ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની સાત ગદ્ય પદ્ય રચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : માતૃ દિવસ..ગદ્ય – પદ્ય
“માં” વિષયક રચનાઓ. દિવસ – ૭
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
એડમિન ટીમ.: નિર્ણાયક મંડળ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ, પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
*ગદ્ય – પદ્ય**માતૃ દિવસ*
NOG SS No-0011
માતૃદિવસ પ્રસંગે
વિભાગ: ગદ્ય
પ્રકાર:- લેખ
શીર્ષક:- મા
મા શબ્દ એક અક્ષરવાળો મૂળાક્ષર છે. જે આ દુનિયાનો સૌથી પવિત્ર શબ્દ છે. આ શબ્દમાં સૌથી વધારે તાકાત છે.
નારી નારાયણી છે જ પણ નારી જ્યારે મા બને પછી પોતે સંતાનોની રક્ષા કરવા વધુ શક્તિશાળી બને છે. ગમે તે મુશ્કેલી આવે તો પણ તેનો તે હલ કરી શકે છે.
મા ને પુત્ર હોય કે પુત્રી- બંને તેનાં માટે સરખાં હોય છે. દરેક સ્ત્રીને મા બનવાનાં સપનાં હોય છે. નાની કુમારિકા બાળપણમાં ઢીંગલીની મા બનતી હોય છે. નાનપણથી જ તેનામાં કરુણા,પ્રેમ ,નમ્રતા સહનશીલતા જેવા ગુણોનો વિકાસ રમતાં રમતાં જ થઈ જાય છે.
ખિસકોલીનાં બચ્ચાં ખાવા માટે આવતાં સાપ સાથે ખિસકોલીની મા લડે છે. તેના બચ્ચાંનો જીવ પોતાનો જીવ ગુમાવીને બચાવે છે.
મા દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીનો અવતાર છે. કહેવત છે કે “ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.”
માનો સંતાન સાથેનો સંબંધ નિ:શબ્દ છે. તેનાં પાલવની મીઠી છાયાથી દુઃખ છુપાઈ જાય છે.
ઈશ્વરને જન્મ આપનારી મા ને ઈશ્વર પણ વંદન કરે છે. રામની માતા કૌશલ્યા ને કૃષ્ણની માતા યશોદા ને દેવકી, હનુમાનની માતા અંજની દરેક મા વંદનને પાત્ર છે.
માતૃદેવો ભવ: – માતાને દેવી માનવામાં આવે છે. મા સંતાનની પ્રથમ ગુરુ છે. મા જ્ઞાન અને સંસારની મોટી યુનિવર્સિટી છે.
તે સંતાનને હસાવી પણ શકે છે ને રડાવી પણ શકે છે. તે સંતાનને મીઠી વાણી પણ બોલે છે અને જરૂર પડે ઠપકો પણ આપે છે.
માનાં ધાવણનું ઋણ અદા કરવું એ કદી શક્ય નથી.
કવિ બોટાદકર કહ્યું છે કે,” જનનીની જોડ સખી નહી મળે રે લોલ.”
મા એ વિશ્વની ગ્રંથાવલી છે.
માની ઝૂંપડી પણ મહેલ લાગે છે. ને એને એનો પુત્ર કે પુત્રી રાજકુમાર ને રાજકુમારી લાગે છે.
મા વિધાતા, દેવી, સરસ્વતી અને મહાન વ્યક્તિ, વૈધ છે. વાત્સલ્યનું અમી ઝરણું, વ્હાલની મીઠી વીરડી, સંસ્કૃતિનું મહાવિદ્યાલય, પ્રેમની સાકાર કરતો શબ્દ, મા બાળકની પાઠશાળા છે. જગતની શાળા છે.
સ્વર્ગમાં માતાની ગોદ છે કે નહીં તેની ખબર નથી પણ તેની ગોદમાં સ્વર્ગ છે તે અનુભવસિદ્ધ છે. એ જગતનું શ્રેષ્ઠ તીર્થ છે.
મા નો અર્થ દુનિયાની બધી ભાષામાં મા જ થાય છે.
– મનોજકુમાર પંચાલ
‘મન’ પાલનપુર
***************************†****
NOG SS NO : 0039
મા, તને પ્રણામ🙏
સ્વર્ગસ્થ મા ને,
મા નથી હવે આજે,
હતી ત્યાં સુધી એની લાગણીઓ વધાવવામાં ચૂક થઈ જ હશે પણ એણે ક્યારેય ફરિયાદ કરી નથી,
બાળકો મોટા થાય ત્યારે માતા ફરિયાદ કરવાનું માંડી વાળે છે,
અને અમે નાદાન બાળકો તારા નહિ કહેવાયેલા શબ્દો સાંભળવા અસમર્થ રહ્યાં હોઈએ પણ પોતાની પીડાને મહત્વ આપ્યા વગર ચૂપ રહીને જીવ્યા કરવું એ દરેક માની આદત હોય છે.
તારી પ્રત્યે અદા કરવું જોઈએ એવું કોઈક ઋણ તો બાકી રહ્યુંજ હશે.
એ માટે અમને ક્ષમા કરજે.🙏
ઈશ્વર સદાય મને તારું જ બાળક બનાવે એવી પ્રભુ પ્રાર્થના.
મા તરીકે તું અજોડ,અદ્વિતીય,
અનુપમ, અણમોલ અને અપ્રતિમ હતી એ વાત ઈશ્વર પણ જાણે છે અને પ્રભુના દરબારમાં તારું અનોખું સ્થાન હશે જ.તારા સંતાનો અહીં ખુશ છે, ચિંતા ના કરીશ. તું પણ ત્યાં ખુશ જ હોઈશ કારણકે તું કોઈ પણ પરિસ્થિતિમાં, તકલીફોને અવગણીને, દુઃખને દાબીને, હંમેશાં ખુશમિજાજી રહીને જ જીવી હતી.
એક ઝલક જોવાની અતિ પ્રબળ ઈચ્છાએ આંખો બંધ કરી લઉં છું અને તું મારી બંધ આંખોમાં આવી જાય છે.
તારા છેલ્લા શબ્દો યાદ આવી જાય છે, “જે થવાનું હશે એ થશે પણ રડવાનું નહિ બેટા.”
અને રડી લઉં છું, જ્યારે જ્યારે તું યાદ આવે ત્યારે ત્યારે. એવો કોઈ સમય પણ નથી કે તું યાદ ના આવી હોય.
તારી યાદ એ જ મારી મહામૂડી છે જે જીવનની છેલ્લી પળ સુધી રહેશે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
*******************************
NOG SS NO – 0037
વિષય – માતૃ દિવસ નિમિતે.
શીર્ષક – મા……..!
વિષય – ગદ્ય.
નામ – હેમલતા દિવેચા.
જગતની દરેક માતાના ચરણોમાં મારા પ્રણામ..🙏
માતૃ દિવસ….અરે વ્હાલાં મા નો કોઈ ખાસ દિવસ થોડો હોય…! જેના ગર્ભમાં નવનવ માસ રહ્યાં,જેમની સાથે શ્વાસો શ્વાસનો સબંધ છે. જે આપણને આ પૃથ્વી પર લાવ્યાં…! એના માટે દિવસ એક (૧)…?
સાહેબ એમના માટે તો આ જિંદગી શું સાત જન્મો પણ ઓછા પડે. મા એતો અવિરત વહેતો ગંગાનો, પવિત્ર મમતાથી છલો છલ પ્રવાહ છે.જિંદગીનો દરેક દિવસ એમને અર્પણ હોયજ.
વિભૂએ સુંદર મજાની સૃષ્ટિની રચના કરી.આવી સુંદર સૃષ્ટી ચલાવવા સુંદર સ્ત્રી, એટલેકે પોતાની જ શકિતનો અંશ, સ્ત્રી બનાવી.સ્ત્રી અપૂર્ણ કહેવાય, જ્યાં સુધી એને માતૃત્વ પ્રાપ્ત ન થાય.ઇશ્વર બધીજ જગ્યાએ ન્યાય ન આપી શકે,માટે પોતાના જ અસ્તિત્વની ઝાંખી કરાવતું પાત્ર ‘મા ‘ માનવ કલ્યાણ માટે બનાવ્યું.
સ્ત્રી જ્યારે માતા નથી હોતી,ત્યાં સુધી એ સંસારમાં પોતાનું સુખ શોધ્યાં કરે છે.પરંતુ એક વખત માતૃત્વ પ્રાપ્ત થયાં બાદ,સંતાનના સુખમાં એ પોતાનું સુખ માને છે.પોતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ,મોજ,શોખ,પોતાના સંતાનથી શરૂ ,સંતાનથી પૂર્ણ થાય છે.પોતાના અંતર મનની અગાધ લાગણીઓ અમૃત (દૂધ ) સ્વરૂપે સંતાનને પીવડાવી મોટાં કરે છે.કહેવાય છે ને ‘ કડવું પણ મા જ પાય.’ તદ્દન સાચું છે.સંતાન માટે, મોતથી પણ લડવાની તાકાત ‘મા’ રાખે છે.
માતા એ સંતાનની પ્રથમ ગુરુ,અને મોટામાં મોટી, યુનિવર્સિટી છે. મા માટે સંતાન એમના મનનું મંદિર હોય છે.નિશદિન સંતાનના સુખ માટે રટણ કર્યા કરે છે.સંતાન માટે પણ પોતાની મા સૃષ્ટિની શ્રેષ્ઠ સ્ત્રી હોય છે. મા ને દુઃખ થાય એવું સ્વપ્નમાં પણ ના વિચારવું.દરેક સ્ત્રી પોતાના સંતાનને વફાદાર હોયજ છે.ભલે એ ગમેતે પરિસ્થિતિમાં હોય.
‘જો જો બાળકો જે માતા તમને સૃષ્ટી ઉપર લાવી,તમારું લાલન પાલન કર્યું,એ ને શ્વાસ છોડતાં પહેલાં ઘરનું આંગણું ના છોડાવતા.
ધન, ખરચતાં બધું જ મળશે, ‘મા ‘ ની મમતા નહીં મળે.
મારી માતા મારા માટે ઈશ્વરનો સાક્ષાત્કાર છે.🙏🙏
બાંહેધરી – આ ગદ્ય રચના મારી સ્વરચિત છે,જેની હુ બાંહેધરી આપું છું.
હેમલતા દિવેચા.જૂનાગઢ
*******************************
NOG SS No :-010
વિભાગ :- પદ્ય
શીર્ષક :- અર્પણ
પ્રકાર :- દુહો
મબલખ મૂલ મમતાનું,
શોધું છું શબ્દ અર્પણ,
પાલવ છલકે પ્રેમથી,
વદી શકું ન વર્ણન.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
****************************
NOG SS No : 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-મા
મારા અંતર ની ઊર્મિ પર પહેલો અધિકાર તારો મા.
કારણ તારા ધબકારા સાંભળીને તો ઉર્મિઓ સાથે પરિચય થયો.
કેમ ભૂલી શકું એ વેદનાઓને?
જે મેં દુનિયામાં આવવા માટે તને આપી હશે!
પણ એ વેદનાઓને વિસારી,
મારા કપાળ પર નું તારું પહેલું
ચુંબન,
વિધાતાની પહેલાં, મારું ભાગ્ય લખાય ચૂક્યું હશે!
તારો એ સ્નેહાળને આશિષ ભરેલો સ્પર્શ,
મારી જિંદગી ને ઘડતો રહ્યો.
જીવન સફરમાં તે આપેલ ભાથું,
સફરને સરળ અને ગતિશીલ બનાવતું રહ્યું.
અનેક ઉતાર-ચઢાવ બાદ પણ,
જીવન વિકસતું અને પાંગરતું રહ્યું.
એક દિવસ ક્યાંક આ શ્વાસ અટકી જશે,
એ પહેલાં બસ એટલું જ કહી દઉં કે મા!
તારી ગોદમાં દુનિયાભરનો આરામ હતો.
અલકા મહેતા
ગાંધીનગર.
*******************************
*NOG SS No :- 0027*
વિષય :- માતૃ દિવસ નિમિત્તે
પ્રકાર:- ટૂંકી વાર્તા
શીર્ષક:- પીડાનું પાથરણું : માતા
જોશનાબા આજે હરખઘેલાં હતાં. દશ વર્ષની સખત મજૂરી પછી આજે એ દિવસ આવ્યો હતો. જીવનનું એકમાત્ર સ્વપ્ન સાકાર થયું હતું. સોનાનું લોકેટ !
આ ઘરમાં પરણીને આવ્યાં પછી જોશનાબાએ કોઈ દાગીનો પહેર્યો નહોતો. ઘરની આર્થિક સ્થિતિ કાયમ તંગ જ રહી. આવક બધી વ્યવહાર, મામેરા, લગ્ન ઇત્યાદિમાં જતી રહી હતી.
શહેરમાં કમાવા આવ્યાં પછી જોશનાબાએ સવાર-સાંજ આકરી મહેનત ચાલું કરી હતી. બંગલામાં કચરા પોતું, રસોઈ વગેરે. દર મહિને નિયમિત બચત કરી હતી ને છેવટે, દશ વર્ષ જેટલી તપસ્યા પછી સોનાનું લોકેટ ખરીદ્યું.
આજે એની ખુશાલીમાં એમણે લાપસી બનાવી હતી, ને સૌ પરિવારજનો સાથે એ ખુશી વહેંચી હતી. નાનો દીકરો આયુષ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. પણ, ઓછો પગાર અને છૂટો હાથ. એને પરિણામે એનો પગાર ઘેર કદી મળતો નહિ. જોશનાબા કાયમ એને ટોકે, ત્રેવડ ત્રીજો ભાઈ કે’વાય. બે પૈસા બચાવ તો આવનાર બૈરી માટે કશુંક વ્યવસ્થા થાય.
જો કે, આજે એમણે આયુષને લોકેટ બતાવ્યું ત્યારે પણ પોતાના દીકરાને કોઈ ખુશી ન થઈ. તેથી, તેઓ એટલું તો પામી ગયાં કે કશુંક ગરબડ છે.
હકીકતમાં, આયુષ જે છોકરી પસંદ કરતો હતો એનાં મા બાપે એવી માંગણી કરી હતી કે એક લાખ રોકડા રૂપિયા આપો તો જ સંબંધ કરીએ. આયુષની દશ હજારની નોકરીમાં કશું જ બચતું નહોતું. એક લાખ રૂપિયા ભેગાં કરવા એટલે એને મન લોઢાનાં ચણા ચાવવા જેવી બાબત હતી. જો બે જ મહિનામાં એ વ્યવસ્થા ન કરે તો એ છોકરી માટે બીજું માગું પણ તૈયાર હતું જ. ને,જુવાન દીકરીનાં માવતર કયાં સુધી રાહ જુવે ?
એ જ ચિંતામાં આયુષ મમ્મીની બનાવેલ એની પ્રિય લાપશી પણ પેટભરી ખાઈ શક્યો નહોતો.
“શું થયું ?”
“અવનીનાં મમ્મી પપ્પા પણ જબરા …”
“કેમ?”
“અહીં આવ્યાં ત્યારે તો કોઈ શરત ન કરી. ને, હવે લાખ રૂપિયા માંગે?”
“તારે કહી દેવાય ને કે તમને વાત તો કરી કે અમે ભાડાંનાં ઘરમાં માંડ માંડ ગુજરાન ચલાવીએ છીએ. ને, કાલે ઉઠી સારો પગાર થાય તો એ ય થાય…હાલ તો એવી આવક ક્યાં?”
“એ રાહ જોઈ નહીં બેસી રે….હશે, વાંધો નહીં. જવા દે મમ્મી…” કહી પૂરતું જમ્યા વગર આયુષ ઉભો થઈ ગયો. ખૂણામાં પાથરેલી એક પથારીમાં જઈ એ સૂઈ ગયો.
જોશનાબાએ વાસણ ઘસ્યા. કચરા પોતું કરી રૂમમાં આવ્યાં. એક જ રૂમ હતી. જેમાં, પાંચ જણ સાથે રહેતાં હતાં. જૂનો પંખો જેવી-તેવી હવા આપતો હતો. એક જૂનો લાકડાનો ઘોડો વસાવ્યો હતો. જેમાં પડેલા ડબ્બામાં મૂકેલ લોકેટ એકવાર ફરીથી એમણે જોયું. લોકેટનો સ્પર્શ જ એમને રોમાંચિત કરતો હતો.
એ પથારીમાં આવ્યાં. એમણે સૂતેલા આયુષ પર એક નજર ફેરવી. એક ડૂસકું સંભળાયું. જોશનાબા પડખું ફરી સૂઈ ગયાં.
બીજાં દિવસની સવારે એ સોનીની દુકાનમાં જઈ લોકેટ પાછું આપી આવ્યાં. જ્યારે આયુષને ખબર પડી કે લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે, ત્યારે એની આંખમાં હરખનાં આંસુ ઉભરાયાં.
— જ્યોતિ આચાર્ય
અમદાવાદ