ધૂનથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું .શેલ્વીના મન મૂકીને નાચી .ખૂબજ આનંદવિભોર બનીને ઝૂમી ઊઠી.
બીજે દિવસે એને હવેલીમાં દર્શન કરવા માટે લઈ ગઈ. પારણાં ને ઝુલાવીને કૃષ્ણ દર્શન કરીને એ ધન્ય ધન્ય બની ગઈ .ઘરે આવીને એણે એની ડાયરીમાં નોંધ કરી કે ખરેખર ભારતની આ પવિત્ર ભૂમી છે જ્યાં નાનાં બાળકો થી લઈને વૃદ્ધો સુધીનાં દરેક લોકો એની સંસ્કૃતિ ને જાળવીને આજે પણ એ પરંપરાને આગળ વધારે છે. અને એથી જ આ પવિત્ર ભૂમિ પર દેવતાઓએ જન્મ લીધો હતો .જે જાણે આજે પણ અહીંના લોક સમુદાયનાં હૈયામાં જીવિત છે .ધન્ય છે આ ભૂમિ ને !!!
આજે હવે એને પરત જવાનો સમય આવી ગયો .ભારે હૈયે મેં એને એક શ્રી કૃષ્ણ ની મૂર્તિ ભેટ આપીને વિદાય આપી .બેઉની આંખોમાં આંસુ હતાં . પણ સાથે જ એક અવિસ્મરણીય યાદ એ સાથે લઈને જતી હતી એનો આનંદ પણ હતો.
બસ આવી છે આપણી ઉત્સવોત્સવ ની પરંપરા .
દીપિકા ચાવડા “ તાપસી “.