ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની પાંચ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : સવાર.બપોર.સાંજ.રાત
..સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyadnews
NOG SS NO.0031
વિષય:-રાત
પ્રકાર:- ટૂંકો લેખ
શીર્ષક:-રાતનું સૌંદર્ય
કોણે કહ્યું કે રાત હંમેશા ડરાવણી અને ભયાનક જ હોય છે? ચાલો આજે આપણે થોડું રાતનું સૌંદર્ય જાણીએ
જેમ વહેલી સવારનું એક સૌંદર્ય છે તો રાતનું પણ એક આગવું જ સૌંદર્ય છે.
પૂનમની અજવાળી રાત તો બધાને ગમે છે પણ ક્યારેક અમાસની રાતને ભયાનક રીતે જોવાને બદલે એને એક અલગ નજરથી જોઇશું તો તેમાં પણ સુંદરતા દેખાશે.
અમાસની મધરાતે અગાસી પર જઇને આકાશમાં જોઇશું તો ટમટમતાં તારલાં કેટલા સુંદર દેખાય છે જાણે કોઇ સુંદરીની ઓઢણીમાં હીરા ચમકતાં હોય તેવા .આ તારાઓને રોજ તો ચંદ્ર તેના અજવાળા વડે તે તારાઓનાં પ્રકાશ ઢાંકી દેતો હોય છે.પણ, આ તારાઓને અમાસની રાતે પોતાની સુંદરતા દેખાડવાની તક મળે છે.
રાતે દૂર દૂરથી સંભળાતો તમરાનો અવાજ ક્યારેક ડર રાખ્યા વગર સાંભળશો તો તેમાં પણ સંગીતનાં સૂર સંભળાશે.અને રાતે ક્યાંક દૂર દેખાતો આગિયાનો ટોળાનો પ્રકાશ કેવો કમાલ હોય છે?
અને રાતે ખિલતા રાતરાણીનાં ફૂલોની સુગંધનું તો કહેવું જ શું? એ તો એ સુગંધ જેણે માણી હોય તે જ જાણી શકે.
અને જો રાત આવતી જ ન હોત તો આપણે નવી સવાર સાથે એક નવી ઉમંગ સાથેનો દિવસ કેવી રીતે શરૂ કરત?
આમ પ્રકૃતિનું સૌંદર્ય આપણે જેટલું દિવસે માણી શકીએ છીએ એટલું જ પ્રકૃતિનું સૌંદર્ય આપણે રાતે પણ માણી શકીએ છીએ.બસ આપણે રાતને થોડી નજર બદલીને જોવાની જરૂર છે.
મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
**************************************”
NOG SS No.0007
વિભાગ – ગદ્ય
વિષય – સવાર,બપોર, સાંજ,રાત
પ્રકાર – લેખ
શીર્ષક : ચાર પ્રહર
સવાર, બપોર, સાંજ અને રાત. ૨૪ કલાકના સમયના આ ચારેય વખતનો પોતાનો એક જુદો રૂઆબ અને રુતબો. સવારનાં સમયે ભાસ્કર પોતાના સાત અશ્વો પર જેમ જેમ ધરતી તરફ આવતો જાય તેમ તેમ ધરતી અંધારાના ઓળાંને દૂર હડસેલી પોતાની બંને બાંહો ફેલાવી ભાસ્કરને આવકારતી ઊભી હોય એવી લાગે. દરેક રહેવાસીનાં ઘરમાં રસોડામાં સવારની મસાલા ચહાની એક અલગજ મહેક મગજને તરોતાજા કરી મૂકે. સવાર સવારમાં ઠાકોરજી ને જગાડવા વગાડાતી ઘંટડીનું સંગીત વાતાવરણને આહ્લાદક અને ભક્તિમય બનાવે છે. તાજીજ નાહીને નીકળેલી; ભીનાં વાળે ટુવાલ વીંટતી ગૃહીણી વિશ્વ સુંદરીથી કમ ન લાગે.આ છે સવારનો રુઆબ. પછી ભાસ્કર જાણે ધરણીનું નિરીક્ષણ કરતો હોય એમ ધીરે ધીરે આગળ વધે અને આગળ વધતાં વધતાં પાછળથી સવારને સંકેલતો જાય અને બપોરનો તડકો તપાવતો જાય. આખી ધરા પર જાણે સોનું પાથરી દીધું હોય એમ ધરા રવિના તડકાથી ચમકી ઊઠે અને રવિના તડકાથી તપ્ત થયેલી ધરા જાણે સૂરજને કહેતી હોય, “અલ્યા દિવાકર થોડો ધીમો પડ, મારા ચહેરાની લાલી ઝાંખી પડે છે તારા તાપથી.” બીજી બાજુ બપોરનાં પોતાનાં જઠરાગ્નિની અગન ઠંડી કરવા કોઈ હોટેલમાં જાય છે,તો કોઈ ઓફિસમાં પોતાના ટિફિનની રાહ જોતું બેઠું હોય, તો વળી કોઈ નસીબદાર ઘરમાં બેસી પત્ની કે માતાનાં હાથના ગરમા ગરમ ફુલકાં રોટલી, દાળ- ભાત શાકને ન્યાય આપતું દેખાય. આ છે બપોરનો ઠાઠ. હવે તો રવિ પણ પોતાની ધરતી ને જોઈને ગેલમાં આવી ગયો હોય એમ ધીમો પડે છે. ટાઢો પડે છે અને જાણે ધરતી સાથેના મિલનની ઘડી નજીક આવી રહી છે જાણીને પોતે ૫ણ કેસરિયો વેશ ધારણ કરી લે છે. જે જોઈને ધરતી પણ જાણે ઝૂમી રહી હોય અને ઠંડા વાયરામાં ઝૂલતાં વૃક્ષો, વેલીઓ, વનરાજી તેની સાક્ષી પૂરતાં હોય એમ લાગે છે. ધીરે-ધીરે રવિ પોતાનાં એ જોશને સંકોરતો હોય એ રીતે તાપ ઓછો કરતો જાય અને જાણે ધરણીની બાહોમાં ઓગળી રહ્યો હોય ત્યારે ધીમે પગલે સંધ્યા આવી પહોંચે છે. સંધ્યામાં મંદિરોમાં થતો દિવાનો ઝગમગાટ, ભગવાનની શયનની આરતી આપણને આ દુન્યવી દુઃખોથી થોડીક વાર માટે દૂર લઈ જાય છે. ત્યાર પછી વારો આવે છે રાતનો; એનું તો કામજ છે થાકેલાંને વિસામો આપવાનું. આખા દિવસની રઝળપાટને અંતે માનવી રાત્રિનાં સાંનિધ્યમાં પોતાનો બધો થાક વિસરીને નિરાંત અનુભવે છે અને રાત્રીનાં સાંનિધ્યને ભોગવીને પોતાના જીવનને આગળ ધપાવવાની રેસ માટે પોતાની જાતને ફરીથી તૈયાર કરે છે.આ રીતે રાત્રી પર નિંદ્રા દેવીનું આધિપત્ય સ્થાપિત હોય છે. આ રીતે ચારે પ્રહરનું પોતાનું એક આગવું આધિપત્ય અને મહત્વ છે.©️
આરતી મરચંટ
મુંબઈ : કાંદિવલી.
******************************************
*NOG SS No.0081*
*NOG સાહિત્ય સરિતા*
*પ્રકાર : ગદ્ય*
*શીર્ષક: કુદરતની કૃપા એટલે
સવાર, બપોર, સાંજ*
શુભ સવાર,પરોઢ, પ્રભાત જેવાં શબ્દોથી આપણે જેને નવાજીએ છીએ એ છે દિવસની શરૂઆત,સવાર! પ્રફુલ્લતા એ એનું નજરાણું. એનું કારણ મુખ્ય તો સૂર્યના દર્શન. સૂર્ય એ ઊર્જાનો અવિરત સ્ત્રોત છે અને દરેક સવાર નવી ઊર્જા સાથે કામ કરવા માટે પ્રેરે છે. ‘સુબહ કા ભૂલા શામકો ઘર આયેગા”,”સુબહા કભી તો આયેગી””કાળી રાત વીતી જશે અને હમણાં સવાર પડશે “જેવા આશા ભર્યા શબ્દોથી સવારને આપણે હંમેશા શુભ શરૂઆત તરીકે જોઈએ છીએ. રાત્રે સૂતી વખતે દિવસભરની ચિંતા ,થાક ,ક્રોધ અને ઈર્ષા બધું જ જાણે રાત સાથે ધોવાઈ ગયું હોય એવી ઈચ્છા રાખીને માનવી સવાર પાસે નવું જાણવાની, નવું કરવાની કે નવું શીખવાની અપેક્ષા રાખે છે .કોઈપણ કામની શરૂઆત દિવસમાં ગમે ત્યારે કરી શકાય છે એ ખરું, પણ સવારે મગજ એક નવી કોરી પાટી જેવું હોય છે. એને આપણે કેટલાં સુવિચારો, શુભ આશય કે શુભેચ્છાઓ દ્વારા ભરી શકીએ એ આપણાં પર નિર્ભર રહે છે.આમ સવાર એટલે આપણી દૈનિક દોડનું પ્રારંભ સ્થાન,એ જેટલી પ્રસન્ન અને સકારાત્મક એટલો જ આપણો લક્ષ્યની મંઝિલ સુસહ્ય.સવાર તો સૌ માટે આશાનો પેટારો,માનવ,પશુ , પંખી કે કીટક.
બપોર એટલે બીજો પોરો.આપણે પોરો ખાઈએ , થોડો વિશ્રામ લઈએ અને બાકી રહેલા દિવસ આયોજન સાથે પાર પાડવાની સંધિ મેળવીએ. આમ તો બપોરે વામકુક્ષીનો એક છૂપો આનંદ. પણ આ વિધિ છે જમ્યા બાદ ડાબે પડખે જાગતાં સૂઈ રહેવાની. નાનકડી મીઠી પળો જે આરોગ્ય માટે પણ જરૂરી છે એમ કહેવાયું છે. હોજરીનાં પાચક રસો ખોરાક સાથે આ સ્થિતિમાં સારી રીતે ભળી એને સુપાચ્ય બનાવે છે.આ એક ટૂંક સમયની આરામ કરવાની રીત કહો કે જમ્યા બાદ પાચનને સુવિધા આપવાની રીત કહો. આપણા શાસ્ત્રોમાં પણ સૂચવાયું છે .આપણે આને બદલે બે-અઢી કલાકની નીંદર તાણી લઈએ છીએ જે આરોગ્ય માટે સારું નથી. ઉપરાંત આપણે અજવાળાનો કેટલો મોટો સમય આમ સૂવામાં કાઢી નાખીએ એ પણ એક સમયનો વેડફાટ તો ખરો જ. સમય સાથે તાલ મેળવવા અજવાળામાં, સૂર્યપ્રકાશમાં બને તેટલી ક્ષણોનો સદ્ઉપયોગ કરી શકીએ . ધોમધખતા તડકાને જીવનનાં એવા તબક્કા સાથે સરખાવી શકાય કે જ્યારે આયુષ્યનાં એક એવાં કાળમાં આપણે મથી રહ્યાં હોઈએ છીએ અને ઝઝૂમી રહ્યાં હોઈએ છીએ ત્યારે કોઈનો હૂંફ ભર્યો સાથ કે સ્નેહભર્યા બે બોલ ખૂબ જ શાતા આપે જેવી રીતે બળબળતી બપોરમાં ઠંડા પાણીના બે ઘૂંટડા. સમય તો વણથંભ્યો છે એ તો પસાર થઈ જવાનો જ છે. કોઈનાં સથવારે કે કોઈનાં વિરહમાં.ઘણીવાર એને પસાર કરતાં કરતાં માણસ હાંફી જાય છે, થાકી જાય છે એવું જ બપોરનાં સમયે થાય છે . 12- 14 કલાકની જાગૃત અવસ્થામાં આ બે- ત્રણ કલાક જે દઝાડતાં હોય છે એનાથી આપણે હમેશાં દૂર ભાગતાં હોઈએ છીએ. બળબળતી બપોર પછી સુખદાયક સાંજ આવવાની છે એ ખબર હોવા છતાં પણ આપણને બપોર ઘણીવાર અસહ્ય લાગે છે. આવું જ જીવનમાં થાય છે .કસોટીઓ થાય, પરીક્ષાઓ થાય ,અંતરાયો આવે ત્યારે આપણાથી દુઃખી કોઈ નથી એવો આભાસ થાય છે અને તેમાંથી પાર પાડવાનું સૂઝતું નથી.
બપોર પછી સૂરજદેવ થોડાં ધીમાં પડતાં ,હસતાં હસતાં સંધ્યાને મળવા જાય છે ત્યારે એનાં આગમનમાં સંધ્યા રંગોની સજાવટ કરે છે અને એનો આપણને સહર્ષ આનંદ થાય છે. છેક ત્યારે આપણી હિંમત થાય છે સૂરજ સામે જોવાની. ત્યાં સુધી તો સૂરજની ગરમી આપણાં અસ્તિત્વને ઓગાળી નાંખવાની હોય એવી અનુભૂતિ થાય છે.સાંજ થતાં અનેક લાગણીઓ આશાઓ સાથે આખા દિવસનો થાક મનુષ્ય ,પ્રાણી-પંખીઓને ઘર તરફ વાળી દે છે.પોતાના સ્વજનોની સાથે આખા દિવસની વાતો કરવાનો, અનુભવો છેડવાની મનમાં એક ઉત્સુકતા હોય છે. તેમની સાથે પગ વાળીને બેસવાનું કે વિચારોની આપ-લે કરી હળવા થવાનો એક આશય હોય છે.
રંગ ભરી સાંજને વધુ જાણવા આપણે ઘરેથી કે પ્રવાસે ગયા હોઈએ ત્યારે જુદી જુદી જગ્યાએથી સૂર્યાસ્ત માણવાનું ચૂકતાં નથી. કુદરતનાં અદભુત નઝારાને આપણે કંઈ કેટલાંય વિચારો સાથે માણીએ છીએ અને સૂરજદાદાને બીજાં દિવસે વહેલાં પધારવા વિનંતી કરી વંદીએ છીએ. આ વખતે ઘણીવાર પ્રશ્ન થાય છે કેટલા ઉમંગથી આપણે સૂર્યાસ્ત માણીએ છીએ એટલી જ સ્ફૂર્તિથી સૂર્યોદય માણવા પણ પહોંચી જઈએ તો! ઘણાંય આરોગ્યનાં પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવી શકે. સૂર્ય ઊર્જા સ્તોત્ર પ્રભાતે પણ એટલો જ રંગબેરંગી અને સુખદાયી હોય છે જેટલો સમી સાંજે.સૂર્યાસ્ત બાદના આકાશી રંગો આપણને શીખવે છે કે કિરદાર સશક્ત હશે તો તમારી ગેરહાજરી પણ મનનીય રહેશે!
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
******************************************
NOG SS No : 0063
NOG સાહિત્ય સરિતા
વિભાગ : ગદ્ય
પ્રકાર : માઈક્રોફિક્શન
શીર્ષક : કાળો આશીર્વાદ
“દાદીમા, તમે કેમ હંમેશા એવું જ કહો કે કુદરતે દિવસ-રાતનું જે કંઈ ચક્કર કર્યું છે,એ સઘળું ક્ષેમ છે?
મને તો.. રાત જરાયે ના ગમે. કેવી ડરામણી ને બિહામણી. કોઈને કંઈ દેખાય નહીં, બહાર જતાં પણ બીક લાગે.”
“હા, તું તો એક રૂમમાંથી બીજામાં જતાં પણ બીવે.. ફટ્ટુ..”
બન્ટીએ રાહીલની મજાક કરી..
“જુવોને દાદીમા, તમને ખરેખર રાતે બીક ના લાગે.”
રાહીલ પગ પછાડતો,લાડ કરતો બોલ્યો.
બેટા, દરેકનું પોતાનું આગવું મહત્વ છે, સ્થાન છે. ક્યારેક અંધારું આશીર્વાદ બનતું હોય છે. કાળો રંગ, કાળી રાત, કાળો આંચળો ઘણીવાર રાક્ષસોથી,આસુરી તાકાતોથી કે લોકોથી આપણને બચાવે કે બચીને ભાગવામાં મદદ કરે છે. જે દિવસના ઉજાસમાં થાય એમ નહોતું એ કામ, એ અમે ૨૭ જણાં ઘરબાર, જમીન જાયદાદ બધું છોડી ઈજ્જત અને જીવ બચાવી રાતનો આંચળો આઢીને…
સો તોલા સોનું ને લાખો રૂપિયા ભરેલી તિજોરી મૂકીને રતન જેવી દીકરીઓની લાજ ને તારા બાપને કાખમાં ઘાલી હાલી નીકળ્યા હતાં.
તે દિવસે મેઘલી કાળી રાત જ સહારો બની હતી.નેવુંના દાયકાની એ રાતની યાદે મુંબઈના અદ્યતન ,આલીશાન ફ્લેટના સત્યાવીસમાં માળે ભીની દરિયાઈ લહેરોને નીરખતાં સુલોચનાદેવીને પરસેવે રેબઝેબ કરી દીધાં.
– રીટા ભાયાણી
મીઠાપુર
****************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
વિષય : સવાર,બપોર,સાંજ….
શીર્ષક : સવાર એટલે શું? (લેખ)
NOG SS No :0052
કુદરતની કારીગરીને દાદ દેવી પડે હો,સૃષ્ટિનું સર્જન કરતા સમયે તેને કેટલુંય વિચાર્યું હશે?આ સવાલ મને થયો,લાવ તમને પણ પૂછી જોઉં.હું જ એકલો શું કામ મુંઝાયા કરું? હા….હા…હા..
ગજબ છે આ કુદરતની કારીગરી,સૂર્યોદય થયો નથી કે પ્રકૃતિ નવચેતન પામી નથી,સવાર પડતાં જ જાણે જડ બનેલી , પ્રાણ વિનાની લાશ બનેલી આ સૃષ્ટિ કેવી ખીલવા લાગે છે.
પશુ,પંખીઓ,વૃક્ષો,મનુષ્યો એક અલગ જ ઉર્જા,તાજગી સાથે રોજ નવો અધ્યાય આરંભે છે.
આ તાજગીનો ખરો અનુભવ તો શહેરી કરતાં ગામડાંમાં અલગ રીતે જોવાં મળી જાય.પશુઓનું ભાભરવું,એ મંદિરનો ઘંટારવ,ભજન,કીર્તન સંભળાય,ગામની સ્ત્રીઓ કૂવેથી,નદીએથી પાણી ભરતી જોવાં મળે,છોકરાંઓ નદી,તળાવમાં મોજથી ન્હાતા હોય,સવારનો ખરો આનંદ માણવો હોય તો ગામડે એક લટાર મારી તેની અનુભૂતિ કરવી જ રહી.
મનુષ્ય જાતિ માટે શહેરી વિસ્તારમાં સવાર એટલે એક ટાઈમટેબલ, રૂટીન,જોગીંગ,ચા-કોફીની ચુસ્કી લગાવતાં લગાવતાં છાપું વાંચવું, કયાંક પૂજા પાઠ સાથે શરૂ થતો દિવસ,અરે !સ્ત્રીઓની સવાર તો રસાડેથી શરૂ થતી જોઈ શકાય છે.
ઘણીવાર વિચાર પણ આવે કે રોજ સવાર પડતા આ ધમધમાટ,રસ્તા પર અવરજવર, ટ્રાફિક સિગ્નલ પર ચક્કાજામ,રેલ્વે સ્ટેશને,બસ સ્ટેશને આટલી ભીડ આવે છે તો આવે જે કયાંથી? સવાર એટલે માત્ર સવાર જ નહીં,ઘણી આશાઓ સાથે એક એવો ઉગતો દિવસ જેનો અંત સાંજ સાથે વિરામ પામે છે ,આ સવારથી સાંજ સુધી ન જાણે આપણી આસપાસ અગણિત ક્રિયા ચાલતી હશે,તેમાં કેટલી ઘટના,બનાવ બનતાં હશે?
દિવસની વાત રહેવા દયો ,’એક સેકન્ડમાં જ તો.. જન્મ,મરણ,ખુશી,દુઃખ,આશા,નિરાશા,ઉપલબ્ધિ,નાકયાબી,હાર,જીત,બનવાજોગ,ન બનવાજોગનો આખો ઘટનાક્રમ યથાવત રહેતો હશે ?’ શાંત ચિતે વિચારીએ તો “પશ્ર થઈ આવે કે આપણે જન્મ લીધો જ શા માટે ?’
બસ સવારની આતુરતાથી રાહ જોવાની,પછી કામધંધે લાગવાનું,સાંજ પડતા પશુ,પંખીઓ તેમનાં રહેઠાણમાં પરત ફરે તેમ આપણે પણ ખીલે બંધાવાનું, માળામાં ફરવાનું.શું આ જ જીવન છે?
પશુ પંખીઓ તો તેમની મનમરજીથી જાતે ફરે ,પણ..મનુષ્ય છીએ એટલે શું કરીએ ?તે ઓપ્શન પણ નથી આપણી પાસે,જવાબદારીઓ માથે લઈને જો બેઠાં છે તો…જોકે આજ જવાબદારીઓ રોજ સવારે જગાડે છે.તે પણ એટલું જ સત્ય છે.
સંજય તરબદા “સાંજ”
વડોદરા