નવી દિલ્હી: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર NPRને લઈને ચાલી રહેલા તમામ વિવાદો વચ્ચે ગૃહ મંત્રાલય તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ અંગે નિયમોને લઈને ગૃહમંત્રાલયે અનેક માહિતી જાહેર કરી છે. સરકારે લોકોનો ભ્રમ દૂર કરવા કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર તમામ ભારતીય નિવાસીઓની ઓળખનો એક ડેટાબેઝ છે. આ ડેટાબેઝની ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયુક્ત દ્વારા જાળવણી કરવામાં આવે છે. ભારતના દરેક સામાન્ય નિવાસી માટે એનપીઆરમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કોઈપણ વ્યક્તિ જે 6 મહિના કે તેનાથી વધારે સમયથી કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય તો તેમણે નાગરિક રજિસ્ટરમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે. આવો જાણીએ આ નિયમોમાં સરકાર તરફથી કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે.