ચેરમેન જશવંતભાઈ પટેલની ઝીરો ટોલરંસની ઇન કરપ્શન નીતિ.
સહેજ પણ ભ્રષ્ટાચાર સાંખી નહી લેવાય: જશવંતભાઈ પટેલ
તારીખ- 13 જૂન, 2022
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વના ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 17 વિષય પૈકી 16 વિષયને મંજૂરી આપવામાં આવી છે જ્યારે એક વિષયને સ્ક્રેપ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગની બેઠકમાં 7 કંપનીઓને મહાનગરપાલિકામાં આજીવન બ્લેકલિસ્ટ કરવાની ભલામણનો સૌથી અગત્યો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રૂદ્ર એન્ટરપ્રાઇઝ, પવિત્રા સોલ્યુશન, માનવ એન્ટરપ્રાઇઝ, ગણેશ કોર્પોરેશન, એલ. એમ ટ્રેડિંગ, માજી ગૃપ અને મિનાક્ષી એન્ટરપ્રાઇઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવાયેલી શંકાસ્પદ કંપનીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા માટે સ્ટેન્ડિંગ સમિતિની ચેરમેન જશવંતભાઈ પટેલે સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે, “મહાનગરપાલિકાની તિજોરી પર કોઈની તરાપ નહી પડવા દઈએ. ભ્રષ્ટાચાર ક્યારેય પણ નહી સાંખી લેવાય. જે પણ લોકો આ ગેરરીતિમાં સામેલ હશે તેમની સામે આકરા પગલા લેવામાં આવશે.”
સ્ટોર શાખા દ્વારા કરવામાં આવેલી ખરીદીમાં થતા ભ્રષ્ટાચારને ચેરમેન જશવંતભાઈ પટેલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો. ત્યારે હવે આ મામલે ચેરમેનશ્રીએ જણાવ્યું છે કે, જ્યા સુધી અમે ત્રણેય પદાધિકારી મહાનગરપાલિકામાં છીએ ત્યા સુધી મહાનગરપાલિકાની તિજોરી પર કોઈની ખરાબ નજર નહી પડવા દઈએ. જરૂર પડ્યે પોલિસ ફરિયાદ પણ દાખલ કરીશું અને ભ્રષ્ટ એજન્સીઓને કાયમી પ્રતિબંધિત કરીશું.