ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજે ૫ ગધ રચનાાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : વિશ્વ કવિતા દિવસ -૨
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG સાહિત્ય સરિતા ( ૧ )
NOG SS NO : 0039
વિષય — ૨૧મી માર્ચ – વિશ્વ કવિતા દિવસ
પ્રકાર – ગદ્ય – લેખ
શીર્ષક — કવિતા એટલે…
શબ્દો – ૩૦૧
તારીખ – ૧૬-૩-૨૧
“જ્યારે કવિનું અંતઃકરણ ગૂઢ સર્જનશક્તિથી હલબલી ઉઠે છે, કંઈક આલેખવા માટે જાગે છે, ભીતરનું મૌન ખળભળે છે ત્યારે જે લખાય એ કવિતા છે.”– સુન્દરમ્
સામાન્ય રીતે એવું મનાય છે કે જેમાં શબ્દ, અર્થ, ભાવ અને કાવ્યતત્વ છે અને ગાઈ શકાય એને કવિતા કહેવાય. છંદ, અલંકાર, પ્રાસ બધું જ જેમાં હોય એને છંદબદ્ધ કવિતા કહેવાય.
જ્યારે જેમાં છન્દ નથી પણ ભાવ, અર્થ અને પ્રાસ છે એને અછાંદસ કવિતા કહેવાય છે.
અગેય કવિતા પણ હોય છે જેમાં ભાવ અને અર્થ છે પણ ગાઈ શકાતી નથી.
જે વસ્તુ જીવનમાં ના હોય પણ કલ્પનામાં હોય એને સુંદર, ભાવનાત્મક પ્રાસ, લય સાથે કાવ્યતત્વ ઉમેરીને રજૂ કરી શકે એને કવિ કહેવાય.
કહેવત છે કે, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.” કોઈક અગોચર અંધારા ખૂણામાં પણ કવિ ડોકિયું કરી શકે છે અને એનું કાવ્યાત્મક આલેખન પણ કવિ જ કરી શકે.
મનમાં જે કંઈ પડ્યું છે, જે કંઈ નવું નવું નીપજે છે, જેને રસ અને ભાવથી તરબોળ કરીને શબ્દો રૂપે આલેખે એ કવિ. કવિતા મનુષ્યના અંતરનો અરીસો છે અને શબ્દો દ્વારા પ્રગટ થતો અંતરનાદ.
કવિતા એટલે માનવમનમાં પ્રસવતી લાગણી, જે ક્યાંક વિરહ રૂપે, ક્યાંક ફરિયાદ રૂપે, ક્યાંક મનમાં ઉઠતાં ઉંમગો અને તરંગો રૂપે, ક્યાંક પસ્તાવા રૂપે, ક્યાંક પ્રેમ તો ક્યાંક નફરત, આઘાત, મનોમંથન તો જીવનનાં સાર રૂપે કાવ્યાત્મક સ્વરૂપે વ્યક્ત થાય એ.
માનવ માત્રનું હૃદય જુદી જુદી લાગણીઓથી સંવેદનશીલ છે. ભૂખ,તરસ, ગુસ્સો, ખુશી, રુદન, સુખ, દુઃખ, લાચારી, પ્રેમ, કરૂણા,દયા, નફરત, માન, અપમાન, સન્માન, વગેરે અનેક લાગણીઓથી ભરેલું છે. સમય અને સંજોગો પ્રમાણે એ લાગણી ઉછળીને બહાર આવી જાય છે ત્યારે લખાય છે કવિતા. આમ જુઓ તો દરેક વ્યક્તિ કવિ બની શકે. પણ બધાં પાસે એટલું સરસ શબ્દભંડોળ નથી હોતું. કવિના દરેક શબ્દમાં એવો દમ અને જોમ હોવું જોઈએ જે વાચકના મનને ઝંઝોડી નાંખે.એમના શબ્દો બોલવા જોઈએ.
“અછાંદસ કવિતા લખવી એ અઘરું છે કારણકે છંદથી કાવ્યતત્વ તરત આવે છે અને કવિતા લખવી સહેલી બને છે.” — લાભશંકર ઠાકર
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
*****†************************************
NOG SS NO :– 0095
વિષય :- કવિતા
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– કાવ્ય દ્વારા હૃદયની ઉર્મિ
હૃદયની ઉર્મિઓને ઠાલવી દેવાની અંતરંગ મજા છે કવિતામાં. લાંબા લેખ, નિબંધ કે વાર્તાઓ લખીને પણ હૃદયની લાગણી મન ભરીને ઠાલવી ના શકાય, એ માત્ર કવિતાની પંક્તિઓમાં જ ઠાલવી શકાય. કોઈ ગમતા ચહેરા, ગમતી આંખો, કોઈની ભાવના કે હળવા સ્મિતને પ્રેમની અભિવ્યક્તિ સાથે મુલવવાની મજા અને સંતોષ હોય તો એ કવિતામાં છે. એમાં સાચી લાગણી અને ઊંડા હૃદયનો સાચો ભાવ વ્યક્ત થાય છે. કોઈને કહેવું હોય કે હું તને સંપૂર્ણપણે સર્વગુણો સાથે ચાહું છું એ શબ્દો દ્વારા કદાચ એટલું ના પહોંચે જેટલું કાવ્યાત્મક શૈલીમાં કહ્યું હોય….
“ તારી આંખોમાં મને દેખાય વિશાળ સમંદર, અને હું જાણે ડૂબી જાઉં એમાં ગોરંભાતા આવકારનાં વમળની અંદર, તારા કોમળ હોઠ જે બીડાયેલા છે એકમેકની અંદર , એ ખુલે સ્મિત સાથે અને હું ચૂમી લઉં જાણે ઉભરાવી લાગણીઓનો સમુન્દર, સેંથીથી પાની સુધી લહેરાતી સુંદરતામાં હું ખોવાઈ જાઉં એક પલકની અંદર, ના મટકાવ ઓ ગોરી આંખો કે ના ભીસી લે હોઠ , નોતરવા મને કે હું સમાઈ જાઉં તારી અંદર, ઈશ્વરે પણ ઘડી તને લઈ સમય , બસ એવી છો સુંદર મુરત , નથી ક્યાંય જગતની અંદર .”
આ વાત સીધી આરપાર હૃદયમાં ઊતરી જાય જો કવિતામાં હોય. જે વાત વાર્તા કે નિબંધમાં કે કોઈ લેખમાં લખીએ તો સીધી હૃદયમાં ના ઉતારી શકે.
એ જમાનામાં કવિ કાલિદાસ જે ઋતુઓનાં વર્ણન કરતાં જેમકે……
“ અષાઢસ્ય પ્રથમ દિવસે… “ તમને લાગે કે તમે ભીતરથી ભીંજાયા, કવિ શકુંતલાની વાત કરે કે કોઈ અપ્સરાની વાત કરે એમાં એ તમને ઉર્મિઓમાં ઝબોળી દે. વર્ષાની વાત એ રીતે કરે કે ટીપું તો ઠીક ક્યાંય વાદળ પણ ના હોય અને તેને શબ્દોથી ભીંજવી તરબતર કરી દે. વાચક કે ભાવકના મન હૃદયની ઉર્મિઓને સતેજ કરી દે. એ તાકાત છે કવિતામાં. બાકી દુઃખ, સાંત્વના, પ્રેમ , લાગણીનો આવેગ, ઉત્તેજના , બધું જ વ્યક્ત થાય, અને એ પણ બહુ ઓછા ભાવવાહી શબ્દોમાં.
એકરાર , ગમો અણગમો , લાગણી , તિરસ્કાર , નિમંત્રણ , વિરોધ. બધું જ એક જ ભાવે શબ્દ વગર વ્યક્ત થાય. ચહેરા , હોઠ કે આંખોથી એજ વ્યક્ત થાય કવિતામાંથી .
ટૂંકમાં કવિતા એટલે દરેક પ્રકારની લાગણીઓ ઓછા શબ્દોમાં ભાવથી વ્યક્ત કરી દે, એ મહેકતું , સરકતું સરોવર છે .
દીપિકા ચાવડા “ તાપસી “
**********†**††************†*************
NOG. SS NO :– 0001
વિષય :– કવિતા
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– કાવ્યરસનો ભાવ
કવિતા – કાવ્યરસનો ભાવ
કવિતા – કાવ્ય – પદ્ય. પદ્યનાં પણ કેટલાં સ્વરૂપ ? આપણે જન્મથી જ માતાનાં હાલરડાં સાંભળતાં મોટાં થયાં છીએ. એ મધુરો મીઠો ને સુરીલો ના પણ હોય છતાંય એ માતાનાં મુખેથી ગવાતું હાલરડું જન્મેલાં બાળકને પણ કેટલી શાંતિ આપેછે ! આગળ જતાં નિશાળમાં જોડકણાં , બાળગીતો, પ્રાર્થનાઓ, બધું જ કાવ્યરસનો જ આસ્વાદ કરાવતાં ગયાં. આમ જુઓ તો સૌ કોઈનાં જીવનમાં આરંભથી લઈને જીવનનાં અંત સમયે પ્રાર્થનાસભા સુધી પદ્ય અનેક સ્વરૂપે જોડાયેલું છે અને વણાયેલું છે.
આપણે કોઈની સાથે વાત કરતાં હોઈએ ને એજ સમયે કોઇ સુંદર દ્રશ્ય નજર સામે આવે ત્યારે , એ સમય અને સંજોગો અનુસાર આપણને કોઈ ગીત , ભજન, કે ગઝલ કે કાવ્ય યાદ આવી જ જાય છેને ! અને એજ સમયે આપણેપણ એ ગીત કે કાવ્યને ગણગણીને એ સમય કે સંજોગો ને જાણે જીવંત બનાવીએ છીએ. જેમકે વરસાદની મોસમ હોય, ઝરમર ઝીણો મેહુલો વરસતો હોય, હળવો વાયરો વાતો હોય, અને ધરતી પણ લીલીછમ ઓઢણી ઓઢીને રૂમઝૂમ થતી હોય તો આપણું મન પણ ઝૂમી ઉઠે છે ને! અને વરસાદનું કોઇ ગીત પણ ગણગણવાનું મન થઈ જાય છે ને ! હા, આમ મનની સાથે મોસમ પણ ખુલે અને ખીલી ઊઠે પછી હૈયું પણ એક એવા રંગે રંગાઈ જાય છે! કુદરતે વેરેલાં લાલ – પીળાં – કેસરી પુષ્પોની મહેંક ચોમેરથી આવતી હોય, ચોમેર હરિયાળી છવાયેલી હોય ! ત્યારે મનમાં ઉદ્ભવતા તરંગોને વહેતાં મૂકવા માટે કાવ્યમય રજૂઆત થી વિશેષ બીજું શું હોઈ શકે ?
આપણી સંસ્કૃતિમાં દરેક પ્રસંગ માટે કેટલાં બધાં ગીતો લખાયાં છે ! જન્મ, મરણ, લગ્ન…. અને લગ્ન પ્રસંગનાં તો કેટલાં બધાં ગીતો ! કંકોતરી લખાય ત્યારથી શરૂ કરીને ગણેશસ્થાપન, મંડપમુહુર્ત, પીઠી, માણેકથંભ, મંગળફેરાં, છેડાછેડી, અને અંતે વિદાયગીત…..અહાહા.. કેટલાં બધાં પ્રસંગોને આવરીને ગવાતાં ગીતો પણ ગાતી વખતે આબેહૂબ દ્રશ્યનો જાણે ચિતાર રજૂ કરે છે.
આપણી સંસ્કૃતિમાં આપણાં રીત – રિવાજો બધુંજ જાણે કાવ્યમય જ હોય છે. નવરાત્રીમાં માતાજીનાં ગવાતાં ગરબામાં ખેલૈયાઓનાં હૈયા હિલોળે ચડે છે.આ છે આપણી પરંપરા જેને કાવ્યમાં – પદ્યમાં ગાઈને જીવંત કરવાની મજા જ કાંઈક અલગ છે.
ભગવદ્દ ગોમંડળ મુજબ કવિતા એટલે ,” પદબંધ, અમુક નિયમાનુસાર ગોઠવાયેલ અક્ષર અને માત્રા એ બેના નિયમથી થતી રચના, છંદ, વૃત્ત. “ તેની ત્રણ જાત, ગીત કવિતા, વીર કવિતા, અને નાટ્યકવિતા.
પરંતુ મારાં મતે જોઈએ તો કોઈપણ સમયે સંજોગો, વાતાવરણ, પ્રસંગ, કુદરત, ઉત્સવ, જીવનચરિત્ર, ગરીબી કે અમીરીનાં જીવતાં દાખલા. આ બધું જોઈને હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થાય અને એજ ભાવને પ્રસંગ અનુરૂપ કાગળ પર કે હોઠેથી એને શબ્દનું સ્વરૂપ આપો અને એમાં જે ભાવ , જે હાર્દનું વર્ણન થાય એજ સાચી કવિતા! પછી ભલે તે છંદમાં ના હોય! અલંકૃત ના હોય ! પણ એમાં સાચા હૃદયસ્પર્શી ભાવ વણાયેલા હોય છે. બસ એજ કવિતા… એજ કાવ્ય….અનેક રસથી તરબોળ કરતી પદ્ય રચના.
પ્રદીપ રાવલ (સંચાલક)
*****************************************
સાહિત્ય સરિતા(1)
NOG SS No-0042
વિભાગ-ગદ્ય
પ્રકાર-લઘુવાર્તા
વિષય-કવિતા,કાવ્ય
શીર્ષક-સરપ્રાઈઝ
નાઈટલેમ્પના આછા અજવાળામાં ડાયરીમાં કશુંક લખી રહેલી મોના ખૂબ આકર્ષક લાગી રહી હતી. મિહિર બોલી ઉઠ્યો,”ડાયરીનાં કાંમણમાંથી મુક્તિ મળે તો બિચારા પતિદેવનું પણ વિચારજો દેવી.” આટલું સાંભળતા મોનાનાં ગાલમાં શરમનાં શેરડા ફૂટ્યા.આવી મીઠી નોંકજોક બંનેના સંબંધને જીવંત રાખતી હતી.
“વાહ! શું સુગંધ આવી રહી છે? શું બનાવો છો, મેડમ?”
“બસ,થોડો નાસ્તો બનાવું છું. બાજુવાળા આન્ટી બરોડા જાય છે. તો,મિતા અને વિનય માટે મોકલાવું છું. હોસ્ટેલનાં જમવાથી પેટ ભરાઈ પણ નાસ્તો હોય તો થોડો ટેકો રહે.”
ગામડે રહેતા માતા-પિતાનું તેમજ હોસ્ટેલમાં રહેતા ભાઈ-બહેનનું ધ્યાન રાખતી,ટ્યૂશન કરાવતી,પડોશીઓને મદદ કરતી આટલું કરવા છતાં, ક્યારેય ફરિયાદ નહીં. મિહિરે વિચાર્યું કોઈ વાતનું દુઃખ તો નથીને? મોનાને? તેનું મન ચકાસવું પડશે! એ માટે ડાયરી બેસ્ટ એમ માની ડાયરી વાંચવા પ્રયત્ન કર્યો.
એકવીસ માર્ચ,વિશ્વ કવિતા દિવસ મારી પાસે મારી લખેલી કવિતાનું ઘણું કલેક્શન થયું છે. પણ,કાશ…પણ આ અધૂરાં વાક્યને પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું મિહિરે.
ડાયરીમાંથી ‘ડ્રીમઝ પબ્લિકેશન’ નાં ઓનર નિતાબેનનો ફોન નંબર મળતાં તેની સાથે કાવ્યસંગ્રહ છપાવવાની માહિતી એકઠી કરી એકવીસ માર્ચ પહેલાં મળે તેવું નક્કી કરાયું,બીજી બધી તૈયારી પણ કરી લીધી.
આખરે એ દિવસ આવી ગયો. મિહિરે મોનાને એક કવિ સંમેલનમાં જવાનું અને તારે કવિતાનું પઠન કરવાનું છે એમ કહી શહેરના મોટા હોલમાં લઇ ગયો,ત્યાં પહોંચતા મોનાને આગલી હરોળમાં બેસાડી પણ હોલમાં અંધારું હતું એટલે કશું દેખાયું નહીં.
માઇક પરથી વિભૂતિબેન ઘાંસવાલાએ મોનાને સ્ટેજ પર બોલાવી ત્યાંથી મોનાએ જોયું તો ન્યૂઝ ઓફ ગાંધીનગરના તંત્રી ‘પ્રદીપભાઈરાવલ’ ,
જયશ્રીબેન(દાદિશા),નીતાબેન શાહ,,પોતાનાં તથા મિહિરના માતા-પિતા તેમજ બંનેનાં ભાઈ-બહેન અને બીજા સ્નેહીજનોથી આખો હોલ ભેરલો હતો.
વિભૂતિબેને પૂર્વભૂમિકા બાંધી અને મિહિરે આપેલા સરપ્રાઇઝની વાત કરી એ સાંભળીને,પોતે જોયેલું સપનું પૂરું થતાં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ને હોલમાં બેઠેલાં લોકોનાં હૃદયને પાવન કરતાં રહ્યાં.
સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય તો સફળ સ્ત્રીની પાછળ પણ પુરુષનો હાથ ન હોઈ શકે?
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર.
****************************************
NOG SS No – 80
વિષય – ગદ્ય – લઘુકથા
શીર્ષક – પતિયાર
‘ આ નફ્ફટ ભાયડાવ.. .. હમઝે સે હું ઇની જાતને ! ‘ હાથે કરીને હરાયા ઢોરને મારે શેઢે વાળે. ‘ લખી આક્રોશથી રાતીપીળી થતી’ તી. સૂરજ દાદા ય આજ ભડકે બળી રહ્યાં હતાં.
‘ મેં ક્યું, આ ખેતરને હેઢે આડશ કરી વાળું ને તો હરાયા ઢોર પાક ભેલાડતા ટળે ! ‘લખી એકલી એકલી બકબક કરતી’તી.
જમનાડોસી અંતકાળ વેળા આઠ દસ વીઘા જમીન પોતાની દુઃખીયારી દીકરીને નામ કરી ગયેલા. બબ્બે ઠેકાણેથી દુઃખી થઈને પાછી આવેલી લખીને હવે પુરુષ જાત પ્રત્યે ભારોભાર નફરત ભરેલી સ્પષ્ટ જોઈ શકાતી. આવી છાપથી આખા ગામમાં ભાગ્યે જ લખીને કોક વતાવે!
ધારિયું, કુહાડી લઈને ઈ ઊપડી સીમમાં, ‘ આજતો હેઢે આડસ કર્યે જ પાર કરું ‘ મનમાં ગાંઠ વાળીને સીમમાંથી બાવળીયા કાપવાના શરુ કર્યા. પણ , એકલું માણસ કેટલેક આંબે?
બે ખેતરવા દૂર શરીફની વાડી, રોજ આ શેઢાની આડસ કેટલે પુગી ઈ જોયા કરે !
‘બે દિ થ્યાં તો..ય. હજી તો અર્ધા શેઢે ય ન’ તી પોગી રય,’ શરીફે ઉદ્દગાર કાઢ્યો !
એનો અંતરાત્મા કકળ્યો એટલે આજ ઈ જરીક ઊભો ‘ર્યો, થ્યું કે લાવ જરીક હાથ દેવડાવવાનું પૂછું, પણ.. લખીએ તો ઈ એને આમ ઊભેલો જોઈ ધુંવા પુંવા થઈ, મણમણની જોખવાની શરુ કરી !
‘ બચારી, વખાની મારી બાઈ ! ‘ શરીફ દયા ભાવે બબડતો બબડતો નીકળી ગયો. પણ આજે રાતે એને નિંદર ન આવી, મોં સૂઝણું થ્યું,
બળદગાડે જોતર્યા ને ઉપડ્યો સીમમાં, બાવળીયાનાં ઝુંડ કાપી ગાડે ભરીને લખીને શેઢે,
દિ આખો કરીને આડશ કર્ય છૂટકો વાળ્યો, હાશ ! કરીને અલ્લાતાલાને સમરી હારા કરમનો ઓડકાર ખાધો, શેઢે પોરો ખાવા બેઠો, ત્યાં સામેથી લખીને આવતી ભાળી એટલે હડફ દઈને ઊભો થઈ ઈ તો ભાગ્યો ! ઈની વાંહે લખી પણ.., વાડ ખોદવા લાવેલું ધારિયું એમનેમ હાથમાં લઈને…
પણ.. પુરુષની ચાલને સ્ત્રી કાંઈ ઓછી આંબી શકે !
શરીફને થ્યું આતો નેકી કરવા માંય પાપગનો ! જે કરવું હોય ઈ કરી લે ય, એમ વિચારી શરીફ હાંફતો હાંફતો ઊભો રહી ગયો, લખીને પોગવામાં બે ચાર ડગલાં જ બાકી હતા ત્યારે એને ભાન થયું કે પોતાનાં હાથમાં ધારિયું…,
ધારિયું હાથમાંથી પડી ગયું . ફસડાઈ પડીને પોક મૂકીને રડતા રડતા બોલી…’ શરીફ ભાઈ, આજ તમી મારાં આદમીન તરફનો પતિયાર પાસો લાવ્યા સો, મી આદમી પરથી વિશવા મેલી દીધેલો… !
વર્ષા જાની
ભાવનગર