ધરમપુર સાહિત્ય પ્રભાત ગ્રુપ અને ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રી માહારાણા નારણદેવજી સાર્વજનિક પુસ્તકાલય દ્રારા “વાંચે એનું પુસ્તક”અંતર્ગત પ્રથમ કડીમાં ધરમપુરનાં વતની એવાં સ્વ.ચંદ્રકાન્ત પંડ્યા લિખિત પુસ્તક ‘બાનો ભીખુ’ જેમાં ધરમપુરની ભૂમિનું રસપ્રદ વર્ણન છે અને સાથેસાથે લેખકની અંતર આત્મા નો નિચોડ છે, જેમાં કેન્દ્રસ્થાને પોતાની ‘બા’ છે,જે શીર્ષક અહીં યથાર્થ ઠરે છે.જેનું વિસ્તૃત વક્તવ્ય તેમનાં પુત્ર સતીષભાઈ પંડ્યા દ્રારા આપવામા આવ્યું હતું. આ પુસ્તક લખવા પાછળ એક પુત્રનો માતા પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરે છે, માતા નાં સંસ્કાર એજ જીવનનું ભાથું તેં આ પુસ્તક દ્રારા તાદૃશ થાય છે.
આ પુસ્તકનું નવું સંસ્કરણ પણ હોય તેનુ વિમોચન પણ રાખવામાં આવ્યુ હતું જેમાં સહભાગી તરીકે ધરમપુર નાં વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસ,ધરમપુર પાલિકા પ્રમુખ શ્રી જયદીપ સિંહ સોલંકી,વોર્ડ સભ્ય શ્રીમતિ જ્યોત્સનાબેન દેસાઈ, ગુજરાત મિત્ર ચર્ચાપત્રી શ્રી ધીરુભાઈ મેરાઈ,પત્રકાર રાઇસિંગભાઇ વળવી,તેમજ ધરમપુર નાં સાહિત્ય ભાવકો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સાહિત્યમય શબ્દોની મહેફિલ બનાવી દીધી હતી.
અંતે પુસ્તક ની એક પ્રત દરેક હાજર રહેલ સાહિત્ય ભાવકો ને યાદગીરી રૂપે ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ નું સંચાલન પુસ્તકાલયનાં ગ્રંથપાલ નિમેષ ભટ્ટ દ્રારા કરવામાં આવ્યુ હતુ અને પધારેલ વક્તા તેમજ મુખ્ય મહેમાનો નું સ્વાગત સ્વામી વિવેકાનંદ નાં આદર્શ પુસ્તકોનો 25 નંગનો સેટ અર્પણ કરી કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમ ફક્ત એક મણકો નહીં પરંતુ અવિરત એક માળા સ્વરૂપે એક સાહિત્ય રૂપે ગુંથાતી રહે એવી પ્રબળ ઇચ્છા સર્વે ભાવકો સમક્ષ આ કાર્યક્રમનાં પ્રણેતા ચિત્રલેખા સુરતના નિવાસી પત્રકાર ફયસલ બકિલી એ વ્યકત કરી હતી.
અંતે આભારવિધિ પ્રતીક કોટક દ્રારા કરવામાં આવી હતી.
-જયદીપ દવે ધરમપુર