અસામાજિક તત્વો સામે સામૂહિક અવાજ ક્યારે ઊઠશે? બે દલિત મૃતક પરિવાર ની મુલાકાત લેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાંન ગઢવી
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે 12 જુલાઈ 2023ના રોજ સાંજે 5 વાગ્યે દલિત ખેડૂત અલજીભાઈ પરમાર (60) અને મનજીભાઈ પરમાર (54) ઉપર 10-15 ઈસમો તલવાર-લાકડીઓથી તૂટી પડ્યા હતા. બે સગા ભાઈઓ અલજીભાઈ તથા મનજીભાઈની હત્યા કરી, ત્રણ દલિત મહિલાઓ-પારુલબેન /શાંતાબેન/ નંદિનીબેનને ગંભીર ઈજા પહોંચાડી, તોડફોડ કરી, રોકડ રકમની લૂંટ કરી, નંદિનીબેનની આંખમાં મરચું નાખી તેનો મોબાઈલ ફોન છીનવી લઈ આરોપીઓ ઈસમો નાસી ગયા હતા !
ચુડા પોલીસે; આરોપીઓ સામે IPC કલમ-302 (હત્યા), 396 (ડેકોઈટી વિથ મર્ડર), 307 (હત્યાની કોશિષ), 326 (ખતરનાક હથિયારથી ઈજા કરવી), 325 (ગંભીર ઈજા કરવી), 335 (ગંભીર ઈજા માટે ઉશ્કેરણી), 427 (બગાડ કરવો), 120B (કાવતરું), 506(2) (ગુનાહિત ધમકી), 504 (શાંતિ ભંગ કરવા ઈરાદાપૂર્વક અપમાન કરવું) 143 (ગેરકાયદે મંડળી), 147 (રાયોટ), 148 (ખતરનાક હથિયારો સાથે રાયોટ કરવું), 149 (હુલ્લડમાં ભાગ લેનારની સરખી જવાબદારી) તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
હત્યા કરવાનું કારણ શું હતું? 70-80 વર્ષ પહેલા વિક્ટિમના પૂર્વજો દ્વારા એક જમીન લેવામાં આવી હતી અને આ જમીન નો કેસ મામલતદાર/કલેક્ટર સમક્ષ ચાલતો હતો, જેમાં વિક્ટિમના પરિવારનો વિજય થયો હતો, અને આરોપી ઈસમો કાઠી અમરા ખાચર/ નાગ ખાચર/ જીલુ અમરા ખાચર/ મંગળુ ખાચર/ ભીખુ ખાચરમો પરાજય થયો હતો. આરોપીઓ દ્વારા દલિત પરિવારને હેરાનગતિ થતી હતી. દલિત પરિવારે રક્ષણ માગ્યું હતું પરંતુ તેમને રક્ષણ મળ્યું ન હતું.
થોડાં પ્રશ્નો : [1] દલિત ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કરે તો તેમની હત્યા થઈ જાય; આ કેવું ગુજરાત મોડેલ છે? [2] શું પોલીસે કાયમ ફાયર બ્રિગેડની જેમ ઘટના બને પછી જ દોડવાનું છે? આગ ન લાગે એટલે કે હત્યાઓ ન થાય તે માટે પૂર્વ આયોજન કરવું ન પડે? અટકાયતી પગલાં લેવા ન પડે? આ આરોપીઓ દલિત ખેડૂતોને ત્રાસ આપતા હતા ત્યારે પોલીસે અસરકારક અટકાયતી પગલાં લીધાં હોત તો આ ડબલ મર્ડરની ઘટના બની ન હોત ! ગુજરાત પોલીસનું ચરિત્ર સાવ કથળી ગયું છે; સબળની ચાપલૂસી કરે છે અને નિર્બળ/ ગરીબ/ દલિત/ આદિવાસી/લધુમતી સાથે તોછડું વર્તન કરે છે ! સત્તાપક્ષની એટલી દખલગીરી છે કે ખુદ શ્રીરામ’ આવે તોપણ રામરાજ્ય સ્થાપી શકે તેમ નથી ! બંધારણે બક્ષેલ માનવ અધિકાર માટેનો સંઘર્ષ જ એકમાત્ર રસ્તો છે ! આ ક્યારે સમજાશે? [3] કેટલાંક કહે છે કે ગુજરાતમાં દલિતો સાથે અત્યાચાર થતો નથી; અસ્પૃશ્યતા રાખવામાં આવતી નથી; તેમના માટે આ શરમજનક ઘટના તમાચા સમાન નથી? એટ્રોસિટી એક્ટ હોવા છતાં દલિતોનો કારણ વિના ભોગ લેવાય છે; તે સૂચવે છે કે એટ્રોસિટી એક્ટને હજુ મજબૂત કરવાની જરુર છે ! હત્યા/ બળાત્કારના કિસ્સામાં દોષિતને છેલ્લાં શ્વાસ સુધી જેલમાં જ રાખવાની જોગવાઈ થવી જોઈએ ! શું આ જરુરી નથી? [4] ગુજરાતનો ઈતિહાસ છે કે નિર્બળની હત્યા સબળ કરતાં આવ્યા છે ! માથાભારે ઈસમો બળજબરી/ ચાલાકીપૂર્વક દલિતોની/ગરીબોની જમીન પચાવી પાડે છે; આ ગંભીર ક્રાઈમ અટકાવવા ગુજરાત પોલીસ પાસે કોઈ એક્શન પ્લાન છે ખરો? શું શાંતિપ્રિય/ સહિષ્ણુ નાગરિકોએ ‘રામ ભરોસે’ સરકાર છોડી શકે? શું નાગરિકોને અસામાજિક તત્વોની જે રંઝાડ થાય છે તેની જાણ સત્તાપક્ષના 156 ધારાસભ્યોને છે કે નહીં? શામાટે સરકાર આવી રંઝાડ બંધ કરાવતી નથી? શું વાઈબ્રન્ટ ગુજરાતના નાગરિકોએ ગુંડાઓની/અસામાજિક તત્વોની દાદાગીરી સહન કરવી જ પડે? [5] એટ્રોસિટી એક્ટ મુજબ જિલ્લા કલેક્ટર જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ છે; તેમણે શું તકેદારી લીધી? શામાટે જિલ્લાના દલિતોની હત્યાઓ થાય? શામાટે દલિતોની સુરક્ષા માટે ખાતરી ન કરી? શામાટે પૂરતાં પગલાં ન લીધાં? ડબલ મર્ડર થાય છતાં કલેક્ટર/ SPની જવાબદારી નક્કી કરવી જોઈએ કે નહીં? [6] સગા બે ભાઈઓની હત્યા તેમના જ ખેતરમાં થઈ જાય છતાં ગુજરાતના લોકો સૂતા જ રહે તે શરમજનક બાબત નથી? શું અત્યાચારનો વિરોધ કરવાની જવાબદારી માત્ર દલિતોની જ છે? અસામાજિક તત્વો સામે સામૂહિક અવાજ ક્યારે ઊઠશે?rs [ફોટો સૌજન્ય : BBC, ]