ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત NOG સાહિત્ય સરિતા – ૧ ” સથવારો” વિષય અંતર્ગત ગ્રુપ મેમ્બરો ની આજે ” ગદ્ય ” રચનાઓ… આયોજક/સંચાલક/તંત્રી : પ્રદીપ રાવલવોટસ અપ કોલીગ નંબર : 9824653073www.janfariyadnews.com
ન્યુઝ ઓફ ગાંધીનગર .સાહિત્ય સરિતા : ૧ વિષય : સથવારો
વિભાગ : ગદ્ય શબ્દ સંખ્યા : 285 શીર્ષક : સાસુ- મા
શ્રેયાનાં લગ્નને હજુ માંડ બે મહિના જ થયાં હતાં. પરંતુ તેનાં ચહેરા પર કોઈ નૂર નહોતું. નવી નવેલી દુલ્હન દિવસે-દિવસે સુકાતી જતી હતી. એવું પણ નહોતું કે તેને સાસરિયામાં કંઈ તકલીફ હતી કે સાસુમા સાથે બનતું નહોતું. ઈશ્વર કૃપાથી ચારે બાજુ સુખ હતું. બંગલો, ગાડી, નોકર-ચાકર બધી જ સગવડો હતી. નાનું કુટુંબ સુખી કુટુંબ હતું. છતાંય શ્રેયા ઉદાસ રહેતી. તેનાં અનુભવી સાસુ રક્ષાબેનને પોતાની નવી વહુની ચિંતા થવા લાગી. તેમણે નોંધ્યું કે, પતિ પત્ની વચ્ચે જરૂર કંઈક બન્યું લાગે છે. એક દિવસ શ્રેયા રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યાં તેનાં સાસુએ વાત- વાતમાં જાણી લીધું કે તેમનાં દીકરાને શ્રેયા ખાસ પસંદ નથી. તે એની સાથે ખપપૂરતી જ વાત કરતો અને દરરોજ રાત્રે મોડો- મોડો ઘરે આવતો. ઘરે આવીને પણ તે ચૂપચાપ સૂઈ જતો. આ વાત જાણ્યા પછી તેની સાસુને દીકરાને વહુનાં સંસારની ચિંતા થવા લાગી. તેઓ સમજદાર હતા, તે જાણતાં હતાં કે આમાં વહુનો કંઈ પણ વાંક નથી. ઓછું ભણેલી અને ગામડાંની શ્રેયા સાથે તેમનાં દીકરાને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નહોતી. પરંતુ પોતાનાં પિતાનાં વચન નિભાવવા જ તેણે પરાણે શ્રેયા સાથે લગ્ન કર્યા હતાં. રક્ષાબેન ખૂબ જ વિચાર કરે છે અને વહુને આધુનિક લાઈફસ્ટાઈલ શીખવાડવાનું નક્કી કરે છે. બીજાં જ દિવસે રક્ષાબેન શ્રેયાને લઈને બહાર ગયાં અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સ્પોકન ઈંગ્લીશનાં ક્લાસમાં તેમની વહુ શ્રેયાનું નામ લખાવી આવ્યા. ઘરે આવીને શ્રેયા તો ગળગળી થઈ ગઈ અને સાસુમાને ભેટી પડી. બીજા જ દિવસથી તેનાં ક્લાસ ચાલુ થઈ ગયાં. શ્રેયા ખૂબ જ હોંશિયાર હતી અને તેને રક્ષાબેનનો પૂરેપૂરો સપોર્ટ મળતો હતો. તે ઝડપથી બધું શીખી ગઈ અને તેનાં પતિની પર્સનાલિટી અનુરૂપ મોર્ડન રીતે રહેવા લાગી. તેનાં પતિએ જ્યારે તેનું નવું સ્વરૂપ જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો અને પોતાની પત્નીની માફી માંગી. ઘરમાં પાછો ખુશીઓનો માહોલ સર્જાઈ ગયો. એક સાસુ વહુનો “સથવારો” બનીને તેનું જીવન ખુશીઓથી ભરી દે છે.
— ડૉ. રેખા શાહ કચોરીયા….મોરબી
વીસ વર્ષથી મુંબઈમાં એકલવાયું જીવન જીવતો તુકારામ પોતાની કમાણી ગામડે મોકલી દેતો. રોજ ભોજનાલયમાં જમતો અને ઓરડીમાં ભરાય જતો. તેની જિંદગી નીરસ બની ગઈ હતી.આજે નોકરીએથી પાછા ફરતા પાછલી ચાલીનીવિધવા સંગીતા મળી ગઈ. જાણે થોરના વૃક્ષને ફુલો આવ્યા. એણે પૂછ્યું, ” મને લેવા કંપનીની બસ આવે છે, તમારી કંપની રસ્તામાં જ પડે, કહો તો શેઠને વાત કરું પણ બસમાં આવો તો સારું પડે! “
સંગીતાએ હા પાડી…અને એ નાની એવી ઘટનાને આજે પાંચ વર્ષ થયાં.
તુકારામ અને સંગીતા આજે રોજ પોતાની એક્ટિવા પર જાય છે. જિંદગી બંને માટે કાંટાળો રસ્તો નહિ પણ સુંવાળો સથવારો છે.
🍃💗🍃💗🍃💗
શ્રદ્ધા ભટ્ટ..વાપી.04/12/2020.
*તુલસીનો ક્યારો*
“જેનાં આંગણિયે તુલસીનો ક્યારો,તેનો સફળ થયો જન્મારો.”
રીમા દાદી પાસેથી રોજ આ ભજન સાંભળતી. તેથી લગ્નનાં કરિયાવરમાં તુલસીનાં નાના છોડ સાથેનું એક કુંડુ પણ લઈ ગઈ.
સાસરે તે રોજ તુલસીક્યારે દિવો મૂકતાં તુલસીમાતાને પ્રાર્થના કરતી, “મા, મારા કુટુંબકબીલાનું રક્ષણ કરજે, બધાંનો સથવારો કદીયે ના છૂટે એવી મને સદબુદ્ધિ દેજે.”
પણ તુલસીમાતાને ન સમજાયું કે તેના લગ્નજીવન ટકાવી રાખવા મર્સિડીઝનુ મહત્વ કેટલું છે! બસ ત્રણ મહિનામાં તો સાસરિયાં જે રસ્તે તેને લઈ ગયાં હતાં તે રસ્તે પાછા મૂકી ગયાં. રીમાએ પણ નક્કી કરી લીધું, જ્યાં સ્વમાન ન સચવાય ત્યાં હવે પાછા નથી જવું. સાસરેથી આવતાં તે તુલસીનું કુંડુ લાવવાનું ન ભૂલી.
રોજેરોજ મમ્મી-પપ્પાને તેની ચિંતા કરતાં જોઈ રીમા મૂંઝાયેલી રહેવા લાગી. જીંદગી તેને ભારરૂપ લાગવા માંડી.
“હવે આ છોડ એકદમ કરમાઇ ગયો છે. તેને પાણી સિંચવાની મહેનત શું કામ કરે છે?” પપ્પાના શબ્દોથી રીમાનો પાણી રેડતો હાથ અટકી ગયો. તેને પપ્પાને કહેવાનું મન થઈ ગયું, “પ્રયત્ન તો કરી જોઉં, કદાચ છોડને જીવવાનું મન થઈ જાય!”
તે ઘરમાં આવીને બેઠી, બારીમાંથી કરમાયેલા તુલસીનાં છોડ પર નજર કરી. જોયું તો એક ઉંદર દોડતું આવ્યું અને તુલસીનાં છોડને ખેદાનમેદાન કરતું ભાગી ગયું.
રીમાને એવો ગુસ્સો આવ્યો, વેલણ ઉપાડીને દોડી ઉંદર પાછળ. થોડે સુધી ગઈ અને એકદમ અટકી ગઈ, પેટમાં પણ ઉંદર દોડતું હતું!
વંદના વાણી
NOG NO:-0031 શબ્દ:-સથવારો શીર્ષક:-એકલતાનો સથવારો
પંચોતેર વર્ષના હીરાબા પતિની અંતિમ વિદાય પછી ઘરમાં સાવ એકલા થઇ ગયેલા,આમ તો ઘરમાં દીકરો,વહુ એમનાં બાળકો હતા પણ બધા પોત પોતાની રીતે નોકરી, ધંધા અને ભણવામાં વ્યસ્ત રહેતા. કોઇને પણ હીરાબા પાસે બેસીને બે ઘડી વાત કરવાનો પણ સમય નહોતો કારણ કે જેટલો સમય બધાં ઘરમાં હોય ત્યારે પણ સહુ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય. હીરાબા વિચારતા કે આ મોબાઈલમાં એવું તો શું હશે કે કોઈને તે મૂકવો જ નથી ગમતો?એક દિવસ તેમણે પોતાના કોલેજિયન પૌત્ર રવિને પણ આ જ પ્રશ્ન કર્યો ત્યારે રવિએ કહ્યું કે “બા આજકાલ આ ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન દ્વારા આપણે અવનવી જાણકારી મેળવી શકીએ છીએ પુસ્તકો વાંચી શકીએ છીએ,સોશ્યલ મિડિયાના માધ્યમ દ્વારા આપણે દેશ વિદેશમાં વસતાં આપણા મિત્રો , સગાંવહાલાં સાથે જોડાયેલા રહી શકીએ છીએ.” આ સાંભળી હીરાબાએ વિચાર્યું કે “આ તો બહુ સારું કહેવાય ઘરમાં બેઠા કેટલી જાણકારી મળે?” તે પોતે આમ તો એમનાં જમાનામાં ગ્રેજ્યુએટ થયેલા હતા એટલે એમણે આ સ્માટૅ ફોન વાપરતા શિખવાનું નક્કી કર્યું.એમણે એમના પૌત્ર રવિને પોતાને આ ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં અને મોબાઈલની બધી ટેકનોલોજી શીખવવા કહ્યું.રવિ પણ દાદીમાની આ નવા જમાના સાથે ચાલવાની વાત સાંભળી ખુશ થઈ ગયો અને થોડા દિવસમાં જ એણે દાદીમાને સ્માર્ટ ફોન વાપરતા શિખવાડી દીધું.દીકરા વહુએ પણ હીરાબાનોઆ ઉત્સાહ જોઇ એમને એક સારી કંપનીના સ્માર્ટ ફોનની ભેટ આપ્યો. હવે હીરાબા સવારમાં યુટયુબ પર ધાર્મિક કથાઓ, ભજન સાંભળતા અવનવી વાનગીઓ શિખતા,દેશ વિદેશના સ્થળો એમાં જોતા ગૂગલ પર સચૅ કરી અવનવા પુસ્તકોનું વાંચન કરતા,આ ઉંમરે પોતે હવે ક્યાંય જઈ શકતા ન હોવાથી જે સગાં સંબંધીઓને મળી ના શકતા તે બધા જોડે તેઓ સોશ્યલ મિડિયા દ્વારા જોડાઇ ગયા અને એમની જોડે વાતચીત થવા લાગી.આમ સ્માર્ટ ફોનનો સથવારો મળતાં હીરાબાનીએકલતા દૂર થઇ ગઇ અને એમનું જીવન ફરી ભર્યું ભર્યું બની ગયું.
✍️:- મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય’મેઘુ’ રાજકોટ*
આજે દૂરના સબંધીને ત્યાં દાદાની તબિયત જોવા ગયા. વાતવાતમાં એમનો પુત્ર બે-ત્રણ વખત બોલ્યો ‘બાના ગયા પછી બાપુજીએ છ મહિનામાં ખાટલો ઢાળ્યો.’ જ્યાં સુધી બન્ને સાથે હતા, ત્યાં સુધી ક્યારેય કોઈ ફરિયાદ નહોતી સવારથી એમનું સમયપત્રક નક્કી રહેતું. પ્રાતઃકાર્યો, પ્રભુનામ, બપોરા,સાથે મંદિર જવું, રાત્રે સમયસર સૂવું હા,નાની મોટી ચણભણ પણ ખરી. અરે, મારો દીકરો ક્યારેક મજાક પણ કરતો, ‘દાદીમા મોઢું ફુલાવીને પણ રાત્રે દાદાજીને હળદરવાળું દૂધ આપવાનું ભૂલે નહીં.’ વળી, બાપુજી પણ બાની દવાનો સમય ક્યારેય ન ચૂકતાં.બાપુજીને આંખોમાં થોડી તકલીફ તો દરરોજ રાત્રે ધાર્મિક પુસ્તક વાંચવાની જવાબદારી બાએ વર્ષોથી સંભાળી લીધી હતી,પરંતુ એકાએક બાએ બહુ ટૂંકી બિમારીમાં વિદાય લીધી. પછી અમે લોકો કોઈ વાતમાં મણા નથી રાખી. પરંતુ,બાપુજી દિવસે દિવસે જાણે વિલાઈ જવા માંડ્યાં છે. ગઈકાલ સુધી દરેક વાતમાં રસ લેતા, હવે જાણે રસહીન થઈ ગયા છે.ભાઈ, હજી ઘણું કહેતા હતા…મને એક સવાલ થયો ‘એવું કેવી રીતે થાય? આ કંઈ સ્વીચ થોડી છે, કે ઓન-ઓફ થાય. તો પછી?’ દાદાનો જીવનમાંથી રસ સંપૂર્ણ ઉડી ગયો. અમુક ઉમરે વ્યક્તિ થોડુંઘણું સ્વીકારી જ લ્યે છે, ‘ભીંત અને કરો બન્ને ક્યારેય સાથે પડતા નથી.’મેં દાદાને હળવાશથી કહ્યું, ‘દાદા હજુતો પૌત્રના લગ્ન માણવા છે, તો કેમ ઢીલા પડી ગયા અને ખાટલો ઢાળ્યો?’દાદાજીએ, એકપણ ક્ષણના વિલંબ વગર જવાબ આપ્યો.’બેટા, સથવારો છૂટી ગયો ને…!’
– રીટા ભાયાણી
“કલા કોઈના બાપની જાગીર નથી. સમજ્યો ને? તારી પાસે સંગીત છે અને તારી પેલી ચિબાવલી પાસે ગાવાની કળા છે ને તો મારી પાસે પણ લખવાની કળા છે. તારા જેવાં તો બહુ જોયા. તું તારા રસ્તે ને હું મારા રસ્તે. મને કંઈ તારી પડેલી નથી. શું તું સૂર આપશે તો જ મારી કવિતા..” ગળે ડૂમો બાઝતાં વાક્યને અધૂરું જ રહેવા દઈને વીની પગ પછાડતી રૂમની બહાર નીકળી ગઈ.
વેદાંત વીનીની પાછળ ગયો. “તારી કોઈ ભૂલ થતી લાગે છે. તું સમજે છે એવું કંઈ છે જ નથી..વીની.. વીની સાંભળ..” વેદાંત બબડતો રહ્યો. વીની કંઈ જ સાંભળવાનાં મૂડમાં ન હતી. એનાં અવાજો વીનીનાં બહેરા કાને અથડાઈને પાછા વળ્યાં.
ઘણાં દિવસે વેદાંત અને વીની એક સંગીતનાં કાર્યક્રમમાં ભેગાં થયાં. વેદાંત દોડતો વીની પાસે આવ્યો. “તું જેને ચિબાવલી કહે છે એણે.”
“તને કીડની આપી છે. એમ જ ને ? તારા સંગીત વગર મારી કવિતા અધૂરી છે.” કહેતાં વીની વેદાંતની આંખો વાંચી રહી.
“અને એેએેએ… તારા શબ્દો વગર મારું સંગીત.” વેદાંતનાં વળતા પ્રત્યુત્તરે વીનીની આંખો સાથે હ્રદય પણ લાગણીથી છલકાવી દીધું.
“તને સંગીતનાં સથવારે જીવતાં આવડે છે તો મને કલમનાં સથવારે જીવતાં આવડે છે.” એવું કહેનાર બન્ને જણ આજે સમજણનાં સથવારે એક થઈ ગયા.
પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)
NOG SS No.-0014
પ્રકાર-વાર્તા*કપરા સમયનો સથવારો- જીવનસાથી*
સત્તર જુલાઈનો દિવસ હતો. આષાઢના કાળા વાદળો ગગનને ઘેરી વળ્યાં હતા. સવારના છ વાગી રહ્યા હતા. મારી નિત્યક્રિયાઓ પૂર્ણ કરી હું શાળામાં જવા નીકળી ગયો હતો, ત્યારે જ અચાનક વીજળીનો ચમકારો થયો અને ગગન ગૂંજવા લાગ્યું.ઊંચે આકાશ તરફ જોયું ત્યાં ઝીણી ઝરમર મુખને સ્પર્શી રહી હતી અને મનના અહ્લાદક આનંદની અનુભૂતિ સાથે મારો હાથ થેલામાં પડેલી છત્રી પર પડ્યો. વરસાદ મૂશળધાર વર્ષી રહ્યો હતો.રસ્તામાં જતી વેળાએ એક એવું દૃશ્ય જોવા મળ્યું જેને જોઈ મારા નકારાત્મક વિચારોનો અંત આવ્યો અને સકારાત્મક ઉર્જાનો ઉમળકો ફૂટ્યો. *સવારમાં દાતણ વેચવા નીકળેલા પતિ-પત્ની એક બાવળ નીચે ઉભા હતા. બાવળમાંથી નીતરતી પાણીની બુંદો પતિ-પત્નીના દેહને સંપૂર્ણ ભીંજવી રહી હતી. વરસાદથી બચવા બંને પતિ-પત્નીએ સ્ત્રીની ચૂંદડીનાં ફાટેલા પાલવમાં સંતાયા હતા. “ભગવાનની કેટલી દયા છે કે મારી પાસે આટલું તો છે અને બીજો તમારો સથવારો.. જેની પાસે એટલું’ય નહિ હોય તેની કેવી સ્થિતિ હશે?” સ્મિત સાથે મધુર સ્વરે પાલવ તરફ જોઈ સ્ત્રી બોલી અને સામે સ્મિત કરી પુરુષે હકારમાં ડોકું ત્રણ વખત ઝૂલાવતા (ધૂણાવતા)બોલ્યો, “હા, ખરું હો..”*
*તારા સથવારાના ખેતમાં નવી આશની કૂંપણો જોઈ,* *સંતોષના ઓડકાર આવે,એવી ગરીબની ઝૂંપડી જોઈ.*
-જયેશ સંઘાર…✍️ ભોજાય,માંડવી, ૬/૧૨/૨૦૨૦