નોવેલ કોરોનાના લોકડાઉન સંદર્ભે કિસાનો ને સહાય રૂપ થવા રાજય સરકાર નો નિર્ધાર
▪રાજયના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત ૩૧ મે, ૨૦૨૦ કરી આપી : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
ખેડૂતોને આ વધારાના સમય માટે કેન્દ્ર સરકાર ૩ ટકા તથા રાજ્ય સરકાર ૪ ટકા વ્યાજ રાહત આપશે
૨૪ લાખ થી વધુ ખેડૂતો વતી રૂ. ૧૬૦ કરોડનું વધારાનું ભારણ રાજ્ય સરકાર વહન કરશે
*******************
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે કિસાનોના હિતને વરેલી રાજય સરકાર કપરા સમયમાં કાયમ માટે ખેડૂતોના પડખે ઉભી રહી છે. પ્રવર્તમાન કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે. તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કારણે બેંકમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી. અને બેંકો દ્વારા ખેડૂતોને નોટીસ મળે છે. તેને મદદરૂપ થવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધુ હતુ તે ભરપાઇ કરવાની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૦ હતી તે લંબાવીને હવે તા.૩૧.૦૫.૨૦૨૦ કરાઇ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા ખેડૂત અગ્રણીઓ, કિસાન સંઘ, ધારાસભ્યશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને મારી સમક્ષ આ મુદ્દત વધારવા માટે રજુઆત કરી હતી. તે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને મંજૂરી મળતાં આજે રાજ્ય સરકારે આ મુદ્દત બે માસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરરસી મહામારીને પરિણામે ઉદ્યોગ-ધંધા-વેપાર અને માર્કેટ યાર્ડો બંધ છે ત્યારે ખેડૂતો પોતાનો પાક વેચી શકતા નથી ત્યારે રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો પાસેથી જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધુ હતુ તે ૩૧ માર્ચ સુધી ભરપાઇ કરે તો જ ફરીથી એ જ મંડળીઓ પુન: ધીરાણ આપતી હોય છે. ખેડૂતોને રાબેતામુજબ ધિરાણ મળી રહે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.
રાજ્યના ખેડૂતોને ૭ ટકાના દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર ૩ ટકા અને રાજ્ય સરકાર ૪ ટકા વ્યાજ રાહતની રકમ સહકારી ધિરાણ માળખામાં આપે છે. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં હાલની લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો સમયસર પાક ધિરાણની રકમ ભરપાઇ ન કરી શકે તે સ્વાભાવિક છે. એટલું જ નહિ, આ વધારાના સમય માટે પણ ખેડૂતોને અપાતી ૭ ટકા વ્યાજ રાહત યથાવત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, ભારત સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ ખેડૂતોને આ વધારાના સમય માટે ૪ ટકા વ્યાજ રાહત આપશે. રાજ્યના ર૪,ર૧,૧૪૯ જેટલા ખેડૂતોને વ્યાજ રાહતનો લાભ મળશે અને રાજ્ય સરકાર આ વ્યાજ રાહતની વધારાની સમયમર્યાદાના રૂ. ૧૬૦ કરોડનો વધુ બોજ વહન કરીને પણ ખેડૂતોની પડખે ઊભી રહેશે.
*************