[6/3, 11:38 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS No. 0081
વિષય : આવડત- અણ આવડત
પ્રકાર : ગદ્ય
શીર્ષક: આવડત કે અણ આવડતનું લેબલ
શબ્દો: ૩૩૩
આવડત એટલે કોઈ કામ કે પ્રસંગને સામાન્ય કરતાં વધુ સારી રીતે , ઝડપથી અને વિશિષ્ટ રીતે પાર પાડવું. આ માટે કૌશલ્ય અને સમર્પણ જરૂરી છે. ઘણીવાર આવડતને વંશપરંપરાગત કે કુદરતી ભેટ ગણાવી શકાય.એક બાળક જે અંગત રીતે ચિત્રકામ પ્રત્યે અનુરાગ રાખતું હોય એ કોઈનું જોઈને કે શિક્ષક પાસે વારંવાર જઈને પોતાની કલાને નિખારે તે એની આવડત કહેવાય.આવે વખતે ઘરનાં કોઈ સભ્યની વિશેષ સહાય ન મળવા છતાં એ પોતાની આવડતથી એમાં કૌશલ્ય મેળવે એ આવડત.
અણ આવડત એ કોઈ અવગુણમાં ખપે એ બરાબર ન કહેવાય. કોઈ એક ક્રિયા કે પ્રવૃત્તિમાં કુશળતા દાખવવા માટે એને અનુકૂળ માર્ગદર્શન કે સંયોગ ન મળે તો એમાં પ્રાવિણ્ય ન દાખવી શકે.એક કન્યા જેને અભ્યાસને પ્રાધાન્ય આપવાનું કહી કદી જ રસોડાનો પરિચય ન કરાવ્યો હોય તેની રસોઈ સારી ન બને એ સ્વાભાવિક છે,આ ઘટનાને અણ આવડતમાં ન ખપાવી શકાય.
અમારાં દક્ષિણ ગુજરાતમાં એક કહેવત છે ,” ફાવ્યો કોલો વાડ કૂદે.”.. અર્થાત્ કોલા એટલે કે શિયાળને છટકવા માટે કેવી વાડ મળે એ પરથી એની હોશિયારી મપાય.વાડ તો ક્યાંક નીચી તો ક્યાંક બાકોરાં વાળી હોય, ત્યારે ઊંચી વાડ ન કૂદે એ અણઘડ શિયાળ એમ તો ન જ કહેવાય ને.આમ આવડતનું પરિમાણ દર વખતે સફળતા ન હોઈ શકે.કૂદી ગયો કે છટકી ગયો એ હોંશિયાર એવું નથી હોતું, એની સામે આવેલ પડકાર કે લક્ષ્ય કેવાં હોય એ પરથી એને તે પૂરતો શિરપાવ મળે એ ઠીક પણ તેથી એની વિશેષતા સાબિત નથી થતી.
આવડત એ સતત પોતાની જાતને સુધારતા રહેવાની પ્રક્રિયાથી મેળવાય છે.એક સ્ત્રી અભાનપણે સારી રોટલી બનાવવા માટે મથતી રહે છે કારણકે એને સારી અને સામાન્ય રોટલી વચ્ચે ફરક જણાયો છે.આ માટે એનું સમર્પણ,સુધારો કરવાની તીવ્ર ઇચ્છા કારણભૂત બને છે.પણ આ જ સ્ત્રી જો સતત આ કામ કરવામાં નિરસ અને નિષ્ફળ રહે તો એની અણ આવડત કહી શકાય.
આવડત અને અણ આવડતને એક લેબલ તરીકે ન વાપરી એનો એક પ્રગતિસૂચક માર્ગ તરીકે અપનાવાય એ ઈચ્છનીય છે.વળી આવડત બેદરકારી કે અહમ્થી અણ આવડતમાં બદલાતા વાર નથી લાગતી તેથી સાવધાની અને સ્વાધ્યાય જરૂરી છે.તે જ રીતે અણ આવડતને ખંત અને સતત કોશિશથી આવડતમાં બદલી જ શકાય.આ બંને ભાવવાચક સંજ્ઞાઓ છે , કોઈ સર્ટિફિકેટ નથી એ યાદ રહે!
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત
[6/4, 6:06 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *ટૂંકી વાર્તા*
*વિષય* : *આવડત-અણઆવડત*
*શબ્દો* : *૩૪૮*
*શીર્ષક* : *’લાગણી કે દખલગીરી?’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
અપેક્ષા અને અનિકેતના લગ્ન થયાં. બંને સુશિક્ષિત અને હોશિયાર હતા. અપેક્ષાને અનિકેતનો સરળ, સાલસ અને સમજદાર સ્વભાવ અને અનિકેતને અપેક્ષાનો હસમુખ અને વાચાળ સ્વભાવ ખૂબ ગમતો. અપેક્ષા તેના માતા-પિતા સાથે ખુબ જ લાગણીથી જોડાયેલી હતી. માતા મિનાક્ષીબેન દીકરી સાથે એક વિશેષ ખેંચાણ અનુભવતા, પરંતુ લગ્ન પછી પણ આ સિલસિલો ચાલુ જ રહ્યો. અપેક્ષાના માતા મિનાક્ષીબેન પોતાની પુત્રીની સાથે અધિકારભાવનાથી વધુ જોડાયેલા હતાં. હજુ તેમના ઘરની નાની નાની દરેક સમસ્યામાં અપેક્ષાને સાંકળતા રહ્યા.
પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ હતી. લગ્ન બાદ નવા ઘરમાં તેણે પોતાનું સ્થાન બનાવવાનું હતું. સૌના મન જીતવાના હતા. અનિકેત પણ અપેક્ષાના તેના માતા-પિતા સાથેના આટલા વર્ષોના લાગણીના સંબંધોને માન આપતો હતો. અપેક્ષાનું વારંવાર બહારગામ રહેતા તેના માતા-પિતાને મળવા જવું તેને કઠતું હતું પરંતુ અપેક્ષાને આ બાબતે તે થોડો સમય આપવા માગતો હતો. તેને ખાતરી હતી કે તેના ઘરનો પ્રેમ અપેક્ષાને આપોઆપ તેના માતા-પિતાના ઘર પ્રત્યેનું ખેંચાણ ઓછું કરાવશે અને તેના પોતાના ઘર પ્રત્યેની જવાબદારીઓનો અહેસાસ કરાવશે.
બીજી તરફ માતા મિનાક્ષીબેન અપેક્ષાને દરરોજ ફોન કોલ્સ કરી તેના ધરની નાનામાં નાની બાબત જાણવાની ઉત્કંઠા રાખતાં. ઘરના વ્યક્તિઓનો અપેક્ષા પ્રત્યેનો વર્તાવ અને ઘરમાં મહત્વ મેળવવા માટે તેમની ટૂંકી સમજણ પ્રમાણે સલાહ સૂચન આપતાં. તેના ઘરસંસારની નાની નાની સમસ્યાઓમાં સતત ચંચુપાત કરતા.અપેક્ષા હોંશીયાર હોવા છતાં આ બાબતે કાચા કાનની હતી. તેની માતાની દખલગીરીને તે તેના પ્રત્યેની લાગણી સમજતી હતી.
એક અરસા પછી પણ અપેક્ષાનું તેના માતા-પિતા અને પિયર તરફનું ખેંચાણ ઓછું થયું નહીં. સાસરીમાં પણ તેનું દરેક વર્તન તેની માતાના દોરીસંચાર અને સૂચનોને અનુરૂપ રહેતું.આ બધામાં અપેક્ષા પોતાના લગ્નજીવનને કઈ હદે નુકસાન પહોંચાડી રહી છે તેનો એને અંદાજ જ નહોતો. અનિકેતની વારંવાર સમજાવટ પછી પણ અપેક્ષા તેની વાત માનવા તૈયાર નહોતી. દિવસે દિવસે અનિકેત અપેક્ષાથી દૂર થતો ગયો. તેના માતા-પિતાનો અપેક્ષા પ્રત્યેનો અસંતોષ અણગમામાં પલટાવા લાગ્યો. આમ અપેક્ષાની હોંશીયારીની આવડત અણઆવડતમાં પરિણમી. જેમાં મહદઅંશે માતા મિનાક્ષીબેનની પરિણીત દીકરીના જીવનમાં દખલગીરી કારણભૂત બની.
સંક્ષિપ્તમાં વાર્તાસાર:
લગ્ન પછી પરિણીત દીકરીના જીવન સંસારમાં માતા-પિતાએ તેના હિતમાં હોય એટલી હદ સુધી જ રસ લેવો જોઈએ. આગળ ઉપર તેનો સંસાર તેની રીતે સંભાળવા દેવો જોઈએ અને પોતાની મમતા ભૂલી નવા વાતાવરણમાં નવી વ્યક્તિઓને પોતાની બનાવવા પ્રેરવી જોઈએ. પિયરના ઘરની નાની નાની સમસ્યાઓથી દીકરીને દૂર રાખવી જોઈએ જેથી તે તેના નવા કુટુંબ તરફ આત્મિયતાથી ઢળી શકે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૦૩ જૂન ૨૦૨૨.
[6/4, 3:06 PM] Bhavana R.MeM: NOG SS No- 111
વિષય: આવડત – અણઆવડત
વિભાગ: ગદ્ય
શબ્દ સંખ્યા: ૨૭૮
શીર્ષક: ઓળખ વ્યક્તિત્વની
આપણાં જીવનમાં વિરોધાભાસ કેવો અગત્યનો ભાગ ભજવે છે! જીવનમાં દ્વંદ્વ નહોય તો મજા જ નહોય. એવા જ બે શબ્દો છે આવડત- અણઆવડત.આ બે વિરોધી શબ્દો આપણાં વ્યક્તિત્વ , માન- સન્માનના માપદંડ જેવાં છે.
નાનપણથી લઈને પ્રૌઢાવસ્થા સુધી આપણી આવડત- અણઆવડતને સતત મૂલવવામાં આવેછે. સ્ત્રીઓ માટે કામકાજ, રસોઈકળા , ગૃહસ્થી સંભાળ, વ્યવહારિક કાર્યોમાં આવડત હોવી ખૂબ જરૂરી મનાય છે.જે સ્ત્રીઓએ ઉપરોક્ત કળા હસ્તગત કરી છે, તેમણે જાણે સંસારમાં વિજય પ્રાપ્ત કરી લીધો છે.સામાન્ય વાતચીતમાં પણ આવડતની ખૂબ પ્રશંસા થાયછે. વર્તમાન સમયમાં કોઈની સારપને નબળાઈ ગણીને અણઆવડતમાં અને વાક્ પટુતાને આવડતમાં ગણવામાં આવે છે.કયારેક એવું પણ બને કોઈ પાત્ર અણમાનીતું હોય, તેનામાં કઈ અણઆવડત છે, તે રીતે મૂલવી ઉતારી પાડવામાં આવે છે.તે સાથે તે વ્યક્તિ નીચલા સ્થાનને પ્રાપ્ત કરેછે. પુરુષોમાં તેમનો સામાજિક મોભો , શ્રેષ્ઠ આર્થિક ઉપાર્જન કરવાની આવડત, મોટેભાગે માપદંડ બની રહે છે. આની સામે બીજી નકારાત્મક બાબતો ગૌણ બની જાય છે.
મિત્રો, શું એવું ન બને કે આ બધી કુશળતા સિવાય વ્યક્તિમાં અન્ય આવડતો હોય , જે સમાજ માટે બહુ અગત્યની ન હોય પરંતુ તેનું સાંસ્કૃતિક કે સાહિત્યિક મૂલ્ય ખૂબ ઉચ્ચ હોય , જે માપદંડમાં ન ગણવામાં આવે અને વ્યક્તિગત રીતે તે ખૂબ મૂલ્યવાન હોય. તો બીજાં લોકોને કોણે આ હક્ક આપ્યો છે કે તેઓ વ્યક્તિગત આવડત કે અણઆવડતનું મૂલ્યાંકન કરે ?
મારા મંતવ્ય મુજબ સમાજે કોઈને મૂલવતાં પહેલાં વ્યક્તિગત ગુણોને પ્રાધાન્ય આપી તટસ્થ રહેવું જોઈએ. ઈશ્વરે દરેકનું કોઈને કોઈ વિશિષ્ટ ગુણ સાથે સર્જન કર્યું છે ઉદા. મૂક-બધિર, વિકલાંગ, ગરીબ લોકોમાં પણ કૌશલ્ય હોયછે.જેને સાથ આપી બહાર લાવવાની જરૂરત હોયછે. વ્યક્તિગત પસંદગી – નાપસંદગીને માપદંડ ન બનાવવો જોઈએ. જરૂર છે ફક્ત યોગ્ય દ્રષ્ટિ રાખી હર વ્યક્તિત્વને ખૂબી તેમજ ખામી સાથે સ્વીકારી આદર આપવો.
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
૦૪/૦૬/૨૦૨૨