ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય રચનાઓ
વિષય : અનરાધાર – મુશળધાર, ફોરા,છાંટા,કરાં,મેઘ , બારેમેઘ ખાંગા, પાણીમેહ – હેલી,મેહુલિયો,વરસાદ” વિષયક રચનાઓ.(તા.૦૪-૮-૨૦૨૧) દિવસ – ૨ (બીજો દિવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG SS NO.0095
વિષય :– અનરાધાર , મુશળધાર
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ રઘુની મનોવ્યથા “
રાધા હીંચકે બેઠી બેઠી પ્રકૃતિને નિહાળતી વિચારી રહી હતી .પોતાનાં પર વિતેલી પીડાને યાદ કરતાં જ પાંપણે અશ્રુ આવીને અટકી ગયા .વરસાદી વાતાવરણે એને ભૂતકાળમાં પહોંચાડી દીધી.
રાધા રઘુને ત્યાં જ રહેતી ને ઘરનું કામ કરતી હતી. એકલી હતી ને પતિનાં અત્યાચારથી ત્રાસીને એક દિવસ સરજૂને લઈને ઘર છોડીને નીકળી ગઈ હતી. બસમાં બેસીને સીધી છેલ્લાં સ્ટેશને જ ઊતરી .ક્યાં જવું એની ચિંતામાં એક ઝાડ નીચે ઊભી રડતી હતી. રઘુ પણ ત્યાં જ થોડે દૂરથી એને જોતો હતો .માનવતા દાખવીને એની પાસે ગયો , જાણ્યું કે એનું કોઈ નથી ને ક્યાં જવું એ નથી ખબર , એટલે પોતાની સાથે ઘરે લાવ્યો .પોતે પણ એકલો જ હતો ને એક સ્ત્રીને બાળક સાથે એકલી ઘરમાં રાખવી યોગ્ય નથી એમ લાગતાં થોડાજ દિવસોમાં બેઉએ લગ્ન કરી લીધા.સરજૂને પિતાનું નામ મળ્યું.
વર્ષો વીત્યાં. આજે ફરી પાછી વરસાદની એક એવી હેલી આવી ને રઘુની સામે ત્રીસ વર્ષનાં દામ્પત્ય જીવનનાં સંસ્મરણો તાજા થઈ ગયા. હૈયે વસેલી રાધાની યાદોની હેલી અશ્રુ બનીને આંખેથી વહેવા લાગી. રાધાનાં મૃત્યુ પછી રઘુ સાવ એકલો પડી ગયો હતો .સરજૂએ રઘુનું મકાન વેચીને શહેરમાં એક ફ્લેટ લીધો હતો. રઘુને એક નાની એવી ઓરડીમાં ભાડે રહેવાની સગવડ કરી હતી.પોતે પરિવાર સાથે શહેરમાં રહેવા લાગ્યો હતો.
સોમો રઘુ માટે ટિફિન લાવ્યો. “ચાલો સાહેબ જમી લો.” રઘુ કહે , “ ના આજે ભૂખ નથી “ “ હેં સોમા , શું મા બાપ આ દિવસો જોવા જ સંતાનોને જન્મ દેતા હશે ? શું એટલે જ ભણાવીને મોટા કરતાં હશે ?” ના ના સાહેબ , જવા દો ને! એ ક્યાં તમારું પોતાનું લોહી છે ? એની આશા ના રાખો .
આજે જો રાધા જીવતી હોતને તો હું એની સાથે એનાં પ્રેમનાં સહારે સૂકો રોટલો ખાઈને પણ જીવી લેત ! પણ હવે રાધા વગર નથી જીવાતું .એમ થાય છે કે ક્યાંક જઈને કૂવો પુરુ ! પણ ના, એ તો પાપ કહેવાય. મારી રાધાનો આત્મા દુભાય!
હે મહાદેવ ! મને મારી રાધા પાસે લઈ લો ને ! હવે નહીં જીવાય એનાં વિના! એટલું બોલતાં જ રાધાનાં વિરહમાં રઘુનાં શ્વાસ થંભી ગયા. બહાર વરસતા વરસાદની હેલીએ રાધાની યાદોએ રઘુનાં શ્વાસને થંભાવી દીધાં.
સોમાની આંખો વરસી રહી ! એ કશું બોલી ના શક્યો….!!
દીપિકા ચાવડા “ તાપસી “.
********************************
NOG SS No. – 0063
વિષય – અનરાધાર, મુશળધાર…
વિભાગ – ગદ્ય
પ્રકાર – માઈક્રોફિક્શન
શબ્દો – ૧૪૨
શીર્ષક – ‘ભાભાનું બ્રહ્મવાક્ય’
મુકુંદરાયની આંખમાંથી વરસતા આંસુ અને મુશળધાર વરસાદે જાણે હોડ બકી હતી. નાસીપાસ, ભાગ્યાં ભાગ્યાં સડસડાટ જાતાં એણે ખેતરના શેઢે પ્લાસ્ટિક ઓઢી બેઠેલા ખેડૂતને અકળાઈને કહ્યું, ‘ અંદર ઝુંપડું છેજ તો એમાં બેસને, અહીં શું કરે છે?’
‘અરેરે, બળ્યા નસીબ. અંદર મૂઠી જેવડાં ઝૂંપડામાં પગ મૂકવાની જગ્યા નમળે..ને અહીં આ મે’ ઝાઝો રહ્યોં તો ઊભી મોલાત ધોવાઈ જાશે.. પણ તમે તમારું કામ કરોને..’ સામો જવાબ પણ એવો જ મળ્યો.
‘અરે, કાચું સોનું વરસે છે.. કાચું સોનું.. મોલાતને તો જીવતદાન દીધું મારા કળીયાઠાકોરે.. ઈ મારો વ્હાલો દ્યે, ત્યારે છપ્પર ફાડી ને દ્યે.
ઈ.. તો.. એનું કામ કરે જ છે. આપણને મુલવણી આવડવી જોઈએ.’ થોડેક આઘે બેઠેલા ભાભાએ હરખાતા બ્રહ્મવાક્ય ઉચાર્યું.
પણ, તમે અહીં ડેમ બાજુ! ક્યાં હાલ્યા શેઠ?’ ભાભાએ આશંકિત પૂછ્યું.
ઘડીવારમાં પોતાના ધોવાયેલા નસીબને નવજીવન દેતાં મુકુંદરાય ખમચાઈને બોલ્યાં, ‘હેં.. બસ પાછો જ વળું છું.’
ખરેખર, જીવનદાતા ગમે એ સ્વરૂપે આવે છે. એ ચોક્કસ..’ મુકુંદરાય મનમાં બોલ્યાં.
✍️ – રીટા ભાયાણી
*************†****************
NOG SS No : 0001
વિષય : અનરાધાર,મુશળધાર
પ્રકાર : ગદ્ય
શીર્ષક : ” પૂજારી ”
વહેલી પરોઢ નો વરસાદ મંડાણો હતો.જાણે આભ ફાટ્યું હોય ! સાજ થતાં સુધીમાં તો વીજળીના કડાકા ભડાકા અને ગડગડાટ કરતો મેહુલો ગાંડોતૂર બન્યો હતો. વાતાવરણને ડરામણું અને ભયાવહ કરી દીધું હતું ચારે બાજુ જળબંબાકાર ! ગામ આખુ ભેંકાર ભાસતું હતું. આવા ભયાનક અને બિહામણા વાતાવરણમાં પણ મહાદેવના મંદિરે પૂજારી આરતી કરીને ઓરડીમાં સુવા આવ્યા હતા. લાઈટ નહોતી એટલે ફાનસના અજવાળે ભગવાનનું નામ રટતા રટતા માળા જપતાં ખાટલે બેઠા.
અચાનક કોઈએ ડેલી નું બારણું ખટખટાવ્યું. પૂજારી વિચારવા લાગ્યા કે આટલી ઘનઘોર અંધારી રાત્રે ધોધમાર વરસાદમાં કોણ આવ્યું હશે ? તેમ બોલતા બોલતા બારણું ખોલ્યું તો સામે એક અજાણ્યો જણ વરસાદમાં પલળેલી હાલતે ધ્રૂજતો હતો. કોણ છો આપ ? રસ્તો ભૂલ્યો છું બાપ ! વટેમાર્ગુ છું . મેઘો મંડાણો છે અને અંધારી રાત છે એટલે ભૂલો પડ્યો છું. રાતવાસો કરવો છે.પૂજારીએ અંદર બોલાવીને એને પોતાનું પહેરણ બદલવા માટે આપ્યું પછી વાતોએ વળગ્યા અને ઘણી બધી વાતો કરી એમાં પૂજારીને જાણવા મળ્યું કે વટેમાર્ગુ માધોપર નો છે. એના બાપા જે એની માને નાનપણમાં દારુણ ગરીબી થી હારીને એકલા છોડીને જતા રહ્યા હતા. શંકર વટેમાર્ગુ નું નામ હતું. એની માનું નામ પાર્વતી અને બાપા શિવલાલ ! જાણે સાક્ષાત્ મહાદેવ નો જ પરિવાર !
શિવલાલ ને બધું જ યાદ આવી ગયું પોતે જ શિવલાલ અને આ એનો જ દીકરો છે જેને એ છોડીને વર્ષો પહેલાં નીકળી ગયો હતો . પાર્વતી આજે જીવનના છેલ્લા મુકામે પડી છે અને એની છેલ્લી ઇચ્છા હતી એના પતિ શંકર નું મોઢું જોવાની. એના પિતા વિશે ક્યાંકથી જાણવા મળ્યું હતું કે એના પિતા સોનગઢ ગામે એક મંદિરમાં પૂજારી છે એ પણ માધોપરના જ છે.
શંકર બાપુ ને શોધતો શોધતો મુશળધાર વરસાદમાં પણ અહીં પહોંચી ગયો અને બાપુ ની ઓરડી માં હતો ત્યાં જ વીજળીના કડાકા ના અજવાળે બેઉની નજર મળી . બેઉના જમણા ગાલે એક મોટું લાખું હતું.એકબીજા ને બેઉ જણા સમજી ગયા અને ઓળખી પણ ગયા ! બેઉની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને એ આંસુ વહેતા પાણી માં વહી ભળી પણ ગયા….તરતજ બેઉ જણ માંધોપર જવા નીકળી ગયા.પાર્વતી ને જોતા જ શિવલાલ ની આંખો ભરાઈ ગઈ.પાર્વતી એ બેઉ ને પાસે બોલાવ્યા..પછી તો ત્રણેય એકબીજા ને ભેટીને,વળગીને હરખ ના આંસુ વહાવતાં મુક બની એકબીજા ને નિહાળતા રહ્યા…..
પ્રદીપ રાવલ.સંચાલક
*************†*****************
NG/022
વિષય : અનરાધાર
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : ઘૃણા
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
બહાર કાજળઘેરા અંધકારે પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. કાળા વાદળો પાછળ ચંદ્ર છુપાઈ ગયો હતો. વરસાદે ધીમૈ ધીમે વરસવાનું શરૂ કરી દીધું હતું. ઇન્સ્પેક્ટર રમેશે ઘરે આવીને કપડાં બદલ્યાં જ હતાં અને જમવા બેસવાનો હતો તે જ સમયે તેનો ફોન રણક્યો.
કૉલ કરનાર હવાલદાર માથુર હતો. તેણે કહ્યું, “સાહેબ, જલ્દી આવો, માલ રોડ ઉપર એક લાશ મળી છે.”
રમેશે તરત પોતાની વર્દી પહેરી લીધી. માલ રોડ એરિયા તેના હસ્તક હોવાને લીધે તે પત્નીને તરત આવું છું એટલું કહીને ઝડપથી નીકળ્યો. વરસાદ ધીમો પડી ગયો હોવાને લીધે રેઈનકોટ પહેરવાની દરકાર કર્યા વગર જ બુલેટ ઉપર બેસી ગયો. માલ રોડ ઉપરના બંગલામાં લાશ મળી હતી.
લાશનો ચહેરો જોયા પછી તેના શ્વાસ બે ઘડી માટે થંભી ગયા. લાશ અનુપમાની હતી. તેની નજર સામેથી કોલેજકાળ પસાર થઈ ગયો. જેની સાથે જીવન જીવવાનાં સપનાં જોયાં હતાં, તે અનુપમા પત્રકારિતાનો અભ્યાસ કરવા માટે મોટા શહેરમાં ગઈ. તેનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ નાકામ રહ્યો અને આજે મળી તે પણ લાશ સ્વરૂપે. હજી પણ તેનો ચહેરો સોહામણો લાગી રહ્યો હતો, જાણે હમણાં જ ઉઠીને કહેશે, “ચાલ રમેશ, કોફી પીવા જઈએ.”
તેણે હવાલદારને પંચનામું કરવા કહ્યું અને પોતે ત્યાં હાજર રહેલ લોકોની પુછપરછ કરવા લાગ્યો. તેણે નોકરને પૂછ્યું, “ખૂન થયું ત્યારે તું ક્યાં હતો?”
“સાહેબ, હું બજારમાં શાકભાજી લેવા ગયો હતો. બેન પોતાના કોઈ મિત્રને શોધવા માટે જ શહેરમાં આવ્યાં હતાં. તે કોઈ મોટા ષડયંત્ર વિશે વાત કરી રહ્યાં હતાં.”
કાર્યવાહી પૂર્ણ કરીને તે બહાર નીકળ્યો. મગજમાં અનેક વિચારો શરૂ થઈ ગયા. એક નનામો કોલ, મંત્રી વિરુદ્ધ પુરાવાઓ આપવાની ખાતરી, સાહેબને કોલ, શાંતિ રાખવાની વાત, એક મોટી બેગ, આંખોમાં ચમક.
તેણે બુલેટને કીક મારી અને ઘરે જવા નીકળ્યો. આસમાનમાંથી અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો અને એટલી જ અનરાધાર ઘૃણા તેના મનમાં પોતાના માટે વછુટી.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા
“”*****************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- વરસાદી માહોલ
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- હેતની હેલી..દીકરી
ચોમાસાની ઋતુ એટલે પ્રકૃતિના નવસર્જનની અને સર્વત્ર મન મૂકીને માત્રને માત્ર વરસવાની સાથે કંઇક આપી છૂટવાની ઋતુ.
*છૂટ ગગનમેઘની સલિલધાર, આવે ધરા;*
*તૂટે તિમિર શાં પડો, સ્વપન સર્વ થાતાં ખરાં:*
*ઝૂલે પવનમાં ફળો, હરિત પાન ડાળે ઝૂલે;*
*વિશાળ વડ આજ એ વિહગગીતને સાંભળે.*…
કવિ શ્રી પ્રહલાદ પારેખની આ પંક્તિઓ જોતાં….
જ્યારે આકાશેથી અમૃત જલધારા ધરતી પર વરસે ત્યારે.. બીજાંકુંરો ધરાનાં તિમિર પડોને તોડીને ફૂટી નીકળે છે. ધરતી હરિતવર્ણી થઈને નવપલ્લવિત થાય છે. ફળો, ફૂલો પવન સાથે ડોલી ઊઠે છે. વટવૃક્ષ પર પંખીઓ કિલ્લોલ કરે છે..
ચોમાસું અને એમાંય.. ચારેબાજુ ગોરંભાયેલા આકાશમાં ભલે મેઘવર્ણી છતાંય.. લીલાગર્ભથી ભરેલી વાદળીઓ પુરા મહિનાની ગર્ભિણી હોવા છતાં પ્રગલ્ભાની જેમ ધીમે પગલે અહીં-તહીં વિહરે છે.
ત્યારે તાજી પ્રસવમાંથી ઊઠેલી ઠાલી વાદળી સખીઓ ઝડપથી તેની સમીપ સરકી જાણે… કાનમાં કંઈક કહીં વીજળી રૂપી હાથતાળી આપી હસે છે.. ત્યારે તેમનું ખડખડાટ હાસ્ય ચોતરફ પડછાય છે.
સખીની મીઠી ટીંખર સાથે પાછી ગર્ભિણી વાદળી પોતાનાં ભાવિ સુવાળાં સપનામાં સરી પડે છે.. પોતાના પ્રસવના જલ સ્પર્શે ગર્ભિણી ધરતી પણ નાનાં બાળતરૂથી માતૃત્વ ધરશે ને સમગ્ર સૃષ્ટિ માનાં પયપાન થકી તૃપ્ત થશે.
25 વર્ષ પહેલાંની ૨૮ જુલાઇની આવી જ એક ચોમાસાની હેતાળ હેલીથી ગોરંભાયેલી સાંજે એક પ્રસૂતા ભાવિનાં લીલાં સપનાં સાથે કણસી રહી હતી બરાબર રાત્રિના ૯:૪૫ કલાકે સુંદર ચાંદના ટુકડાને એ ખોળે ધરે છે..
ચાર-પાંચ દિવસથી જામેલ હેલીથી ધરાનાં ખોળે બાળતરું અને માની આંખેથી વહેતાં હર્ષાશ્રુની હેલીથી લાડલી દિકરી ભીંજાતાં હતાં…
હા.. મારું પ્રથમ સંતાન.. મારી દીકરી.. મારી *હેતની હેલી*… એ મારું સમગ્ર ઘર કિલ્લોલતું કર્યું.. વડદાદાએ રાજી રાજી થઈ હેતે અમીસાર્યા ને.. નવી ડાળનાં નાના નવા પંખીને આવકાર્યું…
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*