તા. 15માર્ચ, 2020
ખેડૂતોના હુંકાર, જીવ જાય તો ભલે, જમીન તો નહીં જ મળે.!
સંગઠિત ખેડૂતોએ પ્રસ્તાવિત સોમનાથ-કોડીનાર રેલવે લાઇનનું સર્વે કામ રોક્યું. પોલીસ પ્રોટેક્શન છતાં અધિકારીઓને પાછા જવું પડ્યું. મોટા આંદોલનના એંધાણ…
સોમનાથથી કોડીનાર સુધી મોટી કંપનીઓના લાભાર્થે કેન્દ્ર સરકાર લીલી નાઘેરની કિંમતી ફળદ્રુપ જમીન ખેડૂતો પાસેથી છીનવીને નવી બ્રોડગેજ રેલ લાઈન નાખવા માંગે છે. એના માટેનું જાહેરનામું બહાર પડ્યું ત્યારે ખેડૂતોએ લગભગ 4000 જેટલા બાઈકની રેલી કાઢીને નાયબ કલેક્ટરને વેરાવળ જઈ આવેદન પત્ર અને પોતાના વ્યક્તિગત વાંધા આપ્યા હતા. ખેડૂતોએ ઉઠાવેલા વાંધાઓનો આજ સુધી રેલવે કે કલેકટર તરફથી કોઈ જવાબ અપાયો નથી.
વચ્ચે સર્વે કરતા ખેડૂતોએ રોક્યા ત્યારે તત્કાલીન નાયબ કલેકટરશ્રીએ રેલવે અધિકારીઓ અને ખેડૂતોની મિટિંગ ગોઠવી હતી. ત્યારે ખેડૂતોએ લેખિત પત્રથી પોતાના વાંધા અને વિકલ્પો સૂચવ્યા હતા તેનો પણ આજસુધી કોઈ જવાબ તંત્ર દ્વારા મળ્યો નથી.
જાહેરનામાને એક વર્ષની મુદત પુરી થઇ, ના તો જાહેરનામું રીન્યુ કર્યું છે કે ના નવું જાહેરનામું બહાર પડ્યું તેમ છતાં ગઈ કાલે ખેડૂતોને જાણ થઇ કે પોલીસ પ્રોટેક્ષન સાથે સર્વે કામ કરવા આવવાના છે.
આજે ખેડૂતો લગભગ 1500ની સંખ્યામાં એકઠા થયા હતા, અસરગ્રસ્ત ઉપરાંત બીજા જાગૃત ખેડૂતો પણ એમના ટેકામાં આવી પહોંચ્યા હતા. ખેડૂતોએ અધિકારીઓ પાસે એમના ઓળખકાર્ડ માગ્યા જે રેલવેના અધિકારી પાસે નહોતું. સક્ષમ અધિકારીની હાજરી હોવી જોઈએ તે નહોતા, માત્ર પોલીસ અને ખાનગી કંપનીના કર્મચારીઓ રેલવે અધિકારી સાથે હતા. એમની પાસે જુના જાહેરનામાની નકલ હતી, એ લઈને જ ખેડૂતોને છેતરવા આવ્યા હતા!
તંત્ર દ્વારા ખેડૂતોના વાંધાનો જવાબ અપાયો નથી, પત્રનો જવાબ અપાયો નથી, લેન્ડ રેકર્ડના સક્ષમ અધિકારી નહોતા, વિડીઓગ્રાફી કરવા માટે વીડિઓગ્રાફર નહોતા, આમ, દરેક જગ્યાએ કરે છે તેમ ખેડૂતોને ડરાવી-ધમકાવી કેસ કરવાની ધમકી આપી કામ કઢાવવા આવ્યા હતા પરંતુ ખેડૂતોની જાગૃતિ અને હિમ્મત તથા સંગઠનશક્તિને કારણે રેલવે અધિકારીએ લેખિત આપવું પડ્યું કે જ્યાં સુધી ખેડૂતોના વાંધાનો નિકાલ ના આવે, ખેડૂતો સહમત ના થાય ત્યાં સુધી સર્વે કરવા નહીં આવે.
આજે સર્વશ્રી રામભાઈ વાઢેર, કેશુભાઈ જાદવ, ગીર-સોમનાથ જિલ્લા ખેડૂત એકતા મંચના પ્રમુખ શ્રી રમેશભાઈ બારડ, શ્રી હરિભાઈ વાળા, રાજુભાઈ સોલંકી, દીપકભાઈ કાછેલા, વિક્રમભાઈ પતાઈ, જયંતીભાઈ બારડ, વિક્રમ પાટી, ભગીરથ ઝાલા, મુળુબાપા, કાળા બાપા, સંજય મોરી, મુકેશ રાઠોડ વગેરે 1500 જેટલા ખેડૂતો સાથે આખો વખત સ્થળ પર હાજર રહ્યા હતા.
આ તમામ ખેડૂતોની એક જ વાત છે કે “અમે અમારી કિંમતી, ફળદ્રુપ લીલી નાઘેર કહેવાતી જમીન આપવાના નથી, એમને રેલવે બનાવવી જ હોય તો બીજા વિકલ્પો ખાલી છે ત્યાં જાય… અમારો જાય તો ભલે, કોઈપણ સંજોગોમાં જમીન તો નહીં જ આપીએ.”
સાગર રબારી,
પ્રમુખ, ખેડૂત એકતા મંચ (ગુજરાત)