25 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો) janfariyadnews youtube channel links જૂવો

25 NG pdf (2)

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/23, 4:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી……*

*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે; અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ-પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
***
•વડાપ્રધાનશ્રી શહેરી વિકાસ વિભાગના ₹2548 કરોડ અને રેલવે વિભાગના ₹1404 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
• અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, વડાપ્રધાનશ્રી કરશે ખાતમુહૂર્ત_
• મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના વિકાસકાર્યોની ભેટ_
• ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
***
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
વડાપ્રધાનશ્રી ના પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે ₹.5477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનશ્રી 25મીએ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્રણ શહેરોને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની ભેટ આપશે.
આ વિભાગોમાં રેલવે (₹1404 કરોડ), શહેરી વિકાસ (₹2548 કરોડ), એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (₹1122 કરોડ), માર્ગ અને મકાન (₹307 કરોડ) અને રેવન્યૂ વિભાગ (₹96 કરોડ)નો સમાવેશ થાય છે.

*ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ત્યારે આ વિકાસકાર્યો રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારીને પ્રોત્સાહન આપશે.*

*અમદાવાદને મળશે ₹3125 કરોડના વિકાસકાર્યોની ભેટ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ શહેરમાં ₹2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ₹916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેનો હેતુ અમદાવાદમાં વીજ વિતરણ વ્યવસ્થાને અપગ્રેડ અને તેનું વિસ્તરણ કરવાનો છે. આ ઉપરાંત, ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, 66kV ગોતા સબસ્ટેશન, 66kV ચાંદખેડા-2 સબસ્ટેશન, વિરમગામ ખુદડ રોડ કિમી 0/00 થી 21/400નું લોકાર્પણ વગેરેનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદમાં થનારા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલવે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

*અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનાવશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે. વડાપ્રધાનશ્રી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.

*ગાંધીનગર શહેરને મળશે ₹555 કરોડના વિકાસકાર્યોની ભેટ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર શહેર માટે ₹555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા ₹178 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તો પેથાપુર અને રાંધેજામાં પાણી પુરવઠા લાઇન અને અને GUDA હેઠળ ડભોડા ગામમાં ગટર વ્યવસ્થા સુવિધાઓ તેમજ ડ્રેનેજ માળખાનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રીના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ગાંધીનગર શહેર ખાતે રાજ્ય સ્તરીય ડેટા સ્ટોરેજ સેન્ટરનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રસ્તાનું બાંધકામ, વિવિધ વિસ્તારમાં સ્ટોર્મ વૉટર લાઇન અને ગટર લાઇન ઇન્સ્ટોલેશન વગેરેનો સમાવેશ થાય છે.

*મહેસાણામાં રેલવે વિભાગના ₹1400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ*

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મહેસાણાને કુલ ₹1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપશે અને 2 ટ્રેનનું ફ્લૅગ-ઑફ કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનશ્રી ₹1400 કરોડથી વધુના જે રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, તેમાં ₹537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65 કિમી)નું ડબલિંગ, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇન (40 કિમી)ના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રૉડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

*માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો રોડ શો રુટ : હરી દર્શન સર્કલ – યુનીયન બેંક ચાર રસ્તા – મેંગો સિનેમા ચાર રસ્તા – સભા સ્થળ*

*આ પ્રેસ વાર્તામાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મહાનગર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ,મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા.*
[8/24, 8:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો રંગારંગ પ્રારંભ*
****
*કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયાએ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાવ્યું*
****
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા ઘણા મહત્વના રિફોર્મ્સ હાથ ધરાયા :- કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા*
****
*૧૪૪ જેટલા મેડલ્સ જીતવા ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ વિવિધ કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લેશે*
****
*રમતગમત, યુવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિત*
****
કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. આવા આયોજનો દેશના ઉભરતા એથ્લિટસની પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે એથ્લિટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે.

શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં પ્રાચીન સમયથી જ રમતગમત ક્ષેત્ર સમાજનો આગવો હિસ્સો રહ્યું છે અને સતત વિકસી રહ્યું છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’નો નારો આપ્યો. દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા તેમણે ઘણા મહત્વના રિફોર્મ્સ કર્યા.

સ્પોર્ટ્સ પોલિસી વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ પોલિસી સ્પોર્ટ્સને ઍક્સેસિબલ બનાવીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકો સિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પણ લાગુ કરાયું છે. સ્પોર્ટ્સ ગવર્નન્સ એથલિટ્સ સેન્ટ્રીક બનાવવા સાથે મહિલાઓને ફેડરેશનમાં પ્રતિનિધિત્વ મળે અને સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમમાં આવવાનો મોકો મળે એ સ્પોર્ટ્સ ગવર્નન્સ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ થકી દિવ્યાંગોને પણ સ્પોર્ટ્સમાં સરખું પ્રતિનિધિત્વ મળે એ દિશામાં કામગીરી કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા કેન્દ્રીય મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે સ્પોર્ટ્સ આપણી વિરાસત છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણી પુંજી છે, જેનો લાભ લઈને ભારતને દુનિયાના ટોપ ટેન સ્પોર્ટ્સ કન્ટ્રીમાં પહોંચાડવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે. વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરીને ટોપ-૫ સ્પોર્ટિંગ કન્ટ્રીઝમાં સ્થાન મેળવવા પણ આપણે પ્લાન બનાવીને એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે આપણા વેઇટલિફ્ટર્સ આ રમતમાં સુંદર સફળતા મેળવી રહ્યા છે. આવી વધુને વધુ પ્રતિયોગિતાઓ આપણા યુવાઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા આગવી પ્રેરણા પૂરી પાડશે. સાથે જ, મંત્રીશ્રીએ તમામ આયોજક સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ઈન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી મહોમ્મદ હસન જલૂદ અલ શમ્મારીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ક્વોલિફાયર ઇવેન્ટ હશે. ભારતની યંગ ટેલેન્ટ આજે વેઇટલિફ્ટિંગમાં સતત સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટક્કર આપી રહી છે. ભારતનો ભવ્ય વારસો અને પ્રાચીન સંસ્કૃતિ તેની ઓળખ છે. આજે ભારત સ્પોર્ટ્સ અને આર્થિક ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત સરકારના સતત સહકારના લીધે જ આજે આ ચેમ્પિયનશિપ આટલી સરળતાથી આયોજિત થકી શકી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ શ્રી પોલ કોફફાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ ઓલિમ્પિક સ્તરની તૈયારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશિપના આયોજનમાં દરેક ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકારનો અત્યંત સહયોગ સાંપડ્યો છે.

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી સહદેવ યાદવે સ્વાગત પ્રવચન કરતા વિશ્વભરમાંથી વેઇટલિફ્ટિંગ સાથે સંકળાયેલા અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પધારેલા સૌને આવકાર્યા હતા. સાથે જ, શ્રી સબિના યાદવે પણ સૌને આવકાર્યા હતા.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીશ્રીએ ઉદ્ઘાટન કાર્યકમ બાદ પ્રસ્તુત કરાયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળીને સૌને બિરદાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ૩૧ ઓગસ્ટ સુધી યોજાનાર ચેમ્પિયનશિપમાં ૧૪૪ જેટલા મેડલ્સ જીતવા ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી એન્ગ પોહ ઓંગ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ શ્રી મહોમ્મદ અલહરબી, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન અને શ્રી બાબુભાઈ દેસાઈ, મહેસાણાના લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, રમત ગમત – યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિની કુમાર, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી સહદેવ યાદવ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજય પટેલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાંગલે, કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ના સંચાલકો – અધિકારીશ્રીઓ, રાજ્યના રમતગમત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, એથલિટ્સ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*******
[8/24, 9:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતે આધુનિક વિકાસની સાથે સામાજિક પડકારો પણ પાર કર્યા – વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી*
………
-: *વડાપ્રધાનશ્રી* :-
• ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસ-શિક્ષણની ભૂખ જાગી છે
• ગુજરાતની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી છે
• સરદારધામનું નામ જેટલું પવિત્ર છે, તેટલું જ તેનું કામ પણ પવિત્ર છે
• દુકાનદારો તેમની દુકાનની બહાર ‘અહીં માત્ર સ્વદેશી વસ્તુ જ મળે છે’ તેવું બોર્ડ લગાવે
……….
*ગુજરાતના અને પાટીદાર સમાજના વિકાસનો ગ્રાફ એક સમાન- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ*
*-: શ્રી અમિતભાઈ શાહ:-*
• જે સમાજ દીકરીને શિક્ષિત કરે, પગભર બનાવે તે સમાજ સૌથી પહેલા વિકાસ કરે છે, પ્રગતિને પામે છે
• . દરેક ભારતીય એક સ્વરે નતમસ્તક થઈને સરદાર પટેલને યાદ કરે છે, તેમનું સન્માન કરે છે
• પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જીને ઉદ્યોગ, વ્યાપાર, સરકારી સેવા, જાહેર કાર્યો, વિદેશ ગમન એમ દરેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે
………..
*સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળવાથી વિકાસની ગતિ બમણી થાય છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
*-:મુખ્યમંત્રી શ્રી:-*
• સરદારધામ ફેઝ-૨, કન્યા છાત્રાલય સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે
• સરદારધામ સંસ્થા, ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ ના ધ્યેય સાથે, વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણના સંકલ્પોને સાકાર કરવામાં યોગદાન આપશે
………..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં, અમદાવાદ ખાતે સરદારધામ ફેઝ-૨ અને શકરીબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા છાત્રાલયનું લોકાર્પણ દિલ્હીથી ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વર્ચ્યુઅલી કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશ દ્વારા ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું.
પ્રિ-રેકોર્ડેડ વિડિયો સંદેશના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગુજરાતે આધુનિક વિકાસની સાથે સામાજિક પડકારો પણ પાર કર્યા છે. સામાજિક ક્ષેત્રે અનેક પડકારો પાર કરીને ગુજરાત આગળ આવ્યું છે. પહેલા દીકરીઓના શિક્ષણમાં ગુજરાત પાછળ હતું પરંતુ સૌ સમાજે આગળ આવીને દીકરીઓના શિક્ષણ બાબતે કામ કર્યું એટલે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. 25 વર્ષની યાત્રામાં સૌએ સાથે મળીને કામ કર્યું છે.

તેમણે ઉમેર્યું કે, સરદારધામનું નામ જેટલું પવિત્ર છે, તેટલું જ તેનું કામ પણ પવિત્ર છે. સરદાર ધામ ફેઝ ટુ, કન્યા છાત્રાલયમાં રહીને દીકરીઓને તેમના અરમાનો અને સપના પૂરા કરવા નો અવસર મળશે. અહીં ભણી ગણીને દીકરીઓ રાષ્ટ્ર નિર્માણમાં કાર્યમાં સહભાગી થશે અને આ શિક્ષિત દીકરીઓનું કુટુંબ પણ સમર્થ બનશે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આ કન્યા છાત્રાલયની આધારશીલા રાખવાનું સૌભાગ્ય તેમને સાંભળ્યું હતું અને આજે આ ભવન તૈયાર થઈ ગયું છે. વડોદરામાં પણ સરદાર ધામનું કામ ચાલુ છે. સુરત, મહેસાણા સહિત રાજ્યના ઘણા નગરોમાં આવા તાલીમ કેન્દ્ર બનાવાઈ રહ્યા છે, સરદાર ધામ સંસ્થાનું કામ ખરેખર સરાહનીય છે.

વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ કરતાં કહ્યું કે, હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે કહેતો કે, ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જરૂરી છે’. ગુજરાત પાસેથી જે શીખ્યો તે તે લેખે લાગ્યું છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ ટેકનોલોજી આ બધા ક્ષેત્રે ગુજરાતે વિકાસ કર્યો છે પરિણામે ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસ-શિક્ષણની ભૂખ જાગી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાથે એક કલંક હતું ભ્રૂણ હત્યાનું પાપ. દીકરીઓની ગર્ભમાં જ હત્યા કરવાનું પાપ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળમાં આપણે સુરતથી ઉમિયા ધામ સુધી યાત્રા કરી હતી. ‘બેટા બેટી એક સમાન’ એ નારો ત્યારે ગુજરાતમાં ગુંજ્યો હતો.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત નારી શક્તિને પૂજતું રાજ્ય છે. મા ઉમિયા, મા ખોડલ, અંબાજી, બહુચરાજી આવી નારી શક્તિના આપણે ઉપાસક છીએ. ગુજરાતમાં બાળકીની ભૃણ હત્યાનું કલંક નાબૂદ કરવામાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના સંગઠનો એ આગળ આવીને સરકાર સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું જેને પરિણામે ગુજરાતમાં ભ્રુણ હત્યા તો અટકી જ સાથે સાથે ગુજરાતની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સમાજનું ભલું કરવાનું કામ કરવા નીકળીએ ત્યારે ઈશ્વર પણ સાથ આપતો હોય છે. હવે તો ગુજરાતમાં દીકરીઓ અલગ અલગ વ્યવસાય કરતી થઈ છે. તેમના રહેવા જમવા અને ભણવા માટેની ભવ્ય હોસ્ટેલો બની ગઈ છે.
વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ પણે કહ્યું કે, ગુજરાતને પગલે આજે દેશભરમાં બેટી બચાવો બેટી પઢાવો ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂરના પ્રેસ બ્રિફિંગમાં પણ ભારતની દીકરીઓનો અવાજ દુનિયાએ સાંભળ્યો હતો. લખપતિ દીદી, ડ્રોન દીદી, બેંક સખી, વીમા સખી એવા અનેક ક્ષેત્રે આજે ભારતભરમાં મહિલા ઉત્કર્ષનું કામ થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિમાં સ્કિલ ઉપર ભાર આપવામાં આવ્યો છે. આજે દુનિયાને સ્કીલ્ડ મેન પાવરની જરૂર છે. વિશ્વના ઘણા દેશો વૃદ્ધ જનસંખ્યાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે ભારત પાસે દુનિયાને આપવા માટે કુશળ માનવબળ છે. ભારત સરકાર પણ વધુને વધુ રોજગાર સર્જન માટે કાર્યરત છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપની સંખ્યા બે લાખ જેટલી થઈ છે. હવે સ્કીલની સ્પર્ધા હોવી જોઈએ, હુન્નરની સ્પર્ધા હોવી જોઈએ. જૂની ઘરેડમાંથી બહાર નિકળીને પરિસ્થિતિને બદલવી જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, મુદ્રા યોજનામાં 33 લાખ કરોડ રૂપિયાની લોન અપાઇ છે અને યુવાનોના હાથમાં સ્વરોજગાર માટે રૂપિયા આવ્યા છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાથી જાહેર કરી છે જે એક લાખ કરોડ રૂપિયાની યોજના છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાને કારણે આજે લોકો સોલાર પાવરને અપનાવતા થયા છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સરકારના દરેક અભિયાનમાં સામાજિક સંગઠનો એ સાથ આપ્યો છે. પાટીદાર સમાજે હંમેશા મારી અપેક્ષા પૂરી કરી છે. જે અભિયાન જે મિશન આપ્યા તે પાર પાડ્યા છે. ત્યારે મારી પણ અપેક્ષા વધી છે. આપણે સૌ હવે સ્વદેશીના આગ્રહી બનીએ. પાટીદાર વર્ગ હવે માત્ર ખેડૂત નથી રહ્યો, વિવિધ વ્યવસાય બિઝનેસ કરતો થયો છે ત્યારે સ્વદેશી અપનાવવાની પહેલ કરવી પડશે. દુકાનદારો તેમની દુકાનની બહાર ‘અહીં માત્ર સ્વદેશી વસ્તુ જ મળે છે’ તેવું બોર્ડ લગાવે. આજે વિશ્વની જે અસ્થિરતા છે તેની સામે તમે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી આંદોલનનુ નેતૃત્વ કરો. આપરેશન સિદૂંરના પરાક્રમની જેમ સ્વદેશી વસ્તુનો ઉપયોગ અને વેચાણ પણ દેશભક્તિ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

*આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે* , ગુજરાતના અને પાટીદાર સમાજના વિકાસનો ગ્રાફ એક સમાન છે. જે સમાજ દીકરીને શિક્ષિત કરે, પગભર બનાવે તે સમાજ સૌથી પહેલા વિકાસ કરે છે, પ્રગતિને પામે છે. પાટીદાર સમાજે દીકરીઓના શિક્ષણ થકી આગવો વિકાસ હાંસિલ કર્યો છે.
તેમણે કહ્યું કે, પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જીને ઉદ્યોગ, વ્યાપાર, સરકારી સેવા, જાહેર કાર્યો, વિદેશ ગમન એમ દરેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે, સાથે જ દેશના વિકાસમાં પૂરું યોગદાન આપ્યું છે. પાટીદાર સમાજના દાતાઓ એકવાર સંકલ્પ લે તો કોઈ પણ મોટા પ્રોજેક્ટને પાર પાડે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ આ કન્યા છાત્રાલય છે.
છાત્રાલયના લોકાર્પણ સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી એ કહ્યું કે, મારા મત વિસ્તારમાં આવડું મોટું કામ થઈ રહ્યું હોય ત્યારે પ્રત્યક્ષ હાજર રહેવું એ મારી ફરજ છે પરંતુ દિલ્હી વિધાનસભામાં સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલની સ્મૃતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ મારી ઉપસ્થિતિ અનિવાર્ય હતી તેથી સરદાર ધામ ખાતે રૂબરૂ આવી શકાયું નથી.

તેમણે ઉમેર્યું કે દેશના ગૃહ મંત્રી તરીકે ભારતના અનેક રાજ્ય પ્રાંત પ્રદેશોમાં જવાનું થાય છે. દરેક ભારતીય એક સ્વરે નતમસ્તક થઈને સરદાર પટેલને યાદ કરે છે, તેમનું સન્માન કરે છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો. આદિવાસી ખેડૂત મહિલા યુવાને દરેક વર્ગના ઉત્કર્ષથી ગુજરાત દેશનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આગવા વિકાસથી આજે ગુજરાત ભારતનું ગ્લોબલ ગેટવે બન્યું છે.
તેમણે ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતનો સભ્યતાથી સંસ્કૃતિ સુધી જવાન થી કિસાન સુધી અને ગામથી નગર સુધી વ્યાપક વિકાસ થયો છે.

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે,* સરકારના પ્રયાસોમાં સમાજનો સાથ મળવાથી વિકાસની ગતિ બમણી થાય છે. સરદારધામ જેવી સંસ્થાઓ યુવાનોને શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયાસરત છે. સરદાર સાહેબના નારી સશક્તિકરણના વિચારોને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને સાકાર કર્યા છે. તેમણે જણાવ્યું કે દીકરીઓને ભણાવવા માટે ગુજરાત સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો અત્યાર સુધીમાં ૧૦.૫૦ લાખથી વધુ દીકરીઓને લાભ મળ્યો છે.

સરદારધામ કન્યા છાત્રાલયના બીજા તબક્કાનું લોકાર્પણ એ સમાજિક સહકારથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ કાર્યક્રમ ‘સરદારધામ મિશન ૨૦૨૬’ હેઠળ પાટીદાર સમાજે લીધેલા પાંચ સંકલ્પોને સિદ્ધ કરવાની દિશામાં એક કદમ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજે લોકાર્પણ થયેલું આ કન્યા છાત્રાલય સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીનું આ વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહ્યું છે. તેમણે સરદાર સાહેબને માત્ર લોહપુરુષ જ નહીં, પરંતુ એકતા, સંસ્કાર અને સમાજસેવાના પ્રતીક ગણાવ્યા. તેમણે ગૌરવ સાથે કહ્યું કે આપણે અખંડ ભારતના શિલ્પી અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના વારસદાર છીએ. સરદારધામ જેવી સંસ્થાઓ ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના ધ્યેય સાથે દીકરીઓના શિક્ષણને પ્રાધાન્ય આપીને રાષ્ટ્રનિર્માણમાં નારી શક્તિના યોગદાનનો એક નવો અધ્યાય શરૂ કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટે ‘જ્ઞાન શક્તિ’ આધારિત ચાર સ્તંભોમાં નારી શક્તિને પણ એક મહત્વનો આધાર ગણાવ્યો છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ભવ્ય કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે સરદારધામની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા.

મુખ્યમંત્રીશ્રીએ નવી શિક્ષણ નીતિ (NEP) વિશે વાત કરતાં કહ્યું કે આઝાદ ભારતમાં પહેલીવાર ભારતીય વિચારો અને માતૃભાષાને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ઘડવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષામાં, સ્વદેશી અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાનો છે, જેથી યુવાનો આત્મનિર્ભર બની શકે.

તેમણે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની આત્મનિર્ભરતા તરફની ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોનો સંકલ્પ અને જનઆંદોલન છે. તેમણે લોકોને ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનું આહ્વાન કર્યું અને જણાવ્યું કે દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય માને ત્યારે જ ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર બનશે.

મુખ્યમંત્રીએ પાટીદાર સમાજના ખમીર અને સમાજહિતની ભાવનાની પ્રશંસા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરદારધામ સંસ્થા, ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ ના ધ્યેય સાથે, વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણના સંકલ્પોને સાકાર કરવામાં યોગદાન આપશે.

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ શ્રી ઋષિકેશ પટેલ, શ્રી રાઘવજી પટેલ, શ્રી પ્રફુલ પાનસેરીયા, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
…………
[8/24, 9:50 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1EHht6B7EVluMV4ZDMWAzMnXRyhss0Dx2

અહીં જન જાગૃતિના ભાગ રૂપે સમાચારો,વિડિઓ,ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.કોઈને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરવો