સ્લમ વિસ્તારના બાળકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી સેવાકીય પ્રવૃત્તિ કરતા પ્રાથમિક શિક્ષક ભરતભાઈ પરમાર….
કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના માટે જીવે છે તેનું મરણ થાય છે, પણ જે વ્યક્તિ બીજાના માટે જીવે છે તેનું હંમેશા સ્મરણ થાય છે. એવા જ બાળકોના સ્મરણ અને હૃદયમાં સ્થાન પામનાર વિશેષ વ્યક્તિ એટલે ભરતભાઈ પરમાર. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામના વતની અને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પગાર કેન્દ્ર શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા તેઓ શ્રી રવિવારે રજાના દિવસે સમયનો સદુપયોગ કરી ગૂજરાત રાજ્ય માતૃભાષા અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી ‘દાદા દાદીનો ઓટલો ‘ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. પાલનપુર હનુમાન ટેકરી ચાણક્યપુરી ખાતે ચાલતા આ કાર્યક્રમમાં સ્લમ અને મધ્યમ પરિવારના બાળકોને એકઠા કરી તેમના માટે અવનવી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. વિવિધ કળા અને કૌશલ્ય ધરાવતા દાદા દાદી તેમજ મહાનુભાવોને આમંત્રિત કરી બાળકોને માર્ગદર્શનની સાથે સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય કરવામાં આવે છે. તારીખ: ૯-૨-૨૦૨૦ના રોજ યોજાયેલ ‘ દાદા દાદીનો ઓટલો ‘ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડા મુખ્ય શાખા પાલનપુરના નિવૃત્ત બેન્કર શ્રી કરશનભાઈ આર. માંગરોડા સાહેબે ઉપસ્થિત રહી બાળકોને સુંદર માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના સંચાલક શ્રી ભરતભાઈ પરમાર દ્વારા બાળકોને શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી નોટ, પેન, પેન્સિલ, રબર, પેડ, પુસ્તક અને ચોપડા જેવી વિવિધ ચીજ વસ્તુઓ ઈનામ સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્લમ વિસ્તારના બાળકોને સ્વેટર અને મફલર આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ બાળકો અને વાલીઓને બટાકાપૌવાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. શિક્ષણના પવિત્ર વ્યવસાય સાથે જોડાઈને રવિવારે રજાના દિવસે પરિવાર સાથે નિ:શુલ્ક ઉમદા કામગીરી કરતા ભરતભાઈ પરમારના સમગ્ર પરિવારને કોટી કોટી વંદન.