મને એમ હતું કે ૨૦૨૦નું કારમું વર્ષ જેવું ગયું છે તો આ નવા વર્ષે તો જરા ખમૈયા કરશે પણ ખબર નહિ કેમ લાગે છે કે ઈશ્વરનાં દરબારમાં પણ મનોરંજનની ખોટ પડી છે. એટલે એક પછી એક બહુમુખી પ્રતિભાઓ અનંતની યાત્રા એ નીકળી પડી છે. આજે ગુજરાતી સિનેમાના સુવર્ણ ઇતિહાસના સાક્ષી રહેલા અરવિંદ જોશી પણ આ યાત્રા એ નીકળી પડ્યા.
ગુજરાતી રંગભૂમિનું એક દિગ્ગજ નામ એટલે અરવિંદ જોશી. ઉત્તમ કલાકાર, નાટ્યકર્મી, નિર્માતા અને બોલિવૂડ અભિનેતા અને એ છતાંય મોટા ભાગે સવારથી જ્યાં જુવો ત્યાં શરમન જોશીનાં પિતાનું નિધન થયાના સમાચાર સાંભળી થોડું વધારે દુઃખ પણ થયું. આ એમની સાચી ઓળખ કેવી રીતે હોઈ શકે? એમની ઓળખ શરમન જોશીનાં પિતા કરતા ઘણી વધારે છે. એક આખી પેઢીને આ નામ ખુબ સારી રીતે જાણે છે કે જેમના આમ ચાલ્યા જવાથી ગુજરાતી સિને જગત અને રંગભૂમિને કદી ન પુરાય એવી ખોટ પડી છે.
કદાચ આ એક જ એવું ગુજરાતી પરિવાર હશે જેના પરિવારનાં મોટા ભાગનાં સભ્યો અભિનય ક્ષેત્રે સંકળાયેલા છે. અરવિંદ જોશીને બે ભાઈ પ્રવીણ જોશી અને હેમંત જોશી. હેમંત જોશી એટલે મુંબઈમાં નાટકના મોટા ગજાના કલાકાર, પૃથ્વી થીયેટર અને રાજ કપુર સાથે કામ કરેલું, તેમની પુત્રી પુનમ જોશી પણ અભિનેત્રી. પ્રવીણ જોશીને કદાચ જ કોઈ નહિ ઓળખતું હોય અને જે નહિ ઓળખતું હોય એ ગુજરાતી તો નહિ જ હોય. પ્રવીણ જોશીનાં પત્ની એટલે સરિતા જોશી અને સરિતા જોશી એટલે સ્વ.પદ્મારાણીનાં બહેન. આ બંને દિગ્ગજ નામો જે કોઈ પણ પ્રકારનાં પરિચયનું મહોતાજ નથી. સરિતા જોશીની બંને દીકરીઓ પૂર્બી જોશી અને કેતકી દવે બંને અભિનય ક્ષેત્રમાં ખુબ આગળ પડતા. કેતકી દવેનાં પતિ રસિક દવે પણ એક ઉત્તમ કલાકાર અને એમની દીકરી રિદ્ધિ દવે પણ એટલી જ સરસ અદાકારા.
અરવિંદ જોશીનાં પોતાના બંને સંતાનો શરમન જોશી અને માનસી જોશી રોય. અરવિંદ જોશીનાં પુત્ર શરમન જોશી જે પોતે એક ઉત્કૃષ્ટ અભિનેતા છે અને એમણે પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા સાથે લગ્ન કર્યા છે, જ્યારે તેમની દીકરી માનસી જોશીએ અભિનેતા રોહિત રોય સાથે લગ્ન કર્યા છે. રોહિત રોય એટલે અભિનેતા રોનિત રોયનો ભાઈ. આ બંને ભાઈઓ પણ ખુબ સરસ અભિનેતા. અરવિંદ જોશી અને એમના પરિવારને ધ્યાનમાં રાખી જો આ પંક્તિ હું ટાંકુ કે ‘જ્યાં જ્યાં નઝર મારી ઠરે ત્યાં ત્યાં કલાકારોની યાદી ભરી છે’ તો એમાં જરાય અતિશયોક્તિ નથી લાગતી.
ઈ.સ. ૧૯૬૧માં ‘ચૂંદડી ચોખા’ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરનારા અરવિંદ જોશીએ ‘કંકુ’, ‘વેલીને આવ્યાં ફૂલ’, ‘જનમટીપ’, ’રા માંડલિક’, ‘વેરનો વારસ’, ‘ડાકુરાણી ગંગા’, ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘ગરવો ગરાસિયો’, ‘ઢોલા મારૂ’, ‘નાણાં વગરનો નાથિયો’, ‘ફૂટપાથની રાણી’, ‘વણઝારી વાવ’ જેવી સંખ્યાબંધ જાણીતી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ગુજરાતી નાટ્યજગતમાં તેમણે અભિનેતા ઉપરાંત લેખક, દિગ્દર્શક, નિર્માતા જેવી અનેકવિધ ભૂમિકાઓ ભજવી હતી. અરવિંદ જોશીએ સુગંધનો દરિયો, બરફના ચેહેરા અને દર્પણની આરપાસ જેવા નાટકો પોતે લખ્યા છે. સાથે જ તેમણે ઘણા નાટકો પ્રોડ્યુસ કર્યા છે અને ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે. તેમના નામે ‘એની સુગંધનો દરિયો’, ‘ખેલંદો’, ‘બરફના ચહેરા’, ‘દર્પણની આરપાર’, ‘સળગ્યાં સૂરજમુખી’, ‘લેડી લાલકુંવર’, ‘બાણશૈયા’ જેવાં કેટલાય નાટકો બોલે છે.
અરવિંદ જોશીએ ગુજરાતી નાટક ઉપરાંત ઘણી બધી હિન્દી સીરીયલમાં પણ તેમના અભિનયના ઓજશ પાથર્યા હતા. ગુજરાતી ફિલ્મો સિવાય અરવિંદ જોશીએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું પ્રદાન કર્યું હતું. ક્લાસિક હિટ ફિલ્મ ‘શોલે’માં તેમણે અભિનય કરવા ઉપરાંત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે રાજેશ ખન્ના-નંદા સ્ટારર ફિલ્મ ‘ઇત્તેફાક’માં યશ ચોપરાને આસિસ્ટ કર્યા હતા. આ ઉપરાંત ઈ.સ. ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘અપમાન કી આગ’માં તેમણે ઇન્સ્પેક્ટર પ્રભાકરની ભૂમિકા ભજવી હતી. સંજય દત્ત-કુમાર ગૌરવને ચમકાવતી મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ ‘નામ’માં પણ અરવિંદ જોશીએ પૂનમ ધિલ્લોનનાં પિતાની ભૂમિકા ભજવી હતી.
અરવિંદ જોશીએ તેમના ભાઈ પ્રવીણ જોશીની સાથે ખેલંદો, રાહુ કેતુ જેવા આઈએનટી દ્વારા પ્રોડ્યુસ કરાયેલા નાટકોમાં પણ કામ કર્યું છે. પ્રવીણ અને અરવિંદ બંન્ને ઘણાં વરસો આઈએનટીમાં સાથે રહ્યા પછી અરવિંદભાઈએ આઈએનટી છોડવાનું નક્કી કર્યુ અને પૂછયું, “પ્રવીણ હું મારી સંસ્થાનું નામ શું રાખું?” પ્રવીણભાઈ કહે, “અરવિંદ તું આઈએનટી માંથી જઈ રહ્યો છે, પ્રસ્થાન કરી રહ્યો છે તો પ્રસ્થાન જ નામ રાખ” જે એકી અવાજે બધાએ વધાવી લીધું.
દેવેન્દ્ર ભાઈ એ એમના પ્રવીણ ભાઈ વિશેના લેખમાં બંને ભાઈઓનો એક મજાનો પ્રસંગ લખેલો જે એમના જ શબ્દોમાં ટાંકુ છું. “બંને ભાઈઓનું નાટક એટલે ‘ખેલંદો’. પ્રવીણ જોશી અને અરવિંદ જોશીનું નાટક, બે જ પાત્રો. એમાં ઇન્ટરવલ પહેલાંની પાંચ મિનિટ પહેલાં અરવિંદને પ્રવીણ સીડી ઉપર રિવોલ્વર ધરે છે અને અરવિંદ પ્રવીણ પાછળ ધીરે ધીરે સીડીનાં પગથિયાં ચડતો હોય એવું દૃશ્ય છે. Dull light ને Horror music વચ્ચે સીન હોય છે. એક રાત્રે શો પત્યા પછી અરવિંદ પ્રવીણભાઈને અમારી હાજરીમાં કહેતો હતો, ‘પ્રવીણ તું આવી રીતે મારી સામે ન જો મને ખરેખર બીક લાગે છે.”
ખરેખર ગુજરાતનાં રંગમંચને આગળ વધારવા માટે તેમણે કરેલા પ્રયાસોને હંમેશા યાદ રાખવામાં આવશે. આજે ભલે અરવિંદ જોશી એ સદેહે વિદાય લીધી હોય પરંતુ પ્રેક્ષકોના હૃદયમાં તેઓ સદાયને માટે એક અવિસમરણીય છાપ છોડી ગયા છે. મને એમ હતું કે ગયા વર્ષે નાછૂટકે જેટલી શ્રદ્ધાંજલિ લખવી પડી હતી એટલી આ નવાં વર્ષે ન લખવી પડે એ આશા સાથે ગુજરાતી રંગમંચ અને સિને જગતનાં એક ઝળહળતા સિતારાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ..!!
– Vaibhavi Joshi.(Australia)
ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી
“ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ અને એક્ટર અરવિંદ જોશી”
શરમન જોશીના પિતા અને થિએટર આર્ટિસ્ટ અરવિંદ જોશીનું 84 વર્ષની વયે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 29 જાન્યુઆરી, આજ રોજ નિધન.
તેઓ ગુજરાતી થિએટર અને ફિલ્મોની સાથે-સાથે ‘અપમાન કી આગ’, ‘શોલે’ અને ‘ઈત્તેફાક’ જેવી બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.
તો ‘ચૂંદડી ચોખા’ ‘કંકુ’, ‘વેલીને આવ્યાં ફૂલ’, ‘જનમટીપ’, ’રા માંડલિક’, ‘વેરનો વારસ’, ‘ડાકુરાણી ગંગા’, ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘ગરવો ગરાસિયો’, ‘ઢોલા મારૂ’, ‘નાણાં વગરનો નાથિયો’, ‘ફૂટપાથની રાણી’, ‘વણઝારી વાવ’ જેવી સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અરવિંદ જોશી.
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક,જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક તેમજ સાહિત્ય સરીતા ગ્રુપ પરિવાર વતી પ્રદીપ રાવલ