NOG : 0086
વિભાગ : ગદ્ય
શિર્ષક: ઉત્તરાયણ
(વિશેષ નોંધ: ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ નહિ પણ એ સિવાય બીજું ઘણું બધું એટલે પતંગ સિવાયની માહિતીમાં રસ હોય તો આ લેખ વાંચવો ગમશે બાકી પતંગપ્રેમીઓ એ ૧-૨ દિવસ રાહ જોવી 😃)
આજ થી શરુ થનારા આ ૩ દિવસીય ઉત્તરાયણ અને મકરસંક્રાતિના પર્વ ની શરૂઆત થઇ ચુકી છે. કદાચ આ એક જ એવો તહેવાર છે જે આપણા ધર્મમાં અંગ્રેજી મહિનાની નિશ્વિત તારીખ પ્રમાણે મનાવાય છે. એટલે તમે પણ તમારી ટાઈમલાઈન પર એવું લખવા ધારતા હો કે ઉત્તરાયણ ના દિવસે પતંગ ચગાવાનો મહિમા છે કે ઊંધિયું ને જલેબીની જ્યાફત માણવાનો આ ઉત્સવ છે તો અટકી જાઓ. ચાલો આજે તમારી આ કલ્પનાના પતંગ ને સાચી માહિતીની દિશા માં વેગ આપીયે.
આજે આ ઉત્સવ સાથે જોડાયેલા તમામ પાસા પર વાત કરવી છે અને શક્ય છે કે બધું જ એક લેખમાં ન પણ સમાવી શકુ તો એને ૨-૩ ભાગ માં રજુ કરીશ. પણ સૌથી પહેલા એ સમજીયે કે ઉત્તરાયણ એ એક ખગોળીય ઘટના છે અને તે વૈશ્વિક છે. એની સાથે સાથે ખાસ ભારત કૃષિપ્રધાન દેશ હોઈ પ્રકૃતિ કે ધરતી જેને આપણે માં સમાન ગણીયે છીએ એનો ઋણ સ્વીકાર કરી એનો આભાર માનવાના પણ દિવસો છે જે આજ થી શરુ થયા છે.
પતંગ તો આખાય વિશ્વમાં ચગાવાય છે, પરંતુ મકરસંક્રાંતિને સીધી રીતે પતંગ સાથે કોઈ જ સંબંધ નથી. ભારત અને ખાસ તો ગુજરાત સિવાય પતંગ ચગાવનાર ઉતરાયણની રાહ જોતા નથી કે ઉતરાયણને પતંગ સાથે જોડતા પણ નથી. થોડા વર્ષો પહેલા એવું હતું કે ગુજરાત બહાર પતંગ સાથે ૧૪મી જાન્યુઆરીને કશું જ લાગતું વળગતું નહોતું પણ વર્તમાન સમયમાં ભારત માં જ નહિ દેશ વિદેશમાં બધે જ આ ઉત્સવ પતંગ સાથે જોડાઈ ગયો છે.
ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ બેઉ એકબીજા સાથે એટલી હદે સંકળાઈ ગયા કે લગભગ એકબીજાના પર્યાય સમા બની રહ્યા છે અને બેઉ ને અલગ રીતે જોનારની ગણતરી કદાચ મૂરખમાં થાય પણ વાસ્તવિકતા એ છે કે પતંગ અને ઉતરાયણ કે મકરસંક્રાંતિને સ્નાન સૂતકનોય સંબંધ નથી. એટલે મારે આજે વાત કરવી છે ખગોળ, પર્યાવરણ, પ્રકૃતિ અને એની સાથે જોડાયેલા આપણા ધાર્મિક તત્ત્વ ની પણ. (આપણા બાહોશ પતંગબાજો માટે આજ કાલ માં પતંગની વાત પણ કરીશ રખે ને પાછું પતંગપ્રેમીઓ ને ખોટું લાગે 😄)
સૌથી પહેલા આ ખગોળીય ઘટના છે એટલે એના વિશે જાણીયે. મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ જોવા મળે છે. સૌથી પહેલા ઉત્તરાયણ સમજીયે. જો હું આ શબ્દ ને છુટ્ટા પાડું તો ઉત્તર + અયન જેનો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન.
આ સમયે સૂર્ય પૃથ્વીની આજુ બાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે.
પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જે પ્રમાણે ઉત્તરાયણનું મહત્વ છે તે પ્રમાણેજ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાયનનું, તે જ કારણે મહત્વ છે. વિશ્વમાં અન્ય જગ્યાએ તેથી જ દક્ષિણાયન પણ ઉજવાય છે. તે દિવસથી સુર્ય ઉત્તરમાંથી દક્ષિણ તરફની ગતિ શરૂ કરે છે. શિયાળામાં સુર્ય ખસતો ખસતો દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત મકરવૃત્તની લગભગ સામે પહોચે ત્યાં સુધી દિવસ દરરોજ થોડો થોડો નાનો થતો જાય. આમ થતા થતા, એ ક્ષણ આવે કે જ્યારે દિવસ સૌથી નાનો હોય અને રાત્રી સૌથી મોટી હોય. આ ક્ષણને “વીન્ટર સોલ્સ્ટીસ” કહેવાય. એ ક્ષણ પછીથી સુર્ય વળી પાછો ઉત્તર ગોળાર્ધમાં સ્થિત કર્કવૃત્ત તરફની ગતી શરૂ કરે અને દિવસ મોટો થતો જાય.
આ ક્ષણ દર વર્ષે થોડી થોડી બદલાતી રહે છે કારણકે પૃથ્વી ઢળેલા ભમરડાની જેમ એક વિશિષ્ટ રીતે પોતાની ધરી ઉપર ફરે છે. આ વિશિષ્ટ પરિભ્રમણને “પ્રીસેશનલ ઓરબીટ” કહેવાય, જે ૨૬,૦૦૦ વર્ષની હોય છે. આ પરિભ્રમણને લીધે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ ૨૬,૦૦૦ વર્ષના ચક્રમાં સતત બદલાતી રહે છે. આ કારણેજ, ઉત્તરાયણ ઉજવતી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ ભિન્ન-ભિન્ન તિથિએ આ ઉત્સવ ઉજવે છે. કોઈ પ્રજા ડીસેમ્બરની ૧૩મી, ૧૭મી, ૨૫મી અને ૨૬મીએ પણ ઉત્તરાયણ ઉજવે છે. આપણે આ ઉત્સવ ૧૪મી-૧૫મી જાન્યુઆરીએ ઉજવીએ છીએ.
જાણકારો, ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ ઉત્તરાયણ અને મકર-સંક્રાંતિ વચ્ચે જે સહેજ તાત્વીક ભેદ છે તે સમજે છે. ઉત્તરાયણ એટલે સુર્યની ઉત્તર તરફ ગમનની શરૂઆત અને મકર-સંક્રાંતિ એટલે સુર્યનો મકર રાશિમાં પ્રવેશ. આ સતત સરક્યા કરતી બન્ને ખૌગોલીક ઘટનાઓની ગણતરી પણ જૂદી. નિરાયણ પધ્ધતિથી હાલના કાળમાં મકરસંક્રાંતિ ૧૪મી-૧૫મી જાન્યુઆરીએ ગણાય અને ખૌગોલીક પધ્ધતિથી હાલના કાળમાં ઉત્તરાયણ ૨૧-૨૨ ડીસેમ્બરે ગણાય.
ભલે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ કોઈ પણ હોય પરંતુ આપણને મકરસંક્રાંતિ પછીથી જ દિવસ મોટો થતો અને રાત નાની થતીનો અનુભવ થાય છે અને તેથી જ તો દીર્ઘ-દ્રષ્ટા આપણી સંસ્કૃતિ-દાતાઓએ આ બેઉ ઉત્સવો જોડીને આપ્યા છે. જોકે, ૨૬,૦૦૦ વર્ષ લાંબી “પ્રીસેશનલ” પરિક્રમા દરમ્યાન એક ગાળો એવો જરુર આવે જ્યારે અમૂક સદીઓ સુધી આ બેઉ ઘટનાઓ એક જ દિવસમાં થતી હોય.
વિશ્વે જે યાંત્રીક વિકાસ કર્યો અને તેમાં પણ અત્યારની જે વ્યાપારીક હરણફાળ ભરી છે તેમાં પૃથ્વીના ખનિજો, વનસ્પતિઓ, પ્રાણીઓ (જળચર અને થળચર) અને પક્ષીઓનું નિકંદન નિકળી ગયું છે, હવા-પાણી ત્વરીત ગતીથી દૂષિત થઈ રહ્યા છે. લોકોએ પૃથ્વીનો અને તે પર વસતા જીવોનો લેશમાત્ર વિચાર કર્યા વગર પોતાની સાચી-ખોટી જરુરીયાતો એટલી બધી વધારી દીધી છે કે હવે પૃથ્વી કેટલો સમય આ ભાર ઝીલી શકશે તે મોટી ચિંતાનો વિષય બની ચુક્યો છે.
પરંતુ આ માટે આવા લેખો કે ભાષણો ના ચાલે. વિશ્વનો હું માલિક નથી પણ સેવક છું તે જ્ઞાન ગળથુથીમાં આપવું પડે અને જીવનભર કુનેહથી પીરસ્યા કરવું પડે. આ વાત જુના કાળના ઋષિઓ સારી રીતે સમજતા હતા અને તેથી જ આપણને એવા ઉત્સવો, પૌરાણીક વાર્તાઓ, ઐતિહાસીક વાતો અને અનેક બીજી સામગ્રીઓ આપી જેના વડે નિસર્ગ માટેની જાગ્રુતિ અને પ્રેમ આપણાં દૈનિક જીવનમાં સહજ રીતે સમાઈ જાય.
નિસર્ગનું બહુમાન કરવા વાળા ઉત્સવો, જેવા કે ઉત્તરાયણ, મકર-સંક્રાંતિ, વસંત-પંચમી, શરદ-પુર્ણિમા, થૈપોંગલ, થૈપુસમ, છઠ વગેરે ભારતિય સંસ્કૃતિની વિશેષતા છે. તે વડે, ભલે આપણે રોજીંદી પ્રવૃત્તિમાં ગળાડુબ હોઈએ, ભલે જીવનસંઘર્ષમાં વ્યસ્ત હોઈએ અને ભલે સુરજ, ચંદ્ર, તારા, નક્ષત્ર સામે જોવાની આપણને ન ફુરસદ હોય કે ન જરુરીયાત, છતાં પણ નિસર્ગ આપણા જીવનમાં અનાયાસે વણાઈ જાય છે.
આ તો હતા ખગોળીય પાસા અને હવે પછીના લેખ માં પર્યાવરણ કે પ્રકૃતિ ની વાત કરી છે જેની લિંક નીચે આપી છે.
https://www.facebook.com/joshi.vaibhavi/posts/10164287946010018
– Vaibhavi Joshi
NOG : 0086
પ્રકાર : પધ
શિર્ષક: મજા તું માણજે
પતંગ હોય મારી કે તારી,
હવામાં ઉડે છે એનો આનંદ તું લુટજે.
છેક ન પહોંચે તો કંઈ નઈ,
દુરથી સૂરજના સ્પર્શની મજા તું માણજે.
દાવ-પેચ, સંઘર્ષ તો રેહવાના,
બસ ધ્યાન મનની સ્થિરતામાં રાખજે.
જીતે કે હારે પરવા ન કર,
બસ ખાલી રમવાની મજા તું માણજે.
ફિરકી કોઈ પકડે ન પકડે,
જિંદગીની દોર તું તારા હાથમાં રાખજે,
ઢીલ કે ખેંચમાં કપાઈ પણ જાય,
આકાશમાં વિહરવાનીય મજા તું માણજે.
શક્ય છે કોઇ હાથ ન પકડે,
પછડાયા પછી બેઠા થવાની હામ રાખજે.
હર વખત ઉડવું ન પણ બને,
આકાશની સફર કરી એની મજા તું માણજે.
ભુલના થીગડાં ભલે ને હોય,
સત્ય અને સ્વીકારની કિન્યા તું બાંધજે;
સ્થિર રહે કે ગોથા ખાય ‘ઝીલ’
એક વાર ઊંચે ઉડવાની મજા તું માણજે..!!
– વૈભવી જોષી ‘ઝીલ’ સિડની
(આ લેખ ભાગ – ૩ છે અને પહેલા બંને ભાગની લિંક નીચે આપી છે.)
https://www.facebook.com/joshi.vaibhavi/posts/10164287896540018
https://www.facebook.com/joshi.vaibhavi/posts/10164287946010018
ઉપરના બંને લેખ માં ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ખગોળીય, પર્યાવરણ અને પ્રકૃતિને લગતા પાસાઓની મેં વાત કરી. આપણે એ પણ જાણ્યું કે લગભગ ભારતના ૨૬ જેટલા રાજ્યો આ તહેવારની ઉજવણી કરે છે અને એ પણ ભિન્ન-ભિન્ન નામો થી. એ પણ જાણ્યું કે મોટા ભાગે આ દિવસો માં ધરતીનો ઋણ સ્વીકાર કરી આભાર માનવાનો ઉત્સવ છે. હવે આજે વાત કરવી છે ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ધાર્મિક તત્ત્વની. આપણા દરેક વાર તહેવાર ની જેમ આ તહેવાર સાથે પણ ઘણી બધી માન્યતાઓ અને કથાઓ જોડાયેલી છે. તો આજે થોડું એના વિશે જાણીશું.
સૌથી પહેલા વાત કરીયે તો નામ પ્રમાણે ઉત્તરાયણ એટલે કે સૂર્યનારાયણ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે એટલે આ પર્વને ઉત્તરાયણ પણ કહે છે. સામાન્ય રીતે ગ્રહોના અધિપતિ સૂર્યનારાયણની ગતિ પૂર્વ દિશાથી ઉદય થઇ પશ્ચિમ દિશા માં અસ્ત થવાની હોય છે. પરંતુ પોષ માસમાં જયારે સૂર્યનારાયણ, ઉત્તર દિશા તરફ થઇ ‘ધન’ રાશીમાંથી ‘મકર’ રાશિમાં પ્રવેશે છે, એટલે એને મકરસંક્રાંતિ પણ કહે છે જે લગભગ ૧૪ જાન્યુઆરી ની આસપાસ આવે છે.
જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે કર્ક રાશિથી લઈ ધન રાશિ સુધી સૂર્ય દક્ષિણયાનમાં ભ્રમણ કર છે. એટલે કે સૂર્ય કર્ક રેખાના દક્ષિણ ભાગમાં રહે છે અને મકરથી લઈ મિથુન સુધી સૂર્ય કર્ક રેખાના ઉત્તરી ભાગ માં ગોચર કરે છે. સૂર્યના દક્ષિણયાનમાં રહેવાને કારણે દિવસ નાના અને રાત મોટી થવા લાગે છે. જ્યારે સૂર્યના ઉત્તરાયણમાં ગોચર કરવાને કારણે દિવસ મોટા અને રાત નાની થવા લાગે છે. મકરસંક્રાંતિની તિથિએ દિવસ અને રાત બંને બરાબર હોય છે. આપણા ધર્મગ્રંથો અનુસાર સૂર્યના દક્ષિણયાન થતા ૬ માસ દેવતાઓની રાત્રિ અને સૂર્યના ઉત્તરાયણ થતા ૬ માસ દેવતાઓના દિવસ ગણાય છે.
એ સિવાય પણ જો હું વાત કરું તો પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું ખુબ મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. (શક્ય છે હું કદાચ ખોટી પણ હોઉં પણ આવું કઈંક વાંચ્યાનું મને યાદ છે.) એક એવી પણ માન્યતા છે કે આ તહેવાર પર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. શનિ એ મકર રાશિના સ્વામી છે. સૂર્ય અને શનિનો સંબંધ આ તહેવાર સાથે હોવાને કારણે ખૂબ મહત્વપૂર્ણ મનાય છે. આર્યો સૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા.
સુર્ય ઉપાસનાની એક એ વિશેષતા પણ જાણવા જેવી છે. આ એક એવા દેવ છે કે જેની પૂજા-અર્ચના ૨,૦૦૦ વર્ષ પહેલાની હર એક સંસ્કૃતિઓ કરતી હતી. ભારત અને જ્યાં જ્યાં તેમની સંસ્કૃતિ પ્રસરી હતી તે વિસ્તારોમાં, જેવા કે નેપાળ, તિબેટ, ચીન, લંકા, મીયાનમાર, ઈન્ડોનેશીયા, મલયેશીયા, થાઈલેન્ડ જેવા દેશોમાં તો સુર્ય-દેવ અનેક નામોથી પૂજાતા.
અતિ આધુનિક સમય માં નિસર્ગમાં ભગવાન જોનારાઓને મુર્ખા ઠેરવીને નૈસર્ગિક સંપત્તીની બેફામ લુંટ ચલાવી અને હવે જ્યારે હાથના કર્યા હૈયે વાગે છે, “ક્લાઈમેટ-ચેંજ”, “ઓઝોન-હોલ”, “ગ્લોબલ-વોર્મીંગ”, “પોલ્યુશન” વગેરે થી મૃત્યુ ઘંટનો નાદ બહુ પાસેથી સંભળાવા લાગ્યો છે ત્યારે “ઈકોલોજીકલ-બેલેન્સ” ની ડાહી ડાહી વાતો કરે છે. પણ હું એમ કહું કે ખરેખર ડાહ્યા કોણ? આધુનિકો કે સુર્ય ઉપાસકો? ખેર આ અલગ થી ચર્ચા નો વિષય બની શકે માટે હું મૂળ મુદ્દા પર પછી આવું.
તો આપણા સૂર્યનારાયણનું મહત્વ સમજ્યા પછી હવે વાત કરીયે બીજા એક નૈસર્ગીક તત્ત્વની અને એ છે આપણી અતિ પૂજનીય નદી ગંગા. એક પૌરાણિક માન્યતા અનુસાર, ગંગાજી રાજા ભગીરથના અથાગ પ્રયાસથી જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે પૃથ્વી પર અવતરણ થઇ સગર વંશના ૬૦,૦૦૦ પિતૃઓનો મોક્ષ કરી ગંગાસાગરમાં વિલીન થયા ત્યારથી મકરસંક્રાંતિના પર્વે ગંગાસાગરમાં સ્નાનનો વિશેષ મહિમા છે. આમ તો જો હું ગંગાજીનું ધરતી પર અવતરણ લખવા બેસું તો એક આખો અલગ થી લેખ લખી શકાય કેમ કે મહાભારત અનુસાર કથા થોડી અલગ છે તો વળી શિવપુરાણ મુજબ કથા માં થોડા અલગ વળાંકો છે પણ એના વિશે વિસ્તાર થી ફરી ક્યારેક લખીશ.
પણ આજે ટૂંક માં કહું તો રાજા ભગીરથના પૂર્વજોને શ્રાપ મળ્યો હતો. જેના કારણે તેમણે ગંગાને ધરતી પર લાવા માટે ઘોર તપ કર્યું હતું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગાએ દર્શન આપ્યા. રાજા ભગીરથએ કીધું કે તમે મૃત્યુલોક ચાલો. તો ગંગાજી એ કહ્યું કે જે સમયે હું પૃથ્વી પર પડું, તે સમયે મારા વેગને કોઈ સંભાળવા માટે હોવું જોઈએ. આવું ન થાય તો હું પૃથ્વીને ફોડીને રસાતળમાં ચાલી જઈશ.
ત્યારબાદ ભગીરથ એ ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવજી પ્રસન્ન થઈને ગંગાજીને તેમની જટા માં રોકવા માટે તૈયાર થઈ જાય છે. ગંગાને પોતાની જટાઓમાં રોકીને બિંદુસર તરફ છોડે છે. એ સાત ધારાઓ માં પ્રવાહિત થાય છે અને અંતે ભગીરથ એમને રસાતળ લઇ જાય છે જ્યાં પિતૃઓની ભસ્મને ગંગાજળ થી સિંચિત કરી તેમને શ્રાપમુક્ત કરે છે અને આ રીતે ગંગાના જળથી ભગીરથ તેમના પૂર્વજોને મુક્તિ અપાવવામાં સફળ થાય છે. કદાચ એટલા માટે જ અતિ મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવા માટે આ શબ્દ ‘ભગીરથ પ્રયાસ’ પ્રચલિત બન્યો હશે.
અને અંત માં મહાભારતના એક બહુચર્ચિત પાત્રનો ઉલ્લેખ કર્યા વગર આજ નો લેખ અધુરો જ કહેવાય અને એ છે ગંગાપુત્ર ભીષ્મ જે ભીષ્મ પિતામહ તરીકે પણ જાણીતા છે. તેઓ આજીવન અવિવાહિત રહેશે અને ક્યારેય પણ હસ્તિનાપુરના સિંહાસન પર બિરાજશે નહિ તેવુ વચન તેમણે તેમની સાવકી માતા સત્યવતીને આપ્યું હતું. એમની આ પ્રતિજ્ઞાને કારણે આજે પણ ‘ભીષ્મ પ્રતિજ્ઞા’ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. આ જ કારણે મહારાજ શાંતનું એ ભીષ્મને ઇચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું. તે મુજબ જ્યાં સુધી તેઓ હસ્તિનાપુરના સિંહાસનને સુરક્ષિત હાથોમાં સોંપશે નહિ, ત્યાં સુધી તેઓ મૃત્યુનું આલિંગન નહિ કરે.
એટલે એક મહત્વનું કારણ આ પણ હતું કે જ્યાં સુધી તેઓ હસ્તિનાપુરને સુરક્ષિત હાથો માં ન સોંપે ત્યાં સુધી તેઓ દેહત્યાગ કરી શકે નહિ. અને માટે જ પાંડવોનો વિજય ન થાય ત્યાં સુધી તેમનું આખું શરીર ચારણીની જેમ વિંધાઈ ગયા પછી પણ તેમણે પ્રાણ ન ત્યાગતા બાણશૈય્યા પર દિવસો કાઢવા પડ્યાં.
બીજું એક કારણ એ પણ હતું કે માન્યતા અનુસાર જ્યારે મૃત્યુ દક્ષિણાયનમાં થાય તો મૃત્યુ પછી નરકની પ્રાપ્તિ થાય અને તેઓ સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખતા હતા. તેમને પિતા શાંતનું પાસેથી ઈચ્છા મૃત્યુનુ વરદાન મળ્યું હતું. તેથી તેમણે અનેક પીડાઓ સહન કરીને પણ ઉત્તરાયણ થવાની રાહ જોઈ અને એ દિવસે શરીરનો ત્યાગ કર્યો. એમની આ યાતના ભોગવવાનું કારણ અને એમનો શ્રીકૃષ્ણ સાથેનો આ વિષય પરનો સંવાદ પણ ખુબ રસપ્રદ છે જે એમના પૂર્વજન્મ સાથે જોડાયેલો છે પણ એ વાત ફરી ક્યારેક વિસ્તાર થી કરીશ.
તો આમ મકરસંક્રાતિના પર્વ સાથે આપણા અનેક ધાર્મિક તત્ત્વો પણ જોડાયેલા છે અને એ સાથે જ શુભ સમયની શરૂઆત રૂપે પણ આ પર્વ ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ દિવસ દાનનો તથા યમુના, ગંગા અને સરસ્વતીના સંગમ એવા પ્રયાગરાજ તથા અન્ય તીર્થોમાં સ્નાન કરવાનો મહિમા છે. એ સિવાય અડદ, ચોખા, સોના, કપડા અને અન્ય ચીજોનું દાન એ પણ ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
હકીકત માં તો આ બે ઋતુઓના સંધિકાળનો સમય છે. હેમંત ઋતુ જઇ રહી છે અને શિશિર ઋતુ શરૂ થઇ રહી છે. જેના કારણે સિઝનલ બીમારીઓની અસર વધવા લાગે છે. આ દિવસોમાં તલ-ગોળનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાયેલી રહે છે. સિઝનલ બીમારીઓની અસર ઘટી જાય છે. એટલા માટે પણ અમુક ખાસ વસ્તુઓનું સેવન આપણ મહાજ્ઞાની ઋષિઓ એ ખાસ પર્યાવરણ માં આવતા ફેરફારો ને અનુલક્ષી ને નક્કી કર્યું હશે એવું તર્કબધ્ધ અનુમાન આપણે લગાવી શકીયે.
ઉત્તરાયણ ન દિવસો માં બધી જ વાત કરી પણ સિવાય આ તહેવારના પર્યાય સમા પતંગની (હજી પણ બહુમતી પક્ષ તો પતંગ ના પક્ષે જ છે હો એટલે લખું છું 😄). પણ હું માનું છું ત્યાં સુધી મારા આ ત્રણેય લેખ જેમણે વાંચ્યા હશે એમને એટલું તો સમજાઈ જ ગયું હશે કે ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ તો નહિ જ. પણ છતાંય પતંગપ્રેમીઓ માટે પહેલા લેખ માં કહ્યું તું એમ છેલ્લા ભાગ માં પતંગ ની વાતો પણ સાંકળવાનો પ્રયત્ન કરીશ કે આ તહેવાર સાથે પતંગ ઉડાડવાનો રિવાજ કેવી રીતે જોડાઈ ગયો હશે એટલે કાલે પતંગનો વારો 😃.
– Vaibhavi Joshi
(વિશેષ નોંધ : લેખ લાંબો છે પણ જો ગુજરાતી છો અને એમાંય પતંગપ્રેમી છો તો આ લેખ પુરો કર્યા વગર નહિ રહી શકો 😅 એ પાક્કું અને બીજું કે આ ઉત્તરાયણની લેખમાળાનો ચોથો અને છેલ્લો ભાગ છે તો અગાઉના ૩ લેખ માંથી કોઈ રહી ગયો હોય તો સરળતા ખાતર બધા ભાગની લિંક લેખના અંત માં આપી છે.)
ચાલો આજે ફાઈનલી ઉત્તરાયણ વિશે લખતાં-લખતાં આપણે લેખના ભાગ – ૪ માં આવી ગયા. આની પહેલાના ત્રણેય લેખો માં પતંગપ્રેમીઓને તો નિરાશ થવાનો જ વારો આવ્યો હશે કેમ કે ઉત્તરાયણ કે મકરસંક્રાંતિના લેખ માં પતંગ વિશે જ વાત નથી કરી. પણ પાછું પહેલો લેખ લખતી વખતે વાયદો તો આપ્યો જ હતો કે છેલ્લા લેખ માં પતંગ વિશે ચોક્કસ વાત કરીશ. એટલે પતંગ વિશે લખવું તો રહ્યું જ 😃
જોકે કોઈને પાછું એમ પણ થાય હો કે પતંગ વિશે તો વળી શું લખવાનું હોય 🤔. પતંગ તો એય ને મોજ થી ચગાવાનો, પેચ લડાવાનો, કાપવાનો અને લૂંટવાનો વિષય છે. દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ અને એમાંય મારા જેવા ખાસ અમદાવાદી (આ અમમમદાવાદી શબ્દ એ ખાસ દયાની સ્ટાઇલ માં બોલવું 😄 હો તો જ એની મજા છે) ઉત્તરાયણ મનાવવા ખાસ ગુજરાત કે અમદાવાદ આવવાનું ચુકતા નથી. જોકે મારી જિંદગીમાં પહેલી વાર ઉત્તરાયણ કોરી કોરી 😏 ગઈ. પહેલી વાર અહીંયા સિડની માં કાઇટ ફેસ્ટિવલનું આયોજન નહોતું કરવામાં આવ્યું 😒. એટલે અમે ગયા વર્ષના પતંગ ચગાવતા ફોટો જોઈ મન ને ખુશ 😍 કરી લીધું. બધાની સલામતી એમાં જ હતી એટલે કોઈ અફસોસ પણ નથી.
પણ હા ગુજરાતમાં તો ઉત્તરાયણ એટલે જાણે એક મહા-ઉત્સવ જેની તૈયારીઓ મહિના અગાઉથી શરૂ થઈ ગઈ હોય. ગુજરાત સરકાર તો આ સમયે પાંચ-પાંચ દિવસ સુધી વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઊજવે છે. દેશ-વિદેશના પતંગરસિયાઓ આ પાંચ દિવસ ગુજરાતમાં આવી જાય છે. એમાંય પાછી ચર્ચાઓ ને બેઠકો યોજાય કે ભાઈ આ વખતે સુરતી માંજો ક્યાંથી ઘસાવડાવાનો છે 🧐, રખે ને કોઈ પતંગ કાપી જાય તો પાછું જોવા જેવી થાય🙈. એમાં તો પાછો વટ મારવાનો હોય 🤨 ને કે સાહેબ આપણો પતંગ કોઈ દી ના કપાય 😎. આપણા જેવો કોઈનો માંજો નહિ વગેરે વગેરે…હશે આપણા આવા બાહોશ પતંગબાજોને 🥸 પતંગનો આનંદ માણવા દઈએ અને આપણે મુદ્દા પર આવીયે.
હું તમને બધા ને એક સવાલ પૂછું. મનુષ્ય ઊડી શકતો હોત તો? આ કલ્પના રોચક જરુર લાગે છે. પરંતુ તે શક્ય નથી એ માણસને સદીઓ પહેલાં સમજાઈ ગયું હતું. ન ઊડી શકવાની મર્યાદામાંથી પતંગ અને વિમાનનું સર્જન થયું છે. પરંતુ વીસમી સદી પહેલાં શું મનુષ્ય પોતાની ઊડવાની ઈચ્છા દબાવીને બેઠો હતો? ના, તેણે એવું ન્હોતું કર્યું. આજથી લગભગ ૨૮૦૦ વર્ષ પહેલાં પોતાની ભીતર સળવળતી ઊડવાની ઈચ્છાને તેણે જુદી રીતે સંતોષી. માણસે પતંગ ઉડાડીને આકાશને આંબવાની થોડી ઈચ્છાપૂર્તી કરી. મનુષ્ય પોતે હવામાં ન ઊડી શક્યો પરંતુ હવામાં ઊડતાં પક્ષીઓના એકાધિકારને ચોક્ક્સપણે તોડી શક્યો.
તો ચાલો આજે પતંગના ઇતિહાસ પર એક નજર દોડાવીયે. એન્સાઇક્લોપીડિયાનું સાચું માનીએ તો પતંગની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં થયેલી જે કોઈ નાનીસુની શોધ ન કહી શકાય. આપણને એ જાણીને થોડી નવાઈ લાગે કે પતંગની શોધ ચીનના બે તત્વજ્ઞાનીઓ એ કરી છે. મોઝી અને લૂબાને પતંગ ઉડાડવાની શરુઆત કરી હોવાની ઇતિહાસ માં નોંધ છે. (જો કે પતંગના ઇતિહાસ વિશે હંમેશા મતમતાંતર પ્રવર્તે છે. પતંગની શોધનો દાવો કરનારા ગ્રીકો અને ચીનીઓની માન્યતા પ્રમાણે સૌપ્રથમ પતંગ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો.)
શરુઆતની પતંગ અને દોર બન્ને રેશમની બનેલી હતી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ થયેલો અને લાકડી માટે વાંસનો ઉપયોગ થયેલો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવાતો. ચીનમાં પતંગની શરુઆત થઈ જે એશિયા અને આફ્રિકામાં પ્રચલિત થઈ અને છેક મધ્યયુગમાં યુરોપમાં પહોંચી. ઈતિહાસમાં પતંગનો પ્રથમ લેખિત પુરાવો ઈ.સ. ૯૩૦માં જાપાની ભાષાના શબ્દ શિરોષી ( કાગળનું પંખી ) રુપે મળે છે. આ ઉપરાંત સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં બનાવાયો હોવાનો ઉલ્લેખ પણ નેટજગત પર જોવા મળે છે.
ભારતની વાત કરીએ તો ભારતમાં પતંગ ઉડાવવાનો પુરાવો ઈ.સ. ૧૫૦૦ માં મોગલકાળ દરમિયાન એક ચિત્રમાં જોવા મળ્યો છે. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા યુક્તિપૂર્વક સંદેશો મોકલતો દર્શાવ્યો છે. ભારતમાં પતંગને લોકપ્રિય કરવાનું કામ રાજાઓ અને નવાબોએ કર્યું છે. નવાબો પતંગબાજીના ખાસ શોખીન ગણાતા હતા. ગુજરાત અને રાજસ્થાનના નવાબી ગામો અને કસ્બાઓમાં પતંગ ઉડાડવાનું ચલણ ઐતિહાસિક રીતે સવિશેષ જોવા મળે છે.
આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે. આજે આખાય વિશ્વમાં પતંગબાજી મોટા ભાગે મનોરંજન અને રમત-ગમતના એક ભાગરુપે થાય છે પણ પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે.
હકીકતે પતંગનો જન્મ લશ્કરી હેતુઓ માટે થયો હતો. તેનો ઉપયોગ પહેલાં હંમેશાં કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે થતો રહ્યો છે. પતંગનો આવો ઉપયોગ જાણી તમને કદાચ નવાઈ લાગશે પણ લશ્કરમાં સંકેત અને સંદેશાઓની આપ-લે માટે તેમજ પવનની ગતિ અને દિશા જાણવા માટે પતંગનો ઉપયોગ થતો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો પ્રયોગ કરીને દુશ્મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્લેનમાંથી તાત્કાલિક માહિતી પહોંચાડવા માટે કર્યો હતો. માટે જ મેં દરેક લેખ માં સ્પષ્ટપણે કહ્યું હતું કે પતંગ અને મકરસંક્રાંતિને સૈધ્ધાંતિક કે ઐતિહાસિક રીતે કોઈ જ સંબંધ નહોતો.
જોકે પતંગ ચગાવવા માટે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય કોઈ કારણસર અનુકૂળ હશે. વળી શિયાળામાં ઘરમાં ભરાઈ રહ્યા પછી એક દિવસ ભરપુર તડકો માણવાની એક ઈચ્છા પણ ખરી. અને પૌરાણિક માન્યતા અનુસાર જયારે સૂર્યનારાયણ ઉત્તર દિશા માં ગતિ કરે છે ત્યારે એના કિરણો સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે જેથી કદાચ કોઈ કાળે પતંગ ચગાવવા જેવી કોઈ પ્રવૃત્તિ ને વેગ મળ્યો હશે જેમાં લગભગ આખો દિવસ પતંગ ચગાવવાના બહાને આ સ્વાસ્થ્યવર્ધક કિરણોનો લાભ લઇ શકાય.
પણ હા જયારે પતંગ ની વાત કરતા હોઈએ ત્યારે એ ખાસ યાદ કરવું પડે કે વીજળીની શોધમાં પતંગે એક મહત્વની ભૂમિકા ભજવી છે. વિજળીના શોધક પ્રખર વૈજ્ઞાનિક બેન્જામીન ફ્રેન્કલીને આકાશી વીજળીને સમજવા પતંગનો ઉપયોગ કર્યો હતો. બેન્જામીને પોતાની દિકરી સાથે એક સાહસ કર્યું હતું. એમને ચાલુ ગાજવીજ દરમિયાન પતંગ ચગાવવાનો પ્રયત્ન કર્યો. પતંગની ટોચે એમણે ધાતુનો વાયર મૂક્યો. દોર શણની રાખી હતી. વીજળીનો ચમકારો થયો અને તે જ ક્ષણે ભીની દોર મારફતે બાપ દિકરીને વીજળીએ ઝાટકો આપ્યો. વિજળી ઉત્પન કરીને તેના દ્વારા ઉપકરણો ચલાવવા સુધીની યાત્રાનો એ એક ભયજનક પ્રયોગ હતો. જેમાં પતંગની ઐતિહાસિક ભૂમિકા હતી.
પતંગની શોધ એ વિમાનની શોધનું પણ પ્રથમ ચરણ કહી શકાય. પતંગની શોધ વિના હવાઈ જહાજની શોધ શક્ય જ ન બનત. કેમે કે વિમાન અને પતંગ વિજ્ઞાનના એક જ સિધ્ધાંત થકી ઊડી શકે છે. વિમાન અને પતંગના ઉડવાની ક્રિયા અને ઊપર જવાની ક્રિયા પાછળ ઉપરની હવાનું હલકું અને નીચેની હવાનું ભારે દબાણ કારણભૂત છે. પતંગ માટે કુદરતી રીતે એવી ક્રિયા થાય છે જ્યારે વિમાનમાં તેના શક્તિશાળી એન્જીન્સ દબાણ ઉત્પન કરે છે. એટલે આમ જોઈએ તો પતંગ કહેવાય ભલે સાવ હલકો ફુલકો પણ એનો ઇતિહાસ જાનદાર અને શાનદાર ચોક્કસ કહી શકાય.
મારા ઉત્તરાયણ વિશેના ચારેય લેખ માં મેં ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ખગોળીય, પર્યાવરણ કે પ્રકૃતિલક્ષી કે પછી ધાર્મિક તત્ત્વો જેવા તમામ પાસાઓ પર વાત કરી અને આજે પતંગપ્રેમીઓને આપેલો વાયદો પણ પુરો કર્યો અને આ છેલ્લા ભાગ માં પતંગ વિશે પણ વાત કરી હાશ !😌. ગુજરાતીઓ ને મોજ કરવામાં કોઈ ન પહોંચે એટલે સંબંધ હોય કે ના હોય પણ ગમે તેવી પરિસ્થિતિ માં આનંદ માણવાનો અને આપત્તિને અવસર માં ફેરવવાનો એક પણ મોકો ના ચુકે બસ એનું જ નામ ગુજરાતી. તો સહુ ગરવા ગુજરાતીઓએ ભરપૂર આનંદ અને ઉત્સાહ સાથે આ પતંગોત્સવ ઉજવ્યો જ હશે એવું ધારી લઉં છું.
ભલે ને ગોગલ્સ 😎 સાથે માસ્ક પહેરી ને કે ડિસ્ટન્સ રાખીને પણ ધાબે ચડી પતંગ તો ચડાવ્યા જ હશે ને એ લપેટ.. કે કાયપો છે.. ની બૂમો પણ પડી જ હશે. હાથ સેનેટાઈઝ કરીકરી ને પછી ફીરકી પણ લપેટી હશે. પાછું એય ને ટેસ થી ઊંધિયું પુરી ને ફાફડા જલેબીની 😋 જ્યાફતો પણ ઉડાવી હશે ને રાતે તુક્કલ થી આકાશને શણગાર્યું પણ હશે. ને એમાં વળી દિવાળી માં વધેલા ફટાકડા 🎆 પુરો કરવાનો છેલ્લો અવસર તે જતો કર્યો હોય એ તો ફોડવા જ પડે. અને હા અધૂરા માં પૂરું ગરબા વગર તો ગુજરાતીઓનો કોઈ પ્રસંગ પુરો થાય?? 😛 એટલે ગરબાના રાઉન્ડ 💃 પણ માર્યા જ હશે. સાલું કોરોના ને પણ થતું હશે કે બીજી વાર ગુજરાતીઓ હારે બાથ નથી ભીડવી મારા બેટા ગમે એમાંથી ઉજવણી નો રસ્તો ગોતી જ નાખે છે.
શરૂઆત માં જણાવ્યા પ્રમાણે આ ચોથો અને છેલ્લો ભાગ છે એટલે અગાઉના ૩ લેખ માંથી કોઈ રહી ગયો હોય તો સરળતા ખાતર ભાગ – ૧, ૨ અને ૩ ની લિંક નીચે ક્રમવાર આપી છે.
https://www.facebook.com/joshi.vaibhavi/posts/10164287896540018
https://www.facebook.com/joshi.vaibhavi/posts/10164287946010018
https://www.facebook.com/joshi.vaibhavi/posts/10164292628170018
– Vaibhavi Joshi (ઉત્સવપ્રેમી ગુજરાતી 😅)