હું
યોની
યુદ્ધનું મેદાન નથી….
ધર્મની રખેવાળ નથી…
સંકૃતિની વાહક નથી…
પવિત્રતાનો મારગ નથી..
સમાજની જાગીર નથી..
ગુલામીનો દ્વાર નથી…..
રક્તનો સ્ત્રાવ નથી..
સ્ત્રીત્વનો સાર નથી…
પૃથ્વીનો ભાર નથી…..
પણ
સ્ત્રી
“ઇચ્છે” તો
હું
છું
નવસર્જનની સારથિ……
– મહાશ્વેતા જાની
*************************************†
મણિપુરની હિંસાથી ગૂંગળામણ થાય છે….ક્યાં સુધી ? 😑
ધર્મની રક્ષા કાજે બીજા ધર્મની સ્ત્રીની, પોતાની આદિજાતિની રક્ષા કરવા બીજી જાતિની સ્ત્રીની, યુદ્ધ દરમિયાન એક દેશનાં સૈન્ય દ્વારા બીજા દેશની સ્ત્રીની યોની રંજાડવી, એનાં દેહ અને આત્માને હિંસાથી રહેંસી નાંખવી એ હવે દુનિયામાં સૌથી મોટું હથિયાર બની ચૂક્યું છે..કારણકે એ વિકૃતિ સમાજ માટે ખૂબ સહેલી બની ગઈ છે…ભારતનાં બાવાઓને સ્ત્રીની લલાટે ચાંદલો….માથે ખાલી કે ભરેલો પ્લોટ ને ગળામાં મંગળસૂત્ર દેખાય છે કારણકે સમાજ સ્ત્રીને ભોગવટાની ચીજથી ઉપર જોઇ જ નથી શક્યો……… પવિત્રતાના વાહિયાત બંધનોમાં સ્ત્રીને બાંધી દીધી…અને પુરુષપ્રધાન સમાજ ઇચ્છે ત્યારે એ પવિત્રતાના બંધનોને નામે એને રંજાડે….પ્રજા ( એમાં સરકાર પણ આવી ગઈ…કારણકે સરકાર પણ પુરુષપ્રધાન સમાજનું જ પ્રતિબિંબ છે તે બે મહિના મૂંગી મંતર રહી…) આ બધું સમાજ ફકત એક વિકૃત ફિલ્મની જેમ જોયા કરે….ધર્મ અને સમાજને નામે સ્ત્રી ઉપર થતી હિંસાને આ સમાજે જાણે સ્વીકૃતિ આપી દીધી છે….
મહાશ્વેતા જાની
********†**************************†***
(મણીપુરની ઘટનાનો વિડીયો વાઇરલ થયા પછી એ આખા વિશ્વમાં વ્યાપી ગયો છે, પ્રગતિશીલ દેશોની સંસદમાં મણીપુરની ઘટના વિશે ફિટકાર વરસી રહ્યો છે, વિશ્વના છાપાઓમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ અને ભારત દેશ માટે નીચા જોણુ થાય એવા સમાચારો અને લેખો પ્રકાશિત થઈ રહ્યા છે……….
પરંતુ આપણા ગુજરાતમાં મહાત્મા ગાંધીની પ્રયોગશાળા બંધ કરીને સંઘ પરિવારની પ્રયોગશાળા શરૂ થઈ પછી અને મણીપુર ની ઘટના ઘટ્યા પછી ગુજરાતી ભાષા સાહિત્યના મૂર્ધન્ય મોરારીબાપુ, મહાન વિશ્વચિંતક ગુણવંત બાપુ, હિંસક માનસિકતાના સમર્થક સચ્ચિદાનંદ અને તેમના વૈચારિક સંપ્રદાયના મધ્યમ વર્ગીય માનસિકતા ધરાવતા કહેવાતા ગુજરાતી સાહિત્યકારો સંપૂર્ણપણે સ્થિત પ્રજ્ઞવૃત્તિ સાથે શાંતિથી મધ્યમ વર્ગીય માનસિકતાને છબછબિયા કરાવવાનો પોતાનો યુગધર્મ નિભાવી રહ્યા છે ત્યારે ………….
મહશ્વેતા જેવી સંવેદનશીલ દીકરીના હૃદયમાં મણીપુરની ઘટના સંબંધે જે સંવેદનશીલ વિદ્રોહ પ્રગટ થયો છે તે તેણે અહીં અભિવ્યક્ત કર્યો છે . મહાશ્વેતા તને લાખ લાખ અભિનંદન, તે ગાંધીના ગુજરાતની અસ્મિતાને લૂંટાતી બચાવી છે.
સંઘ પરિવારના સમર્થક મોરારીબાપુ, ગુણવંતબાપુ અને સચ્ચિદાનંદ જેવા ગુજરાતી સાહિત્યકારો, કથાકારો, સાધુઓને તેમની શાહમૃગવૃત્તિની નિંદ્રામાંથી જગાડવા આ સંવેદના અને આ વિદ્રોહ હું અર્પણ કરું છું……
ઉત્તમ પરમાર)
******************************************
*હરિૐ 🌞
( પૂજ્ય સ્વામીજીએ આ લેખ તા.05/01/2021 ના લખેલો છે.)
👉 આખો લેખ વાંચીને, સમજીને, વિચારીને પછી સ્ટેટમેન્ટ આપવું. ફકત ઉપરછલ્લું વાંચીને કૉમેન્ટ ન કરવાં વિનંતિ છે.
🌞 હરિૐ 🌞
” હે પૂજ્ય ધર્મગુરુઓ! હે મહાન આચાર્યો ! હે કથાકારો! હે યોગીઓ! રાજનેતાઓ! હે સમાજ સેવકો! હે લેખકો! સાહિત્યકારો, કવિઓ અને વિચારકો! આપ સૌને મારી કરબધ્ધ નમ્ર પ્રાર્થના છે કે અત્યારે હિન્દુ પ્રજા ભારે કટોકટીમાંથી પસાર થઇ રહી છે. આવનારાં વર્ષોમાં તેનું અસ્તિત્વ જોખમમાં પડી રહ્યું છે. આવી સ્થિતિમાં તમે બધા હિન્દુ પ્રજાને પરલોકના રવાડે ચડાવવાનું બંધ કરો. સાક્ષાત્કારની વાતો બંધ કરો. કુંડલીની જગાડવાની કે આત્મદર્શન અથવા બ્રહ્મદર્શનની વાતો બંધ કરો. અત્યારે આ જીવનના સળગતાં પ્રશ્નો નથી. આ તો પેટ ચોળીને ઊભા કરેલા પ્રશ્નો છે અને જેનો કદી અંત નથી એવા ગુંચવાયેલા પ્રશ્નો છે. એવા પ્રશ્નોમાં પ્રજાને અટકાવી રાખવી અને સાચા, સળગતા પ્રશ્નો પ્રત્યે આંખ બંધ કરાવી દેવી એ ભયંકર ભૂલ ગણાશે. અત્યારે સળગતાં બે મોટા પ્રશ્નો છે.
( 1 ) ગરીબી અને
( 2 ) ગુલામી.
ભારતમાં ગરીબી અને ગુલામી માનવ સર્જિત છે. ઇશ્વર સર્જિત નથી.
મનુષ્યોએ જે પાયાની ભૂલો કરી તેના પરિણામે આ દેશ ગરીબ અને ગુલામ બન્યો. એ પાયાની ભૂલો સુધારવાથી જ આ બે પ્રશ્નોને પાયામાંથી ઉકેલી શકાય છે. મારી દૃષ્ટિએ આ ભૂલોની શરૂઆત મુખ્યત: આપણાં ચાર પૂર્વજોએ કરી છે. પહેલી ભૂલ પરશુરામે કરી હતી. એમણે 21 વાર વીણી-વીણીને ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. ક્ષત્રિયો એટલે યૌદ્ધાઓ. જે દેશના યૌદ્ધાઓ નષ્ટ થઈ જાય, તે દેશ ગુલામ ના થાય તો બીજું શું થાય ? તેમણે દુષ્ટ ક્ષત્રિયોનો જ નાશ કર્યો હતો એવો લૂલો બચાવ કરવો યોગ્ય નથી.
જરા વિચાર કરો કે આજે ભારતની સેનાની 21 ડીવીઝનો અથવા 21 કૉરોનો કોઈ નાશ કરે તો ભારતની સૈનિક દશા કેવી થઇ જાય
? તરત જ ભારત ગુલામ થઇ જાય. આ રીતે 21 વાર યૌદ્ધાઓનો નાશ કરી નાંખ્યો હતો. એ યાદ રહે કે પરશુરામ આર્ય હતા અને ક્ષત્રિયો પણ આર્ય હતા. આર્યના દ્વારા આર્ય પ્રજાનો નાશ કરવામાં આવ્યો. તેથી શકો, સિથિયનો, હૂણો વગેરે આક્રમક પ્રજા આ દેશ ઉપર ચડી આવી અને બહુ સરળતાથી આ દેશને ગુલામ બનાવ્યો. કેટલાક લોકો અંગ્રેજોના આવવાથી દેશને ગુલામ માને છે, તો કેટલાક મુસ્લિમોના આવવાથી દેશને ગુલામ માને છે. પણ ખરેખર તો ગુલામીની શરૂઆત પડોશથી આવેલાં શકો, સિથિયનો, હૂણો, તાર્તારો વગેરેના દ્વારા થઇ હતી. સારું એટલું થયું કે આ બધાં હિન્દુપ્રજામાં ભળી ગયા એટલે આપણને હવે એ પરાયા લાગતાં નથી. મુસ્લિમો ભળી ન શક્યા અને અંગ્રેજો રહી ન શક્યા. એટલે અંગ્રેજો તો પોતાના દેશ ચાલી ગયા પણ મુસ્લિમો પોતાનો અલગ દેશ બનાવીને પણ ભારતમાં રહી ગયા અને તેમનું પ્રમાણ એટલી ઝડપથી વધી રહ્યું છે કે આવનારા દિવસોમાં તેમની બહુમતી થઇને સત્તા સ્થાપિત થઇ જાય તો નવાઈ નહી. આવી સ્થિતિમાં હિન્દુ પ્રજા ને બચાવવા તેનાં સળગતાં બે પ્રશ્નોને પુરી સચ્ચાઈથી સમજવાં જોઇશે અને તેનો ઉકેલ પણ કરવો જોઇશે. ફરીથી પૂનરાવર્તન કરીને જણાવું છું કે આપણા ધગધગતા બે પ્રશ્નો ગરીબી અને ગુલામી છે જે પ્રજા પોતાના યૌદ્ધાઓનો નાશ કરે તે કેવી રીતે સ્વતંત્ર થઇ શકે અને કદાચ થઇ હોય તો રહી શકે ? આ વિચારવાનું છે.
જેમ પરશુરામજીએ યૌદ્ધાઓનો નાશ કર્યો તેમ બુદ્ધ, મહાવીર અને ગાંધીજીએ પ્રજાને અહિંસાનો ઉપદેશ આપ્યો કે પ્રજા શસ્ત્ર ત્યાગી થઇ ગઇ. જો પ્રજા શસ્ત્ર વિનાની હોય તો તે હરણાં કે સસલાં જેવી થઇ જાય. આવી પ્રજા જંગલી હિંસક વાઘ-વરૂ જેવાં જાનવરો સામે પોતાનું રક્ષણ કરી શકે નહિ. તે તો પેલાં હિંસક જાનવરોનો આહાર થઇને જેમ તેમ જીવતી રહે. હિંદુ પ્રજા સેંકડો વર્ષો સુધી આવી ગુલામી ભોગવી ચુકી છે. તેણે ગુલામીના પારાવાર કષ્ટો ભોગવ્યા છે અને ફરી પાછી ગુલામ થઇ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ભારતના કેટલાય ભાગ એવા છે જેમાં હિન્દુ પ્રજા અર્ધગુલામી જેવું જીવન જીવે છે.
અનુભવ કરવો હોય તો પૂર્વભારતના બંગાળ, બિહાર, આસામ, નાગાલેન્ડ વગેરે પ્રદેશોમાં ભ્રમણ કરી આવો. જે આ ભાગમાં થયું છે તે આખા દેશમાં થઇ શકે છે. તેથી જો આવનારી ગરીબી અને ગુલામીથી બચવું હોય તો પૂરેપૂરી પ્રજાને શસ્ત્રધારી બનાવો, બળવાન બનાવો. આર્ય-આર્યને કે હિન્દુ-હિન્દુને દુશ્મન ના સમજે પણ સગો ભાઈ સમજે પછી તે ગમે તે નાત, જાત, પંથ કે પરિવારનો હોય. બધાં એક જ છે તેવી એકતા દ્રઢ કરાવો. જેમણે આ દેશને ગરીબ અને ગુલામ થવાનાં કારણો આપ્યાં તેમને ભગવાન તો ના જ મનાય. સાચો આદર્શ જાણવો હોય તો વૈદિક ઋષિઓ અને ચાણક્ય પાસે જાવ. તે તમને સાચો રાષ્ટ્રવાદ આપશે, સાચો માનવતાવાદ આપશે, સાચું જીવન આપશે. આપણો આદર્શ ઋષિઓ છે.
ઋષિઓને ભુલ્યા ને આપણી દુર્દશા થઇ. પાછાં વળો. ફરી પાછા ઋષિઓના શરણે જાવ અને વ્યાસ, વસિષ્ઠ, કપિલ, કણાદ, વિશ્વામિત્ર, દ્રોણાચાર્ય, ચાણક્ય વગેરે વગેરે સેંકડો ઋષિઓને આદર્શ માનીને જીવનનું પુરેપુરું સંતુલિત નિર્માણ કરો. આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોને સિદ્ધ કરવાના છે. માત્ર મોક્ષ ના રવાડે ચડાવીને બાકીના પુરુષાર્થોને બગાડવાના કે ત્યાગવાના નથી.
ફરીથી આપ સૌને નમ્ર પ્રાર્થના કે આવનારો સમય ઘણો વિકટ છે. એવા સમયે આપ સૌ આ લોકના એ બે સળગતાં પ્રશ્નો ગરીબી અને ગુલામી ઉપર પુરેપુરું ધ્યાન આપીને પ્રજાને સાચા માર્ગે વાળો અને જેવી રીતે યહુદીઓએ ઇઝરાયેલ જેવો નાનો સરખો દેશ બનાવીને પણ મહાન રાષ્ટ્ર બનાવ્યું અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી દીધું, તેવી રીતે પ્રત્યેક ભારતીય પણ ભારતને મહાન રાષ્ટ્ર બનાવીને તેના મૂળ નિવાસી હિન્દુ પ્રજાનું ભવિષ્ય સુરક્ષિત થઇ જાય તેવાં પ્રયત્નો કરે.
આ જ આપણે ઇઝરાયેલ પાસેથી શીખવાનું છે.
એ જ અભ્યર્થના.
સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.
ભકિત નિકેતન આશ્રમ
દંતાલી-પેટલાદ.
**********************