ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે છ ગદ્ય રચનાઓ આપેલ વિષય ના પ્રથમ દિવસે પ્રસિદ્ધ કરવામાં આવી છે
વિષય . શિક્ષણ,અભ્યાસ,તાલીમ,કેળવણી
..સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
NGO SS : 0089
પ્રકાર : ગદ્ય
શીર્ષક : “ શિક્ષણમાં માસુમ પરિચય જીવ નો ! “
રેખા શુકલ- અમેરિકા
હાંસિયા પાડતા સ્વાતિ ને બકુલ સ્કૂલમાં વાતોએ ચડ્યાં હતાં .બંને ટીચર્સ લાઉન્જમાં ગોઠવાયેલા…રિસેસ પછી પણ ફ્રી પિરિયડ હતો તો બંને વિદ્યાર્થીઓની પ્રગતિ નોંધપોથીમાં માર્ક્સ ટપકાવવા તૈયારી કરી રહ્યાં હતાં.સભ્યતા ને સંસ્કૄતિ ઉપર આધુનિકતાનું આક્રમણ વાતનો વિષય હતો. આજે જમાનો અલગ થયો છે કે વ્યક્તિથી…જમાનો બદલાયો છે કે વ્યક્તિની સલાહ “આક્રમણ” બની રહે છે કે સહાયક છે?દિવસ ને દિવસ અને રાત ને રાત કહેવાની સમજ હોવા છંતા જાણે મોટી ભૂલો કરી બેસે છે આ બધી ચર્ચા વચ્ચે “માસુમ” આવી ને ઉભો મેડમ કેન આઈ બી એક્ઝક્યુઝ…ફોર ટુમોરો ? મોમ ને ડેડની સાથે લોંગ ડ્રાઈવ કરવા જવું છે”…’યુ સ્ટીલ હેવ ટુ બ્રિંગ ધ નોટ ‘ ઓકે મેડમ..સ્મિત કરીને માસુમ ચાલ્યો ગયો..દસ વાર ના કેહવા છંતા રોજ સૂકો નાસ્તો ને
તે પણ “પ્લેઈન મમરાં”સ્મિત કરી કહી દેતો કાલે બીજો નાસ્તો લાવીશ. ફરી એજ ને એના મમરાં…!! કેવું ને કેટલું તો પણ ક્યાંથી આવી વળગે છે
ખાલીપણું કે પરાણે વ્હાલ કરી બેસે છે એક ભૂલકું ને એની અભિવ્યક્તિની અનુભૂતિ તમને વળગ્યા વગર ના રહે …!તો પણ વિશ્વ સાથે કનેક્ટેડ થવાની શુલ્લકે
દોટમાં પોતાના ઘરનો ઉંબરો અને સાંકળ વચ્ચે નો ભેદ ભૂલાય અને સાવ નીરવતા મૂકી જાય..ખાલી ઓરડા જેવા માસુમમાં તોય..છૂપાય ના એની સભ્યતા-સંસ્કાર ને સ્મિત ..!
છ માસિક પ્રગતિપત્રકમાં વાલીની સહી કર્યા વગર પ્રગતિપત્રક પાછું આવ્યું ત્યારે ફરી ટકોર કરેલી કે આમ નહીં ચાલે ..એમ કર કે કાલે અડધો દિવસ છે તો બપોરે મમ્મી ને લઈ ને જ આવ…!
“પણ…મમ્મી તો ભગવાનના ઘેર ચાલી ગઈ..! “આજ પણ વાત કરતા સ્વાતિ ને બકુલની આંખો ડબડબી ગયેલી….!નાના ઝંડાઓ લઈ ને કૂદાકૂદ કરતાં બાળકો વચ્ચે ‘મા’વગર નો માસુમ પોતાની “હિંદમાતા” માટે ખુશ હતો. જોઈને શિક્ષકો-શિક્ષિકાઓ અને પ્રિન્સીપાલ મનોમન વંદી રહ્યાં માસુમ ને…! જીવ ન અનુભવી શકે જીવન ..સાક્ષીમાં રહે સમય ને સરરર….સરતો જ જાય…જીવ સમય માત્ર પસાર કરતો જાય છે.
—રેખા શુકલ ( સત્ય ઘટના )
****************************************
NOG : SS NO :-. 0095
વિષય :- શિક્ષણ , અભ્યાસ, કેળવણી, તાલીમ ,
ભણતર
પ્રકાર :- ગદ્ય
શીર્ષક :- શાળા :- કેળવણીનું દ્વિતીય સોપાન
બાળકની કેળવણીની પા પા પગલી ઘરથી શરૂ થાય છે. કેળવણીનું બીજું પગથિયું શાળા છે. ઘરમાં બાળક મુક્ત રીતે , સ્વયં અને અનૌપચારિક રીતે અનુભવો લે છે. શાળામાં – સમયચક્રમાં ગોઠવાઈને , શિક્ષકની મદદથી અને ઔપચારિક રીતે કેળવણી પ્રાપ્ત કરે છે. બાળમાનસનું શાસ્ત્ર અને કેળવણીને સંપૂર્ણ રીતે સમજીને જ્યાં શિક્ષણકાર્ય થતું હોય એ ઉત્તમ શાળા ગણાય.
બાળકના જીવનમાં સૌથી વધારે અસર તેની શાળાની હોય છે. શાળા એ જ્ઞાનની ગંગોત્રી છે.
‘ બસ હું આ શાળામાં ભણ્યો ‘ એમ કહેવામાં અંતરનો માંહ્યલો જે મહેંકી ઊઠે છે એ અવર્ણનીય પળ હોય છે. જીવનમાં આવનારા દિવસોમાં કરવાનાં કાર્યો અને આવનાર મુશ્કેલીઓનાં સમાધાનોમાં શાળા શિક્ષણનું પીઠબળ સૌથી મોટું હોય છે.
‘ શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાનગંગા જ્યાં વહે’
આવી જીવનચાલક જ્ઞાનગંગાનું પરિસર કેવું હોવું જોઇએ ? શાળાનું વાતાવરણ , તેની કાર્યશૈલી , તેનાં આયોજનો, પદ્ધતિ – પ્રયુક્તિઓ અને શિક્ષકો આ બધી જ બાબતો થકી શાળાનું વાતાવરણ નિર્માણ પામે છે. દેખાદેખીથી અંજાઈને શાળાની ઝીણવટભરી ખાતરી વિના ગમે તે શાળામાં બાળકનો પ્રવેશ લઈ લેવો એ ડહાપણભર્યુઁ કામ નથી.
બાળકની સર્વાંગીણ કેળવણીમાં શાળા કેટલી ઉપકારક બની શકે તેમ છે તેનો વિવેકપૂર્ણ વિચાર કર્યા પછી જ બાળકનો પ્રવેશ લઈએ એ ખૂબ જરૂરી છે. માત્ર બાહ્ય ભૌતિક સમ્રૃદ્ધિવાળી શાળા ઘણીવાર આંતર સત્વવિહોણી પણ હોઈ શકે , એટલે બાળકેળવણીનાં મહત્વનાં વર્ષોમાં તેની જવાબદારી કોના શિરે સોંપવી એ માતા – પિતા માટે અતિ મહત્વપૂર્ણ બાબત બની રહે છે.
માટે જ બાલવયમાં બાળકનાં બધાં જ અંગોની કેળવણી – સર્વાઁગીણ કેળવણી થાય તો આગળ જતાં બૌદ્ધિક વિષયો તેને સમજવા ઘણા જ સરળ અને અનુકૂળ રહે છે. એટલે જ પ્રવાસ – પર્યટનો, મુલાકાતો, વિવિધ પ્રવૃતિઓ અને સમય સાથે તાલ મેળવી શકે એવી આધુનિક વ્યવસ્થાશક્તિ અને પદ્ધતિઓ નિયમિત રીતે આયોજનબદ્ધ હોય એવી જ શાળા માતા – પિતાએ પોતાનાં બાળક માટે પસંદ કરવી જોઈએ.
દીપિકા ચાવડા ‘ તાપસી ‘
********†*******************************
NOG SS No :- 0038
વિભાગ :- ગદ્ય
શીર્ષક :-આજનું શિક્ષણ
આજના શિક્ષણની વાત કરીએ તો પહેલાં એજ વિચાર આવે કે, આજે પ્રાઇવેટ સ્કૂલો વાળા એનો ધંધો બનાવી દીધો છે. ભણતર ઓછું ને ફી વધારે છે.ફીનાં ભાર નીચે માબાપ
દબાય છે, ને ભણતરનાં ભાર નીચે બાળકો દબાય રહ્યા છે.
ઉચ્ચ ફી લેતી સ્કૂલ જાણે સમાજમાં એક સ્ટેટ્સ બની ગયું છે.દેખાદેખી પાછળ ભાગતા માબાપ ની સાથે બાળપણ પણ ભાગી રહ્યું છે. ઉચ્ચ ફી ભરી બાળકનું એડમિશન કરાવી ને માબાપ બાળક પાસે ઉંચી અપેક્ષા ઓ રાખે છે,ને એ અપેક્ષા ઓ પૂરી કરવા જતાં બાળક ઘણીવાર મુંઝારો અનુભવે છે.
જે આનંદથી વર્ષો પહેલા બાળકો ભણતા ને શિક્ષકો જે આનંદથી ભણાવતા એ આનંદ ગાયબ થઈ ગયો છે.શિક્ષણથી તો માનવતાનું સિંચન થાય છે પણ આજના શિક્ષણમાં તો માનવતાજ વેચાવા લાગી છે.
આજના શિક્ષણમાં ગરીબ બહુ પીસાય છે.પૈસાદાર માણસો પૈસાની ઓફર કરે ને થોડામાં શિક્ષણ વેચાવા લાગે છે.પેપર ફૂટી જાય છે ને પૈસાદરના હાથમાં આવી જાય છે ને બિચારો ગરીબ ત્યાંનો ત્યાં રહી જાય છે.
અનેક રીતે સહેલું બની ગયું આજનું શિક્ષણ છતાં શિક્ષા લેવી જરૂરી તો છે જ તો દરેક બાળકોએ ભાર વિનાનું સાચું શિક્ષણ લેવા પ્રયત્ન કરવો જોઈએ. ને વાલીઓ એ પણ શિક્ષણ બાબતે જાગૃત થવું જોઈએ.
✍️શીલા પટેલ “આકાંક્ષા”
******************************************
NOG SS No. 0079
વિષય: શિક્ષણ, તાલીમ, કેળવણી ને અભ્યાસ
પ્રકાર: ગદ્ય
મથાળું :શિક્ષા આપે તે શિક્ષણ !
—————
શિક્ષણની પદ્ધતિમાં ધરખમ ભૂચાલ આવ્યો છે. કયાં આપણી ગુરુકુલ પરંપરા અને કોરોનાને કારણે ‘virtual’ રીત!
શિક્ષા મેળવવા બાળકો શાળામાં જતા હોય છે. માતા અને પિતા તેમજ કુટુંબીજનોનો અમૂલ્ય ફાળો બાળકને
પ્રારંભિક શિક્ષણ આપે છે.
વડીલોનું માનવું છે કે મોંઘીદાટ શાળામાં બાળકને સારું શિક્ષણ પ્રાપ્ત થાય છે. એ વાત સદંતર ખોટી લાગે છે, મારા મત પ્રમાણે .
શિક્ષણ આપવાની પદ્ધતિ મોટે ભાગે શાળાઓમાં સમાન હોય છે. શિક્ષણ ગ્રહણ કરવાની ક્ષમતા દરેક બાળકની અલગ હોય છે. ઉપરાંત દેખાદેખીમાં અટવાયેલું બાળક શિક્ષણની મહત્વતા પિછાની (ઓળખી)શકતું નથી.
તાલીમની સાથે તાલ મેળવવો ખૂબ
અગત્યનું છે. ભણતર પર ભવિષ્યનું
ચણતર છે, એ વિશે બાળકને નાની
વયેથી સમજાવવું એ માતા અને પિતાની ફરજ છે.
આજના શિક્ષણ તેમજ તેની પ્રથાનો દોષ જોવો, તેના કરતાં બાળકની પ્રવૃત્તિ પ્રત્યે સજાગ રહેવું આવશ્યક છે.
નજર સમક્ષ જોઈએ છીએ કે રિક્ષા ચલાવનારની દીકરી પ્રથમ આવી. નવરાશના સમયે બુટ પોલિશ કરીને છોકરો ડોકટર બન્યો.
પ્રવિણા કડકિઆ.
અમેરિકા.
*************************************†
NOG SS NO-0091
વિભાગ: ગદ્ય
શીર્ષક: ભણતરમાં કરો સુધારો
આધુનિક યુગમાં આજે ભણતર ખૂબ વધી ગયું છે. ભણતરનો બોજ પણ વધતો જાય છે અને ભણતર મોંઘું પણ થતું જાય છે. સામાન્ય પરિસ્થિતિવાળા લોકો માટે આજે એક મોટી સમસ્યા બની ગઈ છે, આ સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. હું શિક્ષક છું એટલે શિક્ષણ વિશે વધુ માહિતગાર છું. હાલમાં શિક્ષણને નહીં પરંતુ સ્કૂલ તથા કોલેજનાં નામને મહત્વ અપાય છે. ફલાણી ફલાણી સ્કૂલમાં મુકવાથી આપણું સ્ટેટ્સ ઊંચું લાગે, અમૂક સ્કૂલમાં મૂકવાથી આપણી છાપ ખરાબ પડે ભલે ત્યાં શિક્ષણ સારું હોય તો પણ મા-બાપ પોતાનાં બાળકને સ્કૂલમાં મૂકતાં નથી.એટલે જ ભ્રષ્ટાચારે જોર પકડ્યું છે. પૈસા આપીને એડમિશન અને નોકરી મેળવી શકાય છે.
આજે આપણી પાસે હજારો ડિગ્રીધારી યુવક-યુવતીઓ નોકરી માટે રખડતાં નજરે પડે છે. વગ અને પૈસા ખરચવા છતાં પણ ઘણીવાર નોકરી મળતી નથી. ભણતરને જ પોતાનું લક્ષ્ય માની બીજી ઈતર પ્રવૃત્તિમાં ધ્યાન આપે નહીં અને નોકરી ન મળતાં દુઃખી થવું પડે. અને આવી મુસીબતોથી કંટાળીને ઘણીવાર યુવક-યુવતીઓ અવળે રસ્તે ચડી જાય છે અને ઘણીવાર આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
શાળામાં આજે જે ભણાવાય છે તે પુસ્તકિયું જ્ઞાન છે, તેને યાદ કરવાં બાળકો ફક્ત ગોખણપટ્ટી કરે છે. મહારાણા પ્રતાપનાં ઘોડાનું નામ શું હતું ?, અકબર ક્યારે ગાદીએ બેઠો?, અકબરનાં નવ રત્નોનાં નામ કહો, દુનિયાની અજાયબીઓ કેટલી અને તેનાં નામ કહો, ૧૮૫૭નાં બળવાનો મુખ્ય નાયક કોણ હતો?, ગાંધીજીને કોણે માર્યા હતાં? આવાં અનેક પ્રશ્નો શિક્ષકો બાળકો પાસે કરાવે અને બાળકો ગોખણપટ્ટી કરે. નોકરીમાં ઇન્ટરવ્યૂ વખતે આવાં કોઈ પ્રશ્નો પૂછાતાં નથી અને જીવનમાં પણ કોઈ કામ લાગતાં નથી. જાણવું જરૂરી છે પરંતુ ભણતર એવું ભણવું કે જીવનમાં ઉપયોગી બને.
હું એવું માનું છું કે દરેક શાળામાં ફક્ત ભણતરને જ નહીં પરંતુ સાથે નાનાં મોટાં ઉદ્યોગોની તાલીમ પણ આપવી જોઈએ જેથી ભણ્યા પછી બાળક પોતાનો જ ઉદ્યોગ શરૂ કરીને રોજગારી મેળવી શકે. જેનાથી તેનો પણ વિકાસ થાય અને દેશનો પણ વિકાસ થાય. આપણી પાસે ઘણાં એવા ઉદ્યોગો છે, જેવાં કે અગરબત્તી, ચોક, ડિટર્જન્ટ પાવડર, સાબુ, ફિનાઈલ, ફેસ પાવડર. ઉપરાંત સીવણ, રસોઈ, ઈલેક્ટ્રીક વસ્તુઓનું રીપેરીંગ. આવાં નાના-મોટા વિષયોની તાલીમ આપી બાળકને એટલું તૈયાર કરી શકીએ કે પુખ્ત થતાં તે જાતે પોતાનો રોજગાર મેળવી શકે. તેને બીજે ક્યાંય નોકરી શોધવા જવું ન પડે
શિક્ષણની આ ઢબ આવી જ રીતે પરંપરાગત ચાલુ રહી તો અંગ્રેજોની જેમ આપણે પણ ફક્ત કારકુનો જ પેદા કરી શકીએ. આ માટે આખાં સમાજે જાગૃત થવાની જરૂર છે. પરિવર્તન આવશ્યક છે, અશક્ય નથી. આ પરિવર્તન લાવી એક નવો સમાજ, એક નવી શિક્ષણ પ્રણાલી ઊભી કરી આપણાં દેશને અન્ય દેશો સાથેની હરિફાઇમાં વેગવંતો બનાવી શકીએ.
જિજ્ઞાસા યુ જોષી
“ શુક
******************†********************
NOG SS NO -0037
વિભાગ – ગદ્ય.
વિષય – શિક્ષણ, કેળવણી….
શીર્ષક – જ્ઞાનનું ગ્રહણ. ( વાર્તા )
પ્રાચીન સમયની વાત છે.એ સમયમાં લોકો પોતાના બાળકોને ,અભ્યાસ અર્થે, સાતેક વર્ષનું થાય, એટલે ગુરુજીના આશ્રમમાં છોડી આવતાં.
ત્યાં ગુરુજી, અને ગુરુમાતા, બાળકોને ખૂબ વ્હાલથી સાચવતાં. બાળકોને આશ્રમમાં યુવાવસ્થા સુધી રહેવુ પડે.ગુરુજી અને ગુરુમાતા શિષ્યોને જીવનનાં પાઠ શીખવે.બાળકનાં સર્વાંગી વિકાસ માટે મજબૂત બનાવે.
આવા જ એક ગુરુજીના આશ્રમમાં વિદ્યાર્થીઓ રહે.સમય જતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતાં,ગુરુજી એક દિવસે ત્રણેય શિષ્યને પોતાની પાસે બોલાવી કહે,”હવે તમારે ઘરે જવાનો સમય આવી પહોંચ્યો છે. મારે તમારી અંતિમ એક પરીક્ષા લેવાની છે. શિષ્યો ખૂબ હોશિયાર હતાં.એ કહે” કંઈ વાંધો નહીં,ગુરુજી આપ કહો એમ કરીશું.” ગુરુજી ત્રણેય શિષ્યને વહેલી સવારે બોલાવી એક એક કબૂતર આપી કહે, “આ કબૂતરને એવી જગ્યાએ જઈ મારજો, જ્યાં કોઈ જોતાં ના હોય.”
ત્રણેય શિષ્યો કબૂતરને લઈ જુદી જુદી દિશામાં નીકળી ગયાં.પહેલો શિષ્ય કબૂતરને લઈ દૂર જંગલમાં જાય છે.ગીચ જંગલોમાં કોઇ જોતું નથી,એ રીતે કબૂતરની ડોક મરડી નાખી, પોતાની ઝોળીમાં લઈ આશ્રમ તરફ આવે છે. બીજો શિષ્ય કબૂતરને લઈ, દિવસના પ્રકાશમાં કોઈને કોઈ જોઈ જશે.એવું વિચારી નદીનાં પાણીમાં ઊંડે સુધી જઈ કબૂતરની ડોક
મરડે છે.ત્યાર બાદ પોતાની ઝોળીમાં મરેલ કબૂતરને લઈ ગુરુજી પાસે આવે છે.
ત્રીજો શિષ્ય,કબૂતરને લઈ ચારેય દિશામાં ફર્યો.પણ કંઈ સૂઝયું નહીં.તેથી કબૂતરને લઈ ગુરુજી પાસે આવ્યો.ગુરુજીએ ત્રણેયને બોલાવ્યાં. ત્યાર બાદ પહેલાં શિષ્યને પૂછ્યું,”તે કબૂતરનું શું કર્યું ? “
પહેલાં શિષ્યએ ઉત્તર આપ્યો, “હું ગીચ જંગલમાં કોઈ ના જુએ એવી જગ્યાએ જઈ કબૂતરની ડોક મરડી નાખી.”
ગુરુજીએ બીજા શિષ્યને પૂછ્યું,”તે શું કર્યું ? “
બીજા શિષ્યએ કહ્યું,” ગુરુજી દિવસના પ્રકાશમાં, કોઇ જોઈ જશે એવા ડરથી મેં,નદીનાં ઊંડા પાણીમાં જઈ કબૂતરની ડોક મરડી નાખી.”
ત્રીજો એકદમ ચૂપ રહ્યો. ગુરુજીએ પૂછ્યું,”તે શું કર્યું?”
ડરતા..ડરતા..બોલ્યો,” ગુરુજી હું આપની આજ્ઞાનું પાલન કરી શક્યો નહીં. મને ક્ષમા કરશો. હું ચારેય દિશા ફર્યો,પણ મને કોઈ એવી જગ્યા ના મળી જ્યાં કોઈ જોતું ના હોય.આપની શિક્ષા અનુસાર પૃથ્વીના કણ.. કણમાં ઈશ્વરનો વાસ હોય છે.ઈશ્વર બધુજ જુએ છે.આપની આજ્ઞા અનુસાર કોઈ ના જુએ ત્યાં જઈ કબૂતરને મારવુ..! હું કબૂતરને કેવી રીતે મારી શકું ?”
ગુરુજી ખૂબ ખુશ થયાં.
પોતાના આસન પરથી ઊભા થઈ શિષ્યને શાબાશી આપતા કહે,” તે મારી આપેલી શિક્ષાનું સાચા અર્થમાં ગ્રહણ કર્યું છે,માટે તુ મારો શ્રેષ્ઠ શિષ્ય.”
હેમલતા દિવેચા.જૂનાગઢ.