ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની છ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
………………………..
*ગદ્ય* વિભાગ રચનાઓ
*NOG SS No : 0077*
*વિભાગ:ગદ્ય*
*શીર્ષક: નાહકની પ્રશંસા એ ટેવ કે કુટેવ..?*
સમાજમાં ભાતભાતનાં લોકો વસેલા છે.જેમાં એમની આદતો,ટેવ અને કુટેવો ય ભિન્ન ભિન્ન હોય છે.આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે ખોટી,સસ્તી અને હાથવગી પ્રસિધ્ધિ અને પ્રશંસા મેળવવા અવનવાં પેંતરા અજમાવતા હોય છે.
ક્યારેક ખોટે રસ્તે ચઢી પોતાના જ હાથે પોતાનો વિનાશ નોંતરે છે.
સામેવાળાને તો શું..?
એને તો મજા જ પડવાની ને..!
સરસ મજાનાં શબ્દોનું માખણ લગાડી ફટાક કરતું પોતાનું કામ કઢાવી અદ્રશ્ય થઈ જાય છે…!
આવા લોકો સમાજ માટે હાનિકારક પૂરવાર થતાં હોય છે.ધીમા ઝેર સમાન નીવડે છે.
પોતાની ઘોર તો ખોદે જ છે પણ સામેવાળાની પણ ઘોર ખોદી અને બાટલીમાં ઉતારી બૂચ મારી દેતાં હોય છે…!
સરવાળે તો બંનેની કારકિર્દીને નુકશાન જ વહોરવું પડે છે.
આવાં લોકો માટે સામેવાળાની, નાહકની પ્રશંસા કરી
પોતાનું કામ કઢાવી લેવું એ બહું સહજ અને આસાન કામ હોય છે. આવું વારંવાર કરવું એ પોતાનો સ્વભાવ બનાવી લીધો હોય છે. ટેવ પાડી લીધી હોય છે..!
આપણને તો કદાચ એ કુટેવ લાગે..ખરું ને?
આ વસ્તુને આપણે ટેવ ગણીએ કે કુટેવ એતો એમની કે આપણી સમજ પર આધારીત છે.
ફેંકી દેવા જેવી વાતો પર વાહવાહી કરવી. અને સામે વાળાનાં અહમને પંપાળીને પોતાની ખિચડી રાંધી લેતાં હોય છે..!
પ્રશંસાની ટેવ પડવાથી એ વ્યક્તિને જો પોતાનાં ચાલીસા સાંભળવા ના મળે તો રીતસરનાં ભૂરાયાં થઈ જાય છે,બાવરાં બની જાય છે.રોજબરોજમાં પોતાની સાથે જીહજૂરીયાંઓની એક ટોળી લઈને ફરતાં ઘણાય લોકોને આપણે જોઈએ જ છીએ.આવા ભાડુતી જીહજૂરીયાંઓ ચાપલૂસીનું એક કવચ ઉભું કરે છે એટલે આ છદ્માવેશનાં આવરણમાંથી સચ્ચાઈ જોઈ શકાતી નથી…!
આનું પરિણામ એવું ભયંકર આવે છે કે ખરેખર જે હોશિયાર અને સ્પષ્ટવક્તા હોય તે વ્યક્તિઓ હાંસિયામાં ધકેલાઈ જાય છે.કારણકે આવા લોકો ખોટી તારીફ થકી ફાલતું વાતોમાં કશીદા પઢવામાં માનતો જ નથી…!
પછી ભલેને નુકશાન વહોરવું પડે…!
પ્રશંસાના ભૂખ્યાં આવાં ઘણાય ક્ષેત્રો છે જેમાં રાજકારણ,ફિલ્મ,
ટી વી,સંગીત,શિક્ષણ અને લેખન ક્ષેત્ર પણ બાકાત નથી.
આ ખોટી પ્રશંસાની ટેવ કે કુટેવને લીધે જે તે ક્ષેત્રની ગુણવત્તા જળવાતી નથી.
મિત્રો,
પ્રશંસા અને ચાપલૂસીની બારીક અને પાતળી ભેદરેખા છે એને આપણે સમજી નથી શકતાં અને પ્રશંસાનો અતિરેક પછીથી ચાપલૂસીમાં પરિવર્તિત થાય છે.
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
*****†************************************
NOG SS No : 0022
વિષય : પ્રાણ અને પ્રકૃતિ
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : માતાની ચોકી
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
નાનપણથી જ દેવીપૂજક એવા દેવિદાસે પંચાણુંના ઉંબરે પગ મૂક્યો અને તેમની તબિયત લથડવાં લાગી. દેવિદાસ નાનપણથી જ આસ્તિક અને મહાકાળી માતામાં શ્રદ્ધા ઘરાવતા. આ સંસ્કાર તેમને માતા તરફથી મળ્યા હતા.
નેવુંની ઉંમર પછી તેમને અલ્ઝાઇમરની બીમારી લાગુ પડી હતી. તે વારેઘડીએ ભૂલી જતાં કે તે ક્યાં છે અને સામે કોણ છે. તેમને ભ્રમ થતો કે તે કોઈ મંદિરમાં છે. કોઈકવાર થોડો સમય પૌત્રો સાથે રમતાં પછી અચાનક પૂછવા લાગતા,”તું કોનો દીકરો છે?”
પૌત્ર તેમને યાદ દેવરાવતો કે હું તમારા દીકરાનો દીકરો છું ત્યારે કહેતાં,”મને તો ફક્ત બે દીકરીઓ છે.”
એકદમ સાત્વિક જીવન જીવનાર દેવિદાસને બે દીકરા અને ત્રણ દીકરીઓ હતી. ખેતીવાડી કરીને દીકરાઓને અને દીકરીઓને ભણાવ્યાં અને દીકરાઓ શહેર જઈને વસ્યા. જ્યારે દેવિદાસ અને તેની પત્ની વિજયાની ઉંમર થઈ એટલે દીકરાઓ ફરજ સમજીને શહેરમાં લઈ ગયા.
એક સમય આવ્યો જ્યારે વિજયા દેવિદાસને છોડીને સ્વધામ જતી રહી. દેવિદાસ એકલા પડી ગયા અને પોતાનું સમગ્ર ધ્યાન માતાની સેવામાં પરોવ્યું. રોજ ઊઠીને માતાની પૂજાસેવા અને નિયમિત ઉપવાસ. નેવું પછી તેમનું હરવું ફરવું બંધ થઈ ગયું. તે ભાગ્યેજ ખાટલામાંથી ઊભા થતાં તેથી દીકરાએ મહાકાળી માતાનો ફોટો તેમના શયનખંડમાં મુકાવ્યો જેથી હર સમય તેમને માતાનાં દર્શન થતાં રહે.
પંચાણું પછી તો તે ઝાડા કે પેશાબ માટે પણ ઉઠી શકતાં ન હતાં. દીકરો અને વહુ મન દઈને તેમની સેવા કરતાં. તે વિવિધ બીમારીથી પણ પીડાતા હતા પણ ન જાણે કેમ મૃત્યુ તેમનાથી દૂર હતું. ન જાણે તેમના પ્રાણ કેમ અટવાયા હતા?
એક દિવસ દેવિદાસના દીકરાનો મિત્ર શરદ દેવિદાસના ખબરઅંતર પૂછવા આવ્યો. તેણે મિત્રને સલાહ આપી,”તું બાપાના રુમમાંથી માતાનો ફોટો દૂર કર.”
દેવિદાસના શયનખંડમાંથી માતાનો ફોટો દૂર કર્યો અને બીજે જ દિવસે દેવિદાસે દેહ છોડ્યો.
સ્મશાનયાત્રામાં આવનાર શરદે કહ્યુ,”તારા પિતાજીના પ્રાણની રક્ષા માતાજી કરી રહ્યાં હતાં. જ્યાં માતાની ચોકી હોય, ત્યાં યમરાજ ન આવી શકે તેથી જ મેં માતાજીનો ફોટો દૂર કરવાનું કહ્યું હતું.”
**********†******************†***********
NOG SS NO. 055
વિભાગ : ગદ્ય
પ્રકાર : ચિંતન કણિકા
શબ્દ : પ્રકૃતિ
********************
કહેવાય છે કે ” પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય…” આ પ્રકૃતિ એ એક પ્રકારે મનુષ્યની જ પ્રતિકૃતિ છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી,માનવ ગમે એટલો આસમાનને આંબી લે કે પૃથ્વીનાં ગર્ભમાં શું છે તે જાણી લે, પરંતુ તેની પ્રકૃતિ એટલે કે તેનો સ્વભાવ જ તેની ગુણવત્તા નક્કી કરે, માનવજાત આમ થોડી અળવીતરાં કરે એવી પણ ખરી… પરંતુ આ જ માનવ દેહના ભોગે માનવતાની રક્ષા પણ કરે અને પ્રપંચતા નો પ્રતિકાર પણ કરે…માનવની પ્રકૃતિ માનવને ગણ્યા ગણાય નહી અને વીણ્યાં વીણાય નહી એવા પરાક્રમ કરવા પ્રેરે તો એ જ માનવ પ્રકૃતિનાં તાંડવ સામે લાચાર અને બેબાકળો થઈ બેસી રહે…
આ મહામારી શું છે? માનવની સ્વાર્થી પ્રકૃતિ સામે કુદરતની પ્રકૃતિનો જડબાતોડ જવાબ…
પ્રકૃતિને સ્વીકારીએ સાંભળીયે અને સુધારીએ …. ભલે તે માનવની હોય કે કુદરતી…….
શ્રદ્ધા ભટ્ટ
વાપી
01/02/2020
******************************************
NOG SS No-0042
વિભાગ-ગદ્ય
પ્રકાર-લેખ
શીર્ષક-પ્રશંસા એક કળા
“ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી હૈ.” જોજો અહીં આપણે ખુશામતની વાત નથી કરવી.પ્રશંસાની વાત કરવી છે. પ્રશંસા અને ખુશામત વચ્ચે એક પાતળી ભેદરેખા છે,જેને ઓળખવી ખૂબ જરૂરી છે.
આજના યુગમાં બાળકથી માંડીને મોટા મોટા અમલદારોને પણ પ્રશંસા પ્રિય છે,પણ પ્રશંસા કરવા માટે અહમને કોરાણે મુકવો પડે છે. સાચા હદયથી અને યોગ્ય સમયે કરેલી પ્રશંસાથી વ્યક્તિને ઘણીવાર પ્રોત્સાહન મળે છે અને પ્રગતિના શિખરો સર કરી શકે છે.
જે કાર્ય ધાક,ધમકી કે ડરથી નથી થતાં એ પ્રશંસાના પુષ્પો વેરવાથી થઈ જાય છે. આમ પ્રશંસા એક એવું હથિયાર છે, જેનાથી ધાર્યા કાર્યો પાર પડી શકે છે. આમ જોઈએ તો પ્રશંસા એક કળા છે.
પ્રશંસાનો અતિરેક પણ નકામો છે,જો સતત પ્રશંસા સાંભળવાની ટેવ પડી જાય તો માણસની પ્રગતિ અટકી જાય છે,અને પોતાના દોષ દેખાતા નથી તેથી સુધરવાની કે આગળ વધવાની તક પણ ગુમાવી બેસે છે.
ખરેખર પ્રશંસાનો સમજણપૂર્વકનો ઉપયોગ કરતા દરેક માનવીએ શીખવો જોઈએ જેથી જીવનમાં ઘણી સરળતા રહે.
હોમવર્ક પૂર્ણ થયે બાળકોને વેરીગુડની,રસોઈ પૂર્ણ થયે સ્ત્રીઓને સ્વાદના વખાણની,પ્રોજેકટ પૂર્ણ થયે કર્મચારીઓને સારા પગારની,પરિણામ આવ્યે વિધાર્થીઓને શાબાશીની આમ દરેક કાર્ય વખતે પ્રશંસાની અપેક્ષા દરેક વ્યક્તિને હોય તો,થઈ જાય? બે બોલ પ્રશંસાના?
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર.
*****************************************
NOG SS No :- 0093
સદગુરુ કૃપા હી કેવલમ.
વિષય પ્રશંસા.
શીર્ષક- પ્રકૃતિ શુષ્ક કેમ થઈ?
પ્રકૃતિ અરીસામાં પોતાની જાતને નિહાળી રહી હતી, આમ તો મુગ્ધ થઈ જવાય એવું તેનું રૂપ હતું, અને હજી પણ કોઈ કહી ન શકે, કે તે ચાલીસની છે. યોગ અને વ્યાયામ દ્વારા શરીરને ટટાર રાખ્યું હતું, તેમજ સંગીત અને નૃત્યની ઉપાસના પણ ખરી, આરંગેત્રમ કર્યું હોવાથી સ્ટેજ શોમાં તેનાથી નાની ઉંમરની યુવતીઓ થાકી જાય,પણ પ્રકૃતિ જરાય થાકે નહીં. કથકનાં સળંગ બે કે ત્રણ નૃત્ય કરી જાણે,આજે પણ તે એક પ્રોગ્રામ કરીને જ આવી હતી, અને ધીરે ધીરે ઘરેણાં ઉતારતી વખતે તે એ જ વિચારી રહી હતી, કે આમ જુઓ તો તેમણે જે પ્રશંસા કરી તે સાચી છે. પરંતુ એટલું એ કંઈ ખાસ મારામાં છે નહીં! નહીં તો હજી પણ હું થોડી કુંવારી હોઉં!! સમાજમાં તેણે પોતાની એક કડક ઈમેજ ઉભી કરી હતી, એટલે આલીયા માલીયા કોઈ તેને બોલાવી શકે નહીં. તેમજ સ્ટેજ શો કરતી વખતે પણ તેને જેનું અભિવાદન સ્વીકારવું હોય, તેનું જ તે સ્વીકારે. એટલે અમુક રીતે જોઈએ, તો ક્યારેક પણ તોછડી કહી શકાય એવું સામેની વ્યક્તિને લાગે, પણ શું દુનિયામાં કોઈ એવો મર્દ નહીં હોય! જે ઈશ્વરે ફક્ત મારી માટે જ બનાવ્યો હોય! એવું પ્રકૃતિને કાયમ થતું. વિચાર યાત્રા હજી પણ આગળ ચાલત, પણ ત્યાં જ ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો, અને તેણે ઝડપથી કપડાં વ્યવસ્થિત કર્યાને ડોર ખોલવા બહાર આવી. બારણું ખુલતા જ સામે એ જ પ્રશંસક ઉભા હતાં, જેમની પ્રશંસા વિષે તે વિચારતી હતી. હાથમાં ફૂલોનો ગુલદસ્તો અને એક મોટી કેટબરી સાથે મરક મરક હસતાં તે ઉભા હતાં. પ્રકૃતિએ પણ મુખ પર સ્મિત સજાવી તેનું અભિવાદન કર્યુ, અને અંદર આવવા કહ્યું. તેઓ પોતાનું જ ઘર હોય, એ રીતે સહજતાથી સોફા પર બેસી ગયા, અને તેમણે પોતાનું નામ જણાવતા કહ્યું કે,’હું પ્રિયાંક પંડ્યા છું,અને એક સફળ બીઝનેસ મેન છું. અહીં અમદાવાદમાં જ સેટેલાઈટ રોડ પર મારો બંગલો છે, અને સ્વભાવે ધુની,અને કુંવારો હોવાથી એકલો જ રહું છું.આમ તો મારી ઉંમર હું કોઈ ને કહેતો નથી, પરંતુ બેતાલીસ વર્ષ છે.’ પોતાનો પરિચય આપવાની અદા પર પ્રકૃતિ ખડખડાટ હસી પડી. પ્રકૃતિને હસતી જોઈ તેનામાં હિંમત આવી, અને ઉભા થઇ તેણે તેનો હાથ પકડી ચૂમી લીધો, અને પછી લગ્ન માટે પ્રપોઝ કર્યું,અને પ્રિયાંક ને પ્રકૃતિ….
આજે તો એ વાતને પણ દસ વર્ષ થઈ ગયા અને પ્રિયાંક પ્રકૃતિનાં લગ્નને પણ દસ વર્ષ થયા. શિકાગો શહેરની હોટલનાં રૂમની બાલ્કનીમાં ઉભી, ઉભી પ્રકૃતિ, બાહ્ય પ્રકૃતિ નું નિરીક્ષણ કરી રહી હતી. ત્યાં અત્યારે પાનખર જેવી ઋતુ ચાલતી હોવાથી, બાહ્ય પ્રકૃતિ શુષ્ક વર્તાઈ રહી હતી. બિલકુલ તેની અંદર પણ આવાજ ભાવ હતાં, કારણ કે પ્રિયાંક ખરેખર એક સફળ બિઝનેસમૅન જ હતો, અને એ માટે થઈને જ, એણે પ્રકૃતિની પ્રશંસા કરી, તેને અભિભૂત કરી હતી. લગ્ન પછી દેશ-વિદેશમાં તેના સ્ટેજ શો ગોઠવી, અને તે ધૂમ રૂપિયા કમાયો હતો. ન કોઈ બાળક, કે ન કોઈ પરિવાર, પ્રકૃતિ અત્યારે દેખાતી બાહ્ય પ્રકૃતિની જેમ શુષ્ક થઇ ગઇ હતી,ન કોઈ આશા ન નિરાશા, બસ યંત્રવત્ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતી હતી.હવા પાણી ખોરાક બધું જ એક યંત્ર જેમ ગ્રહણ કરતી,ન મરજી ન વિરોધ. પરંતુ આ બધું પ્રિયાંક ને દેખાતું નહોતું.આજે તો હદ થઈ ગઈ, એક નાનું બાળક રમતું રમતું એની નજીક આવ્યું,ને તેણે તેને ઉંચકી લીધું, અને તેની અંદરની સ્ત્રી એ જાણે, માતૃત્વ માટે જેહાદ પર ઉતરી હોય, તેમ સ્ટેજ શો કરવાનો ઈન્કાર કરી દીધો, અને પ્રિયાંકના શબ્દ તેને તીર જેમ ચૂભતા હતાં.લોકો એ થોડીક પ્રશંસા શું કરી! મેડમના તો નાચ નખરાં વધી ગયાં,આજે છોડી દઉં છું, આવતી વખતે દયા નહીં દાખવું સમજી,એમ કરીને જોરથી ડોર પછાડી ચાલ્યો ગયો. પ્રકૃતિ વિચારતી હતી કે શું આ એ જ પ્રિયાંક છે જે તેની પ્રશંસા કરતા થાકતો ન હતો?
લી ફાલ્ગુની વસાવડા ભાવનગર
******************************************
NOG SS No : 0082
વિષય: ટેવ , ગદ્ય
શીર્ષક: સારી ટેવ અને તેનું જીવન માં મહત્વ
જીવનનાં આધાર સ્તંભ એવુ જો આપણે સમજીએ તો, સારી ટેવ, સમય શિસ્ત બધ્ધતા, કુનેહ, વ્યવહારુતા, પ્રમાણિકતા,આ બધું આપણા
આચરણ, ટેવ પર મુખ્ય પ્રકાશ પાડે છે,
જીવનનો પેરેગ્રાફ જો ઊંચાઈ
લઈ જવો હોય તો ટેવ, આચરણ, નિયમિતતા આ બધું ખુબજ મહત્વનો ભાગ ભજવે છે, જે પણ સમગ્ર વિશ્વમાં જેટલા પણ વ્યક્તિઓ માન અને સન્માન, પ્રસિદ્ધિ પામ્યા
તે સર્વે ઉપર મુજબનાં દરેક શબ્દોને જીવનમાં ઉતાર્યા હતા,
વ્યસન પણ એક સારી ટેવનું હોવું જોઈએ,
પ્રતિભાવંત વ્યકિત બનવા માટે સારા ચહેરા ની ખૂબ જરૂર નથી, સારું વ્યક્તિત્વ પાયાના સખત નિયમ અને આચરણથી નિખાર પામે છે, સિદ્ધાંત અને નિયમ મુજબનું જીવન એ પણ એક સારી ટેવનું પ્રતિબિંબ જ છે,
દાત: વહેલા ઉઠી જવાની ટેવ તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનું નિવારણ કરે છે,
સારી ટેવ એ સંસ્કારનું સિંચન કરે છે,
સારી ટેવ તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ ને હલ કરે છે,
આખા વિશ્વ પર અંગ્રેજોએ રાજ કર્યું તેમાં તેમની ડિસિપ્લીન(શિસ્ત) સમય બદ્ધતા, ધગશ, અને પ્રમાણિકતા, એ ખુબજ ભાગ ભજવ્યો,
એક બીજાને આદર સન્માનથી જોવાની સારી ટેવથી તમે તમારા જીવનમાં આવી પડતી
મહત્તમ તકલીફોને સરળતાથી દૂર કરી શકો છો.
ડો.અનિરુધ્ધ વ્યાસ.નડિયાદ